અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી રાજકોટમાં કાઠીયાવાડી-મારવાડી અશ્વશોનું સમાપન કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના પોલીસ વડા શ્રી ચિતરંજનસિંધના હસ્‍તે વિજેતા અશ્વસવારો-અશ્વપાલકોને પુરસ્‍કારો-શિલ્‍ડ એનાયત થયા અશ્વો અને અશ્વારોએ ઘોડેશ્વારીના કૌશલ્‍યભર્યા કરતબો રજુ કર્યા


અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
રાજકોટમાં કાઠીયાવાડી-મારવાડી અશ્વશોનું સમાપન
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના પોલીસ વડા શ્રી ચિતરંજનસિંધના હસ્‍તે વિજેતા અશ્વસવારો-અશ્વપાલકોને પુરસ્‍કારો-શિલ્‍ડ એનાયત થયા
અશ્વો અને અશ્વારોએ ઘોડેશ્વારીના કૌશલ્‍યભર્યા કરતબો રજુ કર્યા
રાજકોટ
રાજકોટ ખાતે રાજકોટ ગ્રામ્‍ય પોલીસ દળ તેમજ પશુપાલનખાતુ અને ગુજરાત કાઠીયાવાડી મારવાડી અશ્વપાલક સહકારી મંડળી આયોજીત ૧૪માં આંતરરાષ્‍ટ્રીય કક્ષાના કામા અશ્વોશોના સમાપન પ્રસંગે ઉપસ્‍થિત રહેલા કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ અશ્વશોના આયોજન બદલ આયોજક સંસ્‍થાઓને બિરદાવી જણાવ્‍યું હતુ કે અશ્વપાલનને વ્‍યાવસાયીક ઢબે વિકસાવવા રાજય સરકાર ઉત્‍સુક છે. કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ ઘોડેશ્વારીના દાવ અને કૌશલ્‍ય રજુ કરનાર અશ્વપાલકોને બિરદાવતા જણાવ્‍યું હતુ કે આની પાછળ દિવસો સુધી લીધેલી તાલીમ જવાબદાર છે.
કૃષિ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતુ કે આજે રાજયમાં ૧૩ હજાર અશ્વો છે. રાજયમાં બે અશ્વસંવર્ધન કેન્‍દ્રો છે. કાઠીયાવાડી અશ્વની નસલ જળવાઇ રહે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ છે. ગુજરાતની લોકસંસ્‍કૃતિ સાથે વણાયેલી કાઠીયાવાડી અશ્વોની નશ્‍લના સંવર્ધન અને જતન માટે રાજય સરકારે રાજકોટ ખાતે સ્‍થાપેલ સૌરાષ્‍ટ્ર યુનિ.ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર અંતર્ગત કાઠીયાવાડી અશ્વ વિશે સંશોધનો અને અભ્‍યાસ થશે.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્‍તે આ પ્રસંગે ઉત્તમ કાઠીયાવાડી અશ્વ સ્‍પર્ધાના પ્રથમ  વિજેતા રાજેન્‍દ્રસિંહ જાડેજા-પોરબંદર ઘોડો રત્‍નાકર, દ્વિતીય બાલાભાઇ કોડીયાતર-પોરબંદર ઘોડો-રાજા, તૃતીય- વિમલભાઇ ભદ્રેશા-પોરબંદર-ઘોડો વીર તથા રાજકોટના બહાદુરસીંહ ગોહિલ-ઘોડો-લકીને રોકડ પુરષ્‍કારો, શિલ્‍ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે અતિથિવિશેષ પદે ઉપસ્‍થિત રહેલા રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંઘે જણાવ્‍યુ હતુ કે રાજય સરકારના પ્રોત્‍સાહનથી અશ્વ-શોના આયોજન તથા મળેલા આવકારને કારણે સમગ્ર ભારતમાંથી અશ્વ-પ્રેમીઓને અહિ બોલાવીને રાષ્‍ટ્રીય ક્ક્ષાનું આયોજન થાય તે દિવસો દૂર નથી.
રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષકશ્રી પ્રવિણસીંહાએ જણાવ્‍યું હતુ કે દેશમાં ઘણા રાજયોમાંથી માઉન્‍ટેડ પોલીસ લુપ્‍ત થતી જાય છે જયારે ગુજરાતમાં માઉન્‍ટેડ પોલીસની પ્રગતિ થઇ રહી છે. ગુજરાત માઉન્‍ટેડ પોલીસને ચંદ્રકો પણ મળેલા છે. રાજકોટ ગ્રામ્‍ય જિલ્‍લામાં માઉન્‍ટેડ પોલીસ મથક ખાતે હોર્સ રાઇડીંગ સ્‍કૂલ શરુ કરેલ છે. તેથી સૌરાષ્‍ટ્રની અશ્વપાલનની પરંપરા આગળ વધશે. રાજકોટમાં કામા અશ્વ શોની સફળતા પછી આનાથી પણ મોટો કાર્યક્રમ યોજાશે એમ તેમણે જણાવ્‍યુ હતું.
રાજયના પશુપાલન નિયામકશ્રી ડો. એ.જે.કાછીયા પટેલે રાજય સરકાર અશ્વોની કાઠીયાવાડી અને મારવાડી નશ્લના સંવર્ધન અને જતન માટે ધ્‍યાન આપી રહી હોવાનું જણાવ્‍યુ હતું. કચ્‍છમાં અશ્વની સીંધી જાત વર્ષોથી છે.
શરૂઆતમાં રાજકોટના એસ.પી.શ્રી પ્રેમવીરસિંહે સૌનું સ્‍વાગત કર્યુ હતુ અને અશ્વશોના આયોજનમાં સહભાગી બનનાર સંસ્‍થાઓ, માઉન્‍ટેડ સ્‍કુલના પ્રશિક્ષણાર્થીઓ અને આ કાર્યક્રમને આવકારનાર રાજકોટના નાગરિકોનો આભાર માન્‍યો હતો.
આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી ઉપરાંત રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજન સિંધ, તથા રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષકશ્રી પ્રવિણસીંહા, દરબારશ્રી સત્‍યજીત ખાચર, પૂ. ઘનશ્‍યામજી મહારાજ, ડો. કે.બી.રાવલ, શ્રી શામજીભાઇ ખુંટ તથા જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા વગેરે મહાનુભાવોના હસ્‍તે વિવિધ સ્‍પર્ધામાં વિજયી બનેલા અશ્વસવારોને રોકડ પુરષ્‍કારો અને શિલ્‍ડ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં શ્રી આર.ડી.ઝાલા, પૂ. શ્રી અમરાવાળા, શ્રી રાજેન્‍દ્રસીંહ જાડેજાએ નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી.
સમાપના દિવસે અશ્વપાલકોએ ગરો લેવો, ટેન્‍ટ પેગીંગ, મટકી ફોડ વગેરે જેવા દિલઘડક ઘોડેશ્વારીના પ્રયોગો રજુ કર્યા હતા. જયારે માઉન્‍ટેડ પોલીસ દ્વારા હેરતભર્યા ઘોડેશ્વારીના પ્રયોગો પોલીસ જવાનોએ રજુ કર્યા હતા. જેમાં પી.એસ.આઇ. શ્રી બળદેવસિંહ સરવૈયા, શ્રી રામવીર યાદવ, શ્રી જીતેન્‍દ્રસીંહ ઝાલા તથા શ્રી નાજુભાઇ ભુવા વગેરેનો સમાવશે થાય છે. એક માત્ર મહિલા ઘોડેશ્વાર ભગવતીબેન શામજીભાઇ ખુંટનું સન્‍માન શ્રીમતિ રેણુકાસિંઘના હસ્‍તે કરાયું હતું.
રાજકોટ રૂરલ માઉન્‍ટેડ પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે તા. ર૩ થી રપ ત્રણ દિવસ દરમ્‍યાન કૂલ ૧૬૦ અશ્વપાલકોએ ભાગ લીધો હતો અને ઘોડેશ્વારીના પ્રયોગો રજુ કર્યા હતા.
આ પ્રસંગે કાઠીયાવાડી-મારવાડી અશ્વપાલક સહકારી મંડળીના અધ્‍યક્ષશ્રી ઘનશ્‍યામજી મહારાજે આ પ્રકારના આયોજનમાં સહભાગી સૌનો આભાર માન્‍યો હતો.
કાર્યક્રમમાં વાંકાનેર રાજવી શ્રી દિગ્‍વિજયસિંહ ઝાલા, યુવરાજ શ્રી કેસરસિંહજી ઝાલા, રાજકોટ કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, કૃષિ સહકારી બેન્‍કના ડીરેકટરશ્રી ચેતનભાઇ રામાણી, રાજકોટ રૂરલ ડી.વાય.એસ.પી.શ્રી ચૌહાણ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ અને ભાવનગરની હોર્સ રાઇડીંગ સ્‍કુલના પ્રશિક્ષણાર્થીઓનું પણ સન્‍માન કરાયું હતું.

ટિપ્પણીઓ નથી: