અનુયાયીઓ

શનિવાર, 1 જૂન, 2013

રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા ‘સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી નિર્માણની તકો' અંગે પરિસંવાદ યોજાયો મહિલા ઉમેદવારો માટેના વિવિધ અભ્‍યાસક્રમમાં 50 ટકા ફી માફી મળશે સુરક્ષા ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો

રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા શાહીબાગ, પોલીસ હેડક્‍વાટર્સ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે 'સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી નિર્માણની તકો' અંગે પરિસંવાદ યોજાયો હતો.

પોલીસ દળ, સંરક્ષણદળ તેમજ ખાનગી સુરક્ષા સંસ્‍થાઓમાં રોજગાર માટે માનવબળને આંતરિક સુરક્ષાના વિવિધ પાસાની વૈજ્ઞાનિક અને ટેકનિકલ કેળવણી આપતી દેશની પ્રથમ આંતરિક સુરક્ષા માટેની રક્ષાશકિત યુનિવર્સિટીમાં મહિલા ઉમેદવારોને વિવિધ અભ્‍યાસક્રમમાં 50 ટકા ફી માફી આપવામાં આવે છે. તેમજ પ્રવેશ ટકાવારીમાં 5 ટકા વધારાના ઉમેરવામાં આવે જેથી મહિલાઓને પ્રવેશ પ્રોત્‍સાહન મળશે એમ રક્ષાશકિત યુનિવર્સિટીના મહાનિયામક શ્રી ઓ.પી.માથુરે જણાવ્‍યું છે.

એન.સી.સી.ના મેજર જનરલ દિલાવરસિંઘે આર્મી, નેવી, એરફોર્સ તેમજ એન.સી.સી.માં કારકિર્દી ઘડતર અંગે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે કોર્સ સંબંધી વિસ્‍તૃત જાણકારી આપી હતી. એન.સી.સી. દ્વારા ગુજરાતના આઠ વિદ્યાર્થીઓ વિદેશ યુવા કલ્‍ચરને પરસ્‍પર વિચાર વિનિમય માટે જવાના છે જે ગૌરવપુર્ણ છે એમ શ્રી સિંઘે જણાવ્‍યું હતું.

રજિસ્‍ટ્રાર શ્રી ધીરજ પારેખે સ્‍વાગત પ્રવચનમાં અભ્‍યાસમાં સફળ કારકિર્દી બનાવનાર ઉમેદવારોને પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર તેમજ કોન્‍સ્‍ટેબલ ભરતી પરીક્ષામાં ટકાવારી મુજબ ગુણ ઉમેરવામાં આવે છે તેમ જણાવ્‍યું હતું.

તાજેતરની ભરતી પરીક્ષામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે યુનિવર્સિટીના 32 અને 10 વિદ્યાર્થી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરની મૌખિક મુલાકાત માટે  પસંદ થયા છે. જ્‍યારે 17 યુવાનો ગુજરાત ઔદ્યોગિક સુરક્ષાદળમાં, 10 ટ્રાફિક બ્રિગેડ, 2 આઇ.ટી.આઇ. ઇન્‍સ્‍ટ્રકટર, 1 એરફોર્સ તેમજ કેટલાક પ્રાઇવેટ સિક્‍યુરીટીમાં નિમણૂંક પામ્‍યા છે તેમ તેમણે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે સંરક્ષણ સેવા ભરતી પૂર્વ તાલીમાર્થીઓને સ્‍ટાઇપેન્‍ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. પરિસંવાદમાં નાયબ મહા નિયામક શ્રી વિકાસ સહાય, રોજગાર અધિકારી  જે.ડી.રાઠવા, ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એસ.મલ્‍હી, આસી. પ્રોફેસર ટેલિ કોમ્‍યુનિકેશન ચંદ્રેશ પારેખ, ગ્રંથપાલ પ્રજ્ઞેશ પારેખ સર્ર્વેએ સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી સંદર્ભે સૌને માહિતગાર કર્યા હતા.

 

 

અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સભાસરઘસ પર પ્રતિબંધ

અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક ભડીયાદ ગામે હજરત શહીદ પીર મહેમુદશાહ બુખારી બાવાની દરગાહ પર ઉર્સ (મેળો) ભરાનાર હોવાથી અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં  તા.14-6-2013 સુધી ચારથી વધુ માણસોની સભા સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીની હકુમત સિવાયના અમદાવાદ ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ, ફુટપાથની ગલીઓ, પેટાગલીઓ પર આ પ્રતિબંધ લાગુ પડશે. કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે અમલી આ હુકમ નોકરી પરના સરકારી, ફરજ પરના હોમગાર્ડસ અને ધાર્મિક તેમ મરણોત્તર કામ માટે લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી કે.કે.દૂધાતે જણાવ્‍યું છે.

અનુસૂચિત જનજાતિના યુવક-યુવતિઓ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન

રાજ્‍યના અનુસૂચિત જનજાતિની વધુ વસતી ધરાવતા 12 જિલ્લાઓના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. આશિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્‍યકિતગત વિકાસ માટે યુવક મંડળની સ્‍થાપના, રચનાની કાર્યપધ્‍ધતિ, પંચાયતી માળખાનો ખ્‍યાલ, નેતૃત્‍વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે જેહાદ, રાષ્‍ટ્રીય એકતા તેમજ યુવકોની શકિતઓને રચનાત્‍મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્‍યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્‍યાત્‍મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા પ્રત્‍યક્ષ નિદર્શન કરવામાં આવશે.

રાજ્‍યના 12 જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના 15થી 35 વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્‍ય સરકારે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરની યોજના અમલમાં મુકી છે. જેમાં પ્રત્‍યેક જિલ્લામાંથી પસંદગી પામેલ 50 યુવક-યુવતીઓ માટે નિયત કરેલ સ્‍થળે સાત દિવસ માટે શિબિર યોજવામાં આવશે.

શિબિરાર્થીઓને શિબિરના સ્‍થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસખર્ચ રાજ્‍ય સરકાર ભોગવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્‍છતા માત્ર અનુસૂચિત જન જાતિના યુવક-યુવતિઓને સંબંધિત જિલ્લા રમતગમત અધિકારીનો સંપર્ક સાધવા કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

રવિશંકર રાવળ કલા ભવન ખાતે સમકાલિન કલાકારોની સંકલિત કલાકૃતિઓના પ્રદર્શનનું આયોજન

ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી આયોજિત અને સી.વી.એમ.કોલેજ ઓફ ફાઇન આર્ટસ, વલ્લભ વિદ્યાનગર તથા રૂસ્‍તમ તાલ્‍યારખાન ફાઇન આર્ટસ ઇન્‍સ્‍ટીટયુટ, નારગોલના સંયુકત ઉપક્રમે યોજાયેલ સમકાલિન કલાકારોના કેમ્‍પમાં તૈયાર થયેલ કલાકૃતિઓના સંકલિત પ્રદર્શનને રવિશંકર રાવળ કલાભવન, લો ગાર્ડન, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે તા.3-6-2013ના રોજ સાંજના 5-00 કલાકે રમતગમત યુવા અને સાંસ્‍કૃતિ પ્રવૃત્તિઓ વિભાગના નાયબ સચિવશ્રી, ભાવેશ એરડાના હસ્‍તે ખુલ્લુ મૂકવામાં આવશે. કલા પ્રેમીઓને  આ પ્રદર્શન નિહાળવા લલિત કલા અકાદમીના સચિવ શ્રી જીતેન્‍દ્ર ઠકકરની યાદીમાં જણાવાયું છે.

રંગમંચલક્ષી કલા ક્ષેત્રના ગૌરવ પુરસ્‍કારની પસંદગી અંગેની જાહેરાત

સંગીત, નૃત્‍ય, નાટય અને લોકકલા ક્ષેત્ર માટેના વર્ષ 2012-13ના ગૌરવ પુરસ્‍કાર

ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્‍યના સંગીત, નૃત્‍ય, નાટક અને લોકકલા ક્ષેત્રે વિશિષ્‍ટ અને ગણનાપાત્ર પ્રદાન કરનારા ગુજરાત રાજ્‍ય કે રાજ્‍યની બહાર સ્‍થાયી થયેલા ગુજરાચના કલાકારોને ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવે છે. પુરસ્‍કારમાં રૂા.51,000/-ની રોકડ રકમ, શાલ અને તામ્રપત્ર આપવામાં આવે છે. વર્ષ 2012-13 માટેના કલાકારોની પસંદગી કરી શકાય તે માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આથી આવા સન્‍માને પાત્ર કલાકારોએ વિવિધ વિગતો જેવીકે કલાકારનું નામ, સરનામું, ટેલીફોન / મોબાઇલ નંબર, ગૌરવ પુરસ્‍કાર માટેનું કલાનું ક્ષેત્ર, જે તે કલાક્ષેત્રમાં કરેલ પ્રદાન ભલામણ કરનારનું નામ, સરનામુ જેવી વિગતો સાથે અરજદાર કલાકરશ્રીએ તેમની અરજી ગુજરાતીમાં સાદા કોરા કાગળ ઉપર જિસ્‍ટર પોસ્‍ટ એ.ડી.થી કે રૂબરૂ હાથો હાથ મળે તે રીતે તા.27-6-2013 સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી, બ્‍લોક નં-9, પ્રથમ માળ, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે.

આ પુરસ્‍કાર કોઇપણ ક્ષેત્રમાં જીવનપર્યંત ફકત એકવાર મળવાપાત્ર હોઇ આ અગાઉ જે કલાકારશ્રીઓએ ગૌરવ પુરસ્‍કાર સન્‍માનિત કરવામાં આવેલ છે તેઓએ અરજી કરવાની રહેશે નહીં. આ અગાઉ વર્ષ 2011-12 માટે અરજી કરી હોય પરંતુ પસંદગી પામેલ ન હોઇ તેવા કલાકારો માટે પણ નવેસરથી અરજી કરવાની રહેશે તેમ ર્ડા. પ્રદીપ આઝાદ, સચિવ, ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

લોકસભા / વિધાનસભા પેટા ચૂંટણી

શ્રમ યોગીઓ / કર્મચારીઓ મત આપી શકે તે માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવાની રહેશે

રાજ્‍ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા.2-6-2013ને રવિવારના રોજ 2-બનાસકાંઠા, 11-પોરબંદર લોકસભા મત વિભાગ તેમજ 61-લીંબડી, 74-જેતપુર, 75-ધોરાજી અને 125-મોરવા હડફ(અજજ) ગુજરાત વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી યોજાનાર છે.

ગુજરાત દુકાનો અને સંસ્‍થા અધિનિયમ-1948ની કલમ-18-(1)(બ)(ક) હેઠળ શ્રમયોગીઓ/ કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગ્રામીણ બેન્‍કો, રાષ્‍ટ્રીય, ખાનગી સહકારી બેન્‍કો અને રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકારની આવશ્‍યક સેવાઓ અંગેની રેલ્‍વે, ટેલીફોન તાર અને પોસ્‍ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્‍ય સંસ્‍થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્‍પિટલો, પોલીસ સ્‍ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્‍યક સેવાઓ આપતી અન્‍ય સંસ્‍થાઓ / કચેરીઓ માટે તા.2-6-2013 રવિવારના ચૂંટણીના સબંધિત દિવસે જે તે વિસ્‍તારમાં જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્‍થાઓ ચાલુ રાખીને અવેજી/બદલીમાં મતદાનના દિવસે રજા આપવી. જો સબંધિત વિસ્‍તારમાં કોઇ કારણસર તેમ ન થઇ શકે તેમ હોય ત્‍યાં વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા તરીકે આવા કર્મચારીઓ / શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી 3(ત્રણ) કલાકની ખાસ રજા આપવા નાયબ શ્રમ આયુકત, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

ડિપ્‍લોમા ઇન હેન્‍ડલુમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ અંગે

ભારત સરકાર સંચાલીત ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હેન્‍ડલુમ ટેકનોલોજી, જોધપુર (રાજસ્‍થાન) ખાતે જુલાઇ-2013થી શરૂ થતાં ત્રણ વર્ષના ડીપ્‍લોમા ઇન હેન્‍ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્‍છતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, બ્‍લોક નં-7/1, ઉદ્યોગ ભવન, ઘ-4, સેકટર-11, ગાંધીનગર        તા.15-6-2013 સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્‍ય લખવાનો રહેશે.

આ કોર્ષમાં પ્રવેશ માટે ઉમેદવારે ધોરણ-10 અંગ્રેજી વિષય સાથે 45 ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ. ગણિત વિજ્ઞાનના વિષયોમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મળેવેલ હોવા જોઇએ. અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારો માટે 5 ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારની વય તા.1-7-2013ના રોજ 15થી 21 વર્ષ હોવી જોઇએ. તથા અનુ.જાતિ અને અનુ.જનજાતિના ઉમેદવારો માટે 15થી 23 વર્ષની હોવી જોઇએ. ત્રણ વર્ષના કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારોને તેની નિયમિતતા અને કામગીરી ધ્‍યાને લઇ પ્રથમ વર્ષે રૂા.400/-, બીજા વર્ષે રૂા.450/- અને ત્રીજા વર્ષે રૂા.500/- લેખે માસિક શિષ્‍યવૃત્તિ સંસ્‍થા તરફથી ચૂકવવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારે સ્‍ટાઇપેન્‍ડ બોન્‍ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં આવે ત્‍યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે એમ કુટીર અને ગ્રામોદ્યોગના સંયુકત નિયામકની યાદીમાં જણાવાયું છે.

ધો-1 થી ધો-12નાં પાઠય પુસ્‍તકનું વેચાણ શરૂ કરાયું

ગુજરાત રાજ્‍ય શાળા પાઠયપુસ્‍તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવતાં ધો-1 થી 12ના તમામ પાઠયપુસ્‍તકોનું પૂરતા પ્રમાણમાં છાપકામ કરવામાં આવેલ છે. શૈક્ષણિક સત્ર-2013 શરૂ થાય તે પહેલાં રાજ્‍યના દરેક બાળકો જરૂરીયાત મુજબનાં પુસ્‍તકો મળી રહે એ પ્રકારનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવેલ છે. આ આયોજનના ભાગરૂપે મંડળ દ્વારા નિયુક્‍ત કરેલ રાજ્‍યના જિલ્લાકક્ષાના વિતરકો મારફતે રાજ્‍યના તમામ વિસ્‍તારોમાં પાઠયપુસ્‍તકોના વેચાણની કામગીરી તા.20-5-2013થી શરૂ કરવામાં આવેલ છે તેમ શ્રી એચ.કે.પટેલ, નિયામક ગુજરાત રાજ્‍ય શાળા પાઠયપુસ્‍તક મંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.

ચૂંટણીમાં શ્રમયોગીઓ,કર્મચારીઓ મત આપી શકે તેવી વ્‍યવસ્‍થા કરવા અંગે

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા તા. ૦૨/૦૬/૨૦૧૩, રવિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની  પેટા ચૂંટણી-૨૦૧૩ યોજાનાર છે. ગુજરાત દુકાનો અને સંસ્‍થા અધિનિયમ ૧૯૪૮ ની કલમ-૧૮ (૧) (બ) (ક) હેઠળ શ્રમયોગીઓ-કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગ્રામીણ બેંકો, રાષ્‍ટ્રીય અને ખાનગી બેંકો તથા સહકારી બેંકો અને રાજ્ય તથા કેન્‍દ્ર સરકારની આવશ્‍યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલ્‍વે, ટેલિફોન, તાર અને પોસ્‍ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્ય સંસ્‍થાઓ, હોટલો, ઔધોગિક એકમો, કારખાનાઓ ફેકટરીઓ સરકારી હોસ્‍પિટલો, પોલીસ સ્‍ટેશનો, ફાયર બિગ્રેડ અને આવશ્‍યક સેવાઓ આપતી અન્‍ય સંસ્‍થાઓ/કચેરીઓ માટે તા. ૦૨/૦૬/૨૦૧૩, રવિવારના ચૂંટણી સંબંધિત દિવસે ઉકત સમગ્ર વિસ્‍તારમાં જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં બદલીમાં મતદાનના દિવસે રજા આપવી. જો સંબંધિત વિસ્તારમાં કોઇ કારણસર તેમ થઇ શકે તેમ ન હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી,શ્રમયોગીઓને મતદાન માટે વારાફરતી ૩ (ત્રણ) કલાકની ખાસ રજા આપવા મદદનીશ શ્રમ આયુક્ત પાલનપુર ધ્વારા જણાવાયું છે.. 

ચૂંટણીમાં ફોટાવાળી મતદાર કાપલીથી મત આપી શકાશે.''

મતદાન મથક ખાતે હાજર બુથ લેવલ ઓફિસર (બીએલઓ) પાસેથી મતદાર કાપલી મળશે.''

તા.૨ જી જુનના રોજ સવારે-૭ થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં મતદાન માટે ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદારોને તેમના મતદાન મથક, મતદારયાદીના ભાગ તથા તેમના અનુક્રમની જાણકારી તેમજ મતદાન માટેના ઓળખના પુરાવા તરીકે ફોટાવાળી મતદાર કાપલીનું બુથ લેવલ ઓફિસર (બીએલઓ) ધ્વારા ઘેર ઘેર વિતરણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જે. જી. હિંગરાજીયાએ જણાવ્યું છે કે, કોઇ કારણસર ફોટાવાળી મતદાર કાપલી ન મળી હોય તેવા મતદારોને મતદાનના દિવસે એટલે કે તા.૨/૬/૨૦૧૩ ના રોજ સંબંધિત મતદાન મથક ખાતે હાજર બુથ લેવલ ઓફિસર (બીએલઓ) પાસેથી ફોટાવાળી મતદાર કાપલી નાગરિકોને મળી શકશે.જેની નોંધ લેવા જણાવાયું છે.

સાબરકાંઠા  જિલ્લામાં આજે ૭ ગામોમાં કૃષિ મહોત્સવનું  સમાપન

સાબરકાંઠા જિલ્લામાં તારીખ ૩૧/૫/૧૩ નારોજ ૭ ગામોમાં કૃષિરથ પરીભ્રમણ કરી ખેડૂતોને માર્ગદર્શન આપ્‍યુ હતું જેમાં હિંમતનગર તાલુકાના ચાંદરણી, મોતીપુરા,કડોદરી વાસણા(ચા), ખેડ, હમીરગઢ(ખે), અરજણપુરા, રાયસીંગપુર, ધનપુરા, ભિલોડામાં ભવાનપુર, રૂદરડી, બેચરપુર, દોલતપુર, શામળાજી શામળપુર, વેણપુર, પાલ્લા ખેડબ્રહમામાં ગણેર, ખંઠોરા, દેલવાડા , દાંતીયા,ઓબીસર , મતરવાડા  કાલીકોકણ, ઓજણી, ઝીંઝણા, અજાવાસ, ઇડરમાં રતનપુર, મસાલ, બરવાવ, સુરપુર, ખાસકી, મેઘરજમાં જરડા, ગાયવાછરડા, વડથલી, ગોઢા, પહાડીયા, લાલપુર, વાંક. કોટડ, રોલા, બાયડમાં ઉંટરડા ,તેનપુરલીંબ, વાસણી, માથાસુલીયા, ચાંદરેજ, મોડાસામાં - ઇટાડી, ગલસુંદરા, બાયલ, ઢાંખરોલ, નવા વડવાસા, જૂના વડવાસા, કિશોરપુરા ગામે કૃષિ મહોત્સવના સમાપનનો કાર્યક્રમ યોજાયો હતો.

કૃષિ મહોત્સવ એ સર્વાંગી વિકાસનો પાયો છે.........રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા

ગાંઘીનગર જિલ્‍લા કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પુર્ણાહુતિ સમારંભ ગુજરાત રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહાની ઉપસ્‍થિતિમાં ગાંઘીનગર તાલુકાના આલમપુર ખાતે યોજાયો

ગાંઘીનગર જિલ્‍લામાં આજરોજ કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પુર્ણાહુતિ સમારંભ ગુજરાત રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહાની ઉપસ્‍થિતિમાં ગાંઘીનગર તાલુકાના આલમપુર ગામ ખાતે યોજાયો હતો. મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા અને જિલ્લા પ્રભારી સચિવ શ્રી ર્ડા. સંજય પ્રસાદે પશુ આરોગ્ય કેમ્પની મુલાકાત લઇ બકરીને ડી વોર્મીંગની દવા પીવડાવી હતી. તેમજ કૃષિ રથનું બારીકાયથી નિરીક્ષણ કર્યું હતું.      આ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ એ સર્વાંગી વિકાસનો પાયો છે. સર્વાંગી વિકાસના પાયાને મજબૂત કરવાના ઉમદા આશયથી આઠ વર્ષ અગાઉ સમગ્ર રાજયમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા સત્તર દિવસથી સમગ્ર રાજયમાં કૃષિ મહોત્સવ જે તે તાલુકા પંચાયતની સીટ અનુસાર યોજાઇ રહયો છે. કૃષિ મહોત્સવ સાથે કૃષિ રથ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબની ખેતી અને કૃષિ સંલગ્ન તથા અન્ય રાજય સરકારની યોજનાઓની જાણકારી આપવાના ઉમદા આશયથી સાંકળવામાં આવ્યો છે.   વઘુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ થકી આજે રાજયના ડાંગ જેવા અંતરિયાળ જિલ્લામાં પણ ગ્રીન હાઉસ અને પોલીનેટ હાઉસની યોજનાઓનો લાભ લઇ ખેડૂતો ખેતી કરતા થયા છે. રાજયમાં કૃષિક્ષેત્રે થોડાક વર્ષમાં એક નવી ક્રાંતિ આવી છે, જે વાતની સાબિતી ગુજરાતનો બે આંકડાએ પહોંચી ગયેલ કૃષિ વિકાસ દર આપી રહ્યો છે. તેમણે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રીપ ઇરીગેશન જેવી પઘ્ઘિતિઓ અપનાવવા પણ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું. પશુ આરોગ્ય કેમ્પ થકી લોકોમાં પશુપાલન અંગેની જાગૃતતા કેળવાઇ છે.     આ પ્રસંગે મહાનુભાવોના હસ્‍તે જુગાજી મહોબતસિંહ વાઘેલા, દલપતસિંહ બળવંતસિંહ વાઘેલા, અંબાલાલ કચરાભાઇ પટેલ અને સુરેશભાઇ માઘાભાઇ પટેલને ટ્રેકટર સહાયના રૂપિયા ૪૫ હજારના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ શિહોલી ગામના સરપંચશ્રીને ગામનો ફર્ટીલીટી મેપ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. દશેલા, આલમપુર અને શિહોલી ગામના કુલ-૩૫ લાભાર્થીઓને કૃષિ તથા પશુપાલન કિટૂસનું વિતરણ કરવામાં આવ્યું હતું.       રાજય સરકારની વિવિઘ સહાય યોજનાઓ વિશેની માહિતી કલાકારો દ્વારા ગ્રામજનોને નાટક, ભવાઇ અને લોક ડાયરા જેવા કાર્યક્રમ રજૂ કરીને આપવામાં આવી હતી. મહાનુભાવોનું ઉષ્‍માભર્યું સ્‍વાગત આલમપુર ગામની નાની દીકરીઓએ કંકુ તિલક કરીને કર્યું હતું.      આ પ્રસંગે જિલ્‍લાના સમાહર્તા શ્રી બી. જે. ભટ્ટે મહાનુભાવોનું શાબ્દિક સ્‍વાગત કર્યું હતું. જિલ્‍લા ખેતી અઘિકારી શ્રી કે. કે. પટેલે આભાર વિઘી કરી હતી.      આ પ્રસંગે પ્રાંત અઘિકારી શ્રી પ્રકાશ મકવાણા, મામલતદાર શ્રી સોનલબેન પઢેરિયા, આલમપુર ગામના સરપંચ શ્રી સ્‍મિતા કે. પટેલ, શિહોલી ગામના સરપંચ શ્રી રામસિંગ બાબુસિંગ ઠાકોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. 

સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અરજી કરો

મહેસાણા જિલ્લા ખાતે ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ કોલેજ જેમાં આર્ટસ,કોર્મસ અને સાયન્સ તથા એમ.એ,એમ.કોમ,એમસ.એસ.સી,બી.એડ,બી ફાર્મ,હોમિયોપેથીક એલ.એલ.બી, એન્જીનીયરીંગ ડીગ્રી ડિપ્લોમા તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સા.શૈ.પ.વર્ગ (બક્ષીપંચ)ની બહેનો માટે વિનામુલ્યે રહેવા,જમવાની સંપુર્ણ સુવિધાવાળું સરકારી કન્યા છાત્રાલય (વિ.જા) મહેસાણામાં ચાલી રહી છે.

આ છાત્રાલયમાં ગ્રામ્ય વિસ્તારમાં આવતી બેહનો માટે રૂપિયા ૭૯,૫૦૦ તથા શહેરી વિસ્તારમાંથી આવતી બહેનો માટે ૧,૦૬,૦૦૦ વાર્ષિક આવક મર્યાદા ધરાવતી બેહનોને પ્રવેશ આપવામાં આવે છે.

સરકારી કન્યા છાત્રાલય (વિ.જા) મહેસાણા સરદાર ડેરીસામે આર.ટી.ઓ ઓફિસની પાછળ મહેસાણા ૦૨ માં ચાલી રહી છે. આ માટે જિલ્લાસમાજ કલ્યાણ અધિકારી  બ્લોક નં-૪,ભોંયતળીયે મહેસાણા-૦૧ ૦૨૭૬૨-૨૨૧૮૭૩ પર સંપર્ક સાધવાનો રહેશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

કૃષિ મહોત્સવ અંતર્ગત  માહિતી ખાતા દ્વારા સમી તાલુકાના વાગોસણ ગામે લોકડાયરો યોજાયો

પાટણ જિલ્લાના સમી તાલુકાના વાગોસણ ગામે કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકો અને પશુપાલન અધિકારોએ કૃષિ, બાગાયતી, આધુનિક કૃષિ ઓજારો, ટપક સિંચાઇ અને પશુપાલનને લગતી ખેડૂતોને જાણકારી આપી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને કૃષિ કીટસ અને પશુ કીટસનું પદાધિકારીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેડૂતો અને પશુપાલકોને ભવાઇ, લોકડાયરા તથા કથાકિર્તન દ્વારા મનોરંજન સાથે કૃષિ, બાગાયતી અને પશુપાલનનું જ્ઞાન મળી રહે તે માટે જિલ્લા માહિતી કચેરી, પાટણ દ્વારા લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરાના કલાકારોએ આધુનિક ખેતી અને પશુપાલનને લગતું જ્ઞાન મનોરંજન સાથે પીરસ્યું હતું. લોકડાયરો ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

સમી તાલુકાના ગોધાણા ગામે કૃષિરથનું આગમન

ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અનુરોધ કરતા ખેતી અધિકારીશ્રી ચૌધરી

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામે કૃષિરથનું આગમન થયું હતું. જેમાં ગોચનાદ, બાબરી, ચાંદરણી, બિસમીલ્લા અને રામપુરા ગામના ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં જોડાયા હતા.    આ પ્રસંગે ખેતી અધિકારીશ્રી ર્ડા.પી.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે, હવે નાના ખેડૂતોએ પણ ચીલાચાલુ ખેતીથી દુર રહીને પોતાની ખેતીમાં તાંત્રિક અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઇએ. કૃષિ મહોત્સવથી ખેડૂતોમાં જાગૃત્તિ આવી છે. ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહયા છે. જેનાથી રાજયનો કૃષિ દર વધતો જઇ રહયો છે. વધુમાં ર્ડા. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારની જમીન વધુ ખારાશવાળી છે. ટપક સિંચાઇ પધ્ધતિથી પાણીનો સમુચિત ઉપયોગ અને જયાં પાણીનો આવરો હોય ત્યાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇએ. જમીનની લેબોરેટરી કરાવી જરૂરી પોષક તત્વોની ઉણપ દુર કરવી જોઇએ. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી સેન્દ્રીય ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઇએ.

આ પ્રસંગે સમી વિસ્તરણ અધિકારીશ્રી એસ.પી.રાણાએ પણ ખેડૂતોને પાણીનું મુલ્ય સમજાવ્યું હતું. ઓછા પાણીએ સારી ખેતી થાય તે માટે આધુનિક પધ્ધતિથી ખેતી કરવા જણાવ્યું હતું. નવા સંશોધિત બિયારણો, જૈવિક ખેતી વિશે માહિતી આપી ખેડૂતોને ઉત્તમ ખેતી કરવા જણાવ્યું હતું.

બાગાયતી ખાતાના અધિકારીશ્રી એલ.કે.પટેલે પણ બાગાયતી ખેતી કરી વધુ નફો મેળવી શકાય તેની સવિસ્તાર માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, તલાટીઓ, ગ્રામસેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

પાટણ જિલ્લામાં સભા સરઘસબંધી

પાટણ જિલ્‍લાના તમામ શહેરી તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે સારુ સાવચેતીના પગલાંની આવશ્યકતા રહે છે.

પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની (સને. ૧૯૫૧ ના ૨૨) ની કલમ-૩૭(૩) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૧/૦૬/૧૩ ના ૦-૦૦ કલાકથી તા. ૩૦/૦૬/૧૩ના રોજ ૨૪-૦૦ કલાક સુધી દિવસો સુધ્ધાંત મુદત માટે કોઇપણ સરઘસ કે ચાર કરતાં વધુ વ્યકિતઓની મંડળી માટે મનાઇ ફરમાવી છે. સદરહુ આદેશ (૧) સરકારી નોકરીમાં હોય તેવી વ્યકિતઓને, (૨) ફરજ ઉપર હોય તેવી વ્યકિતઓને, (૩) કોઇ લગ્નના વરધોડાને, (૪) કોઇ સ્મશાન યાત્રાને, (પ) સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ મંજૂરી મેળવેલ સમારંભ કે સરઘસને, (૬) ચૂંટણીની કાયદેસરની પ્રક્રિયાને લાગુ પડશે નહીં.

જાહેર જગ્યાઓ પર સી.સી. ટીવી કેમેરા લગાવવા જાહેરનામું

ગંભીર અનડીટેકટેડ ગુનાઓના ઇન્વેસ્ટીગેશન દરમ્યાન ગુનેગારોને શોધી કાઢવા માટે હાઇવેના દરેક હોટલ, પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા, બેંકો, મંદિરો વગેરે સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા વીથ રેકોર્ડીંગ સીસ્ટમ હોવી જોઇએ. હાઇવે ઉપરની હોટલો અને પેટ્રોલ પંપો ઉપર આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી ગુનેગારોને પકડી શકાય. ગુનાઓ ડીટેકટ થાય તો ગુનેગારો વધુ ગુના કરતા અટકે છે. આ રીતે નાગરિકોના જાન અને માલ બચે છે.

પાટણના  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે  એક જાહેરનામામાં જણાવ્‍યું છે કે, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની (સને. ૧૯૭૪ ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ પાટણ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ રાષ્ટ્રીય, ખાનગી, સહકારી બેંકો, પેટ્રોલ પંપો, જવેલર્સની દુકાનો, શોપીંગ સેન્ટરો, હોટલો, મોટા મંદિરો તેમજ સિનેમા ઘરોએ સી.સી.ટી.વી. કેમેરા કેશીયરની કેબીન ઉપર, મેઇન દરવાજા ઉપર, બેંકના એટીએમની કેબીનમાં તથા ટ્રેઝરી ઉપર તેમજ હોટલોમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર લગાવવા તેમજ ડેટા છ માસ સુધી સાચવી રાખવો. સદરહું ડેટા પોલીસ અધિકારી તરફથી માગણી કર્યે આપવાનો રહેશે.

પાટણ જિલ્લામાં હથિયારબંધી ફરમાવાઇ

પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તે હેતુથી પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે હથિયારબંધી ફરમાવી છે.

મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧) મુજબ પાટણ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૧/૦૬/૧૩ ના ૦-૦૦ કલાકથી તા. ૩૦/૦૬/૧૩ના રોજ ૨૪-૦૦ કલાક સુધી બંને દિવસો સુધ્ધાંત નીચે મુજબના કૃત્યો કોઇપણ ઇસમને નહી કરવા ફરમાન કરાયું છે. જે મુજબ શસ્ત્રો, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવા સાધનો કે હથિયારો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવા સામે, જલ્‍દી સળગી ઉઠે તેવા પદાર્થો બનાવવાની કે એકઠા કરવાની કે સાથે રાખી ફરવાનું કે કોઇપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઇ જવાનું, પથ્થર અથવા પથ્થર જેવા પદાર્થો અથવા હથિયાર અગર ફેંકી શકાય તેવા સાધનો સાથે રાખી ફરવાનું કે એકઠા કરવાનું, જુસ્સાદાર ભાષણ કરવાનું કે, નનામીઓ કે પૂતળા કાઢવાનું કે, ચાળા પાડવા કે અસભ્યતા પ્રેરે અગર નીતિનો ભંગ કરેલ તેવા ચિત્રો તૈયાર કરવાનું પ્રદર્શિત કરવા સામે, ધાર્મિક કે સામાજિક લાગણી દૂભાય તેવા સુત્રો પોકારવા સામે, નીતિનો ભંગ કરે તેવું ભાષણ કરવા, વાણી ઉચ્ચારવા, નીતિનો ભંગ થાય તેવા હાવભાવ કરવા, ચિત્રો, પત્રિકાઓ અથવા પ્લેકાર્ડો તૈયાર કરવાનું ઉપયોગ કરવા સામે મનાઇ ફરમાવી છે.

આ હુકમ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહીં.

પોતાની ફરજ અંગે ઉપરી અધિકારીના હુકમ પ્રમાણે હથિયાર રાખવા પડતા હોય તેવા સરકારી કર્મચારીઓને, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પાટણ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાટણ/રાધનપુર/સમી/સિધ્ધપુર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, પાટણ, વિભાગીય પોલીસ અધિકારીશ્રીઓ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓ તથા કોઇ પોલીસ અધિકારીશ્રીએ શારીરિક અશકિતના કારણે લાકડી અગર સોટી રાખવાની પરવાનગી આપી હોય તેવા ઇસમોને લાગુ પડશે નહીં.

વઢિયાર પંથકના અરીઠાના બાબુરામભાઇએ ૪૦ વીઘામાં ટપક પધ્ધતિથી ૬૦૦ મણ જીરૂં પકવ્યું

અહેવાલ- બી.પી.બુસા, જિલ્લા માહિતી કચેરી, પાટણ.

પાટણ જિલ્લો એટલે ગાજર-વરીયાળી, દિવેલા, કપાસ અને ઘઉંનું ઉત્પાદન પકવતા જિલ્લા તરીકેની ઓળખ છે. પરંતુ આજે પાટણ જિલ્લાનો ખેડૂત દાડમની ખેતી તરફ મીટ માંડતો થયો છે અને હવે મસાલામાં ઉપયોગમાં લેવાતું મોંઘા મુલું જીરૂં પકવતો થયો છે.પાટણ જિલ્લામાં જીરૂં થતું પરંતું ખુબ ખર્ચાળ ખેતી તરીકેની વ્યાખ્યામાં આવતું એટલે ખેડૂતો તેના પ્રત્યે ઓછી રૂચિ ધરાવતા હતા. પરંતું રાજય સરકારના કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને સારૂં માર્ગદર્શન અને પાકોની જાણકારી મળી રહે છે. જેના સારા પરિણામો છેલ્લા નવ વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં મળી રહયા છે. આવા પરિણામના ભાગીદાર બનવામાં જેમણે કદમ મીલાવ્યા છે એવા વઢિયાર પંથકના સમી તાલુકાના અંતરિયાળ ગામ અરીઠાના ખેડૂત પટેલ બાબુરામભાઇ ગંગારામભાઇ. શ્રી બાબુરામભાઇએ ચાલુ વર્ષે ૪૦ વીઘાનું ટપક સિંચાઇ પધ્ધતિથી જીરાનું વાવેતર કરેલ. જેમાં તેમણે ૬૦૦ મણ જીરાનું ઉત્પાદન મેળવી સરેરાશ એક વીઘામાં ૧૫ મણ જીરૂં પકવેલ. તેમણે બાજુનf ખેતરમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના નીક પધ્ધતિથી પાંચ વીઘામાં જુરાનું વાવેતર કરેલ. જેમાં એક વીઘે ૪ મણ જીરાનું ઉત્પાદન થયું હતું. આમ, ટપક સિંચાઇ પધ્ધતિથી જીરાની ત્રણ ઘણી વધારે ઉપજ થઇ હતી. ટપક સિંચાઇથી ઓછા પાણી અને નીંદામણ ન થવાથી મજુરી ખર્ચ પણ બચી ગયો હતો. આમ, ઓછા ખર્ચે જીરાનું વધુ ઉત્પાદન મેળવ્યું હતું.

આજુબાજુ વિસ્તારના ખેડૂતો જીરાના પાકની મુલાકાત લેવા આવતા ત્યારે પ્રગતિશીલ ખેડૂત બાબુરામભાઇ પોતાના અનુભવના આધારે ઉંચા મસ્તકે કહેતા કે, જે પધ્ધતિથી વડવાઓ ખેતી કરતા તે મોંઘી પડે છે, પરંતું હવે આધુનિક ઢબે ખેતી કરી ખેતીને એક ઉદ્યોગ તરીકે અપનાવવો જોઇએ.

 

 

 

ટિપ્પણીઓ નથી: