અનુયાયીઓ

શનિવાર, 1 જૂન, 2013

બાળમજુરી નાબૂદી અભિયાન અન્‍વયે આઈ.એલ.ઓ. અને બાળમજુર પુનઃવસન સમિતિની બેઠક યોજાઈઃ ગત માસમાં ૧૫ બાળકોને છોડાવાયાઃ

સૂરતઃ બાળ મજુરી નાબુદી અભિયાન હેઠળ ટાસ્‍ક ફોર્સ અને નેશનલ ચાઈલ્‍ડ લેબર પ્રોજેકટ સો. સુરત તથા બાળમજુર પુનઃવસન અને કલ્‍યાણનિધી સંચાલક સમિતિની બેઠક ગતરોજ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી રેમ્‍યા મોહનના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી. આ બેઠકમાં બાળમજુરી અન્‍વયે મુકત કરાવેલા બાળકો માટે ૧૨ શાળાઓ પૈકી ૧૧ શાળાઓ શરૂ થઈ ચૂકી છે તેમજ અન્‍ય એક શાળા માંગણી કરવામાં આવી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. નાયબ શ્રમ આયુકતશ્રી પટેલે કહ્યું કે, ગત મહિને બે રેડ દ્વારા ૧૫ બાળકોને છોડાવવામાં આવ્‍યા હતા. જેમા પાંચ વ્‍યકિતઓ સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી હોવાનું કહ્યું હતું. બાળમજુરને કામે રાખનાર માલિકો સામે કડક કાર્યવાહી થાય તે દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા ડી.ડી.ઓ.એ તાકીદ કરી હતી. આગામી ૧૨મી જુનના રોજ વિશ્વ બાળમજુરી વિરોધી દિનની ઉજવણી અંગે જાગૃતિ રેલી તેમજ મુકત કરાવાયેલા બાળકોને શાળામાં પ્રવેશ આપવા અંગેની કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સંગીત, નૃત્‍ય, નાટય અને લોકકલા ક્ષેત્રે  પ્રદાન કરનાર કલાકારો પાસેથી ગૌરવ પુરસ્‍કારની પસંદગી માટે અરજીઓ મંગાવાઈઃ

સૂરતઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજયના સંગીત, નૃત્‍ય નાટય અને લોકકલાક્ષેત્રે વિશિષ્‍ટ અને ગણનાપાત્ર પ્રદાન કરનાર ગુજરાત રાજય અને રાજયની બહાર સ્‍થાયી થયેલા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરી રૂા.૫૧ હજારની રોકડ રકમ, સાલ અને તામ્રપત્ર આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૨-૧૩ માટેના કલાકારોની પસંદગી કરી શકાય તે હેતુથી આવા સન્‍માનીય, નામાકિત અને સર્વમાન્‍ય કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. કલાકારોએ અરજીમાં કલાકારનું નામ, સરનામું, ટેલીફોન/મો.નં., ગૌરવ પુરસ્‍કાર માટેનું કલાક્ષેત્ર, જે તે કલાક્ષેત્રમાં કરેલું પ્રદાન વગેરે વ્‍ગિતો સાથે સાદા કોરા કાગળ ઉપર રજીસ્‍ટર પોસ્‍ટ એ.ડી. કે રૂબરૂથી તા.૨૭/૬/૨૦૧૩ સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજય નાટક અકાદમી, બ્‍લોક નં.૯, પ્રથમ માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. ૨૦૧૧-૧૨ માટે અરજી કરી હોય પરંતું પસંદગી થઈ ન હોય તેવા કલાકારોએ પણ અરજી કરવાની રહેશે.  

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓ માટે વ્‍યકિત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરઃ

સૂરતઃ રાજયના અનુસૂચિત જનજાતિની વસ્‍તી ધરાવતા ૧૨ જિલ્લાઓમાં યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૧૫ થી ૩૫ વર્ષના વય ધરાવતા યુવક-યુવતિઓ કે જેમાં સૂરત જિલ્લામાંથી પસંદગી થયેલા ૫૦ યુવક-યુવતિઓને માટે નિયત કરેલા સ્‍થળે સાત દિવસ માટે વ્‍યકિત્‍વ વિકાસ તેમજ યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે.  શિબિરાર્થીઓએ શારીરિક-માનસિક તેમજ આધ્‍યાત્‍મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોની પ્રત્‍યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. ભાગ લેનાર ઉમેદવારોને શિબિરના સ્‍થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજય સરકાર આપશે. જે માટે ઉમેદવારોએ સુરતની જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, જુની કોર્ટ બિલ્‍ડીંગ, બહુમાળી ભવનનો સંપર્ક સાધવાનો રહેશે.

ટિપ્પણીઓ નથી: