અનુયાયીઓ

બુધવાર, 21 ઑક્ટોબર, 2015

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી ધમધમતી ફટાકડાની દુકાનો કોઈ અકસ્માત સર્જશે ??

જેતપુરમાં સરકારી નિયમોને નેવે ચડાવી ધમધમતી 
ફટાકડાની દુકાનો કોઈ અકસ્માત સર્જશે ??
પ્રતિવર્ષે ફટાકડાની દુકાનોની બાઝાર ઉભી કરવા માંગ કરાય છે, પણ કઈ કરાતું નથી !!

જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરમાં પ્રતિવર્ષે ફટાકડાની દુકાનો ભરચક વિસ્તારોમાં પણ શાકભાજીઓની રેકડીઓની માફક ખુલી જતી હોય, વેપારીઓ દ્વ્રારા સરેઆમ સરકારી નિયમોનો ભંગ થતો હોવાની શહેરીજનોના મૂંગા મોંએ ઉઠેલી ફરિયાદ સરકારી તંત્રોએ ધ્યાને લેવી જરૂરી છે.
મળતી વિગતો મુજબ એકદમ નેરો સીટી એવા જેતપુર શહેરમાં મોટાભાગની બઝારો ખુબ સાંકળી છે. આવી બઝારો અને શહેરના અમુક જાહેર માર્ગો પર દર વર્ષે સરકારી નિયમોને નેવે ચડાવી ફટાકડાની દુકાનો ખુલી જતી હોય, અહીના નાગરિકોમાં અસલામતીનો ભય ફેલાયો છે. સૌથી દુખની વાત એ છે કે જેતપુર શહેરમાં પ્રતિ વર્ષે ફટાકડાની ખાસ અલાયદી જગ્યાએ માર્કેટ ઉભી કરવાની માંગ થઇ રહી છે. પણ કહેવાય છે જે સરકારી તંત્રોની આ બાબતે તકેદારી રાખવાની ફરજ છે તેઓ ભારોભાર આળસ દાખવતા હોય, જલ્દી કામાઈ લેવાની ગણત્રીઓમાં જીવતા વેપારીઓ પોતાની મનસુફી મુજબ ફટાકડાની દુકાનો ખોલીને પ્રજાની અસલામતી પેદા કરી રહ્યા છે. એટલુજ નહિ શહેરમાં અમુક સાંકડા રોડ રસ્તા પર બહાર સ્ટોલ ઉભા કરી આવા વેપારીઓ ટ્રાફિકની સમસ્યા પણ પેદા કરતા હોય, પોલીસ, મામલતદાર અને નગર પાલિકાએ પ્રજાની ફરિયાદ ધ્યાને લેવી જરૂરી હોવાનું જાગૃત માણસો કહે છે.
આ બાબતે જે હોય તે પણ સરકારી તંત્રો આ વર્ષે કોઈ કડક અમલવારી કરાવી ફટાકડાની દુકાનોની માર્કેટ શહેર થી અલગ સ્થાપે તે જરૂરી છે.

------------------------
જેતપુર તાલુકાના મોણપર ગામે ગેરકાયદે ધમધમતા 
સાડી ધોલાઈ ઘાટો દુર કરવા ઉપસરપંચની માંગ....
જેતપુર તા.૨૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ગેરકાયદે ધમધમતા સાડી ધોલાઈઘાટો તાત્કાલિક તોડી પાડી ફેલાતા પાણી પ્રદુષણને હલ કરવા મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ જીલુભાઈ ધાધલે માંગ કરી છે.
જેતપુરની પ્રાદેશિક પ્રદુષણ નિયંત્રણ કચેરી, ગાંધીનગર ખાતે રિજ્યોનલ ઓફિસર, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર તેમજ જેતપુરના મામલતદારને ઉદેશીને કરાયેલ લેખિત ફરિયાદમાં મોણપર ગામના ઉપસરપંચ પ્રતાપભાઈ ધાધલે જણાવ્યું છે કે, જેતપુર તાલુકાના મોણપર ગામે વર્ષો થયા ચાલતા સાડી ધોલાઈ ઘાટો, પ્રોસેસ હાઉસોના ઝેરી પ્રદુષણ યુક્ત પાણીથી ભાદર નદીના પાણી પ્રદુષિત થઇ ગયા છે. આજુબાજુની જમીનોની ફળદ્રુપતા પણ ઘટી ગઈ છે, તો અબોલ પશુઓ અને જળચરો પણ સમયાંતરે પ્રદુષિત પાણીથી મોતને ભેટી રહ્યા છે. લોકોમાં કાયમી માંદગી ઘર કરી ગઈ છે. અરજદારે રજુઆતમાં એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો આમને આમ પાણી પ્રદુષણ ફેલાવાનું ચાલુ રહેશે તો તેઓની આવનારી પેઢીના નશીબમાં બંજર જમીન સિવાય કશું હાથમાં નહિ આવે, પરિણામે ખેતી ભૂતકાળ બની જશે. 
પણ ગુજરાત હાઈકોર્ટના સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૨૫૪/૨૦૦૯ ના ઓરલ ઓર્ડરનું ઉલંઘન થતું અટકાવાય તો પ્રદુષણ ફેલાતું અટકે તેવું રાજુઆતકર્તાનું કહેવું છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 


ટિપ્પણીઓ નથી: