અનુયાયીઓ

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો ૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો

૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

તાજેતરમાં જેતપુર તાલુકાના અમરનગર ગામે આવેલા આનંદ આશ્રમ ખાતે સદગુરુ દેવ શ્રી અન્નપુર્ણા માતાજીનો ૯૨ જન્મ દિવસ અસંખ્ય ભાવિકો દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો. આ દિવસે સવારથી જ ભાવિકોએ મહાઆરતી, દર્શન અને બપોરે સામુહિક પ્રસાદનો લાભ લીધો હોવાનું આશ્રમના હંસાગીરી અન્નપુર્ણાગીરીએ જણાવ્યું હતું.

 

અમરનગરમાં આદર્શ ધૂન મંડળની સરાહના

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના અમરનગર ગામે છેલ્લા ૬ વર્ષથી કાર્યરત આદર્શ ધૂન મંડળ ગ્રામજનોમાં સરાહનાપાત્ર બન્યું છે. દર વર્ષની જેમ આ વરસે પણ નવરાત્રી દરમિયાન ગામના દરેક પરિવારોના મઢમાં જઈને ધૂન કીર્તનની રમઝટ બોલાવી હતી. ગરબીના ચોકમાં પણ આ ધૂન મંડળના સભ્યો અનન્ય રાગથી ગરબાઓ ગાઈને ભાવિકોને જકડી રાખ્યા હતા. આ મંડળ દ્વારા દર પૂનમે સત્સંગ, ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવે છે, કોઈની પાસે ફંડ ફાળા મંગાતા નથી, હૈયે વસે તેવી અને તેટલી મળતી સખાવતોથી મંડળના મુખ્ય કાર્યકર દેવીદાસભાઈ સોલંકી, વિરજીભાઈ પરમાર, મુળુભાઈ ગોવાળિયા, ધીરુભાઈ રાજ્યગુરુ, રાજુભાઈ ગુજરાતી, જયંતીભાઈ વેકરીયા તથા અલ્પેશ પરમાર વી. ખુશ હોવાનું ગામના સામાજિક આગેવાન બી.કે.જયસ્વાલ જણાવે છે.

 

 

જેતપુરના સ્ટેશનવાવડી ગામનું આકર્ષણ

જય ખોડિયાર ગરબી મંડળ

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે જય ખોડિયાર ગરબી મંડળની બાળાઓ પ્રાચીન અર્વાચીન રાસ ગરબાઓની ધૂમ મચાવી રહી છે. અહી રમાતા રાસ ગરબાથી ગ્રામજનો અને ભાવિકો ભારે ખુશ હોવાનું રોહિતભાઈ ગીરધરભાઈ ભટ્ટી જણાવે છે.

 

 

૨ રોડના કામોમાં ગેરરીતી અને ૧ રોડ બનાવાતો ના હોય, વિરોધ કરવા

આવતીકાલે  સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી આવતીકાલે ખજૂરી હડમતીયા ચોકડી રોડને કરશે ચક્કાજામ

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જુનાગઢ જીલ્લાના સંબંધિતોને અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં ભેસાણ પંથકના બે રોડકામની ગેરરીતીની તપાસ ના થતી હોય તેમજ એક રોડ મંજુર થયો હોવા છતાં તંત્ર દાદ આપતું ના હોવાની વાતના વિરોધમાં આવતીકાલ તા. ૨૩ ના રોજ સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ જેટલા લોકોને સાથે રાખીને ખજૂરી હડમતીયા ચોકડી રોડ પર ચક્કાજામ કાર્યક્રમ યોજશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

મળતી વિગતો મુજબ  ખજૂરી હડમતીયાથી સાંકરોળા સુધીના રોડકામમાં વ્યાપક ગેરરીતી અંગે લાગતા વળગતા સત્તાધીસોને સાંકરોળાના સરપંચ પ્રવીણ સોજીત્રાએ તા.૨૨-૨-૧૪, ૧૯-૫-૧૪, ૨૨-૭-૧૪, ૩૦-૧૦-૧૪ તથા ૧૫-૧૦-૨૦૧૫ નારોજ રજુઆતો કરી હોવા છતાં કોઈએ કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નથી.

 

ખજૂરી હડમતીયાથી હનુમાન ખીજડીયા સુધીનો ૧૦ માસ પહેલા જ બનાવાયેલ સીસી રોડ તૂટી જતા અનેક વખત રજુઆતો કરાઈ પણ સંબંધિત માર્ગ અને મકાન ખાતું મુક, બધીર અને સુરદાસની ભૂમિકા ભજવતું હોવાનો સરપંચનો આક્ષેપ છે.

 

તેમજ સાંકરોળા ગામથી જેતપુર વિગેરે તરફ જવા માટે અત્યંત જરૂરી એવો ખજૂરી હડમતીયાથી જેતપુરના દેવકીગાલોળ સુધીનો રસ્તો મંજુર થયેલા રોડની કામગીરી ચાલુ કરવા અંગે અને આ રોડ પર ઉભેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દુર કરવાની  અવારનવાર રજુઆતો ધ્યાને લેવાતી ના હોય આ તમામ બાબતોએ ન્યાય મેળવવાની માંગ સાથે આજે તા.૨૨-૧૦. સુધીમાં સંબંધિતો કઈ ઘટતું નહિ કરે તો આવતીકાલ તા.૨૩.૧૦ ના રોજ સવારે, ૯-૦૦ કલાકે, ખજૂરી હડમતીયાની ચોકડી પર સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રા ખજૂરી હડમતીયા, બરવાળા અને ઢોળવા એમ ત્રણ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારતી લેખિત રજૂઆત જુનાગઢ જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર, જુનાગઢના કલેકટર, ભેસાણના મામલતદાર વિગેરેને કરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

ગોંડલના ચોરડી-શેમળા ગામો નજીક રાજકોટ હાઈવે પર ‘નીલગાય ઝોન’ના બોર્ડ મુકાયા !

જેતલસરના યુવા પત્રકારની રજુઆતને સફળતા

ગોંડલના ચોરડી-શેમળા ગામો નજીક રાજકોટ 

હાઈવે પર 'નીલગાય ઝોન'ના બોર્ડ મુકાયા !

જેતલસર તા. ૨૧ (કશ્યપ જોશી દ્વ્રારા)

ગોંડલના શેમળા અને ચોરડી નજીક નીલગાય ઝોન દર્શાવતા બોર્ડ મુકવાની જેતલસર(જેતપુર)ના યુવા પત્રકાર કશ્યપ જોશીની સંબંધિતોને કરાયેલી રજુઆતને સફળતા મળી છે.

જેતપુરથી રાજકોટ સુધીના ફોર લાઈન હાઈવેની કામગીરી દરમિયાન ગોંડલના શેમળા, ચોરડી, વીરપુર ગામો નજીક સીમ વિસ્તારને લીધે નીલગાય, રોઝની માહિતી દર્શાવતા ચેતવણીદર્શક બોર્ડ પુનઃ ના મુકાતા આ ગામોના રોડ પર રોજબરોજ નીલગાયના ધણ રોડ પર આવીને અકસ્માત સર્જતા હોવાની ઘટનાઓ બનતી હતી. આ વાતનો ભોગ જેતલસરના યુવાન કશ્યપ જોશી સહિતનો પરિવાર પણ બન્યો હતો.

બીજીબાજુ જેતપુરથી રાજકોટ પુરપાટ ઝડપે જતા અને આવતા નાના મોટા વાહનો કે બાઈક ચાલકોની સલામતી માટે ઉપરોક્ત ગામોના રોડ ઉપર નીલગાય-રોઝની ચેતવણી દર્શાવતા બોર્ડ પુનઃ ઉભા કરી અકસ્માતો બનતા અટકાવવા કશ્યપે સંબંધિતોને જાણ કરવા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાવ્યા હતા. આ અહેવાલો અને રજુઆતને સફળતા મળી હોય તેમ શેમળા, વીરપુર, ચોરડી નજીક રોડની બંને બાજુએ રાજકોટના વન ખાતે અકસ્માત સંભવ ક્ષેત્ર જાહેર કરી નીલગાય-રોઝ જેવા વન્ય પ્રાણીઓથી ચેતવણી દર્શાવતા બોર્ડ ઉભા કરતા આ વાતના જાણકારોમાં રાજીપો છવાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) ૯૯૭૪૨૬૨૮૧૨  

 

મંગળવાર, 20 ઑક્ટોબર, 2015

આસોત્સવ :

આસોત્સવ :
જેતપુરના પેઢલા ગામે આવેલ ધવલ સ્કુલ ખાતે નવરાત્રી પર્વ ઉજવવા આસોત્સવનું આયોજન થયું હતું. જેમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, શાળાના ટ્રસ્ટી દિનેશ ભુવા વિગેરેની હાજરી વચ્ચે નવયુવાન ભાઈ બહેનો દાંડિયાના તાલે ઝૂમ્યા હતા. આસોત્સવના આયોજનને બિરદાવવા રાજ્ય મંત્રી જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા.
ફોટો કશ્યપ જોશી જેતપુર 

જેતપુર તાલુકાના મોણપર ગામે ગેરકાયદે ધમધમતા સાડી ધોલાઈ ઘાટો દુર કરવા ઉપસરપંચની માંગ....

જેતપુર તાલુકાના મોણપર ગામે ગેરકાયદે ધમધમતા 
સાડી ધોલાઈ ઘાટો દુર કરવા ઉપસરપંચની માંગ....
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ગેરકાયદે ધમધમતા સાડી ધોલાઈઘાટો તાત્કાલિક તોડી પાડી ફેલાતા પાણી પ્રદુષણને હલ કરવા મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ જીલુભાઈ ધાધલે માંગ કરી છે.
જેતપુરની પ્રાદેશિક પ્રદુષણ નિયંત્રણ કચેરી, ગાંધીનગર ખાતે રિજ્યોનલ ઓફિસર, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર તેમજ જેતપુરના મામલતદારને ઉદેશીને કરાયેલ લેખિત ફરિયાદમાં મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ ધાધલે જણાવ્યું છે કે, જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ચાલતા સાડી ધોલાઈ ઘાટો, પ્રોસેસ હાઉસોના ઝેરી પ્રદુષણ યુક્ત પાણીથી ભાદર નદીના પાણી પ્રદુષિત થઇ ગયા છે. આજુબાજુની જમીનોની ફળદ્રુપતા પણ ઘટી ગઈ છે, તો અબોલ પશુઓ અને જળચરો પણ સમયાંતરે પ્રદુષિત પાણીથી મોતને ભેટી રહ્યા છે. લોકોમાં કાયમી માંદગી ઘર કરી ગઈ છે. અરજદારે રજુઆતમાં એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો આમને આમ પાણી પ્રદુષણ ફેલાવાનું ચાલુ રહેશે તો તેઓની આવનારી પેઢીના નશીબમાં બંજર જમીન સિવાય કશું હાથમાં નહિ આવે, પરિણામે ખેતી ભૂતકાળ બની જશે. 
પણ ગુજરાત હાઈકોર્ટના સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૨૫૪/૨૦૦૯ ના ઓરલ ઓર્ડરનું ઉલંઘન થતું અટકાવાય તો પ્રદુષણ ફેલાતું અટકે તેવું રાજુઆતકર્તાનું કહેવું છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

પાણી ઉડતા ટપારવા ગયેલા વીરપુર(જલારામ)ના પટેલ યુવાનને ધોકાવતા ૪ શખ્શો

પાણી ઉડતા ટપારવા ગયેલા 

વીરપુર(જલારામ)ના પટેલ 

યુવાનને ધોકાવતા ૪ શખ્શો 

 

જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના વીરપુર(જલારામ) ગામના એક પટેલ યુવાન  પર સામાન્ય બોલાચાલી દરમિયાન ચાર યુવાનોએ હુમલો કર્યાની વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગતો મુજબ  વીરપુરના ગંગાનગર વિસ્‍તારમાં  સાગર મનજીભાઇ પટેલ ઉપર તે જ વિસ્તારના  ડાયાભાઇના બે દિકરા તથા બે અજાણ્‍યા યુવાનોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરપુર પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં જણાવાયું છે કે  ગઈ રાત્રીના ગરબીમાં  પાણીના પાઉચમાંથી પાણી ઉડાડતા  ચાર યુવાનોને તે ટપારવા જતા ચારેયે ઉશ્‍કેરાઈને   ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વીરપુર પોલીસે સાગરની ફરિયાદ પરથી ઉપરોક્ત ચારેય યુવાનો સામે ગુનો નોંધી તમામની અટકની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

જેતપુરના ચારણીયા ગામે વરસાદી તારાજીનો ભોગ બનેલા અસરગ્રસ્તોની રીતસરની મશ્કરી !?

જિરાફ જેવડી નુકશાની સામે કીડી જેટલી સહાય ચુકવાતા અસરગ્રસ્તોમાં રોષ-અસંતોષ, ફરીથી સર્વે કરવા માંગ..

 

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

        જેતપુર તાલુકાના ચારણીયા ગામે વરસાદી તારાજીનો ભોગ બનેલા અસરગ્રસ્તોને સહાય આપવામાં સરકારી તંત્રોએ રીતસરની મશ્કરી કરી હોય, ફરીથી સર્વે કરી ન્યાય આપવા માંગ ઉઠી છે.

   

       મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના  ચારણીયા ગામના  નાથાભાઇ જીવાભાઇ ચૌહાણએ રાજકોટ જીલ્લા કલેકટરને કરેલી લેખિત ફરિયાદમાં જણાવાયું છે  કે, ગત તા. ૨૪/૭/૨૦૧૫ ના રોજ  ભારે  વરસાદ તુટી પડતા સુરવો નદીમા ઘોડાપુર આવ્યા હતા. જે નદીના ઘસમસતા પાણી અરજદાર સહિતના લોકોના મકાનોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ હતી.

 

 આ બાબતે  જે તે સમયે સરકાર તરફથી નુકશાની અંગેનો  સર્વે કરાયો હતો. સર્વેમાં  સરપંચ, તલાટી કમ મંત્રીઓ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ  સહિતના સત્તાધીશોએ  સ્‍થળ ઉપર રૂબરૂ પંચો સાથે આ કામગીરી કરેલ, પણ પાછળથી કોણ જાણે શું રંધાઈ ગયું હોય તેમ જેઓના  મકાનો સંપુર્ણ ઘરવખરી સાથે નાશ પામ્યા છે  તેવા લોકોને માત્ર રૂા. ૫૬૦૦ જેવી સહાય કરી સરકારી તંત્રોએ અસરગ્રસ્તોની જાણી જોઇને મશ્કરી કરી હોય તેવો તાલ સર્જાયો છે. જ્યારે જેઓને નહીવત નુકશાની થઇ છે તેવા આસામીઓને ૮૦ હજારથી પણ વધુની સહાય જાહેર કરીને સંબંધિતોએ સરકારી સહાયમાં પણ ગોલમાલ સર્જી હોવાની શંકા ઉપજી રહી હોવાનો નાથાભાઈનો આક્ષેપ છે.

સાથે રાજકોટ જીલ્લા કલેકટર આ વાતમાં ખાસ તપાસ ટીમ બનાવી જેતપુરના ચારણીયા ગામે અસરગ્રસ્તોની, તારાજીની વિગતો મેળવી ફેર સર્વે કરાવે તેવી માંગ કરાઈ છે.

 

 

 

 

માહિતી માંગનાર જેતપુરના યુવાનને ઉઠા 

ભણાવતા ગોંડલના માહિતી અધિકારી.....

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

ગોંડલ તાલુકા પંથકમાં વાવડીના વીરડા પાસે બનેલ અમુક ફેક્ટરી બાબતે જેતપુરના યુવાને માંગેલી માહિતીનો દોઢ મહિના પછી પણ ગોંડલના માહિતી અધિકારીએ જવાબ ના આપ્યો હોવાની વાત બહાર આવી છે.

 

મળતી વિગતો મુજબ ગોંડલ પંથકમાં પાટીદળ ગામના વાવડીના વીરડા નજીકની જમીનમાં ઉભી થયેલી અમુક ફેકટરીઓ હકીકતમાં સરકારી નિયમોને આધીન બનાવાઈ છે કે કેમ ? જમીનો બિનખેતી થયેલ છે કે કેમ ? વિગેરે બાબતોની જેતપુરના અરજદાર હેમંત શેખવા દ્વારા ગોંડલના માહિતી અધિકારી પાસે ગત તા.૧-૯-૨૦૧૪ ના રોજ થી અવારનવાર માહિતીઓ માંગી હતી. 

 

અરજદાર કહે છે કે તેમની માંગેલી માહિતીનો જવાબ આપવા સેક્શન અધિકારી માહિતી આયોગ દ્વારા અપીલ ૨૫૩૭/૨૦૧૫ થી હુકમો થયા છે આમછતાં છેલ્લા ૧ વર્ષ થયા અરજદારને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. આ બાબતે હેમંત શેખાવાએ પ્રાંત અધિકારી અને મામલતદારને પણ રજુઆતો કરી છે, પણ તેમનું કોઈ સાંભળતું નથી. સામાન્ય રીતે કોઈ પણ માંગેલી માહિતીનો જવાબ સંબંધિત સત્તાધીશોએ કે માહિતી અધિકારીઓએ આપી દેવાનો હોય છે. પણ જેતપુરના અરજદારને છેલ્લા ૧ વર્ષ થયા ગોંડલના સંબંધિતો કોઈ જવાબ જ ના આપતા હોય તેઓની સામે ઉપરી અધિકારીઓ શું પગલા ભરશે ? તે સમય જ બતાવશે !

 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

 

સોમવાર, 19 ઑક્ટોબર, 2015

જેતપુરના નવાગઢમાં ત્રિપલ સવારી બાઈકને અક્સમાત નડતા યુવતીનું

જેતપુરના નવાગઢમાં ત્રિપલ સવારી

બાઈકને અક્સમાત નડતા યુવતીનું મોત

જેતપુર તા.૧૯  (કશ્યપ જોશી દ્વારા)

આજે સવારે જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક ત્રિપલ સવારી બાઈકને નડેલા અકસ્માતમાં એક યુવતીનું મોત થયું હતું. જ્યારે એક ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

 

મળતી વિગતો મુજબ આજે સવારે દસેક વાગ્યાની આસપાસ એકટીવા સ્કુટર પર રાજુભાઈ રમેશભાઈ રાદડીયા નામનો યુવાન એક ભાવના અને બીજી અન્ય યુવતીને લઈને નવાગઢ હાઈવે પર અચાનક ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવી દેતા એકટીવા રોડના ડિવાઈડર સાથે ભટકાતા ચાલક રાજુભાઈ અને ભાવનાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે અહીની ખાનગી અને સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં ભાવનાનું મોત થયું હતું. અને ચાલક રાજુને અહીની ખાનગી દવાખાનેથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે.

પોલીસે અમૃતલાલ વાલજીભાઈ રાદડિયાની ફરિયાદ પરથી ચાલક રાજુભાઈ સામે બેફિકરાઈભરી રીતે સ્કુટર ચલાવી ભાવનાનું મોત નિપજાવ્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે એ નોંધનીય છે કે આ અકસ્માતનો બનાવ સવારે દસેક વાગ્યાની આસપાસ બન્યો હતો પણ ભાવનાની ડેડબોડી છેક બપોરના દોઢ બે વાગ્યાની આસપાસ સરકારી હોસ્પીટલમાં ખસેડાતા તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે. આ તકે એક એવી પણ બાતમી મળી હતી કે રાજુના સ્કુટર પાછળ બેઠેલી એક અન્ય યુવતી કે જે ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહી છે તેના નામનો પોલીસ ફરિયાદમાં સુધ્ધા ઉલ્લેખ કરાયો ના હોય પોલીસે આ તરફ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

જેતપુરના જમાદાર વાડી, પટેલ નગરમાં ગંદકી સહિતના પ્રશ્નો હલ ના થાય તો રેલી, ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવા લત્તાવાસીઓ તૈયાર

જેતપુરના જમાદાર વાડી, પટેલ નગરમાં

ગંદકી સહિતના પ્રશ્નો હલ ના થાય તો રેલી, 

ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવા લત્તાવાસીઓ તૈયાર

જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના જમાદાર વાડી, પટેલ નગરમાં આરોગ્ય વિષયક અને ગંદકી સહિતના પ્રશ્નો  હલ નહિ કરાય તો આગામી ૨૭ અને ૨૮ ઓક્ટોબર દરમિયાન રેલી અને ચક્કાજામ જેવા કાર્યક્રમો આપવા આ વિસ્તારની પ્રજા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.

 

આ બાબતે ચંદ્રેશભાઈ ધડુક, દિનકરભાઈ ગુંદણીયા, ફુલાભાઈ પટોડિયા, વજુભાઈ ગોહિલ, ગીરીબાપુ, ભુપતભાઈ ગજેરા, ચંદુભાઈ ગોસાઈ, વશરામભાઈ સાકરિયા વિગેરેએ આજે એકીસુરે ફરિયાદ કરી હતી કે તેઓના જમાદાર વાડી, પટેલનગરમાં અનિયમિત ગટરની સફાઈ, સફાઈનો ભારોભાર અભાવ, રોડ રસ્તા પર અનેક ખાડા ખબડાથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રસ્ત, ગંદકી દુર કરવા નિયમિત ડીડીટી છંટકાવની નહીવત કામગીરી વિગેરે અણઉકેલ પ્રશ્નો બાબતે અગાઉ ૨૪ મી સપ્ટેમ્બરે નગર પાલિકામાં રજુઆતો કરાઈ હતી. પણ તંત્ર આ બાબતે રીતસરના આંખ આડા કાન કરતુ હોય આજની તારીખે પણ તેઓના ઉપરોક્ત પ્રશ્નો હલ ના થયા હોય, લત્તાવાસીઓમાં ભારે રોષ સાથે અસંતોષ વ્યાપ્યો છે. આ તમામ પ્રશ્નો હલ ના કરાય તો આગામી તા.૨૭/૧૦ ના રોજ લત્તાવાસીઓ રેલી પાલિકા કચેરીમાં દેખાવો કરશે. અને તા. ૨૮/૧૦ ના રોજ પાલિકા કચેરીના દરવાજા ઉપર ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કરી કોઈ સત્તાધીશોને પાલિકા કચેરીમાં પ્રવેશવા નહિ દેવાય તેવું ચંદ્રેશભાઈ ધડુક સહિતના લોકોએ જણાવ્યું છે.


કશ્યપ જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

જેતપુરના હરીપર ગામે ગરબી સંચાલક ઉપર ૯ શખ્શોએ હુમલો કરતા ગરબી બંધ કરાઈ !

અમોને બુટ પહેરીને ચાલવાની ના જ કેમ પડાય તેવું કહી..

જેતપુરના હરીપર ગામે ગરબી સંચાલક ઉપર

૯ શખ્શોએ હુમલો કરતા ગરબી બંધ કરાઈ !

જેતપુર તા.૧૯(કશ્યપ જોશી દ્વારા)

ગઈકાલે રાત્રે જેતપુર તાલુકાના હરીપર ગામે એક ગરબી સંચાલક પર તે જ ગામના ૯ શખ્શોએ હિચકારો હુમલો કર્યાની વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટનો ગુનો નોંધી નવેયની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના જેતપુર તાલુકાના હરીપર ગામે ચાલતી એક ગરબીમાં નજીકના રબારીકા ગામના નવ શખ્શો ગરબીના મંડપમાં બુટ પહેરીને ચાલતા ગરબી સંચાલક દિનેશભાઈ કાળુભાઈ મકવાણા નામના યુવાને આ તમામને ટપાર્યા હતા. પણ ઉશ્કેરાયેલા મેવસનો વિશાલ, રબારીકાના કમલેશ, જલ્લો, પ્રતાપ, ધર્મેન્દ્ર, રવિ, દીપુ, જયદીપ, કુલદીપ વિગેરેએ દિનેશભાઈ ઉપર તલવાર તેમજ લાકડી વતી હુમલો કરી ગરબી બંધ કરાવતા ભાવિકોમાં નાશભાગ મચી ગઈ હતી. વીરપુર પોલીસે દિનેશની ફરિયાદના આધારે ઉપરોક્ત નવેય શખ્શો સામે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જેતપુરના મેવાસા ગામે ગૌ રક્ષક ઉપર ૬ શખ્શોનો હુમલો, ઈજાગ્રસ્ત જુનાગઢ દવાખાને....

જેતપુર તા.૧૯  (કશ્યપ જોશી દ્વારા)

 

જેતપુર તાલુકાના મેવાસા ગામે એક ગૌ રક્ષક ઉપર તે જ ગામના ૬ ભરવાડ યુવાનોએ એકસંપ કરી હુમલો કરતા ગૌ રક્ષકને સારવાર માટે જુનાગઢ ખસેડેલ છે. વીરપુર પોલીસે આ બનાવમાં પણ રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરના મેવાસા ગામે રહેતા અને ગૌ રક્ષક તરીકે સેવા કરતા હિરેન ભનું ભરવાડે ગામનાજ ભરવાડ યુવાનો દ્વારા પશુની ભરેલી બોલેરો કાર તપાસવા ગયાનો ખાર રાખી ગઈકાલે હરી વશરામ, રમેશ વશરામ, વાલા વશરામ, જગા રાજા, ગાભા રાજા, અને નાઝા સુરા એમ તમામે એકસંપ કરી હિરેન ઉપર લાકડી વતી હુમલો કરી ઈજા પહોચાડતા હિરેનને સારવાર માટે જુનાગઢ ખસેડાયો છે. વીરપુર પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જેતપુરમાં વૃદ્ધાના ગળા પર ત્રાટકેલી ત્રિપલ સવારો  રૂ.૧ લાખનો સોનાનો ચેઈન ઝુંટવી છું !

જેતપુર તા.૧૯  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં ગઈકાલે સાંજે એક વૃધાના ગળામાં પહેરેલ રૂપિયા ૧ લાખનો સોનાનો ચેઈન ઝૂંટવી છું થઇ ગયાની ઘટના શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.

અહીના જુના પાંચ પીપળા રોડ પર રહેતા નિર્મલાબેન અશ્વિનભાઈ ભીમજીયાણી ગઈકાલે સાંજે હટાણું કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અચાનક તેમની પાસે ઘસી આવેલ ત્રિપલ સવારી બાઈક ચલાકોમાંના વચ્ચે બેસેલા યુવાને ઝોંટ મારી નીર્માંલાબેનનો સોનાનો ચેઈન ઝૂંટવી છું થઇ જતા આ વૃદ્ધ મહિલાએ રાડારાડ કરી મૂકી હતી. પણ તેટલી વારમાં ચીલઝડપકારો હવામાં ઓગળી ગયા હતા. જો કે પોલીસ તંત્ર એ વૃદ્ધાના સોનાના ચેઈનની કીમત ખુબ ઓછી આંકી હોવાનો

વૃદ્ધાનો વસવસો બઝારમાં સંભળાયો હતો.



જેતપુરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર

કચરાના ઢગલા હટવાનું નામ લેતા નથી !

જેતપુર તા.૨૦

જેતપુર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાથી પ્રજા પરેશાન થઇ ગઈ છે. અહી સ્વચ્છતા અભિયાન જાણે માત્ર કાગળ પરજ આટોપી લેવાયું હોય તંત્ર ગંદકી હટાવવા ભારે બેદરકારી દાખવતું હોવાની ચાડી ખાતી તસ્વીરો કેમેરામાં કેદ થઇ ગઈ છે.

જાણકાર લોકો કહે છે કે અહી સ્વચ્છતા અભિયાન દરમિયાન માત્ર ફોટો શેશન કરી ચુકેલા સત્તાધીસો પાછળથી ગંદકી મટી કે વધી તે અંગેની દરકાર લેવામાં ઉણા ઉતર્યા છે. કારણ અહીના કણકિયા પ્લોટ સહીત અનેક જગ્યાએ ગંદકી જમા થતી રહેતી હોય રસ્તે આવતી જતી પ્રજાને નાકે રૂમાલ રાખી નીકળવું પડે તેવી હાલત સર્જાઈ છે. સૌથી દુખની વાત તો એ છે કે એકબાજુ ભયંકર રોગચારો અનેક શહેરોમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે જેતપુરના સત્તાધીસો જાણે કોઈ રોગચાળો જન્મે તેની રાહ જુએ છે કે શું તેવા પ્રજાએ સવાલ ઉઠાવ્યા છે. પ્રસ્તુત તસવીરોમાં ગંદકીયુક્ત કચરાના ઢગલા વચ્ચે મહાલતા પશુ-પ્રાણી દેખાય છે.

ફોટો : કશ્યપ જોશી જેતપુર જેતલસર

 


મિસ્ત્રી પરિણીતાની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

જેતપુરમાં માથાના દુઃખાવાની બીમારીથી કંટાળેલી

મિસ્ત્રી પરિણીતાની ગળાફાંસો ખાઈ આત્મહત્યા  

પોણા ત્રણ વરસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવતા લત્તાવાસીઓમાં શોક..

 

જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરના ડોબરિયા વાડી વિસ્તારમાં આજે એક મિસ્ત્રી પરિવારની પરિણીતાએ માથાના દુઃખાવાની બીમારીથી વાજ આવી જઈ ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લીધાની ઘટનાથી લત્તામાં અરેરાટી જન્મી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ડોબરિયા વાડીના નંદનવન વિસ્તારમાં રહેતા મિસ્ત્રી પ્રવીણભાઈ નાથાભાઈ પાટણવાડિયા પોતાના નિત્યક્રમ મુજબ તાલુકાના વીરપુર ગામે મિસ્ત્રી કામકાજ માટે પોતાના ભાઈ સાથે ગયા હતા.

દરમિયાન પ્રવીણની પત્ની અમીતાબેન (ઉ.વ.૨૪) એ આજે સવારે તેમના મક્નાનના ઉપરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધાની ઘટના બહાર આવતા પ્રવીણના માતાએ પોતાના પુત્રોને વિરપુરથી તાત્કાલિક બોલાવી લઇ પોલીસને જાણ કરી હતી.

ઘટના સ્થળે દોડી ગયેલા પીએસઆઈ એસ.બી.જાડેજાએ અમિતની લાશને નીચે ઉતરાવી પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડી હતી. ત્યાં પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક અમીતાના પતિ પ્રવીણ મિસ્ત્રીએ જણાવેલ કે પોતાના ચાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન છેલ્લા અઢી-ત્રણ વર્ષ થયા અમિતાને માથાનો દુખાવો સતત હેરાન કરતો હતો અને આ બીમારીની રાજકોટ સહિતના દવાખાનાઓમાં દવા-સારવાર ચાલુ હતી.

કદાચ આ બીમારીથી જ કંટાળી અમિતાએ આ પગલું ભરી લીધાનું પ્રવીણે પોલીસને જણાવેલ. આત્મહત્યા કરી લેનાર અમીતાબેનને એક પોણા ત્રણ વર્ષની નવ્યા નામની બાળકી છે. અચાનક માતૃત્વ ગુમાવનાર આ બાળકીના ઉછેરની જવાબદારી હવે પિતા સહિતના પરિવારજનો ઉપર આવી પડ્યાની વાતથી સમગ્ર નંદનવન વિસ્તારમાં શોક સાથે અરેરાટી ફેલાવી ગઈ છે.


ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


શનિવાર, 17 ઑક્ટોબર, 2015

જેતપુરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૨૧૦૦૦ સીસી રક્ત એકત્ર થયું..........

જેતપુરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં

૨૧૦૦૦ સીસી રક્ત એકત્ર થયું..........

 

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને પોરબંદરના સાંસદ રાદડિયાની રકતતુલા કરાઈ

 

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

શ્રી જે.ડી.આંબલીયા મેડીકલ, એજ્યુકેશન એન્ડ મેડીકલ રીસર્ચ સેન્ટર દ્વારા  અહી યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં જાણે રક્તનો દરિયો વહ્યો હોય તેમ ૨૧૦૦૦ સીસી રક્તદાન એકત્ર થયું હતું.

આ બાબતે માહિતી આપતા સરદાર પટેલ એશોશીયેશનના પ્રમુખ રવિભાઈ આંબલીયાએ જણાવેલ કે, તેઓના રક્તદાન કેમ્પના આયોજનમાં સૌથી વધુ મહિલાઓએ યોગદાન આપી કુલ ૭૦૦ બોટલ્સ રક્ત એકત્ર થયું હતું. રક્તદાન સ્વીકારવાની તેઓની આવી સેવામાં નાથાણી બ્લડ બેંક રાજકોટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદની બ્લડ બેન્કોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે શ્રી ભોજલરામ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, શાપર વેરાવળની ટીમે સહયોગ આપ્યો હતો.

રવિભાઈના જણાવ્યા અનુસાર એકત્રિત રક્તથી ખોડલધામ પ્રમુખ નરેશભાઈ પટેલ અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની રકતતુલા કરાઈ હતી. રક્તદાન કેમ્પ દરમિયાન જેતપુરના નામી અનામી ઉદ્યોગપતિઓ અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા વિગેરે હાજર રહ્યા હતા.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર )

 

 

 

 

 

 

 

 

 

જેતપુરમાં યોજાયેલ રાસોત્સવ સંપન્ન

વિજેતા ખેલૈયાઓને પુરુસ્કૃત કરાયા

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના અમરનગર રોડ પર આવેલ જગુભાઈ કોટડીયાના મેદાનમાં શ્રી સરદાર પટેલ એશોશીયેશનના રવિભાઈ આંબલીયા દ્વારા યોજાયેલ ચાર દિવસીય રાસોત્સવ ગઈકાલે ધામધુમથી સંપન્ન થયો ત્યારે શહેરીજનોએ મોટી સંખ્યામાં દાંડીયાના તાલે ઝૂમ્યા હતા. રાજ્ય મંત્રી જયેશ રાદડિયાની હાજરીમાં યોજાયેલ રાસોત્સવમાં સારું પરફોર્મન્સ દેખાડનાર નાની વયથી મોટેરા ખેલૈયાને આયોજક સંસ્થા પ્રમુખ રવિ આંબલીયા તેમજ રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ઇનામો અપાયા હતા તે તેમજ રસોસ્ત્સવમાં ખેલતા ખેલૈયાઓ પ્રસ્તુત તસવીરોમાં દેખાય છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર )

 

 

 

 

 

 

 

ફિક્સ પગાર નીતિનો ઉગ્રાવેશે કરાયો વિરોધ

જેતપુર તાલુકાના ફિક્સ પગારના કર્મીઓનું     

મામલતદારને આવેદન, અમારો વાંક શું, ગુનો શું?

જે દરરોજ પ્રજાના આવેદનો સ્વીકારે છે તેવો મામલતદાર સ્ટાફે પણ નોંધાવ્યો વિરોધ !!

જેતપુર તા.૧૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં વસતા અને ફીક્સેસન કે હંગામી ઢોરને રાજ્યભરમાં ફરજ બજાવતા કર્મીઓ અને વાલીગણે આજે જેતપુર ખાતે દોડી આવી મામલતદાર ભોરણીયાને આવેદન પાઠવી સરકારની ફિક્સપગારનીતિનો ઉગ્રાવેશે વિરોધ કર્યો હતો. આ તકે અચરજ એક એ જોવા મળ્યું કે આવી માંગમાં ખુદ જેતપુર મામલતદાર કચેરીનો સ્ટાફ પણ જોડાયો હતો.

મળતી વિગતો મુજબ ગુજરાત સરકારમાં ફિક્સ પગારથી કર્મચારીઓને નોકરી આપી યુવાનોના કરાતા શોષણ તથા ભારતના બંધારણમાં સમાવિષ્ટ સમાન કામે માટે સમાન વેતનના સિદ્ધાંતોનો ભંગ કરતી ગુજરાત સરકારની વિકસ પગાર નીતિનો વિરોધ કરવા માટે આજે જેતપુર શહેર તેમજ તાલુકામાં વસતા ફિક્સ પગારના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અહીના મામલતદારને આવેદન આપવા દોડી આવ્યા હતા.

આવેદનમાં જણાવ્યું છે કે, રાજસ્થાન સરકારે તાજેતરમાં દાખલ કરેલી ફિક્સ પગારની ભરતીને રાજસ્થાન હાઈકોર્ટે બંધારણના ભંગ સમાન ગણાવી રદ કરતા રાજસ્થાન સરકારે હાઈકોર્ટનો ચુકાદો સ્વીકારી ફિક્સ પગાર નીતિ બંધ કરી દીધી છે. જ્યારે ગુજરાતમાં પણ હાઈકોર્ટે ફિક્સ પગાર બંધ કરી, પુરા કામ માટે પૂરો પગાર આપવાનો હુકમ કર્યો છે. પણ ગુજરાત સરકારે આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓ સાથે હળાહળ અન્યાય કર્યાનો આક્ષેપ કરાયો છે.

ફિક્સ પગાર નીતિ લાગુ કરવામાં પણ સરકારની બેધારી નીતિને બતાવતા જેતપુર શહેર અને તાલુકાના કર્મીઓ કહે છે કે સરકારે આવી ફિક્સ પગાર નીતિ માત્ર વર્ગ-૩ ના  કર્મચારીઓ માટેજ લાગુ પાડી છે. જે અન્યાયકર્તા છે. કારણ સરકારે જો આવી નીતિ લાગુ પાડવી જ હોય તો પદાધિકારીથી માંડીને નિમ્ન સ્તર સુધીના અધિકારીઓ કે કર્મચારીઓને આવરી લેવા જોઈએ. તેને બદલે માત્ર માછલા સમાન કર્મીઓ જ સરકારે ધ્યાને લીધા છે, મગરમચ્છ સમાન કર્મીઓ સામે સરકારે આંખ મીચામણા કર્યા છે.

આવેદનમાં એક એવી પણ માંગ કરાઈ છે કે ફીક્શેષણ અન્વયે ગુજરાત હાઈકોર્ટના ફિક્સ વેતન કર્મચારીઓ તરફે આવેલ ચુકાદાને માન્ય રાખી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટીશન પરત ખેંચવામાં આવે, ફિક્સ કર્મચારીઓના ૫ વર્ષનો સમયગાળો પૂર્ણ વેતનની નોકરીમાં ગણી લેવો અને આ વર્ષોના ઇજાફા સાતેહ પૂર્ણ વેતન આપવું, સરકાર કામની ગુણવત્તા અન્યો રાજ્યો સાથે સરખાવે છે તો વેતનની બાબતમાં અન્યો રાજ્યોનો કેમ ધડો લેતી નથી ?,

બોક્સ: કામનો ઢસરડો વર્ગ-૩ ના કર્મચારીઓ માથે !?  

જેતપુર : આવેદન આપવા આવેલા ફિક્સ પગારદાર કર્મીઓએ એવો પણ વસવસો વ્યક્ત કરેલ કે વર્ગ-૩ ના કર્મીઓ ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓ ગણાય, મતદારયાદી, ચુંટણી, પુર રાહત, સર્વે, ડિજાસ્ટર, શિક્ષણ, આરોગ્ય, સલામતી જેવી તમામ લોકોને સ્પર્શતી મહત્વી કામગીરીઓ ફિલ્ડમાં કરતા હોય છે, જયારે ઉપરી અધિકારીઓને વર્ગ-૩ ના કર્મીઓએ કરેલ કામગીરીના અહેવાલમાં માત્ર મત્તું મારવાનું હોય છે. ત્યારે સરકારની અનેકવિધ કામગીરીઓ સાથે જોડાયેલા વર્ગ-૩ ના કર્મચારીઓ સાથે આવો ભેદભાવ કેમ તેવો સવાલ ઉઠાવાયો છે.

 

બોક્સ: રોજ પ્રજાના સ્વીકારીએ છીએ,

       આજે અમારે આવેદન આપવું પડ્યું ?

જેતપુર :  ફિક્સ પગાર વેતન નીતિનો વિરોધ કરી પુરતો પગાર આપવાની માંગ સાથે આજે મામલતદારને અપાયેલ આવેદન દરમિયાન એક અચરજ એ વાતનું જોવા મળ્યું કે સામાન્ય રીતે પ્રજા દોડી દોડીને મામલતદાર કચેરીએ જઈને આવેદનો આપતી હોય છે પણ આજે જેતપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર નિખીલભાઈ મહેતા સહિતના મામલતદાર કચેરીના ૧૨ જેટલા કર્મચારીઓ પણ આ વિરોધવંટોળમાં જોડાઈને મામલતદાર ભોરણીયાને આવેદન આપ્યું ત્યારે થોડીવાર સૌમાં રમુજ ફેલાઈ હતી, કે ભાઈ રોજ તો અમોને પ્રજા આવેદનો આપી જાય છે, આજે અમારે આવેદન આપવા આવવું પડ્યું !!

 

બોક્સ: અમારું આર્થિક સંતુલન હાલક ડોલક

       થઇ    ગયું : વાલીઓ

જેતપુર : જેતપુરના મામલતદારને આવેદન પાઠવાયું ત્યારે પોત પોતાના ફિક્સ પગારદાર પુત્રો સાથે ઉપસ્થિત અમુક વાલીઓએ એવું જણાવેલ કે તેઓએ પોતાના સંતાનોને પેટે પાટા બાંધી ભણાવ્યા, અત્યારે સુધીમાં સાત-આઠ લાખ રૂપિયાનું આંધણ કરી નાખ્યું, છતાં સરકાર માત્ર રૂપિયા ૭૮૦૦ જેટલું માસિક વેતન આપી મશ્કરી કરતી હોય, હવે અમારું આર્થિક સંતુલન હાલક ડોલક થઇ ગયું છે. સરકાર આવા પગારદારોના વાલીઓની મનોદશા ધ્યાને લેવી જોઈએ !

 

બોક્સ: વડાપ્રધાન...વડાપ્રધાન તમે ક્યા છો બાપ ???

જેતપુર :  આવેદનમાં અંતમાં  ફિક્સ વેતનદાર કર્મીઓએ એવું દુખ વ્યક્ત કર્યું છે કે ભારત દેશમાં લોકતંત્ર યુવાનોના હાથમાં હોય એવું વારંવાર ઉચ્ચારી દેશના યુવાનોના મનોબળની સરખામણી કરતા વડાપ્રધાન મોદી પોતાના ગુજરાતના યુવા સરકારી  વાલીગણ પોતે પોતાના સંતાનો માટે વ્હારે આવી એમ કહેવું પડે કે આ ફિક્સ પ્રથાનું સમયસર નિરાકરણ નહિ આવે તો આર્થિક અને માનશીક વ્યથિત વાલીગણ જાહેર રસ્તાઓ પર આવી કોઈ અજુગતું પગલું ભરશે અને આ વાત પાછળ સંપૂર્ણ જવાબદારી કોને રેહેશે તે તો ખર નથી પણ પણ અમારા સંતાનો માં બાપ વગરના ચોકસ થશે તે વાત પાકી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર )

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2015

જેતપુર શહેરના સમાચારો ટૂંકાણમાં કશ્યપ જોશી જેતપુર

લેજેન્ડરી એથ્લેટ ફ્લાઈંગ શીખ મીલ્ખાસિંગના હસ્તે

જેતપુરની ખાનગી હોસ્પિટલને

આઇકોન ઓફ ધી યર એવોર્ડ

જેતપુર તા.૧૫ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના કણકિયા પ્લોટમાં આવેલ ખાનગી હોસ્પિટલ સંજીવનીને તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલ બ્રાન્ડ  એકેડેમી એવોર્ડ કાર્યક્રમમાં આયકન ઓફ ધી યર રૂરલ એરિયા હોસ્પિટલ ઓફ ધી ગુજરાતનો લીજેન્ડરી એવોર્ડ એથ્લેટ ફ્લાઈંગ શીખ મીલ્ખાસિંગના હસ્તે અપાયો હતો. આ વેળાએ ગોવાના ડેપ્યુટી મુખ્યમંત્રી ફ્રાન્સીસ ડીસોજા અને રાજકીય આગેવાન અમરસિંહ જોડાયા હતા.

ફોટો લાઈન : કશ્યપ જે. જોશી જેતપુર    

 

 

 

જેતપુરમાં આજે સરદાર પટેલ અસોશીયેશન દ્વારા 

રાસોત્સવ અને રક્તદાન કેમ્પનું આયોજન

જેતપુર તા.૧૫  (કશ્યપ જોશી દ્વારા)

સરદાર એસોશિયેશન જેતપુર દ્વારા અહીના જગુભાઈ કોટડીયાના મેદાનમાં નવરાત્રી પર્વ દરમિયાન રાસોત્સવ ચાલી રહ્યો છે.

આજે ચોથા અને અંતિમ દિવસે તા.૧૬ ના રોજ સવારના ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી ભવ્ય ત્રીજા રક્તદાન કેપનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના કોટડીયા વાડીમાં યોજાનાર આ રક્તદાન દરમીયાન શહેરના પટેલ જ્ઞાતિ રત્નો નરેશભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજુભાઈ હીરપરા, ગોરધનભાઈ હીરાપરાની રકતતુલા કરાશે. જયારે રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા અને વિરજીભાઈ વેકારીયાનું વિશિષ્ટ સન્માન કરાશે. આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા સરદાર પટેલ અસોશીયેશનના પ્રમુખ રવિ આંબલીયા, દર્શિક રાદડિયા, વિપુલ આંબલીયા,  હરેશ વેકરીયા, કાનજીભાઈ કાપડિયા, ગોપાલભાઈ વઘાસીયા, કિરીટભાઈ માવાણી, સંજય કુંભાણી, અરવિંદ સાવલિયા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

કશ્યપ જોશી જેતપુર

 

 

 

 

 

 

 

જેતપુરમાં રાજ્યમંત્રીની હાજરીમાં વિવિધ વિકાસના કામો હાથ ધરાયા

જેતપુર તા.૧૫  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર નગર પાલિકા દ્વારા આજે સરકારની યુડીપી-૫૬-૭૮ યોજના અંતર્ગત ભૂગર્ભ સંપ તથા પોઝીટીવ સેક્શન ટાઈપ પંપ હાઉસ બનાવવાના કામનું તથા પાણીની ટાંકી ઉભી કરવાના કામનું ખાતમુહુર્ત કરાયું હતું. આ બંને કામોના ખાત મુહુર્ત અમરનગર રોડ પર આવેલ ફિલ્ટર પ્લાન્ટ ખાતે કરાયા હતા.

સરદાર ચોકમાં ટ્રીમિક્સ સીસી રોડના કામનું માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા ખાતમુહુર્ત કરાયું હતું.

જયારે ધોરાજી રોડ પર એસટી વર્કશોપ પાસેની જગ્યામાં ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. આ તમામ કાર્યક્રમોમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર ભારત વ્યાસ, વિગેરે હાજર રહ્યા હતા.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર  

બુધવાર, 14 ઑક્ટોબર, 2015

જેતપુરમાં યોજાયેલ કવિસભા કવિઓ ખીલ્યા ! જેતપુરના ૩ લેખકોનું પણ કરાયું સન્માન.......

''કદી લૂછેલા આંસુની લઇ જો દુઆ, પછી મસ્જીદ પણ ફોગટનો ફેરો લાગે''-ડો.નાણાવટી 

જેતપુરમાં યોજાયેલ કવિસભા કવિઓ ખીલ્યા !

જેતપુરના ૩ લેખકોનું પણ કરાયું સન્માન.......

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરની સાહિત્ય, કલા અને સંગીતની સંસ્થા સેતુ તથા જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબ જેતપુરના સંયુક્ત ઉપક્રમે જેતપુર ખાતે માતૃભાષા ગુજરાતીના ગૌરવ અર્થે કવિસભા અને જેતપુરના જાણીતા લેખકો હરદાસભાઈ સાવલિયા, જીતુભાઈ ધાધલ અને નારણભાઈ પટેલ એમ ત્રણેયનું સન્માનપત્રો આપી સન્માન કરાયું હતું.

 

કવિસભાના પ્રારંભમાં ડો.રવજી રોકડે ભૂમિકા બાંધતા જણાવેલ કે, જેતપુરની સંસ્થા સેતુને ''સાહિત્યનુ ઘરેણું'' ગણાવી હતી. સેતુના પ્રમુખ ગુણવંત ઘોરડાએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરતા જણાવેલ કે ગુજરાતી ભાષાને જીવાડવાનું કામ માતા અને મહિલાઓ કરવાનું છે. આજે ગુજરાતી ભાષા કોકટેઈલ ગુજરાતી થઇ ગઈ છે. એવું પણ કહી શકાય કે માત્રુભાષા મટીને મોમભાષા બની ગઈ છે.

 

આજની માતા પોતાના બાળકોને જમાડતા જમાડતા કોકટેઈલ ભાષાનો અજાણ્યે કેવો ઉપયોગ કરે છે ? તે વાતની પ્રતીતિ બતાવતા જણાવેલ કે '' ડ્યુટી ફાસ્ટ..ફાસ્ટ..વન ચપટી ઈટ કરીજી'' જો  માતાઓ જ પોતાના સંતાનોને આવી બેહુદી ભાષા શીખવતી રહેશે તો ગુજરાતી ભાષા અને સાહિત્ય સંસ્કૃતિ ગરિમા જોખમાતા વાર નહિ લાગે !

 

ડો. રમેશ મહેતાના કવિસભાના રસાળ સંચાલન વચ્ચે ઉપસ્થિત મોટાભાગના કવિમિત્રોએ કવિત્વની પોથી  જાણે ખુલ્લી મૂકી હોય અને ઉપસ્થિત સૌને સાહિત્યરસમાં ડૂબકીઓ મારવાનું આહ્વાહન કરી સોળે કળાએ ખીલી પોત પોતાની અને આમંત્રિત કવિઓની કૃતિઓનું જ્યારે પઠન કર્યું ત્યારે આયોજક સંસ્થાઓનું મેદાન સાહિત્યિક વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.

 

કવિ ભરત ભટ્ટે આમંત્રિત કવિઓની કૃતિઓનું પોતાની આગવી શૈલીમાં પઠન કરી સાહિત્યપ્રેમીઓને ડોલાવ્યા હતા. તેઓએ રજુ કરેલી કૃતિઓમાં

 

 

" આદમી આદમી છે એક વખત,

આદમી લાખવાર અફવા છે.

આપણે ઓઢી એજ ચાદર છે,

જેનો પ્રત્યેક તાર અફવા છે"..,

************************************

 " પંખીએ ટહુકા કર્યા ? પૂછો નહિ,

  પિંજરામાં પંખી પછડાયું ઘણું...'',

*************************************

હરજીવન દાફડાએ પોતાની કૃતિ રજુ કરતા જણાવેલ કે

 " મધ્યમાં છે ને કિનારે પહોચાનું છે હજી,

  એક જર્જર નાવ પર શું વીતવાનું છે હજી "

 

 "એક પાનનો થાય અનુભવ

  વનના વન સમજાઈ જવાના "

**********************************************

"જીવતરનું આ ઝાડ જુઓ,

ફેલાવો છે, ફાલ નથી"

"કોઈની જાતી લખાતી હોય ના,

 એક, બે એવી અહી શાળા કરું"

**********************************************

સ્નેહી પરમારે પોતાના કાવ્યનું પઠન કરતા કહ્યું

"તું સાચો છે તેવું કહેવા તું ઉઠે છે,

ઘી પણ સાચું હોય તો ખુશ્બુ ઉઠે છે,

બાકી સઘળે ઉઠે છે તે બજાવાળું,

અજવાળું તો તેની ફરતે ઉઠે છે "

"વિજ્ઞાને જે જગાને બિનઉપજ કહી હતી,

કુંભારે એની ધૂળમાંથી માટલા કર્યા"

જેતપુરના કવિ ડો.જગદિપ નાણાવટીએ પોતાની કૃતિ રજુ કરતા કહ્યું કે,

"કદી લૂછેલા આંસુની લઇ જો દુઆ,

પછી મસ્જીદ પણ ફોગટનો ફેરો લાગે"

કોકડું મેગી તણું હલ થઇ ગયું,

ગાઠીયાનું નામ નુડલ થઇ ગયું,

લ્યો, ભારત હવે ડીજીટલ થઇ ગયું"

"સરનામે નામે "માણસ" માણસ મને મળ્યો નહિ,

અંતે લીધું મેં ફાનસ માણસ મને મળ્યો નહિ,

એવું વિચાર્યું, ચાલો અહી કોક તો મળશે,

ઉથલાવ્યા સધળા આરસ, માણસ મને મળ્યા ના "

 

 

 આ સિવાય સ્થાનિક કવિયત્રી શહેનાઝ બાબી, તથા જુગ્નુએ પણ પોતાની કૃતિઓ રજુ કરી હતી. આમ જેતપુરમાં યોજાયેલ કવિસભામાં કવિઓ મન મુકીને કાવ્યોરૂપી વરસીને અન્યોને સાહિત્ય મેઘમાં ભીંજવ્યા હતા. આ તકે લેખકોના સન્માન પત્રોનું વાંચન ડો.ભીમજી ખાચરીયાએ કરેલ, તો કવિ સભાને સફળ બનાવવા જીતેન્દ્ર જાખરીયા, પંકજ ધામી, વ્યાસ, વિમલ શાહ વી.એ ભારે જહેમત ઉઠાવી હતી.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

 

 

 

 


AVSAAN NONDH BY KASHYAP JOSHI JETPUR અવસાન નોંધ

અવસાન નોંધ  :

ગોંડલ :
ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના બંધીયા(તા.ગોંડલ)વાળા સ્વ. પ્રભાશંકરભાઈ ભાનુંશંકરભાઈ રાવલના પુત્ર, ગોંડલ નિવાસી દિલીપભાઈ પ્રભાશંકરભાઈ રાવલ(જે.પી.રાવલ)(ઉ.વ.49-સિંચાઈ પંચાયત પેટા વિભાગ, ગોંડલ) તે શિવમના પિતા, શાસ્ત્રી હરેશભાઈ રાવલ(બંધીયા), સ્વ.દમયંતીબેન હસમુખરાય જોશી (થાણાગાલોળ), ગીતાબેન મૂળશંકરભાઈ જોશી(જેતપુર), તથા ચંદ્રિકાબેન દીપકકુમાર ત્રિવેદી(રાજકોટ)ના ભાઈ તા.14 નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.16 ને શુક્રવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાને, રૈયારાજ નગર, વોરા કોટડા રોડ, શંકર વાડી પાસે, ગોંડલ ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી - જેતપુર - જેતલસર - 9974262812
તાક : આ અવસાન નોંધ ગોંડલ ડેઈટલાઈનમાં લેવા વિનંતી છે. સદગત મારા મોટાભાઈના સાળા છે અને અમારા સગા માસા પણ..(કશ્યપ જોશી )





સોમવાર, 12 ઑક્ટોબર, 2015

જેતપુરના એસટી ડેપો મેનેજર ઉપર હુમલો કરનાર ૧ ડ્રાઈવર સહીત ૨ ડ્રાઈવરને સસ્પેન્ડ કરતા ડીસી


જેતપુરના એસટી ડેપો મેનેજર ઉપર હુમલો કરનાર

૧ ડ્રાઈવર સહીત ૨ ડ્રાઈવરને સસ્પેન્ડ કરતા ડીસી

જેતપુર તા.૧૨   (કશ્યપ જોશી દ્વારા)

આજથી ત્રણેક દિવસ પહેલા જેતપુરના એસટી ડેપો મેનેજર ઉપર હુમલો થયાની ઘટનામાં આજે એસટીના ડિવીજનલ કંટ્રોલરે ૨ ડ્રાઈવરોને સસ્પેન્ડ કર્યાની વિગતો મળી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના એસટી વર્કસશોપમાં ત્રણેક દિવસ દિવસ પહેલા ખુરશીમાં બેસવા બાબતે ડેપો મેનેજર સંજય પરમાર ઉપર ડ્રાઈવર મેરામણભાઈ ગોવાળિયાએ હુમલો કર્યો હતો, તો સામા પક્ષે ડેપો મેનેજરે પણ મેરામણભાઈભાઈ ઉપર હુમલો કરતા આ બનાવ પોલીસ દફતરે પહોચતા પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધી હતી.

 

દરમિયાન આજે જુનાગઢ એસટી તંત્રના વિભાગીય નિયામક પી.એમ.પટેલે કડક કાર્યવાહીના ભાગ રૂપે મેરામણભાઈ અને ગુણવંતસિંહ રાઠોડ એમ બંને ડ્રાઈવરોને સસ્પેન્ડ કરી દેતા જેતપુરના એસટી બેડામાં ચકચાર જાગી છે. આ બાબતે એસટીના આધારભૂત સુત્રોએ જણાવેલ કે હાલ જ્યાં સુધી આ બનાવની તપાસ પૂર્ણ નાં થાય અને જ્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંને ડ્રાઈવરોને સ્પેરલાઈન કરી દેવાયા છે. હાલ બંનેને ડ્રાઈવિંગ નહિ કરવાનું પણ રોજ જુનાગઢ ખાતે ડીસીની કચેરીમાં હાજરી પુરાવવા જવાનું રહેશે.

 

જેતપુરની એસટી આલમમાં એક એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે પોલીસ ફરિયાદમાં માત્ર મેરામણભાઈનું તહોમતદાર તરીકે નામ હતું. પણ ગુણવંતસિંહ રાઠોડને મેડીકલની સારવાર દરમિયાન ગેરહાજર ગણી તેઓની સામે આવું શિક્ષાત્મક પગલું ભરાયું હતું. જે પગલું વાજબી ગણાય કે કેમ ? તે હવે એસટીના ઉપરી સત્તાધીસોએ વિચારવું રહ્યું !!

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર  

 જેતપુરમાં ૪ ઔદ્યોગિક

એકમોમાં આઈટીના સર્વેથી ફફડાટ

આખો દિવસ ઉદ્યોગપતિઓમાં ચર્ચાઓ : હે..કોણ હડફેટે ચડ્યું ? કાઈ પકડાયું ?

જેતપુર તા.૧૨  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં આજે સવારથી ત્રાટકેલી આઈટીની ટીમે શહેરના જુદા જુદા ચાર ઔદ્યોગિક    એકમોમાં સર્વે હાથ ધરતા અન્ય કારખાનેદારોમાં ફફડાટ મચી ગયાની વિગતો મળી રહી છે.

શહેરભરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી વિગતો મુજબ આજે સવારથીજ રાજકોટ ઇન્કમ ટેક્ષ વિભાગની એક ટીમ જેતપુરમાં ખાબકી હતી. અને અગાઉથી જ નિયત સ્થળોએ સર્વે હાથ ધરતા નાના કારખાનેદારોમાં કહેવાય છે કે ફફડાટ વ્યાપી ગયો હતો.

    સાંજ સુધી ચાલેલા આઈટીના સર્વે દરમિયાન બિનસત્તાવાર રીતે એવું જાણવા મળ્યું છે કે શહેરના દીપા એક્સપોર્ટ, મારુતિ પ્રોસેસર્સ, મનીષા ફેલ્ટ અને એક સિમેન્ટ ઉદ્યોગના માન્ધાતાને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. આઈટીની ટીમે જેતપુરમાં સર્વે ચાલુ કર્યો ત્યાજ એવી અફવાઓ ઉડી હતી કે શહેરમાં આઈટીના દરોડાનો દૌર ચાલુ પણ જાણકાર સુત્રો પાસેથી એવી વિગતો મળી હતી કે આઈટીના દરોડા નહિ પણ સર્વે હાથ ધરાયો હતો. આ બાબતે જે હોય તે પણ આઈટીના જેતપુરમાં આજે પગરણથી શહેરબહારના ઉદ્યોગપતિઓમાં અનેકવિધ ચર્ચાઓ સાથે ભયની લાગણીઓ ઉત્પન્ન થયાનું જોવા અને સાંભળવા મળ્યું હતું.

 

ખાસ નોંધ :મેટરમાં લખેલા નામો આપણને કોઈ આધારભૂત રીતે મળ્યા નથી..તપાસ થતી હોય તો કરાવીને લેવા વિનંતી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર