અનુયાયીઓ

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

યુરીનલથી રોડ સાંકડો થઇ જતા રોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા, તંત્ર જાણે છે, પણ જાગતું નથી !! 
જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો 
સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

જેતપુર તા.14
જેતપુરના સ્ટેન્ડ ચોકથી ભીડભંજન મહાદેવ તરફ જવાના રસ્તા પર ઉભી કારાયેલ એક યુરીનલથી સાંકડા  બની ગયેલ આ રોડ પર સર્જાતી રોજની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો સહિતના શહેરીજનો ત્રાસી ગયા છે. 
મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાંથી પસાર થતા શ્રી ભીડભંજન મહાદેવ રોડ પર તંત્રે થોડા વર્ષો પહેલા એક પે એન્ડ યુઝ ટોઇલેટ-યુરીનલ ઉભી કરી છે. યુરીનલ ઉભી થતા આ રોડ સાંકડો થઇ ગયો છે.
આ યુરીનલની આજુબાજુ શાળાઓ, બેંકો આવેલી હોય, શાળા છુટતા અહી વિદ્યાર્થી ભાઈ બહેનોનો આવન જાવનમાં ઘસારો રહેતો હોય, આ સમયે નીકળતા વાહનચાલકો મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે ભીડભંજન રોડ પરની આ યુરીનલ રોજ દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામ જેવી સ્થિતિ પેદા કરતી હોવાની વાત ખુદ પાલિકા તંત્ર જાણતું હોવા છતાં તંત્ર પ્રજાની ફરિયાદની તંત્ર રાહ જોતું હોય તેવો તાલ સર્જાયો છે. એટલુજ નહિ આ જાહેર શૌચાલય પાસે સવારથી સાંજ સુધી બેસુમાર ગંદકીયુક્ત ઉકરડાના થર જામી રહ્યા હોય, અહીંથી પસાર થતી પ્રજા, રાહદારીઓ કોઈ રોગચાળાનો ભોગ નાં બને તે વાતની દહેશત સેવાઈ રહી છે.
બીજી બાજુ પાલિકા તંત્રની સંબંધિત શાખા સુત્રો જણાવે છે કે આ માટે ખરેખર ટ્રાફિક સમસ્યારૂપ યુરીનલ છે કે નહિ ? તે અંગેના સ્થાનિક પોલીસના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે. પોલીસનો ટ્રાફિક સમસ્યા પરત્વેનો સમર્થન આપતો અભિપ્રાય મળશે તો આ મુતરડી દુર કરાશે.

બોક્સ: ભારે વાહન પ્રતિબંધ જાહેરનામાનો બેરોકટોક ભંગ 
જેતપુર : ભીડભંજન રોડ પર મુતરડીએ ટ્રાફિક સમસ્યા ખડી કરી હોવાની વાતને એક બાજુએ રાખીને વાત કરીએ તો પહેલેથી જ સાંકડા આ રોડ પર એટલેકે શહેરના સ્ટેન્ડચોકથી બોખલા દરવાજા સુધીના આ રોડ પર બેંકો, શાળાઓ અને વ્યાપારીઓની ભારે અવર જવરને ધ્યાને લઈને રાજકોટ જીલ્લા કલેકટરે વર્ષો પહેલા આ રોડ પર આવન કે જાવન માટે ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવ્યું છે. પણ આ જાહેરનામાનો અમલ કરાવવા જેઓની જવાબદારી થાય છે તેઓ પણ ચુપ હોય ઘટતું થાય તેવું જેતપુરના પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
                                                          ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


જેતપુર કોંગ્રેસના માઈનોરીટી વિભાગમાં ચેરમેન નિમાયા

જેતપુર કોંગ્રેસના માઈનોરીટી 
વિભાગમાં ચેરમેન નિમાયા 
જેતપુર તા.4
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજકોટ માઈનોરીટી સેલના ચેરમેન આરીફ નાથાણીએ નવાગઢ(જેતપુર)ના ફારૂકભાઈ ઇકબાલભાઈ મોદનને જેતપુર કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન તરીકે નિમણુક આપી છે. નવાગઢમાં લોકપ્રશ્નો ઉપરાંત મુસ્લિમ સમાજના નાના મોટા સેવાકીય કામોમાં સદાય રત રહેતા ફારૂકભાઈની નિમણુકને શહેર કોંગ્રેસ પ્રમુખ નીલેશ પંડ્યા, રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ જગદીશ પાંભર, યુથ કોંગ્રેસ પ્રમુખ ફિરોજ ખેભર, મહિલા અગ્રણી સહેનાઝબેન બાબી વિગેરેએ આવકારી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક 
માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુર તા.14
જેતપુરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થઇ ના હોય આ વિસ્તારની પ્રજા વતી માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પાલિકા તંત્ર કિન્નાખોરી દાખવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકા પ્રમુખ પદેથી મુદ્દત પૂરી થતા પાલિકા સદસ્ય બની ગયેલા રમાબેને આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી હતી શહેરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થતી ના હોય અને ગંદકીના ખડકાયેલા ગંજથી ભયંકર રોગચાળો ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહે છે.
તેઓ કહે છે કે નવા પાલિકા પ્રમુખ જાણી જોઇને રાજકીય કિન્નાખોરી દાખવી રહ્યા છે. અને એટલેજ ગોંદરા વિસ્તારમાં હાર્વે ઘાટ વિસ્તારમાં ગંદકીયુક્ત ઉકરડા ખદબદી રહ્યા છે. પરિણામે અમુક શહેરોમાં પુનઃ પગ પેસારો કરનાર ડેન્ગ્યું રોગનો અજગર ભરડો લેવાય તેવી લત્તાવાસીઓમાં દહેશત ફેલાઈ છે.
આ સિવાય ખીરસરા રોડ પર પણ ગંદકી એ માઝા મૂકી હોવાની પ્રજા  ફરિયાદો ઉઠી છે. જેતપુર પાલિકાના માજી પ્રમુખ રમાબેને ખુલ્લો આક્ષેપ કરતા  જણાવેલ જ્યારથી તેઓ પ્રમુખ પદેથી ઉતર્યા છે ત્યારથી તેઓના વિસ્તારમાં વિકાસના કામો પર બ્રેક મરાવીને સંબંધિતો તેમને હેરાન પરેશાન કરે છે. ત્યારે સંબંધિતો આવું ઓરમાયું વર્તન અને રાજકીય કિન્નાખોરી રાખવાનું બંધ કરાય તેવી મહિલા સદસ્ય રમાબેને માંગ કરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન

જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન 
વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન 
જેતપુર તા.14
છેલ્લા 40 દિવસ થયા જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ઉજવાતા આવતા ચાલીસમો ઉત્સવની આજે ધામધુમથી પુર્ણાહુતી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કઢાઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ મહિના પહેલા 10 દિવસથી શરુ થઈને સતત 40 દિવસ થયા શહેરના સિંધી સમાજ દ્વારા અહીના લાદી રોડ અને નાના ચોક ખાતે આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ઉજવાતા આવતા 40મો ઉત્સવની આજે પુર્ણાહુતી નિમિત્તે ઝૂલેલાલ ભગવાનના ફ્લોટ સાથે સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો તેમજ મહિલા વર્ગે ધૂન-કીર્તન કરતા કરતા 13 મી વિશાળ શોભાયાત્રા મંદિરેથી યોજી હતી. જે શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં જેતપુર નગર પાલિકાના દંડક અશોક મંગલાણી સહિતના નાના મોટા આગેવાનો જોડાયા હતા.પત્રકાર દિલીપભાઈ તનવાણીના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રાનું અહીની ભાદર નદીમાં વિસર્જન કરાયા બાદ મંદિર ખાતે 40 દિવસ થયા વ્રત કરતા બેહેનો અને ઉત્સાહી યુવા સેવા મંડળના કાર્યકરો સામુહિક પ્રસાદ લીધો હતો.
                                                                                                                               ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
----------------------------------------


શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

જીવતા યુવાનનને અગ્નિદાહ અપાતો હોવાની અફવાથી પોલીસ-તબીબે કાળી રાત્રીએ ફરજ બજાવી સ્મશાનમાં!!


મશ્કરીની પણ હદ હોય છે દોસ્તો, અહિં જીવતાની તો ઠીક, લાશોની'ય મશ્કરી થાય છે દોસ્તો !
જીવતા યુવાનનને અગ્નિદાહ અપાતો હોવાની અફવાથી 
પોલીસ-તબીબે કાળી રાત્રીએ ફરજ  બજાવી સ્મશાનમાં!!
જેતપુરમાં મજાકની હદે ચરમસીમા વટાવતા સરકારી તંત્રોને થવું પડ્યું રાત આખી હેરાન !! શહેરમાં આવી ત્રીજી-ચોથી 
ઘટના બન્યાની ચર્ચા ?!પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હોત તો નશાખોર ટીખળીઓનો નશો ઉતરી ગયો હોત !!

જેતપુર તા.11
જેતપુરના સ્મશાનઘટમાં ગત મધ્ય રાત્રીના એક જીવિત યુવાનને અગ્નિદાહ અપાઈ રહ્યાની અફવારૂપ વાત પોલીસ થાણે પહોચી જતા ફોજદાર સંઘાણી સરકારી તબીબ ડો.ગજેરાને લઈને મારતે ઘોડે અંતિમધામેં પહોંચ્યા હતા, પણ અંતે આ વાત મશ્કરીરૂપ સાબિત થતા દોધામમાં પડેલા સરકારી તંત્રોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

મળતી વિગતો મુજબ જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારના દેવેન્દ્ર પ્રકાશભાઈ ભોજપરા(શ્રાવણ) ઉ.વ. 21 લાંબા સમય થયા શારીરિક બીમારીથી પીડાતો હોય, ગુરુવારના રોજ સ્થાનિક ડો.કોટડીયાના દવાખાનેથી દેવેન્દ્રને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે ખસેડ્યો હતો.

જ્યાં સારવાર દરીમીયાન દેવેન્દ્રનું મોત થતા તેમની ડેડબોડી જેતપુર તેમના ઘરે લવાઈ હતી. દરમિયાન પરિવારજનોએ દેવેન્દ્રને અંતિમ વિદાય આપી પરિવારજનોએ ડાઘુઓને સોંપતા રાત્રીના 11 વાગ્યાની આસપાસ ડાઘુઓની અંતિમ યાત્રા શહેરના મુખ્ય સ્મશાન ઘાટે પહોચી હતી. અહી અંતિમ વિસામો લેવડાવી ડાધુઓએ દેવેન્દ્રનો મૃતદેહ અંત્યેષ્ટિ માટેના ખાટલા ઉપર રાખી સરપણ(લાકડા) ગોઠવતા હતા ત્યારે દેવેન્દ્રના મિત્ર રાજુ રામજી સરવૈયાને એવો ભાસ થયો હતો કે મૃતક દેવેન્દ્રે તેમનો હાથ પકડ્યો !!

બસ, રાજુને આવો અહેસાસ થયો હોય કે મશ્કરીએ ચડ્યો હોય, જે હોય તે, તેમને પોલીસ તેમજ અન્ય ત્યાં ઉપસ્થિત ડાઘુઓને વાત કરતા આ વાત વાયુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. એક તબક્કે જેતપુર વાસીઓ સુવાને બદલે રાતના 12 વાગ્યે એકમેક સાથે વાતો કરતા થઇ ગયા હતા કે ''હે લાશ જીવતી થઇ ? લાશે હાથ પકડ્યો ? જીવતા યુવાનને સળગાવાયો ?  શહેરીજનોના આવા અચરજ ભરેલા સવાલો વચ્ચે શહેર પોલીસના ફોજદાર સંઘાણી સિવિલ હોસ્પીટલના મેડીકલ ઓફિસર એમ.કે.ગજેરાને લઈને સ્મશાન ઘાટ પહોચી ગયા હતા.

બોક્સ: ઓહ..દેવેન્દ્ર ડાઈડ બીફોર  3-4 અવર્સ, આઈ એમ સોરી : ડો. ગજેરા
જેતપુર : માત્ર ને માત્ર મશ્કરીરૂપ બનેલી નશાખોર તત્વોના ભેજાની ઉપજ સમાન ઘટનાથી પોલીસની સુપેરે ફરજ વચ્ચે ડો. ગજેરાએ પોતાનું તબીબી સાધન એવું સ્ટેથોસ્કોપ  મૃત દેવેન્દ્રના શરીર પર ફેરવી, રહ્દયના બંધ ધબકારા અનુભવી ઉપસ્થિત પોલીસ, મૃતકના સ્વજનો અને ડાઘુઓની હાજરીમાં જાહેર કર્યું હતું કે ''ઓહ..આઈ એમ સોરી, પરહેપ્સ..દેવેન્દ્ર ડાઈડ બીફોર 3 ઓર 4 અવર્સ !! દેવેન્દ્રનો મૃતદેહ સંકોચાય ગયો હોય, તેમનું મોત ત્રણ થી ચાર કલાક પહેલાજ થઇ ગયું હોવાનું તારણ ડો. ગજેરાએ સૌની વચ્ચે જાહેર કરતા દેવેન્દ્રની અંત્યેષ્ટિ વિધિ આગળ ધપાવીને તેમને અવ્વલ મંઝીલે પહોચાડ્યો હતો ! અત્રે એ નોંધનીય છે જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય જેસુખ ગુજરાતીએ પણ આ ઘટના અંગે અચરજ વ્યક્ત કરી શહેરના અમુક પત્રકારોને સ્મશાને પહોચી જવાની મોડી રાત્રીના વિગતો આપી હતી.

બોક્સ: શહેરમાં આવી ત્રીજી-ચોથી ઘટનાની લોકચર્ચા !
જેતપુર : નાઝાવાળા પરા વિસ્તારના શાંત અને સમજુ લોકોએ સ્મશાનઘાટ પર એવી વાતો જાહેર કરી હતી કે દેવેન્દ્રની આ ઘટના પ્રથમ નથી, ભૂતકાળમાં પણ અમુક નશાખોર તત્વોએ લાશને ચિત્તાની અંગારી અપાય તે પહેલાજ બેઠી થઇ, ઉભી થઇ, હાથ પગ હલાવ્યા જેવી અફવાઓ ફેલાવી સંબંધિત સરકારી તંત્રોને ત્રણ ચાર વાર હેરાન કરાયા કરાયા છે, પોલીસે આ સમયે અંતિમધામમાજ ટીખળીઓની સરભરા કરી હોત તો ભવિષ્યમાં આવી મશ્કરી થતા અટકાવી શકાય પણ અત્યારે એક શાયરની વાત યાદ આવી ગઈ '' મશ્કરીની પણ હદ હોય છે દોસ્તો, અહિં જીવતાની તો ઠીક, લાશોની'ય મશ્કરી કરાય છે''

બોક્સ: મૃતકના પરિવારજનોએ ધાર્યું હોત તો આ ઘટના બનતા રોકી શકાત !!
જેતપુર: સામાન્યતઃ કોઈ પરીવામાં સ્વજનનું અવસાન/મોત થયા પછી મૃતકને તરત અંત્યેષ્ટિ માટે નથી મોકલી દેવાતા, સ્ત્રીનું મોત હોય તો લક્ષ્મીરૂપ ગણી આખી રાત શબને ઘરમાં રખાય છે, તો પુરુષનું મરણ હોય તો સગાવહાલાઓ ભેગા થાય, અંતિમ દર્શન અને પૂજન કરે, પરિવારજનો અંતિમ પાણી પણ મૃતકને પીવડાવતા હોય છે, આવી ક્રિયામાં કલાકો નીકળી જતા હોય છે, જો મૃતકમાં જીવ બચ્યો હોય તો આ બધો ખ્યાલ, અનુભવ મૃતકના ઘરેજ પરિવારજનોને થઇ જતો હોય છે. તેને બદલે કલાકો પછી સ્મશાનમાં કોઈ સબ બેઠું થાય, હાથ પગ હલાવે, ચલાવે એ બધી વાતો સત્યથી વેગળી તે વેગળી જ રહે છે, જેતપુરની આ ઘટનામાં પણ મૃતક દેવેન્દ્રના પરિવારજનોને ધાર્યું હોત તો આ વાતનું ખંડન થઈને અંત્યેષ્ટિ વહેલાસર આટોપી દેવાઈ હોત !!
ફોટો અને સમાચાર :  કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812




AVSAAN NONDH 11-9-2015 - JETPUR KASHYAP JOSHI JETPUR

-------------------અવસાન નોંધ : જેતપુર : 11-92015---------------------------------
જેતપુર:  ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જેસુખલાલ વજેશંકર જાની(જસુઅદા-ઉ.વ.67) તે નીતિનભાઈ જાની(એડી.ડી.કોર્ટ, ધોરાજી) તથા પીયુશભાઇ જાની(આચાર્ય-પીપરટોડા(જામનગર) હાઈસ્કુલ ) ના પિતા તા.10 ના રોજ અવસાન પામેલ છે.
બેસણું તા.12 ને શનિવારે, સાંજે 4 થી 6, બ્રહ્મસમાજની વાડી, ફૂલવાડી, જેતપુર ખાતે રાખેલ છે.
                                          કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર - 9974262812
---------------------------------------------------------------------------------------------


બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015

જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની 
જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની 
ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ
જેતપુર તા.9
પાટીદાર અનામત માંગણી માટે ગુજરાત ભરમાં જેહાદ જગાવનાર યુવા આગેવાન હાર્દિક પટેલે આજે જેતપુરના વીરપુર, પીઠડીયા, અને ખોડલધામની ગુપચાપ લીધેલી મુલાકાતથી જાણકારોમાં અચરજ સાથે અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

વિગતો એવી  મળી હતી કે રાજકોટ થી નીકળીને જસદણ ગયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે જેતપુરના વીરપુર(જલારામ), પીઠડીયા, અને કાગવડ ગામે આવેલ માં ખોડલ ધામની ગુપચાપ મુલાકાત લઈને ધોરાજી તરફ રવાના થયા હતા.

આ નેતાના કાર્યક્રમોની વિગતો માટે આજે જેતપુરના અખબારનવેશો સહીત અનેક સેવાભાવી, સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો રીતસરના ધંધે લાગ્યા હતા. જેતપુરમાં અમુક ખોડલધામ સાથે સંકળાયેલ ખમતીધર આગેવાનોએ પોતાના મોબાઈલ કોલ રીસીવ ના કરીને હાર્દિક પટેલથી સૌને દુર રાખ્યા હતા.

એક એવી પણ ચર્ચા ચાલી હતી કે કોઈ ફિલ્મી અભિનેતા કોઈ પણ શહેરની મુલાકાત હમેંશા ગુપચાપજ લેતા હોય છે, કારણ આવા અભિનેતાઓના આગમનની જાણ પ્રજાને થાય તો માણસોની ભીડ અને લોકોના ટોળાઓને કાબુમાં રાખવા આકરું પડે. આવીજ વાતો આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે સાબિત કરી ચુપકીદી સેવી જેતપુરના ઉપરોક્ત ત્રણ ગામોની મુલાકાત લઈને આંટાફેરા માર્યા હોવાની વાત ટોક ઓફ ધી જેતપુર તાલુકા વિસ્તાર બની છે.

આ લખાય છે ત્યારે એવી લોકચર્ચા પણ સંભાળવા મળી હતી કે હાર્દિક પટેલે જેતપુરના પીઠડીયા ગામે એક પાનની દુકાને સોડા પીધી , કોઈ કહેતું હતું કે નાસ્તો પણ કર્યો હતો, પણ સાચી વાત મળવી મુશ્કેલ બની હતી.

પત્રકારોમાં એક એવી પણ ચર્ચા ચાલી હતી કે  કોઈ અણગમતા પર્શ્નોનો જવાબ નાં આપવા પડે એટલે હાર્દિક પટેલે પોતાની જેતપુરના ઉપરોક્ત ગામોની કે ખોડલધામની મુલાકાત ભેદી રીતે ગુપ્ત રાખી હતી.

દરમિયાન આધારભૂત સુત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આગેવાન અને ધોરાજીના લલિત વસોયા અને હાર્દિક પટેલે સાથે ખોડલધામ ખાતે માથું ટેકવી, દર્શન કરી ખોડલ માં સામે આશીર્વાદ મેળવ્યા હતા કે લાજ રાખજે માં અમારી. પ્રસ્તુત તસ્વીરમાં લલિત વસોયા અને હાર્દિક પટેલ વીરપુરની બજારમાં ઉભેલા દેખાય છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

કોઠાસૂઝ, વેપારની !

કોઠાસૂઝ, વેપારની !
સામાન્યતઃ સ્કુટર જેવા વાહનમાં આગળ જગ્યા હોય કોઈ માલસામાન કે વસ્તુઓ મૂકી સ્કુટર ચાલક માલની હેરાફેરી કે રોજગાર ધંધો કરવા નીકળતા હોવાનું જોવા મળતું આવ્યું છે. બાઈક ચાલકને કોઈ વસ્તુ કે માલ સામાન લઇ જવાનું કહેવામાં આવે એટલે તરત નાકનું ટીંચકુ ચડી જાય..કારણ બાઈકમાં આવો માલ સામાન ક્યાં રાખવો ? બાંધવો ? ઈ પ્રશ્ન ચાલકને કોરી ખાતો હોય છે..અથવાતો આમ કરવામાં ચાલકને ભારે શરમ નડતી હોય છે. પરંતુ પ્રસ્તુત તસ્વીરમાં દેખાતા અને છેક મધ્યપ્રદેશથી જેતપુર પંથકના જેતલસર આવેલા ચાર બાઈક ચાલકોએ કોઈ પણ જાતની શરમ અનુભવ્યા વગર એક એક બાઈકમાં 30-30 પ્લાસ્ટીકની ખુરશી અને 10-10 પ્લાસ્ટીકના ટબ બાઈકમાં એવી સરસ રીતે ગોઠવી પોત પોતાની વેપાર, ધંધા પરત્વેની કોઠાસુઝના દર્શન કરાવ્યા ત્યારે આ બાઈક જોઇને સૌ કોઈ બોલી ઉઠ્યા હતા કે, ''ભાઈ, ભાઈ..ગોઠવણી કરી છે ને કાંઈ બાઈક ઉપર !??''
(ફોટો લાઈન : કશ્યપ જે. જોશી - જેતલસર(જેતપુર) 9974262812

યે...આરામ કા મામલા હૈ !

યે...આરામ કા મામલા હૈ !
માણસ જ ઊંઘણસી હોય તેવું નથી, જીવ માત્ર કુદરતની નિરંતર પ્રક્રિયા એવી ''નીંદર', ઊંઘમાં પડ્યા પછી તેને સજીવ કે નિર્જીવ અવસ્થાનું ભાન થતું નથી. ઘણી વખત માણસ ઊંધમાં બોલતો હોય, ચાલતો હોય પણ તેમને ખબર નથી હોતી ! તેવી જ રીતે એકવાર ઊંઘે ચડ્યા પછી માણસને પણ કઈ ખબર હોતી નથી કે તેને કોણે બોલાવ્યો ? કોણે જગાડ્યો ? તે સુતો હતો ત્યાજ છે કે કોઈએ બીજી જગ્યાએ ફેરવ્યો ? પણ અપવાદરૂપ આ વાતમાં બધા ઊંઘણસી નથી હોતા, પણ પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન એક સ્વાનરાજા એક ભેંસ પર દિનદહાડે મીઠી નીંદર માણી રહ્યાનું જ્યારે કેમેરામાં કેદ થયું ત્યારે સૌને અચરજ એટલે થયું કે બેઠેલી ભેંસ પર ચડીને આરામ ફરમાવનાર સ્વાનરાજા ભેંસ ઉભી થઇ ગઈ હોવા છતાં જાગ્યા ના હોય ''યે...આરામ કા મામલા હૈ ''  ડોન્ટ ડીસ્ટર્બ મી !! જેવી વાત સાબિત કરી ગયા હોઈ તેવું લાગે છે.
(ફોટો લાઈન / સ્ટોરી : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812

અવસાન નોંધ જેતલસર

અવસાન નોંધ  જેતલસર 9-9-2015
અમદાવાદ નિવાસી નેહાબેન(બાવલીબેન-ઉ.વ.51) કે.પંડયા તે સ્વ,અનંતરાય(મનુભાઈ) પુરોહિતના પુત્રી, વિક્રમભાઈ, દીપેનભાઈ,ગૌરાંગભાઈ(જેતલસર જંકશન), રાજેનભાઈ(ગોંડલ)ના બહેન, પી.ટી.પુરોહિત(ગોંડલ), ગીરીશભાઈ, બીપીનભાઈ તથા દિલીપભાઈના ભત્રીજી તા.8 ના રોજ અવસાન પામેલ છે. પિયર પક્ષનું બેસણું તા.11 ને શુક્રવારે, સાંજે 4 થી 6, ''પુરોહિત નિવાસ'', જેતલસર જંકશન ખાતે રાખેલ છે.

કશ્યપ જે.જોશી -

​જેતલસર-જેતપુર-99742 62812

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક તંત્ર ! કશ્યપ જે. જોશી જેતપુર

પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત દિનેશ પટેલની જેતપુરના પીઠડીયા નજીકની 
શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લી.નામની જીનીંગ મિલને સીલ કરતુ દેનાબેંક  તંત્ર !
રૂ.17, 14,19,228-69 જેવી વ્યાજ સહિતની લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેલા દિનેશ પટેલને પડેલી કાનૂની લપડાકથી પાટીદારોમાં ચકચાર 

જેતપુર તા.8  (કશ્યપ જોશી દ્વારા )
જેતપુર તાલુકાના પીઠડીયા ગામના  સર્વે નંબરના પ્લોટમાં આલિશાન જીનીગ મિલ ઉભી કરવા રાજકોટની દેના બેન્કમાંથી લોન લીધા બાદ, લોન ભરપાઈ કરવામાં રીતસરની સંતાકૂકડી રમનાર જસદણના દિનેશ ભગવાનજી બાંભણીયા( પાટીદાર અનામતના પ્રણેતા હાર્દિક પટેલના જીગરી દોસ્ત) અને રાજેશ અમરશીભાઈ પટેલની માલિકીની જીનીંગ મિલને રાજકોટ સ્થિત દેનાબેંક સુત્રોએ જેતપુરના મામલતદારને આજે સાથે રાખી સીલ કરતા સમસ્ત પાટીદાર સમાજમાં ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના પીઠડીયા ગામના રેવન્યુ સર્વે નંબર 364 પૈકીની જીયારત પ્રકારની ખેડવાણ  જમીન હે.2-32-70 ચોમી (એ.5-30) કે જે ''  વસતડી વાળું'' નાં  ઓળખાય છે તે ખેતીની જમીન કે જે રજીસ્ટર વેંચાણ  દસ્તાવેજ  અનુ.નંબર 1041 તા.8-5-2009 થી મેસર્સ શ્રીનાથજી કોટેક્ષ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના  ડાઈરેકટર દિનેશ ભગવાનજી બાંભણીયા અને રાજેશ અમરશી પટેલે ખરીદીને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરાવી શ્રીનાથજી જીનીગ કોટન મિલ ઉભી કરી હતી.

આ પહેલા આ બંને ભાગીદારોએ આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટની જાગનાથ પ્લોટ સ્થિત દેના બેન્કની બ્રાન્ચમાંથી રૂપિયા 15 કરોડની લોન લીધી હતી. પણ મતલબ નિકલ ગયા તો પહેચાનતે નહિ જેવી કહાવત મુજબ સતત બે વર્ષ સુધી આ બંને ભાગીદારોએ લોન ભરભાઈ કરવામાં ગલ્લા તલ્લા કરતા રૂપિયા 15 કરોડમાંથી ચડત વ્યાજ સહીત કુલ રૂપિયા 17, 14,19,228-69 પૈસા જેટલી રકમ થઇ જતા બેંક તંત્રે નોટીસવોર ચાલુ કરી પૈસા ભરી જવા દિનેશ પટેલ અને રાજેશ પટેલને ખુબ ટપાર્યા / ચેતવ્યા હતા.

પણ આ બંને ભાગીદારોમાંના એક ભાગીદાર દિનેશ પટેલ વર્તમાન સમયમાજ પાટીદાર અનામત મુદ્દે હીરો બનેલા હાર્દિક પટેલના જમણા હાથ સમાન મહાલતો હોય બેન્કને કોઈ પણ જવાબ આપતો નહોતો, પણ અંતે કાયદો કાયદાનું કામ કરે તેવી કહેવત સાર્થક કરીને રાજકોટ ની દેના બેન્કના એજીએમ રણવીરસિંહ ચૌહાણે પોતાના ઉપરાંત જેતપુરના મામલતદાર ભોરણીયા, સર્કલ ઓફિસર નીખીલ મેહતા, જેતપુરના ડીવાયએસપી પાટીલ, વીરપુર પોલીસના ફોજદાર જોશી સહિતના કાફલાને લઈને આજે મારતે ઘોડે પીઠડીયા ટોલ પ્લાઝા નજીકની, ઉપરોક્ત બંને ભાગીદારોની શ્રીનાથજી કોટન જીનીંગ મિલને સીલ કરી દેતા સમગ્ર જેતપુર પંથકમાં ચકચાર જાગી હતી.

બોક્સ: ક્યાં ક્યાં પત્રો અન્વયે બેન્ક્સુત્રોએ જીનીંગ મિલને સીલ કરી ???
જેતપુર: રાજકોટ દેના બેંક સુત્રો અને જેતપુરના મામલતદાર કચેરી દ્વારા ઉપરોક્ત બંને ભાગીદારોને ગઈ તા.28-8-2015 ના રોજ પાઠવેલી નોટીસમાં જણાવાયેલી વિગતો મુજબ ધી સીક્યુંરાઈજેશન એન્ડ રિકન્ત્રકશન  ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એકટ 2002 તળે મિલકત (સિક્યોર્ડ એસેટ)નો કબજો લેવા જાહેર કરાયેલ નોટીસમાં જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ ના હુકમ નંબર જેએક્સ -સીક્યું-એકત કેશ નંબર 130/14 તા. 17-3-2015, શ્રી અધિકૃત અધિકારી દેનાબેન રાજકોટ નો અત્રેની કચેરીમાં રજુ થયેલ 25-3-15 ના પત્ર અન્વયે, મીનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ દિલ્હી, તા.8-2-2013 ના પત્ર નંબર 3/1/2011-ડીઆરટી/ રીકવરી વિગેરે સંદર્ભો ટાંકીને લખાયેલી નોટીસની આજે કોટન મિલ સીલ કરીને અમલવારી કરી હતી .

બોક્સ: અનેક બેંક કૌભાંડોમાં સંડોવાયે જતો દિનેશ પટેલ 
હાર્દિક પટેલના અંગત દોસ્ત ગણાતા દિનેશ પટેલને દેના બેંક દ્વારા ડીફોલ્ટર  જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ અગાઉ  પણ દિનેશ પટેલ પર જેતપુરના  વીરપુરમાં ૫૭ લાખની છેતરપિંડી અને અમરેલીમાં એક કરોડ ૨૦ લાખની છેતરપીંડીની અરજીરૂપ ફરિયાદો પણ થઇ છે..ત્યારે હવે દેના બેંકનું આ ત્રીજું પ્રકરણ સામે આવતા સૌરાષ્ટ્રભરમાં  ખળભળાટ મચી ગયો છે..ત્યારે આગામી સમયમાં આ તમામ મામલે શું કાર્યવાહી થશે ? તે સમયજ બતાવશે।.
કશ્યપ  જે.જોશી જેતપુર જેતલસર 99742 62812


સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ

જેતપુરમાં ધૂમ મચાવતા મનોરંજક લોકમેળાનો આજે છેલ્લો દિવસ
જેતપુર તા.7
છેલ્લા ચાર દિવસ થયા જેતપુરના જીમખાના મેદાનમાં ચાલતા લાયન્સ કલબ જેતપુર આયોજિત મનોરંજક લોકમેળાનો આજે તા.8 છેલ્લો દિવસ છે. લોકમેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સહિતની સંસ્થાઓ દ્વારા રજુ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોથી મેળાપ્રિય જનતા મોડીરાત્રી સુધી મેળાના મેદાનમાંથી નીકળવાનું નામ લેતી નથી. જેતપુર શહેર ઉપરાંત તાલુકાના 52 ગામોની મનોરંજન પ્રિય જનતાનો માનવ મહેરામણ મેળામાં જોવા મળી રહ્યો છે. પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત બતાવી પ્રજાની સલામતીની બખૂબી દેખરેખ રાખી છે. સ્ટોલ સંચાલકો પાસેથી અવનવા રમકડા માટે રંગીન જનતામાં પડાપડી થઇ રહી છે. અમુક જગ્યાએ ફજર અને ચકરડીઓના સંચાલકોએ બેફામ પૈસા વસુલ્યાની ફરિયાદો ઉભી થઇ હતી પણ અંતે પેટ માટે સૌ કમાવા અહી આવ્યા હોવાની લાગણીઓ પણ વ્યક્ત થતી સાંભળવા મળી છે. મેળાનું આયોજન કરનાર સંસ્થા લાયન્સ ક્લબ આ વર્ષના મેળાની આવકમાંથી પશુ દવાખાનામાં પશુઓની સોનોગ્રાફી માટેનું મશીન ખરીદનાર છે. ઉપરાંત વર્ષ દરમિયાન ગરીબોને ટ્રાઈસિકલ, સિલાઈ મશીનો, નાની મોટી ચીજ વસ્તુઓની સેવાઓ તેમજ અનેકવિધ રોગોના સારવાર  કેમ્પો, પશુ સારવાર અને ઓપરેશન કેમ્પોના સતત આયોજન કરતી હોવાનું લાયન પ્રમુખ અતુલ પટેલે જણાવ્યું હતું. 

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર