વલસાડઃ- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે ગુજરાત સરકાર દ્વારા ચલાવાતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાની ઉમદા તક પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અધવચ્ચેથી છોડી ગયેલા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ થઇ છે. સંસ્થા તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલપુડી ખાતે સપ્ટેમ્બર, ર૦૧૦થી શરૂ કરાયેલા કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં હાલ ઇલેક્ટ્રીક્લ, ગારમેન્ટ્સ ફેબ્રિકેશન, બ્યુટીપાર્લર તથા એમ્પાવર : બેઝીક કોમ્પ્યુટર કોર્ષ (બી.સી.સી.) જેવા ટૂંકાગાળાના કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં પ્રવેશ મેળવી, તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સ્વરોજગારી માટે ખૂબ જ ઉપયોગી એવુ ગુજરાત સરકારનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. આ કોર્ષ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, અપંગ તથા બી.પી.એલ. કાર્ડધારકોને ટયુશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. જ્યારે અન્ય ઉમેદવારોને નહિવત એવી માસિક રૂા.પ૦/- ટયુશન ફીથી તાલીમ આપવામાં આવે છે. બીલપુડીના આ કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્ર ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક એવા ઉમેદવારોએ શ્રી કે.આર.ટંડેલ, કો-ઓર્ડિનેટરનો મોબાઇલ નંબર : ૯૨૭૪૩ ૦૯૫૦૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો