અનુયાયીઓ

શનિવાર, 11 જૂન, 2011

મુખ્‍યમંત્રીશ્રીનો આક્રોશ મુંબઇ ર6/11ના આતંકવાદી હુમલાના પકડાયેલા આરોપી રાણાને અમેરિકાની શિકાગો અદાલતમાં દોષમૂકત કરવાની ઘટનામાં કોણે પેંતરો રચ્‍યો? અમ

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મુંબઇ ઉપરના ર6/11ના આતંકવાદી ઘટનામાં પકડાયેલા આતંકવાદી-રાણાને અમેરિકાની શિકાગો ન્‍યાય અદાલતમાં કેસ ચલાવવા અને દોષમૂકત કરવાની પાછળ અતિગંભીર પેંતરો હોવાનો સ્‍પષ્‍ટ નિર્દેશ કર્યો છે અને વેધક સવાલો ઉઠાવ્‍યા છે કે મુંબઇની આતંકવાદી હિંસાના દોષિતોને અમેરિકાની અદાલત નિર્દોષ ઠરાવવાની હિંમત કઇ રીતે કરી શકે? કયા આધાર ઉપર કોણે તપાસ કરીને? આમા કોની કઇ ભૂમિકા છે?
હિન્‍દુસ્‍તાનના મુંબઇમાં ર6/11ની આતંકવાદી હિંસામાં પાકિસ્‍તાનની સાઝિશ તો પૂરવાર થઇ ચૂકી છે અને છતાં આતંકવાદીઓને આશ્રય દેનારા પાકિસ્‍તાનને અમેરિકા છાવરી રહ્યું છે તે પણ જગજાહેર છે ત્‍યારે અમેરિકા અને પાકિસ્‍તાનની સાંઠગાંઠનો આ પેંતરો રચાયો છે એવો સ્‍પષ્‍ટપણે આક્ષેપ મુખ્‍યમંત્રીશ્રીએ કર્યો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભારત સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવતા જણાવ્‍યું કે આપણા દેશના વડાપ્રધાનશ્રી તો અમેરિકાના મિત્ર ગણાય છે ત્‍યારે મુંબઇ આતંકવાદના દોષીને અમેરિકાની શિકાગો અદાલતમાં કેસ ચલાવીને મૂકત કરવાની કાર્યવાહી અંગે તેઓએ દેશને જવાબ આપવો રહ્યો. ભારત સરકાર તત્‍કાળ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્‍યકત કરે તેવી માંગ કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે અમેરિકાનું પાકિસ્‍તાન તરફી જે વલણ છે તેની સામે કેન્‍દ્ર સરકારે અને વડાપ્રધાને વિરોધ કરવો જ રહ્યો સમયની માંગ એ પણ છે કે ભારત સરકારે મક્કમતાપૂર્વક નિર્ણય કરવો જ પડશે. અન્‍યથા હિન્‍દુસ્‍તાનમાં આતંક-હિંસા ગતિવિધિ કરનારા આતંકવાદીઓ એવી જ પેરવી કરશે કે તેમના કેસો અમેરિકાની અદાલતો ચાલવે અને અમાનુષી આતંકવાદી હિંસા આચર્યા પછી પણ નિર્દોષ છૂટી જાય.-શું ભારત સરકાર આતંકવાદનો ભોગ બનેલા હિન્‍દુસ્‍તાનના નિર્દોષ નાગરિકોને ન્‍યાયના અધિકારથી વંચિત રાખવા માંગે છે? હિન્‍દુસ્‍તાનની ન્‍યાયપ્રણાલી ઉપર વિશ્વાસ નથી?
મુખ્‍યમંત્રીશ્રીએ આક્રોશપૂર્વક એવા વેધક સવાલો પણ ઉઠાવ્‍યા છે કે શું અમેરિકા તેના 9/11 આતંકવાદી હુમલાના દોષિતોને હિન્‍દુસ્‍તાનની અદાલતમાં કેસ ચલાવવા પરવાનગી આપશે? શું ભારતનું ન્‍યાયતંત્ર અમેરિકાના 9/11ના આતંકવાદી હુમલાની ઘટના અંગે કોઇ ફેંસલો આપી શકે? સમગ્ર વિશ્વની ન્‍યાય-પ્રણાલી સમક્ષ આ ઘટનાએ ગંભીર પ્રશ્નો ખડા કર્યા છે અને આતંકવાદ સામે લડનારી હરેક શકિત અને સરકારની સામે પણ સવાલ ખડાં કર્યા છે.
એકબાજુ હિન્‍દુસ્‍તાન આતંકવાદીઓને પકડીને તેની સામે દેશની ન્‍યાયપ્રણાલી અનુસાર ન્‍યાયિક કાર્યવાહી કરે છે, ત્‍યારે હિન્‍દુસ્‍તાનમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાના ભારતે જ પકડેલા આતંકવાદીઓને અમેરિકાની કોર્ટમાં કેસ ચલાવીને છોડી મૂકવામાં આવે તે ઘટના ભારત કઇ રીતે સાંખી લેશે? આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ પીડિતો પ્રત્‍યે આ ઘોર અન્‍યાય નથી?
આના પરિણામે તો સમગ્ર ન્‍યાયતંત્ર, આંતરરાષ્‍ટ્રીય સંબંધો સંદર્ભમાં પણ ગંભીર સંકટ પેદા થશે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ ભારત સરકાર દેશની જનતા સમક્ષ આ સંદર્ભમાં સ્‍પષ્‍ટ વલણની પ્રતિક્રિયા તત્‍કાલ આપે એવી માંગણી કરી છે.

ટિપ્પણીઓ નથી: