અનુયાયીઓ

બુધવાર, 28 નવેમ્બર, 2018

સરકારી ડોકટરે નશાની હાલતમાં પ્રસૂતિ કરાવતા પ્રસૂતા-શિશુનાં મોત

 બોટાદની સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારીએ માતા-નવજાતનો જીવ લીધાનો આક્ષેપ
-તબીબે નશો કર્યાનું ખૂલતાં પોલીસે કરી અટકાયત
 
બોટાદ/ભાવનગર,:
બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં અલમપર ગામની 22 વર્ષની સગર્ભા યુવતી કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા અને નવજાત શિશુના મૃત્યુ થયા હતાં. નશો કરેલ તબીબની બેદરકારીના કારણે બન્નેના મૃત્યુ થયાના આક્ષેપ સાથે પગલાં લેવાની મૃતકના પરિવારજનોએ માગણી કરી હતી. તબીબે નશો કર્યાનુ ખુલતા તેની અટકાયત કરવામાં આવી હતી. 
બોટાદના રાણપુર તાલુકાના અલમપર ગામની કામીનીબહેન જયંતીભાઇ ચાચિયા નામનીસગર્ભા યુવતીની બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. એ પછી નવજાત બાળકી અને તેની માતા કામીનીબહેનના મૃત્યુ નિપજ્યા હતાં. આ અંગે મૃતકના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. પી.જે. લાખાણી (પરેશ જેરામભાઇ લાખાણી)એ દારૂ પીધેલી હાલતમાં ફરજમાં બેદરકારી દાખવી હોવાથી બન્નેના મૃત્યુ થયા છે. 

પરિવારજનોના આક્ષેપને હોબાળા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઇ એન.કે.વ્યાસે માતા-પુત્રીના મૃતદેહને ફોરેન્સીક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા માટે  ભાવનગરની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. મૃતકના સગા વહાલાઓના આક્ષેપના પગલે પીઆઇ વ્યાસે તપાસ કરી હતી અને તબીબે નશો કર્યાનું જણાતા જાતે ફરિયાદી બની ડૉ. પરેશ જેરામભાઇ લાખાણી સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી. આ સમયે તેણે નશો કર્યો હોવાનું જણાયું હતું. સોનાવાલા હોસ્પિટલના નર્સીંગ સ્ટાફના જણાવ્યા પ્રમાણે અલમપરની પ્રસૂતાને તા. 26મીએ સાંજના પોણા પાંચેક વાગ્યાના સુમારે સારવાર માટે  દાખલ કરવામાં આવી હતી. આ સગર્ભા યુવતી પ્રથમ વખત જ હોસ્પિટલમાં આવી હતી. તબીબની બેદરકારીના કારણે નવજાત બાળકી અને માતાના મૃત્યુ થતાં બોટાદ પંથકમાં અરેરાટી સાથે આઘાતની લાગણી ફેલાઇ હતી.

ટિપ્પણીઓ નથી: