અનુયાયીઓ

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

સદ્‍ભાવના મિશન જિલ્લા અભિયાનઃ નવસારી જનતા જનાર્દન અને બધા જ પંથ-સંપ્રદાયોના વડાઓના આશીર્વાદ લઇને નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશનના અનશનનો આરંભ કર્યો આપણી સદ્‍ભાવનાથી માનવસેવાની સંવેદના અને ગરીબના ધરમાં રોશની પ્રગટાવીએ-મુખ્યમંત્રીશ્રી વિશાળ સંખ્યામાં આદિવાસી-સાગરખેડુ પરિવારો ઉમટયા


સદ્‍ભાવના મિશન
જિલ્લા અભિયાનઃ નવસારી
જનતા જનાર્દન અને બધા પંથ-સંપ્રદાયોના વડાઓના આશીર્વાદ લઇને નરેન્દ્રભાઇ મોદીએ સદ્‍ભાવના મિશનના અનશનનો આરંભ કર્યો
આપણી સદ્‍ભાવનાથી માનવસેવાની સંવેદના અને ગરીબના ધરમાં રોશની પ્રગટાવીએ-મુખ્યમંત્રીશ્રી
વિશાળ સંખ્યામાં આદિવાસી-સાગરખેડુ પરિવારો ઉમટયા
કરોડ ગુજરાતીઓએ એકતા અને શાંતિના વાતાવરણમાં વિકાસ કરીને સદ્‍ભાવનાની શક્તિ જીવી જાણી છે
આજે દસ વર્ષ પછી ગુજરાતની સદ્‍ભાવનાની શક્તિમાં કેટલું સામર્થ્ય છે તેની પ્રતીતિ ડંકાની ચોટ ઉપર કરાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવસારીમાં સદ્‍ભાવના મિશનના અનશનનો આજે સવારે પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, કરોડ ગુજરાતીઓએ એકતા અને શાંતિના વાતાવરણથી વિકાસ કરીને સદ્‍ભાવનાની તાકાત જીવી જાણી છે.
જનતા  જનાર્દન અને તમામ પંથ-સંપ્રદાયના ધર્મગુરૂઓના આશીર્વાદ લઇને નવસારીમાં સદ્‍ભાવના મિશનના અનશનની તપસ્યા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દસ વર્ષ પછી સદ્‍ભાવના મિશન લઇને નીકળવાનું કારણ છે કે, દસ દસ વર્ષથી સદ્‍ભાવનાની શક્તિ ગુજરાતના વિકાસનું ચાલક બળ છે, એવો વિશ્વાસ આપણે પ્રસ્થાપિત કર્યો છે. સદ્‍ભાવના મિશન સમગ્ર દેશને કોમવાદ-જાતિવાદના ઝેર છોડવાની સાચી દિશા આપે છે.
નવસારી જેવા નાના એવા પાંચ તાલુકાઓના નવા જિલ્લાનો પૂર્વપ્રભાગ આદિવાસીઓની વિકાસની ચેતનાથી ધબકે છે, તો મિકાંઠો દરિયાના સાગરખેડુ સમાજના વિકાસ ધબકાર ઝીલે છે, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વસુધૈવ કુટુંબકમ આપણા પૂર્વજોના વિકાસનો મંત્ર રહ્યો છે. આજે પણ દુનિયા સમજે તો આતંકવાદ ખતમ થઇ  જાય. સત્યરૂપી ઇશ્વર એક છે. તેને પહોંચવાના રસ્તા ભલે જુદા હોય તેના રૂપ ભિન્ન હોય. કોઇ મંદિરમાં જાય, શિવાલયમાં જાય, દેવળમાં જાય કે મસ્જિદમાં જાય. બધા રસ્તા એક પરમાત્મા પાસે જાય છે, અને આપણી ભારતીય પરંપરા રહી છે, અને ગુજરાતે છેલ્લા દસ વર્ષથી સદ્‍ભાવનાની શક્તિથી વિકાસ કરી બતાવ્યો છે.
ધણા લોકો ગુજરાતની સરકાર સારુ શાસન ચાલે છે, તેને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવે છે. કિસાનને લાગે છે કે કૃષિ મહોત્સવ અને જળસંચયના વિકાસની પ્રગતિ માટે સરકાર સારી છે. વેપારીઓને શાંતિથી વેપાર-ધંધા રોજગારના વાતાવરણથી સરકાર સારી લાગે છે. ગરીબોને તેના કલ્યાણના કામો માટે સરકાર ગમે છે. યુવાશક્તિને લાખો રોજગારના અવસર મળ્યા તેનાથી સરકાર ખૂબ સારી લાગે છે. સહુ પોતાના દ્રષ્ટિકોણથી સરકારના શાસનને ઉત્તમ માને છે. તેમના કારણોમાં પણ સચ્ચાઇ છે, પરંતુ ગુજરાતના વિકાસની સાચી તાકાત તો છે દસ વર્ષની સદ્‍ભાવનાની શક્તિ !
"હું જિલ્લે જિલ્લે સદ્‍ભાવના મિશન અભિયાન કરીને દુનિયાને ડંકાની ચોટ ઉપર દર્શાવવા માંગુ છું કે, કરોડ ગુજરાતીઓની શાંતિનો સંકલ્પ, એક્તાની ભાવના, સદ્‍ભાવનાની શક્તિ, ભાઇચારાનો સંપ ગુજરાતના વિકાસની ગતિના આધારસ્થંભ બન્યા છે' એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૯૮૦-૮પ-૯૦ના વર્ષોમાં કોમી હુલ્લડો, છૂરા-ચાકુબાજી, કરફયુ, ટીયરગેસ, હિંસાની આગ, ભાઇ-ભાઇના લોહીની તરસના બેબસ સમયનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ગરીબ પરિવારો કોમવાદના ઝેરનો ભોગ બનતા હતા, કોઇ ગરીબ રીક્ષાવાળાની કે કોઇ ગરીબ વેપારીની દુકાન સળગી જતી, તેની રોજીરોટી છીનવાઇ જતી, ગરીબ પરિવારોને ભૂખે ટળવળવું પડતું, ગરીબ માતાને બહાર ગયેલો દીકરો સહી-સલામત પાછો ધેર પહોંચશે કે નહીં તેનો ફફડાટ હતો. કોમી હિંસાના દિવસો ભૂલાતા નથી, એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા દસ વર્ષમાં શાંતિ અને ભાઇચારો કરોડ ગુજરાતીઓનો સ્વભાવ બની ગયો, તેને સદ્‍ભાવનાની શક્તિનો પ્રભાવ ગણાવ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દસ વર્ષ પહેલાનું બાળક પહેલા કરફયુ શબ્દ શીખતું પછી મા-મામા શબ્દ બોલતું. આજે દસ વર્ષના બાળકને કરફયુ શું છે તેની સમજ પણ નથી. પરિવર્તન સદ્‍ભાવનાની શક્તિથી આવ્યું છે.
દસ વર્ષથી ગુજરાત સદ્‍ભાવનાની તાકાતથી વિકાસ કરતું રહ્યું, પરંતુ આજે સદ્‍ભાવના મિશન શા માટે ? તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, મારે ગુજરાતની સદ્‍ભાવના કેવી છે તેના પરિણામો લાવીને દુનિયાને પહેલા બતાવવા હતા. આજે દસ વર્ષ પછી હું ડંકાની ચોટ ઉપર દેશ અને દુનિયાને કહી શકું છું કે, કોમવાદ-જાતિવાદનું ઝેર છોડો, ભારતમાતાની સેવા માટે એક્તા અને સદ્‍ભાવનાથી તેને શક્તિશાળી બનાવો. શહેર હોય કે ગામ, જાતિવાદનું ઝેર કોઇનું ભલું નથી કરવાનું, કોમ-કોમ વચ્ચે લડાઇ-ઝગડા કોઇનું ભલુ નથી કરતા. ભૂતકાળમા માનગઢ સહિત ગુજરાતમાં ભાઇ-ભાઇનું લોહી રેડવાની સ્થિતિ હતી. આજે દસ વર્ષથી ગુજરાતમાં ભાઇચારો અને એકતા છે. કરોડ ગુજરાતીઓએ ગુજરાતમાં સદ્‍ભાવનાનો મંત્ર જીવી જાણ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
આજે આપણે કરોડ ગુજરાતીઓ આપણી સદ્‍ભાવનાની તાકાતને દુનિયા સમક્ષ ઉન્નત મસ્તકે મૂકી શકીએ છીએ. એવો વિશ્વાસ પણ જગાવી શક્યા છીએ. સદ્‍ભાવનાની શક્તિથી આપણે ગરીબના ધરમાં વિકાસની રોશની પ્રગટાવીએ, દુઃખી-પીડિતના આંસુ લુછવા સંવેદનાથી સહભાગી બનીએ, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજે ઓરિસ્સાના પૂરપીડિતો માટે નવસારી અને સુરતના સમાજોએ સદ્‍ભાવના મિશનના અવસરે જીવન આવશ્યક રાહત સામગ્રી મોકલવાની જે ઉમદા માનવસેવાની સદ્‍ભાવના બતાવી તેને પ્રેરણારૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ઓરિસ્સાના નાગરિકો રોજી-રોટી માટે આવીને વસેલા છે. ગુજરાત સોમનાથની ભૂમિ છે, તો ઓરિસ્સા જગન્નાથની ભૂમિ છે. આપણે સહુ એક પરમાત્માના પરિવારના ભાઇઓ છીએ. ઓરિસ્સામાં પૂરપ્રકોપનો ભોગ બનેલા ગરીબ, દુઃખી પરિવારોની પડખે ઊભા રહેવા આજે ૮૦,૦૦૦ સાડીઓ, પ૦,૦૦૦ પુરૂષો માટેના ગમછા વસ્ત્રો, ૧ર૦૦૦ ગરમ ધાબળા સહિત દવાઓ અને જીવનજરૂરી વસ્તુઓ જનશક્તિની ભાગીદારીથી એકત્ર કરીને ઓરિસ્સાના સાંસદ ધર્મેન્દ્રજી પ્રધાન અને બહેન સુષ્માજીને આજે સાંજે સુપરત કરાશે.આપણી સદ્‍ભાવનાની શક્તિથી આપણે દુનિયામાં કરોડ ગુજરાતીઓના વિકાસની તાકાતનો ડંકો વગાડી રહ્યાં છીએ, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીનાં અનશન અને સદ્‍ભાવના મિશનમાં જોડાવા નવસારી જિલ્લાના પાંચેય તાલુકા નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા અને જલાલપોરના ગામેગામથી વનવાસીઓ અને સાગરખેડુ પરિવારો અવિરત જનપ્રવાહરૂપે સમર્થન આપી રહ્યાં છે.

ટિપ્પણીઓ નથી: