આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ શુદ્ધ કરાયેલા પાણીનો જથ્થો અપાયો
રાજકોટ મહાપાલિકા તંત્ર દ્વારા શહેરની ભૂગર્ભ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને તે પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગવરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી આણંદપરના ખેડૂતોને 50 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો આપવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પ્રતિ એક હજાર લીટરદીઠ રૂા.13ના ભાવથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી મહાનગરપાલિકાને પ્રતિ હેક્ટરદીઠ રૂ.6,211ની આવક થશે.
આ ઉપરાંત મનપા દ્વારા રૈયાધાર પ્લાન્ટ ખાતેથી હાલમાં ફોરેસ્ટ વિભાગને વૃક્ષારોપણ માટે દરરોજ અંદાજે 15 હજાર લીટર પાણી આપવામાં આવે છે. માધાપર પ્લાન્ટ ખાતેથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિમિટેડ માધાપરને દરરોજ અંદાજે 17-64 હેક્ટર વિસ્તારમાં પાણી આપવામાં આવી રહ્યું છે. રોણકીની જય દ્વારકાધીશ મંડળી તેમજ આણંદપર (બાઘી) ગામના ખેડૂતો પાસેથી પણ ટ્રીટેડ વેસ્ટ વોટરની માગણીની દરખાસ્તો મળી રહી છે.
મ્યુ.કમિશનરે આ અંગે કહ્યું હતુ કે, ટ્રીટેડ વેસ્ટ વોટરના વપરાશથી ખેતીવાડીમાં નર્મદાના પાણીનો વપરાશ ઘટશે. તેનાથી ખેડૂતો અને તંત્ર બન્નેને ફાયદો થશે. નર્મદાનું પાણી લોકોને પીવા માટે મળતું રહેશે અને ખેતીમાં સિંચાઈ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી, ફોરેસ્ટ વિભાગ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા ગાર્ડન શાખા પણ તમામ બગીચાઓમાં પાણી પાવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરશે તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાલતાં બાંધકામો માટે કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સને પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવા માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.(સાભાર : ફૂલછાબ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો