અનુયાયીઓ

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો ૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

અમરનગર ગામે અન્નપુર્ણા માતાજીનો

૯૨ મો જન્મદિન ઉજવતા સેંકડો ભાવિકો

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

તાજેતરમાં જેતપુર તાલુકાના અમરનગર ગામે આવેલા આનંદ આશ્રમ ખાતે સદગુરુ દેવ શ્રી અન્નપુર્ણા માતાજીનો ૯૨ જન્મ દિવસ અસંખ્ય ભાવિકો દ્વારા ધામધૂમથી ઉજવાયો હતો. આ દિવસે સવારથી જ ભાવિકોએ મહાઆરતી, દર્શન અને બપોરે સામુહિક પ્રસાદનો લાભ લીધો હોવાનું આશ્રમના હંસાગીરી અન્નપુર્ણાગીરીએ જણાવ્યું હતું.

 

અમરનગરમાં આદર્શ ધૂન મંડળની સરાહના

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના અમરનગર ગામે છેલ્લા ૬ વર્ષથી કાર્યરત આદર્શ ધૂન મંડળ ગ્રામજનોમાં સરાહનાપાત્ર બન્યું છે. દર વર્ષની જેમ આ વરસે પણ નવરાત્રી દરમિયાન ગામના દરેક પરિવારોના મઢમાં જઈને ધૂન કીર્તનની રમઝટ બોલાવી હતી. ગરબીના ચોકમાં પણ આ ધૂન મંડળના સભ્યો અનન્ય રાગથી ગરબાઓ ગાઈને ભાવિકોને જકડી રાખ્યા હતા. આ મંડળ દ્વારા દર પૂનમે સત્સંગ, ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવે છે, કોઈની પાસે ફંડ ફાળા મંગાતા નથી, હૈયે વસે તેવી અને તેટલી મળતી સખાવતોથી મંડળના મુખ્ય કાર્યકર દેવીદાસભાઈ સોલંકી, વિરજીભાઈ પરમાર, મુળુભાઈ ગોવાળિયા, ધીરુભાઈ રાજ્યગુરુ, રાજુભાઈ ગુજરાતી, જયંતીભાઈ વેકરીયા તથા અલ્પેશ પરમાર વી. ખુશ હોવાનું ગામના સામાજિક આગેવાન બી.કે.જયસ્વાલ જણાવે છે.

 

 

જેતપુરના સ્ટેશનવાવડી ગામનું આકર્ષણ

જય ખોડિયાર ગરબી મંડળ

જેતપુર તા.૨૧  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામે જય ખોડિયાર ગરબી મંડળની બાળાઓ પ્રાચીન અર્વાચીન રાસ ગરબાઓની ધૂમ મચાવી રહી છે. અહી રમાતા રાસ ગરબાથી ગ્રામજનો અને ભાવિકો ભારે ખુશ હોવાનું રોહિતભાઈ ગીરધરભાઈ ભટ્ટી જણાવે છે.

 

 

૨ રોડના કામોમાં ગેરરીતી અને ૧ રોડ બનાવાતો ના હોય, વિરોધ કરવા

આવતીકાલે  સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી આવતીકાલે ખજૂરી હડમતીયા ચોકડી રોડને કરશે ચક્કાજામ

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)

જુનાગઢ જીલ્લાના સંબંધિતોને અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં ભેસાણ પંથકના બે રોડકામની ગેરરીતીની તપાસ ના થતી હોય તેમજ એક રોડ મંજુર થયો હોવા છતાં તંત્ર દાદ આપતું ના હોવાની વાતના વિરોધમાં આવતીકાલ તા. ૨૩ ના રોજ સાંકરોળાના સરપંચ ૩ ગામોના ૮૦૦ જેટલા લોકોને સાથે રાખીને ખજૂરી હડમતીયા ચોકડી રોડ પર ચક્કાજામ કાર્યક્રમ યોજશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

મળતી વિગતો મુજબ  ખજૂરી હડમતીયાથી સાંકરોળા સુધીના રોડકામમાં વ્યાપક ગેરરીતી અંગે લાગતા વળગતા સત્તાધીસોને સાંકરોળાના સરપંચ પ્રવીણ સોજીત્રાએ તા.૨૨-૨-૧૪, ૧૯-૫-૧૪, ૨૨-૭-૧૪, ૩૦-૧૦-૧૪ તથા ૧૫-૧૦-૨૦૧૫ નારોજ રજુઆતો કરી હોવા છતાં કોઈએ કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નથી.

 

ખજૂરી હડમતીયાથી હનુમાન ખીજડીયા સુધીનો ૧૦ માસ પહેલા જ બનાવાયેલ સીસી રોડ તૂટી જતા અનેક વખત રજુઆતો કરાઈ પણ સંબંધિત માર્ગ અને મકાન ખાતું મુક, બધીર અને સુરદાસની ભૂમિકા ભજવતું હોવાનો સરપંચનો આક્ષેપ છે.

 

તેમજ સાંકરોળા ગામથી જેતપુર વિગેરે તરફ જવા માટે અત્યંત જરૂરી એવો ખજૂરી હડમતીયાથી જેતપુરના દેવકીગાલોળ સુધીનો રસ્તો મંજુર થયેલા રોડની કામગીરી ચાલુ કરવા અંગે અને આ રોડ પર ઉભેલા વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ દુર કરવાની  અવારનવાર રજુઆતો ધ્યાને લેવાતી ના હોય આ તમામ બાબતોએ ન્યાય મેળવવાની માંગ સાથે આજે તા.૨૨-૧૦. સુધીમાં સંબંધિતો કઈ ઘટતું નહિ કરે તો આવતીકાલ તા.૨૩.૧૦ ના રોજ સવારે, ૯-૦૦ કલાકે, ખજૂરી હડમતીયાની ચોકડી પર સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રા ખજૂરી હડમતીયા, બરવાળા અને ઢોળવા એમ ત્રણ ગામોના ૮૦૦ લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારતી લેખિત રજૂઆત જુનાગઢ જીલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર, જુનાગઢના કલેકટર, ભેસાણના મામલતદાર વિગેરેને કરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨

 

ટિપ્પણીઓ નથી: