અનુયાયીઓ

ગુરુવાર, 22 નવેમ્બર, 2018

રાજકોટની બે દીકરીઓ ડીસેમ્બરમાં સંસાર છોડી સંયમના માર્ગે કરશે પ્રસ્થાન



એસએસસીમાં 99.94 પીઆર લાવનાર આરાધના પણ લેશે દીક્ષા

રાજકોટ, તા. 21 : રાજકોટમાં ચાતુર્માસ માટે આવેલા રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં રાજકોટની બે દીકરીઓ ઊપાસના સંજયભાઈ શેઠ અને આરાધના મનોજભાઈ ડેલીવાળા સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે અને સંયમના માર્ગે પ્રસ્થાન કરશે. આ બન્ને દીકરીઓનો ભવ્ય દીક્ષા મહોત્સવ આગામી તા.2થી 9 ડિસેમ્બર દરમિયાન ઉજવાનાર છે.

જે દીકરીઓ દીક્ષા ગ્રહણ કરવાની છે, તેમાં ઊપાસના શેઠની ઉંમર 24 વર્ષ છે અને બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. સંજયભાઈ અને હેતલબેન શેઠની દીકરી ઊપાસનાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેને એક બહેન કિંજલ છે. જ્યારે મનોજભાઈ અને પૂનમબેન ડેલીવાળાની પુત્રી આરાધનાની ઉંમર 17 વર્ષની છે. ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થિની આરાધનાએ એસએસસીમાં 99.94 માર્ક મેળવ્યા હોવા છતાં ભવિષ્યમાં કારકિર્દી બનાવવાનું ન વિચારીને નાની ઉંમરમાં જ સંયમના માર્ગે પ્રસ્થાન કરવાનું નક્કી કર્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, તા.2 ડિસેમ્બરે વિરતી વિજય શોભાયાત્રા નીકળશે. તા.3જીએ સંયમ માઁના ખોળે શિક્ષા પ્રસ્તુતિ થશે. તા.4થી એ સવારે હું હતો હું હોઈશ કાર્યક્રમ રજૂ થશે. તા.પમીએ સંયમ વંદનાવલી અને બ્રહ્મદીક્ષાનો કાર્યક્રમ યોજાશે. તા.6ઠ્ઠીએ પ્રવજ્યા શોભાયાત્રા નીકળશે. તા.7મીએ અશ્વિનભાઈ જોશીનો દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ યોજાશે. તા.8મીએ માતૃ પિતૃ વંદના, બપોરે અનુમોદના, કોળીયા વિધિ થશે. તા.9મીએ રેસકોર્સ મેદાનમાં ‘સંયમ સમવસરણ’ ખાતે ભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવશે.



આ પ્રસંગે વિવિધ જૈન સંઘોના શ્રેષ્ઠીઓ ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ ઘોઘા, પ્રવીણભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ (એડવોકેટ), જીતુભાઈ બેનાણી, કિરીટભાઈ શેઠ, શિરીષભાઈ બાટવીયા, સુશીલભાઈ ગોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુ એ સર્વસ્વ નથી, સહાયક છે : નમ્રમુનિ મહારાજ


પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાષ્ટ્રસંત શ્રીનમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું કે, જેના હૃદયમાંથી સત્ય પ્રગટ થાય છે તે સંયમનો સ્વીકાર કરે છે. અને સમજ પ્રગટ થાય ત્યારે સંયમ લાવવો પડતો નથી. સહજતાથી આવી જાય છે. ગુરુઓથી કોઈ શિષ્ય દીક્ષા નથી લેતા. અંદર પ્રગટેલા સત્યથી પ્રેરાઈને દીક્ષા લે છે. ગુરુને જૈન દર્શનમાં સર્વસ્વ માનવા છતાં સહાયક માનવામાં આવે છે.

દીક્ષાર્થી દીકરીઓ શું કહે છે ?


24 વર્ષીય દીક્ષાર્થી ઊપાસના શેઠે જણાવ્યું હતું કે, હું મેનેજમેન્ટ પર્સન છું. મને ક્યાંથી કેટલો નફો થાય છે તે જોવાનું છે. સંયમના માર્ગે મારે ગુમાવવાનું કશું જ નથી. માત્ર ને માત્ર આત્મકલ્યાણ મેળવવાનું છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી પરિણામ શું આવશે, તેની ચિંતા કરતી નથી. 17 વર્ષીય આરાધના ડેલીવાળાએ કહ્યું કે, મારા દીક્ષા લેવાના ભાવ મક્કમ હતા. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ સંસારી પક્ષે મારા મામા થાય પણ હવે ગુરુ-શિષ્યાનો સંબંધ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, દીક્ષા લેવા માટે કોઈ ઉંમર હોતી નથી. કારણ કે ઉંમર શરીરને હોય છે, આત્માને નહીં. (સાભાર : ફૂલછાબ)

ટિપ્પણીઓ નથી: