૦૦૦૦૦૦૦૦
- મુખ્યમંત્રીશ્રી –
Ø ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણ અભિયાનમાં આત્મનિર્ભર ગુજરાત અગ્રેસર રહેશે
Ø ગુજરાતના યુવાનો નવી ચેતના, નવી ઊર્જા અને સાહસિકતા થકી રાષ્ટ્રના ઉત્તમ ચરીત્ર્યનું નિર્માણ કરશે
Ø સ્વામી વિવેકાનંદને ભારતની વિરાટ સંસ્કૃતિના દર્શન પશ્ચિમી દુનિયાને કરાવવાની પ્રેરણા સૌરાષ્ટ્રમાંથી મળી હતી
૦૦૦૦૦૦૦૦
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩૧ હજારથી વધુ યુવાનોને
સ્વામી વિવેકાનંદ જયંતી ‘‘રાષ્ટ્રીય યુવા દિવસ’’ નિમિત્તે પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રી
૦૦૦૦૦૦૦૦
મુખ્યમંત્રીશ્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂ. ૧૪.૨૫ કરોડના વિકાસ કામોની ભેટ
૦૦૦૦૦૦૦૦
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ન્યુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીટહાઉસ અને સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ માટે નિર્માણપામેલ ઈ-લાઈબ્રેરી લોકાર્પણ
૦૦૦૦૦૦૦૦
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિર્માણ પામનાર અધતન સ્પોર્ટ્સ તથા ઓપન એર થિયેટરનું ખાતમુહૂર્ત
૦૦૦૦૦૦૦૦
રાજકોટ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ‘‘રાષ્ટ્રીય યુવા દિવસ’’ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૩૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરથી સંબોધતા જણાવ્યું હતું કે યુવાઓના સામર્થ્ય થકી ‘‘નયા ભારત’’નું નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, ‘‘આત્મનિર્ભર ભારત’’ના નિર્માણ અભિયાનમાં આત્મનિર્ભર ગુજરાત અગ્રેસર રહેશે અને તેના કેન્દ્રમાં ગુજરાતના યુવાનો, નવી ચેતના, નવી ઊર્જા અને સાહસિકતા હશે.
સ્વામી વિવેકાનંદને પશ્ચિમને ભારતની વિરાટ સંસ્કૃતિના દર્શન કરાવવાની પ્રેરણા સૌરાષ્ટ્રમાંથી મળી હતી એવું સગૌરવ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટ અને નવી ટેક્નોલોજીનો સમન્વય કરી સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને દેશના યુવાધનનાસહારે ભારત વિશ્વની મહાસત્તા બને અને તેમાં ગુજરાતના યુવાનોની ભૂમિકા અગ્રેસર રહે તેવુ આહવાન કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના મુજબના ‘નયા ભારત’ના નિર્માણમાં લાગી જવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગુજરાતના યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બને તે માટે રાજ્ય સરકારે યુવાનોમાં ઔદ્યોગિક સાહસિકતાનું નિર્માણ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેની વિગતો આપીને મુખ્યમંત્રીશ્રીએ મીઠાની નિકાસ, સોલાર એનર્જી, ઓટો મોબાઇલ, ફાર્મા સેકટર, રોજગારી, ખેતી ક્ષેત્રે વિકાસ, મેડિકલ ટુરિઝમ અને નવી સિદ્ધિઓમાં યુવા સાહસિકો અને યુવા વૈજ્ઞાનિકો સિદ્ધિઓને બિરદાવી હતી. કોરોનાની વેક્સિના નિર્માણમાં ભારતને વૈશ્વિક સિધ્ધી બદલ યુવા સંશોધકોને અભીનંદન આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વધુ નવી સિધ્ધીઓ હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં રૂ.૧૪.૨૫ કરોડ ના વિકાસના નવા કામોની ભેટ આપી હતી જેમાંસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે અંદાજીત રૂપિયા ૪ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ આધુનિક ન્યુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ તથા કેમ્પસમાં આવેલી સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધા મળી રહેતે માટે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ દાદાની ચેર દ્વારા લાયબ્રેરીનું ઈ- લોકાર્પણ કર્યું હતું. રૂ ૬ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન લાયબ્રેરીનું અને રૂ. ૩ કરોડના ખર્ચે તૈયાર થનાર અધતન સ્પોર્ટસ હોસ્ટેલ તથા ૧.૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થિયેટરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીટહાઉસ અંદાજિત ૧૭૦૬.૨૩ ચોરસ મીટરમાં ફેલાયેલું છે. જેમાં વિદ્યાર્થીઓ માટે ૩૬ રૂમ, એડમીન રૂમ લોન્ડ્રી રૂમ ,એન્ટરટેનમેન્ટ રૂમ, ઈલેક્ટ્રિક રૂમ,વોર્ડન રુમ, સ્ટોર રૂમ, સહિત કુલ ૫૫રૂમની સુવિધા સહિત મલ્ટીપર્પજ હોલ સોલાર વોટર હીટર, દરેક રૂમમાં લિવિંગ રૂમ, બાલ્કની, ડ્રેસિંગ રૂમ, અટેચ્ડ ટોયલેટ અને કિચનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ૮૮ વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતા સ્પોર્ટ્સ હોસ્ટેલમાં સ્ટુડન્ટ્સ રૂમ, ડિસેબલ રૂમ, વોર્ડન રૂમ, ડાઇનિંગ હોલ, કિચન રૂમ, સ્ટોર રૂમ, ઈલેક્ટ્રિક રુમ સહિત ૧૧૯૫.૧૫ ચોરસ મીટર જગ્યામાં બનશે.જ્યારે નવી લાઈબ્રેરી ૩૦૬૮ ચોરસ મીટર જગ્યામાં ૩૬૦ વિદ્યાર્થીઓને સમાવી શકાય તથા ૪૩ જેટલા વિદ્યાર્થીઓ માટે ઈ કોર્નર સુવિધા તેમજ ૭૧૭૧૨ જેટલા પુસ્તકો સમાવિષ્ટ કરી શકાય તેવી સુવિધાસભર લાઇબ્રેરીનું બાંધકામ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિ. એન.એસ.એસ. યુનિટ દ્વારા કોવિડ-૧૯માં સેવાકિય કામગીરીને આવરી લેતા પુસ્તકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
કુલપતિ ડો. નિતીનભાઈ પેથાણીએ સ્વામી વિવેકાનંદજીના જન્મદિને યુવાનોને પ્રેરણા આપતું વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના વિચારોને આત્મસાત કરવા સંકલ્પ લેવા આહવાન કર્યું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો વાઈસ ચાન્સેલર ડો. વિજયભાઈ દેસાાણીએ કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રીય યુવા દિવસની સૌને શુભેચ્છા આપીને શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ યુનિ. ના નવા પ્રોજેક્ટોની રૂપરેખા આપી હતી. કેમ્પસમાં સ્વામી વિવેકનંદની પ્રતિમાને મહાનુભાવોએ પુષ્પહાર કર્યા હતા.
કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનારજીસ્ટ્રાર ડો. જતીન સોનીએ આભારવિધી કરી હતી.
આ પ્રસંગે સિન્ડીકેટ મેમ્બર શ્રી મેહુલ રૂપાણી તેમજ વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહયા હતા.
નરેશ મહેતા/સોનલ/રાજ લક્કડ

























ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો