અનુયાયીઓ

ગુરુવાર, 9 જૂન, 2011

સર્વ શિક્ષા અભિયાનમાં ગુજરાતને કેન્દ્રનો અન્યાય: શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતને ઓછું ભંડોળ

સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર દ્વારા અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતને ઓછું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે, તે અંગે ગુજરાતનાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરાએ નારાજગી વ્યકત કરી હતી. દિલ્હી ખાતે યોજાએલી રાજયોના શિક્ષણમંત્રીશ્રીઓની એક બેઠકમાં શ્રી વોરાએ જણાવ્યુ હતું કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રતિ વ્યક્તિદીઠ આંધ્રપ્રદેશને રૂ. ૨૨૭, બિહારને રૂ.૬૪૮, રાજસ્થાનને રૂ.૫૦૮, ઓરિસ્સાને રૂ.૪૬૩, પશ્ચિમ બંગાળને રૂ.૪૬૧ અને તામિલનાડુને રૂ.૧૯૪ ની ફાળવણી કરવામાં આવે છે, જ્યારે તેની સરખામણીએ ગુજરાતને માત્ર રૂ.૧૭૦ ફાળવવામાં આવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૧-૧૨ માટે મંજૂર થયેલા રૂ.૧૮૬૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ ગુજરાતને હજી સુધી કરવામાં આવી નથી તે અંગે પણ શ્રી વોરાએ ખેદ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (આરએમએસએ) યોજનામાં પણ કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાનું જણાવીને શ્રી વોરાએ કેન્દ્ર સરકારને આરએમએસએ યોજના હેઠળ ગુજરાતમાં નવી માધ્યમિક શાળાઓ ખોલવા માટે પૂરતા પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરવાની માંગ કરી હતી.
શ્રી વોરાએ કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અધિનિયમ કેન્દ્ર સરકારે ઘડ્યો હોવા છતાં મોટા ભાગની નાણાકીય જવાબદારી રાજયોના શિરે આવી પડી છે.
શ્રી વોરાએ વધુમાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર આગામી બે મહિનામાં ૧૩,૩૨૦ જેટલા પ્રશિક્ષિત શિક્ષકોની ભરતી કરશે. રાજયમાં જનભાગીદારીથી ચાલતી શાળાઓ અંગે શ્રી વોરાએ જણાવ્યુ હતું કે શાળાઓને તેમની કામગીરીને આધારે અનુદાન આપવામાં આવે છે.બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: