અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

મુખ્યમંત્રીશ્રી ઉપર ફ્રાન્સના સન્નારી ચેન્ટાલ આડીન્વેનો પુસ્તક લખી રહ્યાં છે સદભાવના મિશનમાં ઉપસ્થિત રહીને અનુભવ લીધો



મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી-જાહેરજીવન અંગે સને ૨૦૧૨ સુધીમાં સ્વરચિત પુસ્તકનું ફ્રેન્ચ ભાષામાં પ્રકાશન કરવા કટિબધ્ધ ફ્રાન્સના સન્નારી સુશ્રી ચેન્ટાલ આન્ડીવેનો નવસારીના સદભાવના મિશનનો અનુભવ મેળવીને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં.રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિકાસની સાથે પ્રેમ, ભાઇચારો, એકતા અને સદ્‍ભાવના માટે ઉપવાસની સાધના કરે તે જાણીને તેમણે આનંદની લાગણી વ્યકત કરી હતી.
ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે સુશ્રી ચેન્ટાલ ભારતીય સંસ્કૃતિથી ધણાં પ્રભાવિત છે. તેઓ વૈદિક સંસ્કૃતિના પુરસ્કર્તા આર્ય સમાજના ગાઢ સંપર્કમાં છે. અને તેમનું ભારતીય નામકરણ શકુન્તલા કરવામાં આવ્યું છે. જેનો તેઓ હંમેશા પોતાના મૂળ નામની સાથે સગર્વ ઉલ્લેખ કરે છે.
સુશ્રી ચેન્ટાલ ઉર્ફે શકુન્તલાની સદભાવના મિશનની મુલાકાતનો વિશેષ આશય જાહેર જીવનમાં પ્રવૃત્ત મુખ્યમંત્રીશ્રીને નિકટથી નિહાળવાનો છે. આ અગાઉ તેમણે મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો અનુભવ મેળવ્યો છે. તેમણે સંખ્યાબંધ વાર ગુજરાતની મુલાકાત લીધી છે.
નવસારીના જિલ્લા કલેકટર સંધ્યા ભુલ્લરે આ વિદેશી અતિથિને મંડપમાં ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. સુશ્રી ચેન્ટાલે ગઇકાલે રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાંસદ ભરતસિંહ પરમાર સાથે સંવાદ કર્યો હતો. તેમણે ડૉ. સુષ્મા અગ્રવાલ સાથે વિકાસશીલ ગુજરાત પ્રદર્શન નિહાળ્યું હતું તથા યાદગીરી માટે તસવીરો પાડી હતી. સદભાવના મિશનના મુખ્યમંચ પર ભારત માતાની તસવીર નિહાળી અને એક ગોડેસ દેવી સ્વરૂપે રાષ્ટ્રને કલ્પીને તેનું પૂજન કરવાની ભાવના અંગે જાણકારી મેળવીને આનંદની લાગણી વ્યકત કરી હતી.
ભારતીય કુટુંબ જીવનની ઉષ્માપૂર્તતાનો અનુભવ કરાવવા સુશ્રી ચેન્ટાલને રોટરી કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર અને નવસારીના અગ્રણી ઉઘોગપતિ રોટેરીયન દિનેશસિંહ ઠાકુરના ધેર ઉતારો આપવામાં આવ્યો હતો. શ્રી દિનેશભાઇ અને તેમના ધર્મપત્ની વિણાબેનનું ઉષ્માભર્યું આતિથ્ય માણીને સુશ્રી ચેન્ટાલ ખૂબ જ અભિભૂત થયાં હતા. ભારતીય પરિવારોમાં મહેમાનનું આગમન આનંદનો પ્રસંગ ગણાવાય છે અને યજમાન પરિવાર મહેમાનને દખલરૂપ ન ગણતા, અતિથિ દેવો ભવની ભાવનાની સત્કાર કરે છે તે જાણીને તેઓએ સાનંદાર્યની લાગણી અનુભવી હતી. ઠાકુર દંપતિએ તેમને સમય ફાળવીને નવસારી અને અખંડ હરિયાળી ધરાવતા દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવા અને મહેમાન બનવા ઇજન પાઠવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: