અનુયાયીઓ

શનિવાર, 1 જૂન, 2013

કૃષિ વિકાસ દરમાં થયેલા ધરખમ વધારાનું શ્રેય ખેડૂતોને જાય છે - જિલ્લા કલેકટરઃ ડૉ.વિક્રાંત પાંડે

પારડી તાલુકાના નામધા ખાતે કૃષિ મહોત્‍સવના સમાપન સમારોહમાં ૬૯ લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું

વલસાડઃ રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ યોજવામાં આવતા કૃષિ મહોત્‍સવના કારણે ખેડૂતો કૃષિક્ષેત્રનું વ્‍યાપક માર્ગદર્શન મળતા ખેડૂતો આધુનિબ ઢબે ખેતી કરતા થયા છે. રાજયના કૃષિ વિકાસ દરમાં થયેલા ધરખમ વધારાનું શ્રેય રાજયના મહેનતકશ કૃષકોના ફાળે જાય છે. એમ, વલસાડના જિલ્લા સમાહર્તા ડૉ. વિક્રાંત પાંડેએ પારડી તાલુકાના નામધા ખાતે યોજાયેલા કૃષિ મહોત્‍સવના સમાપન સમારોહ દરમિયાન જણાવ્‍યું હતું.

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતા અમૂલ્‍ય માર્ગદર્શન અને રાજય સરકારની પ્રોત્‍સાહક કૃષિ નીતિને કારણે આજે રાજયના નાના અને સીમાંત ખેડૂતો પણ સફળતાપૂર્વક વળતરદાયક ખેતી કરી રહ્યા છે એમ જણાવી ડૉ. પાંડેએ કપરાડા અને ધરમપુર તાલુકામાં કરવામાં આવતી કાજુની ખેતી અને જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવતી ફુલોની ખેતીની પણ સરાહના કરી હતી.

વધુમાં કલેકટરશ્રીએ રાજય સરકારના સોઇલ હેલ્‍થ કાર્ડના અભિગમની સમજ આપતા જણાવ્‍યું હતું કે, રાજય સરકારનો અભિગમ માત્ર લેબોરેટરી પુરતો સીમીત ન રહેતા ખેડૂતોના ખેતર સુધી પહોંચ્‍યો છે. સોઇલ હેલ્‍થ કાર્ડના માધ્‍યમથી ખેડૂતોને તેમની જમીનની તંદુરસ્‍તીની જાણકારી મળી રહે છે એમ જણાવી તેમણે જિલ્લાના કૃષકોને વૈવિધ્‍યપૂર્ણ ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્‍યું હતું કે, તા. ૧૪મી મેથી શરૂ થયેલા આ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ દરમિયાન પચાસ હજાર ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન, ૬૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને કૃષિ કીટ, ૨૩૦૦ ઉપરાંત લાભાર્થીઓને પશુપાલન વિભાગની કીટ અને ૨૫૦૦૦ ઉપરાંત પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યું હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

માજી મંત્રી ડૉ. કે.સી.પટેલે વલસાડની ઓળખ સમી હાફુસના ઘટતા ઉત્‍પાદન અંગે ચિંતા વ્‍યકત કરી હતી. તેમણે હાફુસના ઘટતા ઉત્‍પાદનના કારણોની યોગ્‍ય તપાસ કરી આ સમસ્‍યા સમયસર છુટકારો મળે એવા પગલા ભરવા વહીવટીતંત્રને અનુરોધ કર્યો હતો.

પારડી વિસ્‍તારના અગ્રણી શ્રી નગીનભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી વલસાડ જિલ્લાના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. ઉપરાંત તેમણે તેમના વિસ્‍તારના ખેડૂતો ખેતી કરવા માટે ખુટતી કડીઓ યોગ્‍ય સમયે પુરી થાય એ માટે ઘટતું કરવા વહીવટીતંત્રને અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન પારડી તાલુકા પંચાયતના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક સર્વશ્રી ડૉ.એન.એમ.શાહે આંબાવાડી અંગે અને ડૉ. એસ.એલ.ચાવડાએ પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. પ્રગતિશીલ ખેડૂતો સર્વશ્રી અમૃતભાઇ અને મનુભાઇએ શાકભાજીની ખેતી અને ખુશરોભાઇએ અધ્‍યાતિમક ખેતી અંગે તેમના અભિપ્રાય વ્‍યકત કર્યા હતા. ગુજરાત ગ્રીન રિવોલ્‍યુશન કંપનીના પ્રતિનિધિએ ડ્રીપ ઇરિગેશન અને તેના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા સમાહર્તા સહિતના મંચસ્‍થ મહાનુભાવોએ નામધા, ચંડોર અને કુંતા ગામના ૫૪ લાભાર્થીઓને ખેતીવાડી વિભાગ અને ૧૫ લાભાર્થીઓને પશુપાલન વિભાગની કીટ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પશુ આરોગ્‍ય મેળામાં ૧૮૭ પશુઓની સારવાર અને ૩૦૫ પશુઓનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ, વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિપુલ જાદવ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કેતન પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી સી.ડી.ચૌધરી, ઇન્‍ચાર્જ નાયબ ખેતી નિયામક શ્રી ગાબાણી, મદદનીશ ખેતી નિયામક શ્રી ગરાસિયા, તાલુકા પંચાયતના સદસ્‍યો, સ્‍થાનિક પદાધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ભરૂચઃ

કૃષિક્ષેત્રે ઝડપથી વિકાસ સાધવા આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવવી જરૂરી.

ખેડૂતોને કૃષિ કિટ્‍સ વિતરણ કરતાં કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચ જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ સંપન્‍ન.

ભરૂચઃ ગામડાંનો સર્વાંગી વિકાસ કૃષિ વિના શકય નથી આથી  અઢાર હજાર  ઉપરાંત ગામડાઓના કિસાનોને આર્થિક સમૃધ્‍ધ બનાવવા તેમજ કૃષિક્ષેત્રમાં આધુનિક ખેત પધ્‍ધ્‍તિનો અને સુધારેલ ઓજારોની કૃષિ વિષયક જાણકારી મેળવી કિસાનોની આવક બમણી કરવાના અભિગમ ધ્‍વારા રાજય સરકારે કૃષિ મહોત્‍સવનું આયોજન કર્યું છે. જેના ધ્‍વારા કિસાનોની આર્થિક સમૃધ્‍ધિમાં વધારો થશે. તેમ જિલ્લા કલેક્‍ટર આદ્રા અગ્રવાલે ભરૂચ જિલ્લાના કુરલા ખાતે યોજાયેલ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમના સમાપન પ્રસંગે જણાવ્‍યું હતું.

ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાનો ભાર મુકતાં કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે પ્રવર્તમાન રાજય  સરકારે છેલ્લા આઠ વર્ષથી કૃષિમહોત્‍સવનું આયોજન કરી ખેડૂતોને કૃષિક્ષેત્રે શકિતમાન બનાવવા અથાગ પ્રયાસો આદર્યા છે. જેના લીધે ખેડૂતોને ઘર આંગણે કૃષિ વૈજ્ઞાનિકો ધ્‍વારા નવીન ખેત પધ્‍ધતિ વિશે જાણકારી મળવાથી ખેડૂતોને લાભ થયો છે. તેમણે ઉમેર્યુ હતું કે કૃષિમહોત્‍સવને લીધે ગામડાઓ કૃષિક્ષેત્રે ધબકતા અને ચેતનવંતા થયા છે, ખેડૂતોમાં જાગૃત્તત્તા આવી છે. રાજય સરકારના અવનવા પ્રયોગને કારણે ગુજરાત વિકાસના તમામ ક્ષેતોમાં અગ્રેસર રહી દેશના અન્‍ય રાજયોને ચાલકબળ બની રહયું છે. જે આપણા માટે ગૌરવની બાબત છે.

ગામડાઓના વિકાસ માટે રાજય સરકારની કટિબધ્‍ધતા દોહરાવતા ખેડૂતોના ઘર આંગણે કૃષિ જાણકારી મળી રહે તે માટે રાજય સરકારે કૃષિમહોત્‍સવનું અભિયાન હાથ ધર્યુ છે. જેનો લાભ લઇ આત્‍મનિર્ભર બનવા પર ભાર મૂકી ખેડૂતોને ડ્રીપઇરીગેશન પધ્‍ધતિ અપનાવી ધાર્યુ ઉત્‍પાદન મેળવવા શિખ આપી હતી. તેમણે કૃષિ મહોત્‍સવ દરમ્‍યાન દરેક ગામમાં કૃષિ તજજ્ઞો ધ્‍વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ખેત પધ્‍ધ્‍તિ વિશે માહિતગાર કરવામાં આવશે જે ભવિષ્‍યમાં ફાયદાકારક સાબિત થશે તેમ જણાવી કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, કૃષિ

મહોત્‍સવના સફળ આયોજનના લીધે ગુજરાત રાજયમાં કૃષિ ઉત્‍પાદન હાંસલ કર્યું છે. આ અવસરે કલેક્‍ટર આદ્રા અગ્રવાલે જરૂરીયાતમંદ ખેડૂતોને કૃષિ કિટ્‍સનું વિતરણ ર્ક્‍યું હતું. જિલ્લા માહિતી કચેરી - ભરૂચ ધ્‍વારા ખેડૂતોને આધુનિક ખેત પધ્‍ધતિ વિશે જાણકારી મળે તે માટે પૂર્વિ સેવા ટ્રસ્‍ટ, અમદાવાદ ધ્‍વારા ધરતીનો છોરૂ અંગે નાટક તેમજ ભરૂચના કલાકાર ધ્‍વારા લોકડાયરા થકી સમજણ અપાઇ હતી.  

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી હિતેષ કોયા, પ્રાંત અધિકારીશ્રી જે.બી.દેસાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.ડી.ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જયંતિભાઇ પટેલ, બાગાયત અધિકારીશ્રી, વાંસી ગામના સરપંચશ્રી સલીમભાઇ તેમજ સંબંધિત ખાતાના અમલીકરણ અધિકારીઓ, સરપંચશ્રીઓ, ગામજનો, કિસાનો, મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતાં. 

ખેતીવાડી, બાગાયત, આરોગ્‍ય અને ગ્રામ વિકાસના પ્રદર્શનને નિહાળતા કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચઃ ખેડૂતો વૈજ્ઞાનિક ખેત પધ્‍ધતિ અપનાવી ધાર્યું ઉત્‍પાદન મેળવી આર્થિક સમૃધ્‍ધ થાય તેમજ રાજ્‍યના કૃષિ વિકાસમાં સહભાગી બને તેવા આશયથી ભરૂચ જિલ્લાના તાલુકા પંચાયતની બેઠકોના ગામોમાં કૃષિ મહોત્‍સવનું આયોજન કરાયું હતું. આજ રોજ ભરૂચ જિલ્લાના કુરલા ગામે જિલ્લા કક્ષાના કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ સમાપન થયો હતો.

છેલ્લા આઠ વર્ષથી રાજ્‍ય સરકાર ધ્‍વારા ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી આમુલ પરિવર્તન લાવે તેવા પ્રયાસો કરવામાં આવ્‍યાં હતા. જેના પરિણામ સ્‍વરૂપ ભરૂચ જિલ્લાના ખેડૂતો ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રે અવનવી ખેતી કરી આર્થિક સમૃધ્‍ધ થયા છે. જેના પરિણામો ખેડૂતોએ મેળવ્‍યા છે. જેમાં ભરૂચ જિલ્લાના કુરલા ખાતે યોજાયેલ કૃષિ મહોત્‍સવના કાર્યક્રમ દરમિયાન બાગાયત અને ખેતીવાડી ક્ષેત્રે વિવિધ પાકોના પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યા હતા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી ધ્‍વારા સખીમંડળની બહેનો રોજગારી મેળવતા પ્રદર્શનો અને સંકલિત બાળ વિકાસ યોજના ધ્‍વારા માતા અને બાળકોના તંદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય માટે પૌષ્‍ટિક આહાર તથા આરોગ્‍ય ખાતા ધ્‍વારા પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્‍યું હતું આ પ્રદર્શનને જિલ્લા કલેક્‍ટર આદ્રા અગ્રવાલે નિહાળ્‍યું હતું.

પશુ આરોગ્‍ય સારવારનું નિરીક્ષણ કરતાં કલેક્‍ટર આદ્રા અગ્રવાલ.

ભરૂચઃ પશુપાલન એ કૃષિ સાથે સંકળાયેલું  અવિભાજ્‍ય અંગ છે ત્‍યારે પશુપાલકોને પ્રોત્‍સાહન આપવા રાજ્‍ય સરકારે અથાગ પ્રયાસો આદરવામાં આવ્‍યા જેના લીધે ગુજરાતમાં દુધ ઉત્‍પાદક ક્ષેત્રે વધારો થયો છે. 

રાજ્‍ય સરકાર ધ્‍વારા છેલ્લા આઠ વર્ષથી કૃષિ મહોત્‍સવના આયોજનને લીધે પશુઓમાં થતાં રોગોને નાબુદ કરવામાં સફળતા મળી છે. ઉપરાંત પશુઆરોગ્‍ય મેળાઓ અને પશુ આરોગ્‍ય સારવાર શિબિરો યોજાવાને લીધે પશુઓમાં થતાં રોગો નાબુદ થયા છે. જેના લીધે દુધ ઉત્‍પાદનમાં વધારો થયો છે. ગુજરાતે દુધ ઉત્‍પાદન ક્ષેત્રે નામના મેળવી છે. પશુઓના સાર-સંભાળ અને પશુ માવજતને લીધે પશુપાલકો આર્થિક સધ્‍ધર થયા છે.

ભરૂચ જિલ્લામાં ૧૧૦૨૧૬ પશુ રસીકરણ કરાયું

ભરૂચઃ રાજય સરકાર દ્વારા આગામી ૧૪ મી  મે ૨૦૧૩ થી ૩૧ મી  મે-૨૦૧૩ દરમ્‍યાન કૃષિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તે દરમ્‍યાન કિસાન રથ દ્વારા જિલ્લાના તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામોની મુલાકાત લઇ કિસાનોના ઘર આંગણે જ આધુનિક કૃષિ પધ્‍ધતિ માટે માર્ગદર્શન અને નિદર્શન થકી કૃષિ ધિરાણ, જળસંચયના કામો અને કૃષિ પાકોના આયોજન અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવી રહયા છે.

ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં કૃષિરથના કાર્યક્રમ દરમ્‍યાન આમોદ તાલુકામાં ૧૧૨૪૭-પશુ રસીકરણ કરયું છે. જયારે ૧૭૭૧૪ વાલીયામાં, ૧૦૧૮૦ અંકલેશ્વરમાં, ૮૩૭૬ હાંસોટમાં, ૧૭૭૯૨ ભરૂચમાં, ૨૨૭૦૧-ઝઘડીયામાં, ૧૯૮૬૧ જંબુસરમાં અને ૨૩૪૫-વાગરા તાલુકામાં પશુ રસીકરણ કરાયું છે.

રાજય સરકારના હરિયાળી ક્રાંતિના નિર્માણ માટે યોજાઇ રહેલ મહોત્‍સવમાં વૈજ્ઞાનિક માહિતીનો ભરપુર લાભ મેળવીને આધુનિક ખેત પધ્‍ધતિ અપનાવવા તમામ કિસાનો જોડાઇ લોકજાગૃતિ કેળવે અતયંત જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.          

ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ ફળશ્રૃતિ.

ભરૂચઃ ખેડૂતોને ઘર-આંગણા સુધી કૃષિની જાણકારી પહોંચે તેવા ઉદે્‌શ્‍યથી કૃષિ મહોત્‍સવ-૨૦૧૩નું પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કૃષિ કાર્યને લગતી નાની મોટી બધીજ બાબતોને સમાવી લઇને સંપૂર્ણ જાણકારી કૃષિ મહોત્‍સવના માધ્‍યમ ધ્‍વારા કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લાનાં અત્‍યાર સુધી તાલુકા પંચાયત બેઠકોના વિવિધ ગામો ગામોમાં કૃષિરથની ફેરણી થઇ હતી. ભરૂચ જિલ્લામાં કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ દરમ્‍યાન કૃષિરથ સાથે કૃષિ તજજ્ઞો ખેડૂતોને આધુનિક ખેત પધ્‍ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માર્ગદર્શન આપ્‍યું હતું. ખેડૂતો બહોળા પ્રમાણમાં ગામે ગામ લાભ લઇ રહયા છે. ખેડૂતોને રથનામાધ્‍યમ દ્વારા બોરીબંધ, ચેકડેમ, ખેત તલાવડીના માધ્‍યમો દ્વારા પાણીની સ્‍ટોરેજ કરી ખેતીના ઉપયોગમાં લેવા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

ભરૂચ જિલ્લામાં વિવિધ ગામોમાં કૃષિરથની ફેરણી થતાં ૬૦૯૫-ખેતીવાડી, ૨૯૯૮-પશુપાલનના કિટ્‍સનું વિતરણ કરવામાં આવ્‍યું છે. સાથે ૭૫૩-ખેડૂતોને કિસાન ક્રેડીટકાર્ડ, ૧૫૯૧-સોઇલ હેલ્‍થ કાર્ડ, ૧૧૦૨૧૬-પશુ રસીકરણ, ૫૧૦-ડ્રીપઇરીગેશનના કામો, ૨૪-બોરીબંધ, ૫૧-ચેકડેમ અને ૮૦-ગામ તળાવોના કામો હાથ ધરાશે. ૨૩૭-સેલ્‍ફ ગૃપોના કામો, ૨૪૦-સોઇલ સેમ્‍પલ, ૧૦૫-ઈ-ગ્રામ, ૫૧-સીમ તળાવ, ૧૧૨-સ્‍વચ્‍છતા અભિયાન વગેરે કામગીરી હાથ ધરવામાં હતી. આમ રથના માધ્‍યમ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની જાણકારી સાથે આધુનિક ખેતી પધ્‍ધતિઓનું પ્રદર્શન, ટી.વી.કેસેટના માધ્‍યમથી હરિયાળી ક્રાંતિ, જળસંચય, ડ્રીપઇરીગેશનના વિષયોની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા માહિતી કચેરી ભરૂચ ઘ્‍વારા કિસાનોને પ્રોત્‍સાહિત કરવા લોકડાયરાના કાર્યક્રમ યોજાયા હતા.

 

 

 

 

નર્મદાઃ                             

કૃષિમહોત્સવ-૨૦૧૩

પશુપાલનના વ્યવસાયમાં પાંચ " ૫ "  ની મહત્વતા સમજાવી ૧૦ થી ૧૫ ટકા દૂધ ઉત્પાદન વધારવા વટરનીટી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.કેલાવાલાનો અનુરોધ

વૈજ્ઞાનિકો-તજજ્ઞો- પાસેથી મેળવેલાં ભાથાને પચાવીને હવે તેને ઉપયોગમાં લેવાનું કામ ખેડૂતોએ કરવાનું છે.

બિયારણથી આવતા કોઇપણ રોગના રક્ષણ સામે બિયારણના ઉપયોગમા સજાગતા દાખવી થાઇસમ પાવડરના ઉપયોગનું સૂચન કરતાં કૃષિ વિજ્ઞાન  સંશોધન કેન્દ્રના નિયામક્શ્રી ડૉ. જનકભાઇ રાઠોડ

નર્મદા જિલ્લાના કુમસગામે કૃષિ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

રાજપીપળા નર્મદા જિલ્લામાં છેલ્લા સત્તર દિવસથી થઇ રહેલી કૃષિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગામેગામ ઘૂમી રહેલા કૃષિરથ આજે તેના અંતિમ ચરણમાં નાંદોદ તાલુકાનાં કુમસગામે આવી પહોંચતાં ગ્રામજનોએ કૃષિરથના આગમનને વધાવી લઇ ખેડૂત-સભા યોજવાની સાથે આ ઉજવણીનો જિલ્લાકક્ષાનો સમાપન સમારોહ યોજાયો હતો.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલ, નાયબ પશુપાલન નિયામક્શ્રી ડૉ. મનસુરી, નવસારી કૃષિ યુનિવર્સીટીના વટરનરી  કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.કેલાવાલા, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી જાની, જિલ્લાના અગ્રણીશ્રી અને અકુવાડાના સરપંચશ્રી અભિલાલભાઇ વસાવા સહિત અન્ય સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ ખુલ્લો મુકાયા બાદ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલે કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન ગામેગામ હાથ ધરાયેલી પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતાં જણાવ્યું હતું કે, કૃષિ તજજ્ઞો દ્વારા રોગ-જીવાત નિયંત્રણ, જમીન અને સિંચાઇના પ્રશ્નો અંગે કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પડાયુ છે. સાથોસાથ જરૂરી સાહિત્ય અને માહિતી પુસ્તિકા અને વિવિધ પાકોની જાણકારી માટી સી.ડી.નું વિતરણ કરાયું છે. સરકારશ્રી તરફથી જમીનની તૈયારીથી માંડીને બિયારણ, ખાતર માટે ઇનપુટ કિટ્સ, પિયત માટે પાઇપલાઇન, ઓઇલ-એન્જિન પંપ, નેટહાઉસ, ગ્રીનહાઉસ, પોલીહાઉસ માટે સહાય, જંતુનાશક દવા વગેરે માટે અપાતી સહાય, આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને જિલ્લા અને રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસ તથા ટોલ ફ્રી નંબર-૧૫૫૧ ની હેલ્પલાઇન ઉપરથી માર્ગદર્શન વગેરે જેવી કૃષિ વિકાસલક્ષી બાબતોના સવિસ્તર ખ્યાલ આપ્યો હતો.

જિલ્લાના અગ્રણીશ્રી અભિલાલભાઇ વસાવાએ તેમનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કોઇપણ ક્ષેત્રમાં પારંગતતા કેળવવા માહિતી અને અભ્યાસની જરૂરિયાત રહે છે. કૃષિ મહોત્સવ અગાઉ ખેડૂતમિત્રોને તેમના ઘરઆંગણે વૈજ્ઞાનિક ઢબની ખેત-પધ્ધતિની કોઇ માહિતી ન મળવાને લીધે કૃષિક્ષેત્રે જોઇએ તેવો વિકાસ થયો ન હતો. પરંતુ કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને સંલગ્ન અધિકારીઓ તરફથી વૈજ્ઞાનિક ઢબની ખેતી અંગે માર્ગદર્શન મળવાની સાથે તેનો ખેતીમાં ઉપયોગ કરવાથી આજે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ખેતસમૃધ્ધિની સાથે આર્થિક સમૃધ્ધિની દિશામાં પણ તેઓ આગળ ધપી રહ્યાં છે. જે કૃષિ મહોત્સવને લીધે આભારી છે.

નવસારીની વેટરનરી કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ.કેલાવાલાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ દરમિયાન તજજ્ઞો પાસેથી મેળવેલા ભાથાને પચાવીને તેને ઉપયોગમાં લેવાનું કામ હવે ખેડૂતો-પશુપાલકોએ કરવાનું છે. તેમણે ઓછાં પશુ રાખીને વધુ દૂધ ઉત્પાદન મેળવવાની જરૂરિયાત પર ભાર મુકતાં ઉમેર્યું હતું કે, પશુપાલનના વ્યવસાયમાં પશુ પસંદગી, વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાયમાં ચાફ કટરનો ઉપયોગ, પશુ પોષણમાં ગુણવત્તાયુક્ત દાણ ખવડાવવું, પશુ પ્રજનનમાં કૃત્રિમ વીર્યદાન અને પશુપેદાશમાં મૂલ્યવર્ધનની બાબતો ઉપર પૂરતી કાળજી રાખવાથી હાલમાં મેળવાતા દૂધ ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થઇ શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે બાગાયત અધિકારીશ્રી રૂષભભાઇ મકવાણાએ બાગાયતી યોજનાઓમાં ફળ-પાક, શાકભાજી, ફૂલપાક વગેરેમાં ૬૫ થી ૭૫ ટકાની સહાય ઉપરાંત ચાલુ વર્ષથી આર.કે.વી.વાય. હેઠળ ૧૫ થી ૨૫ ટકાની પ્રેરક સહાય તથા શાકભાજી માટે વેજીટેબલ કલ્સ્ટર યોજના, મીની ટ્રેક્ટર સહાય, નેટ-હાઉસ, ગ્રીન-હાઉસ, પોલી-હાઉસ વગેરેમાં મળતી સહાય અંગે પણ તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.

 ડેડીયાપાડાના કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્રના નિયામક્શ્રી ડૉ.જનકભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવનું અહીં સમાપન થાય છે, પરંતુ નિરંતર ચાલ્યા કરે તેવી ખેતીની વાતો કહીં પૂરી થતી નથી. ખેતીમાં થઇ રહેલાં નીતનવા સંશોધનના આવિષ્કારની સાથે ખેતરમાં તેનો ઉપયોગ અને અમલ ખૂબ જ જરૂરી છે. તેમણે ડાંગરમાં થતાં ધાભમારાથી બચવાના ઉપાયો, ધરૂવાડીમાં ૧૫ દિવસે દવાનો છંટકાવ કરવા, કપાસના પાકમા મીલીબગ્સથી સજાગ રહેવા, શાકભાજીમાં જી.ટી.-૧ નું બિયારણ વાપરવાનો અનુરોધ કરતાં ઉમેર્યુ હતું કે, એટલે બિયારણની પસંદગી અને તેનો ઉપયોગમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે. તેમણે થાઇસમ પાવડર દરેક ખેડૂતને પોતાના ઘરમાં રાખવા અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવા આગ્રહ ભર્યુ સૂચન કર્યુ હતું.

 આ પ્રસંગે કૃષિ તજજ્ઞથી શૈલેન્દ્રભાઇ વિહોર અને શ્રી દિલેશ્વર નાયક, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી કનકલતાબેન ભગત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.મનસુરી, આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારીશ્રી જાની, પ્રગતિશીલ ખેડૂતો શ્રી રમણભાઇ કાલીદાસ વસાવા અને શ્રી ધનજીભાઇ, આસપાસના ગામના સરપંચશ્રીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતો અને પશુપાલકોને યોજનાકીય ઇનપુટ કિટ્સનું વિતરણ પણ કરાયુ હતુ.

 આહવા-ડાંગઃ

વઘઈ ખાતે પશુપાલન શિબિર યોજાઈ..

૭૦૦ થી વધુ મહિલા પશુપાલકોએ શિબિરમાં ઉપસ્‍થિત રહી જાણકારી મેળવી..

(માહિતી બ્‍યુરો ડાંગ) આહવાઃ કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ ની ઊજવણીના ભાગરૂપે વઘઇ દૂધ શીત કેન્‍દ્ર ખાતે વસુધારા ડેરી સંચાલિત 'પશુપાલન શિબિર' જીલ્લા કલેકટરશ્રી જી.આર.ચોધરી ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી.

કૃષિવિકાસની સાથે સાથે પૂરક વ્‍યવસાય પશુપાલન કિસાનો માટે ખૂબ જ અગત્‍યનું છે. ડાંગ જીલ્લાના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્‍યા છે ત્‍યારે સારી જાતના પશુધન વસાવીને આર્થિક સધ્‍ધરતા મેળવી શકાય તે માટે વસુધારા ડેરી આયોજીત શિબિરમાં ૮૦૦ થી વધુ પશુપાલકો ઉપસ્‍થિત રહ્યા હતા. જે પૈકી ૭૦૦ થી વધુ મહિલાઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લઈ શિબિરને સફળ બનાવી હતી.

જીલ્લા સમાહર્તાશ્રી જી.આર.ચોૈધરીએ શિબિરને ખુલ્લી મુકતા જણાવ્‍યું હતું કે ખેતી અને પશુપાલન બંને એકબીજાના પૂરક છે. સારી જાતની ગાયો પાળવામાં આવે તો આપણી આવકમાં વૃધ્‍ધિ થાય. મહિલાઓ આ વ્‍યવસાયમાં ખૂબ જ સફળ રહી છે. અગાઉ ના વર્ષોમાં પશુપાલન ક્ષેત્રે ડાંગ જીલ્લો પાછળ હતો. આજે સરકારશ્રીની ટ્રાયબલ યોજનાઓના કારણે અહીંના કિસાનો પશુપાલનમાં સારી પ્રગતિ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓએ ડેરી ક્ષેત્રે આમુલ પરિવર્તન આણ્‍યુ છે. જે ખરેખર પ્રસંશનીય છે. વધુને વધુ મહિલાઓ પશુપાલનમાં જોડાઈને પોતાના પરિવાર ને વિકાસના માર્ગે લઇ જાય એવી ભાવના તેમણે વ્‍યક્‍ત કરી હતી.

વસુધારા ડેરીના ર્ડા.સિંગે જણાવ્‍યું હતું કે ડાંગ જીલ્લામાં પશુપાલકોએ વાછરડી ઉછેર યોજનામાં જોડાઈને આ ક્ષેત્રમાં આગળ આવવુ જોઈએ. ડાંગ જીલ્લાની ગાયોમાં કૃત્રિમ બીજદાન કરીને અહીંની આબોહવાને અનુકૂળ થાય તેવી સંકર ગાયોની જાતો બનાવવાથી ગાયો વધુ દૂધ આપશે. આ ઉપરાંત નાની વાછરડી ઉછેરથી એક ગાયની કિંમત આવશે. ફક્‍ત દૂધ માટે જ નહીં પરંતુ ગાયો તૈયાર કરવાથી પણ સારી અને વધુ આવક મળી રહે છે. નિયમિત ગાયની માવજત કરીએ તો આપણું પશુધન તંદુરસ્‍ત રહે છે. પહેલા ડાંગમાં દૂધનું ઉત્‍પાદન નહીવત ્‌ હતું હાલમાં ૨૦,૦૦૦ લીટર દૂધનું ઉત્‍પાદન થાય છે. હજુ પણ દૂધ વધે તેવો અમારો પ્રયાસ છે.

દગુનિયાના મહિલા પશુપાલક શ્રીમતિ ભાવનાબેને જણાવ્‍યું હતું કે ટ્રાયબલ સહાયથી મારી પાસે ફક્‍ત એક જ ગાય હતી. વાછરડી ઉછેરની યોજનામાં જોડાઈને આજે મારી પાસે સાત ગાયો અને સાત વાછરડીઓ છે. દૈનિક ૫૦ લીટર દૂધ ઉત્‍પાદન હું મેળવું છું. મારી આર્થિક પરિસ્‍થિતિ આજે પશુપાલન થી ખૂબ જ સારી છે. બરડપાણી,મલીન ગામના પશુપાલકોએ પોતાના પ્રશ્નોની ચર્ચા શિબિરમાં કરીને નિરાકરણ મેળવ્‍યું હતું. શિબિરમાં ૬૯૦ પશુપાલકોને સ્‍ટીલની બરણી,તપેલુ  પશુપાલનકીટ અર્પણ કરાઈ હતી

ટિપ્પણીઓ નથી: