અનુયાયીઓ

શનિવાર, 11 જૂન, 2011

"યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.--- મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા

બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે રૂ. ૩ કરોડના ખર્ચથી ઔધોગિક તાલીમ સંસ્થાનું ભવ્ય બિલ્ડીંગ બનશે. આ બિલ્ડીંગના ભૂમિ પૂજનનો કાર્યક્રમ સામાજીક ન્યાય અને અધિકારીતા તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાને અને વરદ્હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે,યુવા ધનના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકાર મક્કમ રીતે સંકલ્પબધ્ધ અને સક્રિય છે.તેમણે કહ્યું કે,શિક્ષિત અને રોજગારી મેળવતા યુવાધનને લીધે ઝડપથી સુખમય સમાજનું નિર્માણ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમગ્ર રાજયમાં વિવિધ પ્રકારના શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.મંત્રી શ્રી વાઘેલાએ જણાવ્યું કે, કુશળ નેતૃત્વ ધરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અજોડ અને વિક્રમજનક સર્વાગી વિકાસ થયો છે. રાજયમાં વિશાળ પાયે ઉધોગો સ્થપાઇ રહ્યાં છે, સમગ્ર વિશ્વના ઉધોગપતિઓ ગુજરાતમાં મુડી રોકાણ માટે આતુર બન્યા છે ત્યારે ગુજરાતના યુવાધનને રોજગારી માટે સુવર્ણ અવસર પ્રાપ્‍ત થઇ રહ્યો છે ત્યારે બાળકોને સારુ ટેકનિકલ શિક્ષણ અપાવીએ. મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું કે,યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.તેમણે કહ્યું કે,ગ્રામ્ય કક્ષાએ સારા અને કુશળ કારીગરો તૈયાર થાય તે બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રી વાઘેલાએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના ઝડપી અને સર્વાગી વિકાસ માટે રાજય સરકારશ્રી ધ્વારા અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવે છે. પરિણામે લોકોની શહેરીકરણ તરફની દોટ પડતી મુકાઇ છે.તેમજ ગામડા સુવિધાભર્યા અને સમૃધ્ધ બન્યા છે. મંત્રીશ્રીએ કહ્યું કે,જ્ઞાન અને વિકાસના આ યુગમાં બાળકને કાળજીપૂર્વક તેની આવડત પ્રમાણે ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. શ્રી વાઘેલાએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે તેનો લાભ લઇને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરીએ.
ઉલ્લેખનીય છે કે,વડગામ ખાતે ઓગસ્ટ-૨૦૦૮ થી ઔધોગિક તાલીમ સંસ્થા કાર્યરત છે. હાલમાં સંસ્થા ખાતે ૪ વ્યવસાય કાર્યરત છે જેની આઠ બેચમાં કુલ-૧૦૨ તાલીમાર્થી ભાઇ બહેનો તાલીમ લઇ રહ્યાં છે. વિશાળ સંકુલમાં અધતન સુવિધાસભર બિલ્ડીંગ બનતા વધુ તાલીમાર્થી ભાઇ બહેનોને લાભ મળશે.
આ પ્રસંગે અગ્રણીઓ સર્વ શ્રી એન.ટી.રાઠોડ, શ્રીમતી રમીલાબેન આસેડીયા, શ્રી ચિમનલાલ સોલંકી, શ્રી પ્રવિણસિંહ રાણા,શ્રી દુધાભાઇ પરમાર, આઇએમસી ચેરમેન શ્રી અલીઅસગર મુસા, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ,તાલીમ સંસ્થાઓના આચાર્યશ્રીઓ,તાલીમાર્થી ભાઇ બહેનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી: