અનુયાયીઓ

શનિવાર, 29 ડિસેમ્બર, 2018

બોગસ બિલિંગ કૌભાંડ અંતર્ગત ગોંડલમાં છ વેપારી પેઢી પર જીએસટી વિભાગના દરોડા


ગોંડલમાં બોગસ બિલિંગ કૌભાંડનું ભૂત ઘણા મહિનાઓથી ધૂણી રહ્યું છે. એ અન્વયે તપાસ આગળ હાથ ધરતા એસજીએસટી વિભાગે ગોંડલમાં છ વ્યાપારી પેઢી પર દરોડા પાડયા હતા. ભેળવાળાના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવી બોગસ બિલિંગ કરાતું હોવાનું ધ્યાનમાં આવતા આ કવાયત હાથ ધરવામાં આવી હતી. તેના લીધે કરચોરોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું.


જીએસટી વિભાગની ટીમોએ આજે વિષ્ણુજી રીફાઇનરી, જયભોલે ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મી કોટન જીન પ્રાઇવેટ લિમિટેડ, ગીતા ઓઇલ મીલ, પ્રિયાંશ એન્ટરપ્રાઇઝ તથા એગ્રી કોટન એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હિસાબી સાહિત્ય કબજે કરી તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મોટાપાયે કરચોરી બહાર આવવાની આશંકા સેવવામાં આવી રહી છે.

એક અકાઉન્ટન્ટના ઘરે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ભેળના જે ધંધાર્થીના નામે જીએસટી નંબર મેળવીને બોગસ બિલિંગ કરાતું હતું તે યુવાનને અધિકારીઓએ દરોડામાં સાથે રાખ્યો હતો. કરચોરીનો આંકડો કેટલો છે તે અંગે જીએસટી વિભાગ દ્વારા હાલ મૌન સેવવામાં આવી રહ્યું છે.

જીએસટી વિભાગ દ્વારા થોડા સમય પહેલા પાડવામાં આવેલા દરોડામાં એક મેટાડોર ભરાય એટલું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. હજુ તો ગણ્યાગાંઠયા સામે જ તપાસ થઈ છે. બીજા કેટલાયનો વારો હજુ બાકી છે. ત્રણ ખૂણિયા પાસે આવેલા દલાલની પેઢીમાંથી જપ્ત કરવામાં આવેલા સાહિત્યમાંથી કોના-કોના નામ બહાર આવશે તે અંગે પણ ચર્ચા અને ચિંતા શરૂ થઈ છે.

જીએસટી તંત્ર દ્વારા હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તે શાક-બકાલાની જેમ વેચાતા બોગસ બિલ પર રોક લગાવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ટિપ્પણીઓ નથી: