ગાંધીનગર-ગુજરાતની ઉત્તરમાં લખપતથી માંડીને દક્ષિણમાં દમણ સુધી આશરે ૧૬૦૦ કિમી.ની લંબાઇનો દરિયાકાંઠો મળ્યો છે. જે દેશના સમુદ્રતટ રેખાનો ત્રીજો ભાગ છે. સૌરાષ્ટ્રની ત્રણ બાજુઓ દરિયાથી ઘેરાયેલી છે. તો દક્ષિણ ગુજરાતને પણ અરબી સમુદ્રનો દરિયાકાંઠો મળ્યો છે. ભૂગર્ભજળના વધારે પ્રમાણમાં ખેંચાણ તથા ઓછા-અનિયમિત વરસાદને કારણે દરિયાનું ખારૂ પાણી ભૂગર્ભજળ સાથે ભળવાથી દરિયાકાંઠાના ભૂગર્ભજળમાં ખારાશ પ્રવેશે છે. પરિણામે જમીનની ગુણવત્તા પણ બગડવા લાગી.
આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઇને રાજય સરકારે ક્ષાર પ્રવેશ નિવારણ યોજનાઓને અગત્યતા આપવાનુ ઠરાવ્યુ. દરિયાનું ખારૂ પાણી જમીનમાં આગળ વધતું અટકાવી અને દરિયાતરફ પાછુ વાળવા માટે ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરી છે. સમિતિએ ક્ષાર પ્રવેશ અટકાવવા માટેની મેનેજમેન્ટ ટેકનીક અને જળ રિચાર્જ જેવા સૂચવેલા પગલાંઓનો અગ્રતાના ધોરણે અમલ કરવામાં આવ્યો છે.
નદીઓના દરિયાકાંઠાના મુખ પાસે ભરતી નિયંત્રક બંધારાઓ, જમીન તરફ અંદરના ભાગે પુનઃપ્રભરણ જળાશયો, તળાવો, કૂવાઓ, ચેકડેમો અને સ્પ્રેડીંગ ચેનલોના બાંધકામ કરવામાં આવ્યા છે. ક્ષાર પ્રદેશ નિવારણ કાર્યક્રમ હેઠળ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટજિલ્લાના માળીયા તાલુકામાં ભરતી નિયંત્રક બંધારા, વિસ્તરણ નહેરોના કામો કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં દરિયાથી અંદાજીત ૧૮ કિ.મી. દૂર કુકરવાડા ગામે તથા મણાદ પાસે ઢાઢર નદી પરના બ્રીજ પાસે દરિયાના ખારા પાણીને રોકવામાં આવે છે. બીજી તરફ વરસાદી મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સુરત જિલ્લામાં ઉદવાડા ખાતે અને નવસારી જિલ્લામાં ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરી કરવામાં આવી છે. રાજય સરકાર અને કેન્દ્રીય સહાય અંતર્ગત ફલડ મેનેજમેન્ટ પોગ્રામ હેઠળની યોજના અને બારમા નાણાં પંચમાં સ્ટેટ સ્પેશ્યલ નીડસ હેઠળ ભરતી નિયંત્રકો, બંધારાઓ, પુનઃપ્રભરણ જળાશયો, વિસ્તરણ નહેરોના કામો થવાથી ક્ષાર પ્રવેશતો અટકશે. મીઠા પાણીનો સંગ્રહ થશે તથા જમીનને સિંચાઇ માટેના સીધા તથા આડકતરા ફાયદા થશે. રાજયમાં નાબાર્ડ દ્વારા પણ ક્ષાર નિયંત્રણ કાર્યક્રમો માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. વળી વનીકરણની યોજનાઓ અમલી બનાવીને દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્ષાર પ્રવેશ અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો