સર્કલ નજીકની સોસાયટીમાં ડાયવર્ઝન રૂટ પર અકસ્માતોના બનાવો, કર્કસ હોર્ન અવાજથી સ્થાનીકો પરેશાન: જાહેરનામાનો ભંગ કરી ડાયવર્ઝન રૂટ પર નીકળતા ભારે વાહનો
મવડી સર્કલ-રૈયા સર્કલ પર ટ્રાફીકની સમસ્યા યથાવત!
શહેરમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે મનપાએ બ્રીજ બનાવાની શરૂઆત કરી છે જે અંતર્ગત 150 ફૂટ રીંગ રોડ, રૈયા સર્કલ અને મવડી સર્કલ ઉપર ઓવરબ્રીજ બનાવાની કામગીરી ચાલુ છે. રૈયા સર્કલના મેઈન બ્રીજનો સ્લેબ ભરવાનો હોવાથી રૈયા ચોકડીના ટ્રાફીકને ડાયવર્ટ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે અંગે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી રૈયા ચોકના પૂર્વથી પશ્ર્ચિમ સુધીનો માર્ગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારની અવર જવર બંધ કરી છે. તો બીજી બાજુ સ્થાનિક વિસ્તારોમાં સ્પીડબ્રેકરના અભાવે પૂરપાટ ઝડપે દોડતા વાહનો સાથે રાહદારીઓ, બાળકો, વાહન ચાલકોને અથડાવાના- અકસ્માતો થવાના બનાવો વધતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલીક ધોરણે મનપા દ્વારા મેઈન રોડ, ઉપર શરૂમાં અંતમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. જયારે મવડી સર્કલ ખાતે મુખ્ય ચોકના સ્લેબના કામકાજની કામગીરી માટે ડાયવર્ઝન માટેના પેન્ડીંગ જાહેરનામુ મંજુર થવાની રાહ જોવામાં આવી રહી છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર મવડી સર્કલ અને રૈયા સર્કલ પર થતી ટ્રાફીક સમસ્યા નિવારવા ફલાય ઓવરબ્રીજ બનાવવા માટે બે મહત્વાકાંક્ષી પ્રોજેકટ પાછળ રૂા.62 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મવડી સર્કલ ખાતે બ્રીજનું 65%થી વધારે કામ પૂર્ણ થઈ ચૂકયું છે. આગામી જાન્યુઆરી માસ સુધીમાં બ્રીજ તૈયાર થઈ જવાનો છે. બ્રીજના બધા પીલરનુ ફાઉન્ડેશનનું કામ પૂરૂ થતા બન્ને સાઈડના કુલ 84 પીલરોમાંથી 69 ગડર ચળાવવાની કામગીરી ચાલી રહી છે. 69 કુલ 84 જયારે ટુકા ગાળામાં જ ટ્રાફીક નિયમનના ડાયવર્ઝન જાહેરનામા પર પોલીસ કમિશ્ર્નરની મંજુરીની મોહર લાગતા પૂર્વથી પશ્ર્ચિમનો વિસ્તાર બંધ કરી સર્વિસ રોડ મારફત જાહેરનામાના ડાયવર્ઝન મુજબ વાહન ચાલકોને જવાનું રહેશે. જાહેરનામા બાદ મવડી ગામ તરફ જતો રસ્તો સદંતર બંધ થઈ જશે. પરીણામે લોકોને ઓમનગર ચોક તરફથી ડાયવર્ગનનો લાભ મળી શકશે. હાલમાં સર્વેની કામગીરી કરી ટ્રાફીક શાખા દ્વારા કમિન્નર કચેરી ખાતે દરખાસ્ત કરી દેવામાં આવી છે. જે દરખાસ્ત પેન્ડીંગ છે.
જયારે રૈયા ઓવરબ્રીજ પર સેન્ટ્રલ સ્પાનની કામગીરી ગત તા.24થી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રૈયા સર્કલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ કામે રૈયા ચોકના ભાગે મેઈન સ્પાનની કામગીરી ચાલુ હોવાથી રૈયા ચોકમાં પૂર્વથી પશ્ર્ચિમ તરફ જઈ શકાતુ નથી. આ કામગીરી ચાલુ હોવાથી જાહેરનામા મુજબના નિશ્ર્ચિત કરેલા માર્ગ ઉપર વાહન ચાલકોને જવુ પડતું હોય છે. જેમાં સાંજના ટ્રાફીકના કારણે વાહનચાલકો બ્રહ્મસમાજ મેઈન રોડ, હનુમાન મઢી મેઈન રોડ, સર્વિસ રોડ, કીડવાઈનગર, રામેશ્ર્વર પાર્ક મેઈન રોડ, ગાંધીગ્રામ, શાહનગર, શકિતનગર, સંતોષપાર્ક, વિદ્યુતનગર, કૈલાસ ધારા, ચંદનપાર્ક, સતાધાર પાર્ક, રામેશ્ર્વર પાર્ક, શીવ પાર્ક, રાજેશ્ર્વરી પાર્ક, રાધીકા પાર્ક, મીરાનગર, મહાદેવ પાર્ક નજીકના મેઈન રોડ, રસ્તાઓ પર ટુ વ્હીલ, ફોર વ્હીલ, થ્રી વ્હીલ, બોલેરો, જીપ, આઈસર સહીતના નાના મોટા ભારે વાહનોનો ધસારો જોવા મળે છે. તેમજ બાળકો, રાહદારીઓ, સ્થાનીકો સાથે નાના મોટા અકસ્માતો થયાના બનાવો વધતા સ્થાનીક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જયારે સ્થાનીક સોસાયટી, મેઈન રોડ પર સ્પીડ બ્રેકરના અભાવના કારણે ‘માતેલા સાંઢ’ની માફક વાહન ચાલકો દ્વારા વાહનો ચલાવી અકસ્માતો સર્જવાની લોક ફરીયાદો ઉઠવા પામી છે.
જયારે મવડી સર્કલ નજીક પણ સાંજના સમયે ટ્રાફીકના કારણે વાહન ચાલકો ઉમીયા ચોક, ગોકુલધામ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, જલજીત સોસાયટી, વૃંદાવન સોસાયટી, જયરાજનગર, શ્યામ પાર્ક, જશરાજનગર, પુનમ સોસાયટી, ઉદયનગર, સરદાર નગર સોસાયટી, સહીતની આજુબાજુ સોસાયટીના મેઈન રોડ પર શોટકર્ટ રીતે નીકળી જતા હોય છે. આ તમામ માર્ગો પર સ્પીડ બ્રેકરો ઓછા વતા પ્રમાણમાં અથવા અમુક સોસાયટીમાં નહીવત છે. બંને પુલોના મુખ્ય પાર્ટની કામગીરી શરૂ હોય ત્યાં સુધીના સમય માટે મેઈન રોડો પર સ્પીડબ્રેકરો બનાવવામાં આવે તેવી લોક ફરીયાદો ઉઠવા પામી છે.
જયારે ટ્રાફીક સમસ્યાના કારણે થતા અકસ્માતોની ફરીયાદો અરજીઓ પણ પોલીસ મથકમાં વધવા પામી છે. તો બીજી બાજુ ઘણા સમયથી ચાલી રહેલી રૈયા ઓવરબ્રીજ મવડી ઓવરબ્રીજની કામગીરીના કારણે સાંજના સમયે ટ્રાફીકની સર્વિસ રોડ પર અંધાધુંધી સર્જાતી હોય છે. જયારે રૈયા સર્કલ પર મૂકેલા અટપટા ડાયવર્ઝનને કારણે ભુલ ભુલામણી ભરેલા રસ્તાઓ પરથી વાહન ચાલકોને પસાર થવુ પડે છે.
જયારે વાહનચાલકો પોતાનો કીંમતી સમય બચાવવા અને ઝડપથી કાર્ય સ્થળે પહોંચવા માટે રીતસરની સાંજના સમયે દોડ લગાવતા હોય છે. તો આ સમસ્યાઓના કારણે સ્થાનીક લતાવાસીઓ કર્કસ હોર્ન, સ્પીડ બ્રેકર નહીવત હોથી ઘણી હાડમારીઓ વેઠી રહ્યા છે. જયારે આ અંગે બાંધકામ શાખાના એડીશ્નલ સીટી એન્જીનીયર ભાવેશભાઈ જોષીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતું કે રૈયા સર્કલના મેઈન પાર્ટનું 60% કામ પૂર્ણ થઈ ચૂકયું છે. જયારે મવડી ઓવરબ્રીજના મેઈન સ્પાનની કામગીરી પોલીસ કમિશ્ર્નરના જાહેરનામા બાદ શરૂ કરવામાં આવશે. જાહેરનામા બાદ ડાયવર્ઝન રૂટ મુજબ વાહનચાલકોને જવાનું રહેશે. અંદાજીત જાન્યુઆરી મહિનાના અંત સુધી બંને ફલાય ઓવરબ્રીજ તૈયાર થઈ જશે.