અનુયાયીઓ

ગુરુવાર, 30 જૂન, 2011

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકોના વાવેતર માટે ચિન્તાતુર ખેડૂતોની મદદે રાજ્ય સરકારઃ નર્મદાનું સિંચાઇનું પાણી તાત્કાલિક આપવાનો સ્તુત્ય નિર્ણય સરદાર સરોવર ડેમમાંથી નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી ખરીફ સિંચાઇ માટે આજથી આપવાનો સમયોચિત

નર્મદા કેનાલ નેટવર્ક અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા-પાટણ-સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ફતેવાડી-ખારીકટ કેનાલો-સાણંદ-વિરમગામના કમાન્ડ એરિયામાં આજથી નર્મદાનું સિંચાઇનું પાણી છોડાતાં કિસાનોને મોટી રાહત
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.

ટિપ્પણીઓ નથી: