અનુયાયીઓ

શનિવાર, 29 ડિસેમ્બર, 2018

પગથીયા ઉતરતા ગબડી પડ્યાનો એડીનો બનાવ હત્યામાં ફેરવાયો જેતપુરમાં પુત્રવધુએ પુત્રીના સહારે સાસુનું ઢીમ ઢાળી દીધું


બનાવનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ શરુ : બનાવ શા માટે બન્યો તે બાબતે સગા સંબંધીઓ અજાણ



જેતપુર શહેરમાં ગઈકાલે અમરનગર રોડ પર અમીધારા એપાર્ટમેન્ટમાં પગથીયા ઉતરતા ગબડીને વૃદ્ધા મોતને ભેટ્યા હોવાનું પોલીસમાં જાહેર થયા બાદ આ બનાવ હત્યાનો હોવાનું બહાર આવતા જેતપુર પોલીસે વૃધ્ધાની પુત્રવધુ અને પૌત્રી સામે ખુનનો ગુનો નોંધાતા ચકચાર મચી છે. વૃદ્ધાની હત્યાનું રહસ્ય હજુ અકબંધ છે. અન્ય પરિવારજનો બનાવ વિષે વધુ કાઈ જાણતા નથી અથવા તો કોઈ વાત છુપાવતા હોય, પીઆઈ વી.આર.વાણીયાએ તપાસનો દૌર શરુ કરી હત્યામાં સંડોવાયેલ માતા પુત્રીની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરમાં અમરનગર રોડ પર અમીધારા એપાર્ટમેન્ટમાં રહેતા રતનબેન અશોકભાઈ જલુ નામના ૬૨ વર્ષના વૃદ્ધા ગઈકાલે અકસ્માતે પગથીયા ઉતરતી સમયે ગબડી પડતા તેમનું મોત થયાનું જણાવી વૃદ્ધાની લાશને હોસ્પીટલે પહોચાડાઈ હતી. અહી ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા પોલીસે વૃદ્ધાના પીએમની વિધિ શરુ કરાવવા કવાયત હાથ ધરી હતી.

પણ વૃદ્ધાની લાશ શંકાશ્પદ જણાતા જેતપુર સિવિલ હોસ્પિટલ સુત્રોએ રતનબેનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવાનું જણાવતા જેતપુર પોલીસ રતનબેનની લાશ લઈને રાજકોટ પહોચી હતી. અહી ફોરેન્સિક રીપોર્ટમાં રતનબેનને કોઈ હાથીયારના માથા પર ઘા ઝીંકવાથી મોત થયાનું બહાર આવતા પોલીસ પણ ચૌંકી હતી.


દરમીયાન જેતપુર શહેર પોલીસના પીઆઈ વી.આર.વાણીયાએ તાત્કાલિક તપાસ શરુ કરતા રતનબેનના પુત્રવધુ રેખાબેન કનુભાઈ અશોકભાઈ જલુ તેમજ તેમની પુત્રી હેતલબેન કનુભાઈ અશોકભાઈ જલુ ભેદી સંજોગોમાં ગુમ હોય, શંકાના દાયરામાં આવી જતા આ માતા પુત્રી સામે રતનબેનના ખુનનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. માતાપુત્રી પકડાયા ના હોવાનું પોલીસ જણાવે છે પણ બનાવ શા માટે બન્યો
અને કારણ શું ? તે માટેના તથ્ય માટે જેતપુર શહેર પોલિસના પીઆઈ વી.આઈ.વાણિયાનો સંપર્ક થઇ શક્યો ના હોય, બનાવનું કારણ અકબંધ છે.
બીજીબાજુ મૃતક રતનબેનના પુત્રી વર્ષાબેન મુકેશભાઈ નાગદાનભાઈ જાદવ-આહીરની ફરિયાદ પરથી પોલીસે રતનબેનની પુત્રવધુ અને પુત્રવધુની દીકરી સામે ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે. બનાવ બાબતે જમાઈ મુકેશભાઈ નાગદાનભાઈ આહિરે જણાવેલ કે તેઓ ઘટનાથી અજાણ છે. તો કુટુંબીજન એવા રફાળાના ગીગાભાઈએ પણ બનાવથી અજાણતા વ્યક્ત કરી હતી. પોલીસ કહે છે કે, રેખા અને હેતલ પકડાયે બનાવનું સાચું કારણ જાણી શકાશે. બનાવે જેતપુરના આહીર સમાજમાં ચકચાર જગાવી છે.

ટિપ્પણીઓ નથી: