અનુયાયીઓ

બુધવાર, 28 માર્ચ, 2012

કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી સંઘની પ્રસિધ્‍ધ કરાયેલી મુસદારૂપ મતદાર યાદી સબંધે મંગાતા વાધા સૂચનો



રાજકોટ 
  કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની. વ્‍યવસ્‍થાપક સમિતિના સભ્‍યોની ચૂંટણી કરવાની છે. મંડળીની વ્‍યવસ્‍થાપક સમિતીના ચુંટણીના નિયમો, મંડળીના પેટા નિયમોના નિયમ ર૯/બ (૧) મુજબ સંઘ સાથે જોડાયેલ મંડળી પ્રતિનિધિઓની કૂલ-૧૧ સભ્‍યોની ચુંટણીની કાર્યવાહી હાથ ધરવાની થાય છે. સભ્‍યોની ચૂંટણી ગુજરાત સહકારી મંડળી અધિનીયમ-૧૯૬૧ની કલમ-૭૪(સી) અને નિર્દીષ્‍ટ સહકારી મંડળીઓની ચૂંટણી બાબતના નીયમો-૧૯૮૨ના નિયમ મુજબ ચૂંટણી કરવાની થાય છે. આ ૧૧-બેઠકોની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી/મતદાન અંગે ગેરલાયકાત ધરાવતી મંડળીઓની યાદી તા. ર૬/૩/૧૨ના રોજ કલેકટરશ્રીની કચેરી, શ્રોફ રોડ, રાજકોટ પ્રાંત અધિકારી,રાજકોટ (શહેર) પ્રાંત, જુની કલેકટર કચેરી રાજકોટ, જિલ્‍લા રજીસ્‍ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, બહુમાળી ભવન, બલોક નં.૧/૬ રાજકોટ તથા શ્રી કોટડાસાંગાણી તાલુકા સહયોગ સહકારી ખરીદ વેચાણ સંઘ લી. કોટડાસાંગાણી ખાતે પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. પ્રસિધ્‍ધિની તારીખથી દિન-૭માં મુસદારૂપ મતદારયાદી સામે જે કોઇ વાંધા-દાવા હોય તે ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી રાજકોટ (શહેર) રાજકોટને લેખિતમાં આપવાના રહેશે. પ્રસિધ્‍ધિની તારીખથી દિવસ-૭માં વાંધા, દાવા રજુ થશે તો તે અંગે નીયમાનુસાર કાર્યવાહી કરી વાંધા-દાવાનો યોગ્‍ય નિકાલ કરી ત્‍યાર બાદ આખરી મતદારયાદીની પ્રસિધ્‍ધિ પણ ઉકત સ્‍થળોએ કરવામાં આવશે. તેમ શ્રી જે એમ.દિક્ષિત પ્રાંત અધિકારી રાજકોટ (શહેર)ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

વચલી ઘોડી-દોમડા રસ્‍તા ઉપર રૂ. ૭૦.૬૦ લાખના ખર્ચે બ્રીજ બનાવાશે
રાજકોટ 
રાજકોટ જિલ્‍લામાં વચલીઘોડી-છેલ્‍લી ઘોડી-ખીજડીયા દોમડા રોડ ઉપરના વર્તમાન કોઝવે ઉપર અંદાજે રૂ. ૭૦.૬૦ લાખના ખર્ચે માઇનોર પૂલ અને એપ્રોચ બાંધવામાં આવશે. આ વિકાસ કામ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવશે.

ગરીબી રેખા નીચેના કુટુંબો માટે આરોગ્‍ય વિભાગ તરફથી અમલમાં મુકવામાં આવેલ કસ્‍તુરબા પોષણ સહાય યોજના
યોજના હેઠળ ગરીબ સગર્ભા માતાઓને રૂ. ૨૧૦૦/ની સહાય અપાશે
રાજકોટ 
રાજયમાં કુપોષણ અને એનીમિયાથી થતી બિમારી અને મૃત્‍યુના દરમાં ઘટાડો કરવાના આશયથી ગુજરાત રાજય આરગ્‍ય વિભાગ તરફથી ગરીબ રેખા હેઠળના કુટુંબો માટે કસ્‍તુરબા પોષણ સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
સગર્ભાવસ્‍થા દરમ્‍યાન પોષણ ખુબ જ મહત્‍વનું છે. ગરીબ કુટુંબની માતાઓને પુરતુ પોષણ મળતુ નથી અને મજુરી કામમાં વધારે કેલરી વપરાય છે. શરતી નાણાકીય સહાય એ પોષણલક્ષી પગલું છે. કે જેના દ્વારા સગર્ભાવસ્‍થા દરમયાન મળતી સેવાઓને સુનિશ્‍ચિત કરી શકાશે અને સગર્ભાવસ્‍થા દરમ્‍યાન જરૂરી પોષણયુકત આહાર અને સુક્ષ્‍મ પોષક તત્‍વોની પૂર્તી કરી શકાશે.
આ યોજના અન્‍વયે સગર્ભાવસ્‍થામાં સરકારી સંસ્‍થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં વહેલી નોંધણી કરાવનાર તમામ સગર્ભા માતાઓને રૂ. ૭૦૦ સહાય આપવામાં આવશે. ત્‍યારબાદ સરકારી અથવા ચિરંજીવી દવાખાનામાં સુવાવડ કરાવનારને સુવાવડ બાદ પ્રથમ અઠવાડીયામાં રૂ. ૭૦૦ સહાય આપવામાં આવશે ત્‍યાર બાદ બાળકના જન્‍મબાદ ૬ માસના સમયબાદ અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વીટામીન-એ આપ્‍યા બાદ અને તમામ રસીઓ લેનાર બાળકનું સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૭૦૦ આપવામાં આવશે. આમ આ યોજના નીચ દરેક સગર્ભા માતાને રૂ. ૨૧૦૦ની સહાય ચેકથી તેમના બેંક/પોસ્‍ટ ઓફીસ ખાતામાં જમાં કરાવવામાં આવશે.
લાભ ફકત ગરીબી રેખા હેઠળના કુટુંબોને મળશે. આ માટે વધુ માહિતી માટે નજીકના આરોગ્‍ય કર્મચારી કે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયના માર્ગદર્શન નીચે રાજકોટ જિલ્‍લાની આ કામગીરી મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. એ.એસ.સંઘવી, ડો. કતીરા તથા જિલ્‍લા આઇ.ઇ.સી. અધિકારીશ્રી એમ.એમ.ઝાલા સંભાળી રહ્યા છે.
રાજકોટ જિલ્‍લાની મહિલા ખેલાડીઓને તા. ૩૧ના રોજ ‘મહિલા સ્‍કોલરશીપ’ના ચેક વિતરણ કરાશે
રાજકોટ 
સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજયની મહિલા ખેલાડીઓને રાજયક્ક્ષાની વિવિધ રમતોમાં મેળવેલ પ્રથમ, દ્વિતિય, તૃતીય નંબરની સિધ્‍ધિ તેમજ રાષ્‍ટ્રકક્ષાએ ભાગ લેવા/સિધ્‍ધિ મેળવવા અંગે વર્ષની કોઇ પણ એક જ રમત અને એક જ ઉચ્‍ચ સિધ્‍ધિ માટે નિયમોનુસાર ની ‘મહિલા સ્‍કોલરશીપ’ આપવાની યોજના છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રાજકોટ જિલ્‍લાની મહિલા ખેલાડીઓની મંજુર થયેલ મહિલા સ્‍કોલરશીપનાં ચેકનું વિતરણ આગામી તા. ૩૧/૩/૧૨ના રોજ યોજાયેલ માતા યશોદા એવોર્ડ, માન. મુખ્‍યમંત્રીશ્રી કન્‍યા કેળવણી નિધિ સહાય વિતરણ તેમજ મહિલા ખેલાડીઓને પુરસ્‍કાર વિતરણ કાર્યક્રમમાં રેસકોર્સ, રાજકોટ ખાતે કરવામાં આવનાર છે. જે અન્‍વયે રાજકોટ જિલ્‍લાની મહિલા સ્‍કોલરશીપ મંજુર થયેલા ખેલાડીઓએ તા. ૩૧/૩/૧૨ના રોજ સવારના ૧૧-૦૦ કલાક સુધીમાં રાજકોટ ખાતે બહુમાળી ભવનના કમ્‍પાઉન્‍ડમાં ટ્રેકશુટ-કેપ પહેરીને અચૂક ઉપસ્‍થિત થવાનું રહેશે.
આ કાર્યક્રમ સંબંધિત વિશેષ માહિતી માટે સિનીયર કોચશ્રી, રાજકોટના ફોન નં. (૦ર૮૧) ર૪૪૭૦૮૦, મો.નં. ૯૮૨૫૬ ૧૩૨૯૨ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવેલ છે.
રાજકોટ જિલ્‍લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિની બેઠક મળશે
રાજકોટ 
રાજકોટ જીલ્‍લામાં લોક વ્‍યવસ્‍થાપિત સ્‍વજલધારા કાર્યક્રમના અમલીકરણ માટે રચાયેલી જિલ્‍લા જળ અને સ્‍વચ્‍છતા સમિતિની બેઠક તા. ૨૯/૩/૧૨ના રોજ બપોરે ૩-૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં મળશે. આ બેઠકમાં જિલ્‍લામાં ગ્રામ્‍ય પાણી પૂરવઠા યોજનાને વહિવટી મંજૂરી તેમજ આ કાર્યક્રમ હેઠળ ગામડાઓમાં લોક વ્‍યવસ્‍થાપિત ધોરણે ગ્રામીણ પાણી પૂરવઠા યોજનાના અમલીકરણ અંગેની સમીક્ષા થશે.
ન્‍યારી નદી ઉપર રૂ. ૩૭૧.૭૮ લાખના ખર્ચે એપ્રોચીઝ સાથે પુલ બંધાશે
રાજકોટ 
રાજકોટ જિલ્‍લામાં ન્‍યારી નદી ઉપર રામપર ગામ પાસે રામપર-સરપદડ-ખીરસરા રોડ ઉપર અંદાજે રૂ. ૩૭૧.૭૮ લાખના ખર્ચે એપ્રોચીઝ સાથે બ્રીજ બાંધવામાં આવશે. આ કામ કાર્યપાલક ઇજનેરશ્રી, જિલ્‍લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીનો એપ્રિલ-૨૦૧૨ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજકોટ
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારેફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે મુજબ એપ્રિલ-૨૦૧૨ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬-૦૪-૨૦૧૨નાં રોજ યોજાશે, જેમાં જિલ્લા કક્ષાનાં પ્રશ્નો- ફરિયાદો તા. ૧-૦૪-૧૨ થી તા. ૧૦-૪-૧૨ સુધીમાં સબંધિત ખાતા- વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે " ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે. જયારે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જે-તે તાલુકા મથકે તા.૨૫.૦૪.૨૦૧૨ના રોજ ૧૧.૦૦ કલાકે મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્‍નો તાલુકા કક્ષાએ પહોંચતા કરવાના રહેશે. ગ્રામ સ્‍વાગતમાં ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્‍નો/રજૂઆત અંગેની અરજી‘‘ મારી અરજી તાલુકા સ્‍વાગતમાં લેવી’’ તેવા મથાળા હેઠળ સંબંધિત ગામના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને તા.૧૦.૦૪.૨૦૧૨ સુધીમાં આપવાની રહેશે.
મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો રાજકોટ જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ તા.૧૦-૦૪-૨૦૧૨ સુધીમાં રજુ કરવાના રહેશે. ત્‍યાર બાદ આવેલા પ્રશ્નો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી. જયારે (૧) મહેસુલી તંત્ર (ર) જિલ્લા પંચાયત (૩) પોલીસ વિભાગ (૪) ગુજરાત વિઘુત બોર્ડ (પ) એસ.ટી. (૬) પાણી પુરવઠા બોર્ડનાં પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તારીખ ૨૬-૦૪-૨૦૧૨નાં રોજ સવારનાં ૧૧.૦૦ કલાકે કચેરીનાં સભાખંડમાં સંબંધિત ખાતાનાં અધિકાર અને કલેકટરશ્રી સાંભળશે. સિવાયના અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા કલેકટર કચેરી ખાતે થશે નહી. આ સિવાયનાં પ્રશ્નો માટે જિલ્લામાં આવેલી જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં તે દિવસે ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતા વધુ શાખાનાં પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યકિતગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ હોય તેવી તથા કોર્ટમેટર આંતરિક તકરાર સેવાને લગતી અરજી પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહી જેની અરજદારોએ ખાસ નોંધ લેવી તેમ અધિક કલેકટરશ્રી, રાજકોટ દ્વારા જણાવાયું છે.

કરાર આધારિત કાયદા અધિકારીની નિયુકિત માટે અરજીઓ મંગાવાઇ
રાજકોટ 
રાજકોટ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીની કચેરીની યાદી મુજબ મહેસૂલ વિભાગના તા. ૬/૩/૧૨ના ઠરાવથી નક્કી થયેલ શરતો, જવાબદારીઓ અને લાયકાતના ધોરણે માસિક રૂ. ર૦ હજારની એકત્રિત રકમથી એડહોક ધોરણે ૧૧ માસની મુદત માટે કાયદા અધિકારીની નિયુકિત કરવાની થાય છે. જે માટેની અરજીઓ તા. ૧૦/૪/૧૨ સુધીમાં મળી જાય તે રીતે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી પત્રકનો નમૂનો તથા મહેસૂલ વિભાગના તા. ૬/૩/૧૨ના ઠરાવની જોગવાઇ વગેરે માહિતી રાજકોટ કલેકટર કચેરીની મેજીસ્‍ટ્રેરીયલ શાખામાંથી કચેરીના કામકાજના સમય અને દિવસો દરમ્‍યાન મળી શકશે.
ઉમેદવારની ૩૩ વર્ષથી વધુ ઉમર ન હોવી જોઇએ તેમજ ડીગ્રી ઇન લો-સ્‍પેશ્‍યલ અથવા એચ.એસ.સી. પછી લો વીથ ફાઇવ યર કાયદાનો કોર્ષ કરેલ હોવાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.ગુજરાત સીવીલ સર્વિસ, કલાસીફીકેશન એન્‍ડ રિક્રુટમેન્‍ટ (જનરલ) રૂલ્‍સ ૧૯૬૭ની જોગવાઇ મુજબ કોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ ઉમેદવાર ગુજરાતી, હિન્‍દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
નામ. હાઇકોર્ટની સર્બોડીનેટ કોર્ટ, હાઇકોર્ટ કે કાયદા હેઠળ સ્‍થાપિત સ્‍થાનિક સંસ્‍થા, ગવર્મેન્‍ટ અંડરટેકીંગ બોર્ડ, કોર્પોરેશન કે લીમીટેડ કંપનીમાં એડવોકેટ કે એટર્ની તરીકે કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય અને તે અંગુનું હાઇકોર્ટના રજીસ્‍ટ્રાર જનરલનું સબંધીત કોર્ટના પ્રીન્‍સીપાલ જયુડીશયલ ઓફીસરશ્રીનું, પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજશ્રીનું કે સીટી સીવીલ કોર્ટના પ્રિન્‍સીપાલ જજશ્રીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
ગુજરાતી ભાષા બોલી,વાંચી અને લખી શકતા હોવા જોઇએ. તથા ગુજરાતીમાંથી અંગ્રજી અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતર કરી શકવા સક્ષમ હોવા જોઇએ અને તે અંગેનું હાઇકોર્ટના રજીસ્‍ટ્રાર જનરલ, સબંધીત કોર્ટના પ્રિન્‍સીપાલ જયુડીશ્‍યલ ઓફીસરશ્રી, પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ જજશ્રી, સીટી સીવીલ કોર્ટના પ્રિન્‍સીપલા જજશ્રીનું પ્રમાણપત્ર તેમજ કોઇ કાયદા હેઠળ સ્‍થાપયેલ સ્‍થાનિક સંસ્‍થા ગર્વમેન્‍ટ અન્‍ડરટેકીંગ બોર્ડ કોર્પોરેશન કે લીમીટેડ કંપનીના કેસમાં હેડ ઓફ ઓફીસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ ઉમેદવાર કોઇ ગુન્‍હાહીત કૃત્‍યમાં સંડોવાયેલ નહીં હોવા અંગેનું ડેકલેરેશન રજુ કરવાનું રહેશે.
અરજી સાથે શૈક્ષણીક લાયકાત, ઉંમર, અનુભવના પ્રમાણપત્ર, જાતિ અંગેના પ્રમાણપત્ર વિગેરે પ્રમાણપત્રો પ્રમાણિત કરીને જોડવાના રહેશે તેમ કલેકટર કચેરી(મેજી. શાખા) દ્વારા જણાવાયું છે.
       
કલેકટર કચેરી માટે સરકારી વકીલની નિમણૂંક કરવા અરજી મંગાવાઇ
જામનગર જિલ્‍લાની કલેકટર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકારશ્રી પક્ષે સબળ રજૂઆત થઇ શકે તેમજ અસરકારક બચાવ થઇ શકે તે માટે કલેકટર કચેરી, જામનગર માટે કરાર આધારીત કાયદા અધિકારીની એક જગ્‍યા મંજૂર થયેલ છે. જેથી લાયકાત ધરાવતા પાંચ વર્ષથી પ્રેકટીસ ધરાવતા ઉંમર ૩૩ થી વધુ ન હોય તેવા વકીલે પોતાની અરજીનું ફોર્મ કલેકટર કચેરીની ડીએમ શાખામાંથી મેળવી લઇ જરૂરી આધાર પુરાવા સાથે તા.૫/૪/૧૨ સુધીમાં મોકલી આપવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયુ છે.
જામજોધપુર તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્‍દ્રો પર સંચાલક, રસોયા, હેલ્‍પર ની અરજીઓ મંગાવાઇ
જામજોધપુર તાલુકાના આં.મેઘપર, ગપતિયો નેશ અને ગઢકડા ગામોમાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્‍દ્રો પર ચાલુ શૈક્ષણિક સત્રથી નિયત માનદ વેતનથી સંચાલક, રસોયા, મદદનીશની નિમણૂક કરવાની થાય છે. રસ ધરાવતા ઉમેદવારો એસ.એસ.સી પાસ લાયકાત ધરાવનાર તથા  ૨૦ થી ૫ વર્ષની વયમર્યાદા ધરાવનારાઓએ જાહેરાત પ્રસિધ્‍ધ થયેલ દિવસથી ૧૫ દિવસ સુધીમાં કચેરી સમય દરમિયાન નિયત નમૂનામાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. તેમ મામલતદાર કચેરી, જામજોધપુરની યાદીમાં જણાવાયુ છે.
જિલ્‍લા ટ્રાફિક એજયુકેશન એન્‍ડ વેલફેર સોસાયટીની રચના માટે બેઠક
જિલ્‍લા ટ્રાફિક એજયુકેશન એન્‍ડ વેલફેર સોસાયટી, જામનગરની રચના માટેની બેઠક તા.૨૯/૩/૧૨ ના સાંજે ૪ વાગ્‍યે કલેકટરશ્રીની ચેમ્‍બરમાં યોજાશે. તેમ સચિવશ્રી જિલ્‍લા ટ્રાફિક એજયુ. એન્‍ડ વેલફેર સોસાયટી અને પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
૩૧ માર્ચના જિલ્‍લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરીઓએ, બેંકોએ નાણાકીય વ્‍યવહારો ચાલુ રાખવાનો આદેશ
નાણાંકીય વર્ષ તા.૩૧/૩/૧૨ના રોજ પુરુ થતુ હોય નાણાંકીય વર્ષનો છેલ્‍લો દિવસ હોય વર્ષ ૨૦૧૧-૧૨ના વર્ષની ગ્રાંટની પૂરી ચૂકવણી થાય તે હેતુથી નાણાંકીય વર્ષમાં જ બીલો પાસ થઇને ચૂંકવણુ નિશ્‍ચિત સમયમાં કામગીરી પાર પડી શકાય તે હેતુસર જિલ્‍લા તિજોરી કચેરી, તાલુકાની પેટા તિજોરી કચેરીઓ તથા સબંધિત સરકારી નાણાંકીય કામ સંભાળતી સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાની શાખાઓએ તા.૩૧ માર્ચ ૨૦૧૨ ના રોજ મોડે સુધી ખુલ્‍લ રાખી ચૂકવણું સંપૂર્ણ ન થાય ત્‍યા સુધી નાણાકીય વ્‍યવહારો ચાલુ રાખવાનો આદેશ કલેકટરશ્રી, જામનગર દ્વારા કરવામાં આવ્‍યો છે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.

પોરબંદર જિલ્‍લાની લીડ બેન્‍ક દ્વારા રૂ.૭૦૭ કરોડનો ક્રેડિટ પ્‍લાન જાહેર કરાયો
વાર્ષિક ક્રેડિટ પ્‍લાનની પુસ્‍તિકાનું કલેકટરના હસ્‍તે વિમોચન
પોરબંદર,. 
 પોરબંદર જિલ્‍લામાં લીડબેન્‍ક દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ધિરાણ અંગેનો રૂ.૭૦૭ કરોડનો ક્રેડિટ પ્‍લાન અમલમાં મૂકાયો છે જેનું લોન્‍ચીંગ અને ક્રેડિટ પ્‍લાનની પુસ્‍તિકાનું વિમોચન અધ્‍યક્ષસ્‍થાનેથી કલેકટરશ્રી ગિરીશ શાહના હસ્‍તે થયુ હતું.
લીડબેંકની મીટીંગમાં પોલીસીની જાહેરાત કરતાં લીડબેન્‍કના ચીફ મેનેજર અને કન્‍વીનરશ્રી ભટ્ટે જણાવ્‍યુ હતુ કે, વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં  ધિરાણ અંગેની નીતિ નક્કી થઇ છે જે મુજબ રૂ.૭૦૭.૬૮ કરોડ નો લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્‍યો છે.ખેતી વિષયક ક્ષેત્રોમાં રૂ.૫૫૯ કરોડ, ઉદ્યોગ ક્ષેત્રે રૂ. ૨૬ કરોડ અને અન્‍ય અગ્રિમ ક્ષેત્રોમાં રૂ. ૧૨૧ કરોડ જેવી રકમ નિર્ધારિત કરવામાં આવી છે. તેમણે જણાવ્‍યુ હતુ કે સરકારી એજન્‍સીઓ તરફથી મોકલાતી વિવિધ યોજનાઓ  હેઠળની અરજીઓ ચાલુ વર્ષે ૧૦૦ ટકાથી વધુ સિધ્‍ધિ હાંસલ કરવામાં આવી છે.કિશાન ક્રેડિટ કાર્ડ અને મિશન મંગલમ યોજનામાં ૯૦ ટકાથી વધુ સિધ્‍ધિ ચાલુ વર્ષે પ્રાપ્‍ત થઇ છે.તેવી માહિતી પણ તેમણે આપી હતી.
કલેકટરશ્રીએ ચાલુ વર્ષે થયેલી કામગીરી અંગે સંતોષ વ્‍યકત કરતાં બેન્‍કિંગ ક્ષેત્રને માનવતાપૂર્વક વ્‍યવહાર સાથે  સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે સક્રિય રહેવા હિમાયત કરી હતી અને આગામી વર્ષે પ્રતિમાસ પ્રગતિની સમીક્ષા માટેની વ્‍યવસ્‍થા ગોઠવવા સૂચવ્‍યુ હતુ.
આ મીટીંગમાં અધિક નિવાસી કલેકટરશ્રી ચિરાગ ચાવડા, દેનાબેંકના ડી.જી.એલ.શ્રી ડી.પી.દાસ,એસ.બી.આઇ.રાજકોટના શ્રી મુથુ, બેંક ઓફ બરોડા રાજકોટના ચીફ મેનેજરશ્રી યાદવ, વિવિધ બેન્‍કોના મેનેજરશ્રીઓ, સંકલન અધિકારશ્રીઓ તથા સમિતિના સભ્‍યો ઉ૫સ્‍થિત રહ્યા હતા.

મહિલા સંમેલનઃ મહિલા સંગઠનો સાથે બેઠક યોજાઇ
પોરબંદર 
. આગામી તા. ૩૧ મી માર્ચે યોજાનાર મહિલા સંમેલન અંગે મહિલા આગેવાનો તથા સંસ્‍થાઓ સાથે એક બેઠક જિલ્‍લા વિકાસ અધીકારીશ્રી કે.બી.ભટ્ટ ના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇ હતી.જેમાં શ્રી ભટ્ટે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
જિલ્‍લા આંકડા અધિકારી અને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ગંભીરે આ કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ, કન્‍યા કેળવણીના લાભાર્થીઓ તથા ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને  અપાનારા પુરસ્‍કારો તથા એવોર્ડ વિશે જાણકારી આપી હતી.
આ બેઠકમાં ઉપસ્‍થિત મહિલા સંસ્‍થાઓના પદાધિકારીઓ તથા અગ્રણીઓએ  આ સંમેલનમાં સક્રિય યોગદાન આપવાની તત્‍પરતા દાખવી હતી. આ બેઠકમાં મહિલા અગ્રણીશ્રી રાણીબેન કેશવાળા, જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી આશાબેન ઓડેદરા, ડો.ચેતનાબેન તિવારી, ડો.સુરેખાબેન શાહ, સાહેલી ટ્રસ્‍ટના નિતાબેન વોરા સહિતના મહિલા અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
મહિલા સ્‍કોલરશીપ કાર્યક્રમ હવે આરડીમાં યોજાશે
ભુજ, 
આગામી ૩૧મીએ યોજાનાર મહિલા સ્‍કોલર કાર્યક્રમશીપ કાર્યક્રમ હવે ટાઉનહોલને બદલે તે જ દિવસે બપોરે ૧.૦૦ વાગ્‍યે આરડી વરસાણી કુમાર વિધાલયમાં યોજાશે. વધુ વિગત માટે સિનિયર કોચનો સંપર્ક કરવાનો રહેશે. કચેરીના ફોન નં...૨૫૦૪૧૭ પર માહિતી મેળવી લેવા જણાવાયું છે.
કંડલા ઇન્‍સટોલેશન ખારીરોહર પ્રતિબંધિત વિસ્‍તાર જાહેરઃ
ભુજ, 
રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી એક જાહેરનામઅંતર્ગત ખારીરોહર ભારત પેટ્રો. કોર્પો. લી. ના કંડલા ઇન્‍સટોલેશન, ઓફિશિયયલ સિક્રેટ એકટ હેઠળ પ્રતિબંધ વિસ્‍તાર જાહેર કરવામાં આવ્‍યો છે.

રમતગમત ક્ષેત્રે રાષ્‍ટ્રિય એવોર્ડ
ભુજ, 
રમતગમત ક્ષેત્રે રાષ્‍ટ્રિય કે આંતર રાષ્‍ટ્રિય સિધ્‍ધિ મેળવી હોય તેવા નામાંકિત ખેલાડીઓને અર્જુન એવોર્ડ તથા રાજીવ ગાંધી એવોર્ડ તેમજ રમતગમત ક્ષેત્રે કોચ તરીકે સેવા આપેલી હોય તેવી વ્‍યકિતઓને દ્રોણાચાર્ય એવોર્ડ અને સ્‍પોર્ટસ પર્સન તરીકે જેમણે રાષ્‍ટ્ર કક્ષાએ સેવા આપી હોય તેવી વ્‍યકિતને ધ્‍યાનચંદ એવોર્ડ ફોર લાઇફ ટાઇમ એચિવમેન્‍ટ ઇન સ્‍પોર્ટસ એન્‍ડ ગેઇમ-૨૦૧૨નો એવોર્ડ આપવાની યોજના અમલમા છે. આ એવોર્ડ માટે યોગ્‍યતા ધરાવતા કચ્‍છ જિલ્‍લાના વ્‍યકિઓએ દિન ૨ માં જિલ્‍લા રમતગમત શિ. કેન્‍દ્ર - ભુજ-૩૦૨,બહુમાળી ભવન- ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી અને સંપુર્ણ ભરીને તા. ૩-૪-૨૦૧૨ સુધીમાં કચેરીને પરત કરવા જણાવાયું છે.

નાસિક ખાતે યુનિટ હેડકવાર્ટર કવોટામાં ભરતી
ભુજ,
હેડકવાર્ટર આર્ટીલરી સેન્‍ટર, નાસિક ખાતે તા.૨ થી ૪ એપ્રીલ,૨૦૧૨ સુધી યુનિટ હેડકવાર્ટર કવોટામાં સોલ્‍જર જનરલ ડયુટી, ટેકનીકલ અને ટ્રેડસમેનની ભરતી માટે ભરતીમેળો યોજાશે. યુનિટ કવોટામાં પોતાના સંતાનોને ભરતી કરાવવા ઇચ્‍છુક રસ ધરાવનાર આર્ટીલરી રેજીમેન્‍ટ ફરજ બજાવતા કે નિવૃત થયેલા માજી સૈનિકો/સ્‍વ.માજી સૈનિકોના ધર્મ-પત્‍નીઓએ ‘‘હેડકવાર્ટર આર્ટીલરી સેન્‍ટર, નાસિક’’ ખાતે સ્‍કૂલ અને અભ્‍યાસના તથા મુળ નિવાસનું, ચાલ-ચલનનું, સૈનિક સાથેના સંબંધનું તેમજ અન્‍ય અસલ પ્રમાણપત્રો તથા તેની ત્રણ ઝેરોક્ષ નકલ તથા ૨૦ ફોટોગ્રાફસ સાથે સ્‍વખર્ચે હાજર રહેવા તથા વધુ જાણકારી માટે જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરનો સંપર્ક સાધવા જણાવાયું છે.

માજી સૈનિકોને મેડીકલ બેનીફીટ  સ્‍કીમની કપાત રકમ પરત મેળવવાઃ
ભુજ,
માજી સૈનિકો તથા તેના આશ્રિતોને આપવામાં આવતી મેડીકલ સારવાર તા. ૧/૪/૨૦૦૬થી આર્મી મેડીકલ ગ્રુપ ઇન્‍સ્‍યોરેન્‍સ ફંડ દ્વારા બંધ જાહેર કરવામાં આવી છે. આથી તા. ૧/૪/૨૦૦૩ પછી પેન્‍શન સાથે નિવૃત થતી વખતે મેડીકલ બેનીફીટ સ્‍કીમ માટે અગાઉ આપેલ ફાળો આર્મી ગ્રુપ ઇન્‍સ્‍યોરેન્‍સ ફંડ પાસેથી પરત મેળવી લેવાનો થાય છે.
ઘણાં માજી સૈનિકોએ આજ દિવસ સુધી કોઇ અરજી કરી નથી તેમણે અગાઉ આપેલ ફાળો પરત મેળવવા માટેની અરજી સાદા કાગળ પર તૈયાર કરી અરજી સાથે મેડીકલ બેનીફીટ સ્‍કીમનું ઓરીજનલ કાર્ડ, બેન્‍ક ખાતાની વિગત, હાલનુ; સરનામું તથા કોન્‍ટેકટ નંબર સાથે આર્મી ગ્રુપ ઇન્‍સ્‍યોરેન્‍ટ ફંડ, નવી દિલ્‍હીને બારોબાર અથવા જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરને મોકલી આપવા  જણાવાયું છે.

જબલપુર ખાતે યુનિટ હેડકવાર્ટર કવોટામાં ભરતી
ભુજ,
હેડકવાર્ટર નં.૧ સિગ્‍નલ ટ્રેનિંગ સેન્‍ટર, જબલપુર ખાતે તા.૧૭ થી ૧૯ એપ્રીલ,૨૦૧૨ સુધી યુનિટ હેડકવાર્ટર કવોટામાં સોલ્‍જર જનરલ ડયુટી, ટેકનીકલ અને ટ્રેડસમેનની ભરતી માટે ભરતીમેળો યોજાશે. યુનિટ કવોટામાં પોતાના સંતાનોને ભરતી કરાવવા ઇચ્‍છુક રસ ધરાવનાર સિગ્‍નલ કોર રેજીમેન્‍ટમાં ફરજ બજાવતા કે નિવૃત થયેલા માજી સૈનિકો/સ્‍વ.માજી સૈનિકોના ધર્મ-પત્‍નીઓએ ‘‘હેડકવાર્ટર નંબર ૧ સિગ્‍નલ ટ્રેનિંગ સેન્‍ટર, જબલપુર ખાતે નમૂના મુજબનું સોગંદનામું, ચાલ-ચલનનું પ્રમાણપત્ર, અભ્‍યાસના પ્રમાણપત્રો તથા મુળ નિવાસનું, સૈનિક સાથેના સંબંધનું તેમજ અન્‍ય અસલ પ્રમાણપત્રો તથા તેની ત્રણ ઝેરોક્ષ નકલ તથા ૨૦ ફોટોગ્રાફસ સાથે સ્‍વખર્ચે હાજર રહેવા તથા વધુ જાણકારી માટે જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરનો સંપર્ક સાધવા જણાવાયું છે.

ધોરડો રૂરલ રિસોર્ટ (ભૂંગા) ‘‘ગ્રામ્‍ય પ્રવાસન’’નું સફળ મોડેલ
રાજય સ્‍તરે ‘‘સ્‍વર્ણિમ સ્‍વાન્‍ત સુખાય’’ પ્રોજેકટ હેઠળ પસંદગીઃ
જિલ્‍લા કલેકટર અને જિલ્‍લા આયોજન અધિકારીને ૨૫-૨૫ હજારનું ઈનામ જાહેર
કચ્‍છ જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા લોકો માટેની સેવાઓની વ્‍યવસ્‍થાને કાર્યક્ષમ બનાવવા તથા સ્‍થાનિક ગ્રામ સંસ્‍કૃતિને અનુરૂપ લોકોને પ્રવાસન દ્વારા રોજગારી મળે તે તૈયાર કરાયેલા રૂરલ રિસોર્ટ (ભૂંગા)ના પ્રોજેકટની રાજય સરકાર દ્વારા ‘‘ગ્રામ્‍ય પ્રવાસન’’ મોડેલ તરીકેની પસંદગી થઇ છે. સ્‍વર્ણિમ સ્‍વાન્‍ત સુખાય પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલા આ પ્રોજેકટના સૂત્રધાર જિલ્‍લા કલેકટર એમ.થેન્‍નારસન અને જિલ્‍લા આયોજન અધિકારી બી.જે.ઠકકરને ૨૫-૨૫ હજારનું ઈનામ પ્રાપ્‍ત થયું છે.
કચ્‍છમાં સરહદ વિસ્‍તાર વિકાસ કાર્યક્રમ હેઠળ ધોરડો મુકામે સ્‍થાનિક સંસ્‍કૃતિને અનુરૂપ પરંપરાગત ભૂંગાઓ બનાવાયા છે. જેનું કામ ગ્રામજનોએ જાત જ કર્યુ અને સંચાલન પણ ગ્રામજનોએ જ કર્યુ હોવાથી સફળ મોડેલ તરીકેની પસંદગી થઇ છે અને આ રૂરલ રિસોર્ટ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની ગયા છે. ૨૦/૧૨/૨૦૧૦માં મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેનું વિધિવત ઉદઘાટન કર્યા બાદ પ્રથમ ત્રણ માસમાં ૭૧૫ પ્રવાસીઓ રોકાયા હતા અને ૮.૭૦ લાખની આવક થઇ હતી. જયારે બીજા વર્ષે ૧૩૧૧ પ્રવાસીઓ આવ્‍યા અને ૨૫ લાખની આવક થઇ હતી.
આ ગ્રામ પ્રવાસન ભૂંગા દ્વારા થયેલી અને થનાર આવકમાંથી જે કોઇ પણ નફો થશે તેમાંથી ગામ અને પ્રવાસનનો વિકાસ કરાશે.
ધોરડો સફેદ રણમાં પ્રવેશતાં જ ડાબી બાજુએ તૈયાર કરવામાં આવેલ આ રિસોર્ટ બનવાથી સ્‍થાનિક ૫૫ કારીગર કુટુંબોનો રોજગારી મળી છે. દેશ-વિદેશમાંથી આવતા પર્યટકો ગામડાની પરિસ્‍થિતિ મુજબ ભૂંગા આવાસોમાં રહેવાનું પસંદ કરતા હોય છે જે તેમને આ સ્‍થળે મળતાં પ્રવાસીઓને મનગમતું પ્રાપ્‍ત થઇ રહયું છે. ગેટ વે ટુ રણ રિસોર્ટ ગ્રામ પંચાયત રચિત ગ્રામ સમિતિ દ્વારા સંચાલન થાય છે. સ્‍થાનિક કારીગરોને પ્રોત્‍સાહન મળ્યું છે. તેમના મડવર્ક, લાકડાકામ, કળાઓ વિગેરેનો પ્રચાર થયો અને લૂપ્‍ત થતી આ કળાને જીવનદાન મળ્યું છે. વધુમાં સરહદની સુરક્ષામાં વધારો થશે.
આ રિસોર્ટ બન્‍યા પછી સુપ્રિમ કોર્ટના ન્‍યાયાધિશશ્રીઓ, કેન્‍દ્રિય આયોજન પંચના વરિષ્‍ઠ સભ્‍યો, મેમ્‍બર્સ સેક્રેટરી, પૂર્વ ચૂંટણી કમિશનર, રાજય સરકારના મંત્રીમંડળના વરિષ્‍ઠ મંત્રીશ્રીઓ, ઊચ્‍ચ અધિકારીઓ, તેમજ કેન્‍દ્ર સરકારના મહાનુભાવો અહીં રોકાઇ ગ્રામ સંસ્‍કૃતિને માણી હતી.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, રાજય સરકારની વર્તમાન યોજના હેઠળ લોકોની સુખાકારી વધે અને લોકભાગીદારીથી હાથ ધરાય વિશિષ્‍ટ પ્રોજેકટ હાથ ધરવા રાજય સરકારે સૂચના આપતા ધોરડો ખાતે જિલ્‍લા વહીવટી તંત્રે આ પ્રોજેકટ બનાવ્‍યો જેને કચ્‍છ સહિત રાજય, દેશ અને વિદેશમાં પર્યટકોએ વધાવી લેતા ગ્રામ્‍ય પ્રવાસનનું સફળ મોડેલ બન્‍યું છે અને રાજય સરકારે ઈનામ જાહેર કર્યુ છે.
સીદીક કેવર.....

ટિપ્પણીઓ નથી: