મોબાઈલ ટાવરો સંદર્ભે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દ્વારા કરાઇ આરટીઆઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મોબાઇલ ટાવરના વેરામાં
ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલીકોમ કંપનીઓની તરફેણમાં
લેવાયેલો નિર્ણય હાલ વિવાદાસ્પદ બન્યો છે. ટેલીકોમા કંપનીઓને કરાવેલા
ફાયદાને કોંગ્રેસ હવે હાઇકોર્ટમાં પડકાર આપવા જઇ રહી છે.
આ માટે રાઈટ ટુ
ઈન્ફર્મેશન એક્ટ હેઠળ વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા પાસે વિગતો પણ માગવામાં
આવી છે.
તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિમાં મોબાઈલ ટાવરોના વેરામાં 30 ટકાનો જંગી ઘટાડો
કરવામાં આવ્યો છે. અગાઉ આ જ સ્ટેન્ડીંગ કમિટિએ વેરા ઘટાડાની દરખાસ્ત
નામંજુર કરી હતી અને ત્યાર બાદ જનરલ બોર્ડમાં મોબાઈલ ટાવરના વેરા ઘટાડાની
દરખાસ્ત તરત જ મંજુર કરી દેવાઈ હતી.
આમ મોબાઈલ ટાવરના વેરામાં ઘટાડો
વિવાદાસ્પદ બન્યો છે ત્યારે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખે આ બાબતે
માહિતી અધિકાર હેઠળ વિસ્તૃત વિગતો માંગી છે.
અગાઉ જનરલ બોર્ડ માટિંગમાં મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર દીઠ રૂા.50થી
ઘટાડીને 35 કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં
સ્ટેન્ડિંગ કમિટીમાં ટેલિકોમ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરો પ્રતિ ચોરસમીટર
દીઠ રૂા.35થી ઘટાડીને 15 કરવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
વિપક્ષ દ્વારા કરાયેલી આરટીઆઇ
શહેરમાં કુલ કેટલા અને ક્યા-ક્યા પ્રકારના મોબાઈલ ટાવરો છે, કેટલા સમયથી
રાખવામાં આવ્યા છે,
ટાવરોની મંજૂરી તથા માલિકી, મોબાઈલ ટાવરોની વેરા વસૂલ
કરવાની જૂની અને નવી પધ્ધતિ, મોબાઈલ ટાવરોના વેરા કેટલી વખત વધારાયા અને
ઘટાડવામાં આવ્યા, ક્યા ટાવરને કઈ કઈ શાખા દ્વારા મંજૂરી આપવામાં આવી, આ
તમામ મોબાઈલ ટાવર અંગે કોઈ કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગમાં
પૂછવામાં આવેલા સવાલ અને થયેલા વિરોધની માહિતી,' સ્ટેન્ડિંગ કમિટીના
ચેરમેન દ્વારા લેવામાં આવેલા નિર્ણયની તેમજ તે સમયની મિનીટ્સ બુક ઓફ
રેકોર્ડની વિગતો સહિતની માહિતીઓ પ્રમાણિત નકલમાં આપવી તથા આ તમામ મોબાઈલ
ટાવરો અંગે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હોય તો તે છેલ્લા 25 વર્ષના બજેટમાં
કરવામાં આવેલી જોગવાઈઓ અને તેના આવક-જાવક સહિતના હેડવાઈઝ અને સવિસ્તૃત
માહિતીની વિગતો પ્રમાણિત નકલમાં આપવા કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.(સાભાર : ફૂલછાબ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો