અનુયાયીઓ

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪૨ મી.મી.૫૯ ટકા વરસાદ


છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ખંભાતમાં ત્રણ ઇંચઃ સાત તાલુકામાં એક ઇંચ વરસાદ
ગાંધીનગર
અત્યાર સુધીમાં ચાલુ ચોમાસાની મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪૨ મી.મી. થયો છે. જે ૫૯ ટકા જેટલો થવા જાય છે.
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલાં અહેવાલો મુજબ આજે તા. ૨૦-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના ખંભાતમાં ૭૯ મી.મી. એટલે કે ત્રણ ઇંચ વરસાદ થયો છે. જયારે ધંધૂકા ૨૭ મી.મી., તારાપુર ૨૫ મી.મી., લુણાવાડા ૩૨ મી.મી., વ્યારા ૨૮ મી.મી., કામરેજ ૨૭ મી.મી., ઉમરપાડા ૨૩ મી.મી. કપરાડા ૨૩ મી.મી. એટલે કે એક ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના ૧૭ તાલુકાઓમાં અર્ધા ઇંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદ નથી.



રાજ્યના ૩૪ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૨.૯૭ મીટર ડેમ ૧૦૦ ટકા ભરાયો
૬૧ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૫ જળાશયો માટે એલર્ટ અને ૧૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૦-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૩૪ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૨૭, કચ્છ-૧, મધ્ય ગુજરાતના ૩, અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયોનો સમાવેશ થાય છે.
સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૨.૯૭ મીટર રહી છે અને ૫૨૬૫.૮૪ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ છે. જે ટકાવારીમાં જોઇએ તો ૧૦૦ ટકા જેટલો થવા જાય છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.
રાજ્યના ૬૧ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૫ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૭ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટયલા જળાશયોમાં આજે ૧૦૭૧૨.૯૨ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.



બી.ટી. કોટન બિયારણના વાવેતરની કામગીરી બાળકોના આરોગ્ય પર વિપરીત અસર પહોંચાડે છે
બી.ટી. કોટન બિયારણથી બાળ શ્રમિકોને દૂર રાખવા અપીલ

ગાંધીનગર
રાજ્યના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે અને કેટલેક અંશે વડોદરા જિલ્લામાં બી.ટી. કોટનના બિયારણનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. આ બિયારણના વાવેતર બાદ તેના ફલીનીકરણની કામગીરી માટે નાના બાળકોને કામે રાખવામાં આવતા હોવાની રજુઆતો સરકારને મળે છે. આ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો પેકી મોટા ભાગના શ્રમિકો પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને આવતા હોવાનું જણાયું છે. આ રાજસ્થાનના શ્રમિકો પોતાના પરિવાર સાથે સ્થળાંતર કરતાં હોઇ, તેઓની સાથે બાળકો પણ આવતા હોય છે.
બી.ટી. કોટન બિયારણની કામગીરીમાં બાળકો શ્રમિકો તરીકે કાર્ય કરે તે બાળકોના આરોગ્ય અને શિક્ષણને વિપરીત અસરો પહોંચાડે છે. અન્ય રાજ્યના બાળશ્રમિકો તથા સ્થાનિક બાળકોને બી.ટી. કોટન બિયારણની ફલીનીકરણની કામગીરીથી દૂર રાખવા ખેડૂત મિત્રોને ગ્રામશ્રમ આયુક્ત દ્વારા અપીલ કરવામાં આવી છે.
વધુમાં બાળશ્રમિકોને કામે રાખવાથી બાળશ્રમિક ધારાની જોગવાઇઓમાં ભંગ થતો હોવાનું જણાશે તો તે માટે જવાબદાર ખેડૂતો સામે સખત કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા પણ જણાવાયું છે.



ત્રણ આઇ.એ.એસ. કેડરના અધિકારીઓની બદલી
ગાંધીનગ
રાજ્ય સરકારે ત્રણ આઇ.એ.એસ. કેડરના અધિકારીઓની બદલી કરી છે. તદ્દઅનુસાર પંચમહાલના અધિક કલેકટર શ્રી કે.બી. ઉપાધ્યાયની બદલી સંકલિત બાળવિકાસ યોજનાના નિયામક તરીકે મહિલા અને બાળ વિકાસ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર ખાતે કરાઇ છે. જ્યારે ભરૂચ જિલ્લાના અધિક કલેકટર શ્રી વી. બી. મેકવાનની બદલી જોઇન્ટ કમિશનર(પ્લાનીંગ) સરદાર સરોવર પૂનર્વસન એજન્સી, વડોદરા તરીકે કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજસુરક્ષા ખાતું, ગાંધીનગરના નિયામક શ્રી વી. સી. વર્માની બદલી જોઇન્ટ કમિશનર(પુનર્વસન) અને નિયામક (ફરિયાદ નિવારણ સેલ) તરીકે સરદાર સરોવર પુનર્વસન એજન્સી, વડોદરા ખાતે કરવામાં આવી છે.



જન્માષ્ટમી અને પર્યુષણ પર્વે કતલખાના બંધ રાખવા રાજ્ય સરકાર દ્વારા સૂચના
ગાંધીનગર
રાજ્ય સરકારે આગામી જન્માષ્ટમી અને પર્યુષણના પર્વો નિમિત્તે તા. રર-૮-ર૦૧૧ને જન્માષ્ટમી તેમજ તા. રપ-૮-ર૦૧૧થી તા. ૧-૯-ર૦૧૧ સુધીના પર્યુષણના દિવસો દરમિયાન મહાનગરપાલિકાઓ/નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં તમામ કતલખાનાઓને બંધ રખાવવા તેમજ માસ-મચ્છી-મટનના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાવવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારે સુરતના શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટની રજૂઆતોને ધ્યાને લઇને આ નિર્ણય કર્યો છે.

જેતપુરના લોક મેળામાં માનવ

મહેરામણ ઉમટી પડ્યો.
મેઘાએ વિરામ રાખતા જેતપુરનો મેલો જામ્યો
પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત.
પીઆઇ લીમ્બસીયાની સતત દેખરેખ
છેલ બતાઉ છોકરાવની રોમિયોગીરી યથાવત.
ચંચલ છોકરીઓની આવજા થી યુવાનો ગેલમાં
અ હાલો હાલો જેતપુરના મેળે મોજું કરવા.

શનિવાર, 20 ઑગસ્ટ, 2011

જન્‍માષ્‍ટમીના તહેવારો નિમિત્તે કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્‍તે પપ૦ પરિવારોને સમર્પણ ગ્રુપ આયોજીત રાહત દરે રાશન વિતરણનો શુભારંભ

અર્પણ-તર્પણ-સમર્પણનો સુભગ સમન્‍વય સધાયો છે.-કૃષિ મંત્રીશ્રી સંઘાણી

રાજકોટ

કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ આજે રાજકોટ ખાતે સંત કબીર રોડ પર સમર્પણ ગ્રુપ આયોજીત રાશન વિતરણ કાર્યક્રમ અંતર્ગત પપ૦ જરૂરતમંદ પરિવારોને રાહતદરે રાશન વિતરણ કરી સંસ્‍થાના આ સેવા કાર્યનો શુભારંભ કર્યો હતો.

જન્‍માષ્‍ટમી મહોત્‍સવ નિમિતે મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ અહીં ધર્મધ્‍વજાનું આરહણ કર્યુ હતું.

આ પ્રસંગે રૂ. ૧૦/ના ટોકન દરે જરૂરતમંદોને કૂલ રૂ. ૧૭૫/ ની કિમતની જુદી-જુદી અનાજ રાશન સામગ્રી જેવી કે તેલ, ખાંડ, બેસન, મમરા, પૌવા, બિસ્‍કીટ વગેરેનું વિતરણ કરાયું હતું.

કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ આ પ્રસંગે સંસ્‍થાની સેવા પ્રવૃત્‍તિને બિરદાવી જણાવ્‍યુ હતુ કે આવી સેવા પ્રવૃતિમાં મને સામેલ કરી મારા હસ્‍તે શુભારંભ કર્યો તે બદલ ધન્‍યતાની લાગણી સાથે અર્પણ-તર્પણ અને સમર્પણ જેમા સમર્પણ સર્વોચ્‍ચ ભાવ અનુભવાય છે. અહિં જીવની સેવા શ્રાવણ મહિનામાં કરવામાં આવી છે, તે આવકાર્ય છે. જીવના કલ્‍યાણનો મહિમા અપરંપાર છે. ભોળાનાથ શિવજીએ જીવની સેવા કરવાનો બોધ આપ્‍યો છે. આનાથી ઉત્તમ સેવા ભકિત સમર્પણ બીજુ એકેય નથી. આ ગ્રુપ આવા સેવા કાર્ય બદલ અભિનંદનને પાત્ર છે. ભગવાન ભોળાનાથની કૃપા આવા સદકાર્ય બદલ તેમના પર ઉતરશે તેવો ભાવ વ્‍યકત કર્યો હતો.

સંસ્‍થાના પ્રમુખશ્રી વિનોદભાઇ ચોટલીયાએ સંસ્‍થાકીય સેવા પ્રવૃત્‍તિની રૂપરેખા આપી જણાવ્‍યું હતું કે આ પ્રકારે છેલ્‍લા ૭ વર્ષથી રાહત દરે રાશન વિતરણ કરાય છે.

આ પ્રસંગે પૂર્વ ડેપ્‍યુટી મેયરશ્રી વલ્‍લભભાઇ દુધાત્રા, નગર સેવકશ્રી અનિલભાઇ રાઠોડ, મહાનગરપાલીકા પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્‍યશ્રી નયનાબેન પેઢલીયા તથા સંસ્‍થાના હોદ્દેદારો, સભ્‍યો અને રાશનની જરૂરીયાતવાળા લાભાર્થી ભાઇઓ-બહેનો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

ગામડાના સર્વાંગી વિકાસની દીશામાં રાજય સરકારની મક્કમતાપૂર્વક આગેકૂચ

ગામડાને ર૪ કલાક વિજળી આપી સર્વાંગી ઉત્‍કર્ષના દ્વાર ખોલ્‍યા છે.

- કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

વાંકાનેર ખાતે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમમાં તાલુકાનાં વિકાસ માટે થયેલું મંથન

રાજકોટ

રાજય સરકારના ‘તાલુકા સરકાર’ના અભિગમને સાર્થક કરવા આજે રાજયના કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ વાંકાનેર ખાતે યોજાયેલા ‘ચલો તાલુકા’ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ગામોના સરપંચો અને પદાધિકારીઓ તેમજ વહિવટી તંત્રને સંબોધતા જણાવ્‍યુ હતુ કે સમાજના તમામ વર્ગોના લોકોનો સહકાર લઇ ગામડાનો ઉત્‍કર્ષ કરીને મહાત્‍મા ગાંધી અને સરદાર પટેલે ગામડાની આબાદીના સેવેલા સ્‍વપ્‍નને સાકાર કરવાની રાજય સરકારની નેમ છે. અને આ દીશામાં નક્કર પરિણામો પણ પ્રાપ્‍ત કર્યા છે. અને ઉમેર્યુ હતુ કે મુખ્‍યમંત્રીશ્રીના દ્રષ્‍ટિવંત અને દૃઢ નિશ્ચયને કારણે જયોતિગ્રામ યોજના થકી ગામડાને ર૪ કલાક વિજળીની સુવિધા આપી ગામોના માત્ર અંધારાજ નહિં પરંતુ ગ્રામીણ વિસ્‍તારના ઉત્‍કર્ષના દરવાજા ખોલી નાખ્‍યા છે.

તેમણે જણાવ્‍યું હતુ કે આજસક્ષમ નેતૃત્‍વ હેઠળ ગુજરાતને વિકાસના પંથે લઇ જવાનયાત્રા શરૂ થઇ છે. વિકાસનો આ દિપ સતત પ્રજવલ્લિત રહેશે. ચાલો તાલુકા કાર્યક્રમ અંતર્ગત તાલુકાના વહિવટી તંત્રને સશકત કરીને સાથોસાથ લોક પ્રતિનિધીઓનો પણ સક્રિય સહયોગ લઇને તાલુકાના વિકાસ અને ગ્રામીણ જીવન ધોરણ ઉંચુ આવે તેવા પ્રયાશો શરૂ કર્યા છે. એમ તેમણે જણાવ્‍યુ હતુ. તેમણે જણાવ્‍યુ હતુ કે ગામડાને ર૪ કલાક વીજળી મળતા શહેરીકરણ તરફની દોટ ઘટશે અને રોજગારીની તકો વધશે. જયોતિગ્રામ યોજનાથી લોકોના સામાજીક જીવનમાં પણ બદલાવ આવ્‍યો છે.

રાજય સરકારકૃષિ મહોત્‍સવ થકી ખેતી અને ખેડુતોને સમૃધ્‍ધ કર્યા છે. કેન્‍દ્રના ૪ ટકા કૃષિ દર સામે રાજયનો કૃષિ વિકાસ દર ૧૦ ટકા છે. આ ઉપરાંત શહેરો અને ગામોમાં પાણીની સુવિધાની યોજનાઓનું સફળ અમલીકરણ એમ ભૂતકાળમાં કયારેય ન થયા હોય તેવા કામો કરી દેશભરમાં ગુજરાત મોખરે રહ્યું છે.

તેમણે જણાવ્‍યુ કે ભૂતકાળમાં ગામડાના અને તાલુકાનાં લોકોને પોતાના વિકાસ કામો માટે જિલ્‍લા કે રાજય કક્ષાએ ધક્કા ખાવા પડતા તે હવે ભૂતકાળ બન્‍યો છે. અને વહિવટી તંત્ર સામે ચાલીને ગામડાને દ્વારે આવે છે અને પધ્‍ધતિસર પૂર્વ આયોજન કરી ગામડાનાં વિકાસ માટે મથામણ કરે છે. આ સરકારે સતાનું વિકેન્‍દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ સતાઓ આપી ગ્રામીણ વિકાસનો માર્ગ મોકળો કર્યો છે. આ સરકારે ગરીબી હટાવોનું માત્ર સુત્ર જ નહિ પણ તે માટેનું નકકર કામ પણ કર્યુ છે.

આવી વિકાસની યાત્રામાં અવરોધક પરિબળોને ઓળખીને તેનાથી દૂર રહી સહિયારા પુરુષાર્થથી ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા તેમણે સરપંચશ્રીઓ અને પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.

જિલ્‍લા કલેકટરશ્રી ડો. રાજેન્‍દ્રકુમારે ચાલો તાલુકા કાર્યક્રમનું હાર્દ જણાવી કહ્યું હતુ કે વસુંધૈવ કુટુમ્‍બકમની ભાવનાથી સમાજનો સર્વાગી વિકાસ કરવાનો છે. આ કાર્યક્રમ સમગ્ર વહિવટી તંત્રને સશકત બનાવવા તથા પદાધિકારીઓને યોજનાઓની જાણકાર આપવાનો છે. ગામડાઓના વિકાસ કઇ રીતે થઇ શકે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓના કલસ્‍ટર ગ્રુપની રચના કરાઇ છે. જે આ અંગે પોતાનો અહેવાલ તૈયાર કરશે. તેમણે રાજકોટ જિલ્‍લાના ૮૪૪ ગામોમાં થયેલા વિવિધ વિકાસ કામોનું સંક્ષીપ્‍ત ચિત્ર વીડીયો પ્રેઝન્‍ટેશન દ્વારા કર્યુ હતું. રાજય સરકાર દ્વારા ગામડાના સર્વાંગી વિકાસ ઉપર લક્ષ કેન્‍દ્રીત કરવાની આ કાર્યક્રમની નેમ છે.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયે જણાવ્‍યુ હતું કે ગુજરાતનાં વિકાસને મોડલરૂપ ગણવામાં આવે છે. રાજકોટ જિલ્‍લામાં કૃષિ મહોત્‍સવના કારણે ખેડુતોને ગામડામાં ખેતરેજ નવા સંશોધનોનો લાભ મળતો થતાં કૃષિ ઉત્‍પાદન વધ્‍યું છે. તેમણે જણાવ્‍યુ કે ૧૩માં નાણાપંચ હેઠળ જિલ્‍લાની ૮૪૪ ગ્રામ પંચાયતોને કૂલ રૂ. ૯પર લાખની ગ્રાન્‍ટ વિકાસ કામો માટે ફાળવાઇ છે. અને વધુ રૂ. પપ૦ લાખ ટુંક સમયમાં ફાળવાશે. તેમણે સરપંચો અને પદાધિકારીઓને પોતાના ગામમાં કઇ સવિધા ખૂટે છે અને ગ્રામીણ વિકાસની સ્‍થાનિક પરિસ્‍થિતિનો અભ્‍યાસ કરી ગ્રામ વિકાસ અને અન્‍ય યોજનાઓનો લાભ લવા અનુરોધ કર્યો હતો.

વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એચ.આર.કેલૈયાએ જણાવ્‍યુ હતુ કે વાંકાનેર તાલુકામાં પ્રાંત કચેરીનો પ્રારંભ આ તાલુકાને સશકત કરવાના ભાગરૂપે થયો છે. તાલુકાના વિકાસ માટે ૧૫ કલ્‍સ્‍ટરોની રચના કરાઇ છે. જેઓ ગામોની મુલાકાત લઇ ગામોનો અહેવાલ તૈયાર કરશે. તેમણે જણાવ્‍યુ હતુ કે તાલુકામાં નીચો સાક્ષરતા દર તેમજ બિન કુશળ અને અસંગઠીત માનવશકિત વગેરે તાલુકાના વિકાસને અવરોધક પરિબળો છે. ટાઇલ્‍સ, જીનીંગ, ડેરી, ખનીજ, પ્રવાસન ક્ષેત્રે તાલુકામાં વિકાસની તકો ઉપલબ્‍ધ છે. તાલુકામાં ૩ નવા વિજ સબ સ્‍ટેશનો આગામી સમયમાં સ્‍થપાશે એમ તેમણે જણાવ્‍યુ હતું. તાલુકાની ૯૩ શાળાઓમાં ધોરણ-૮ના વર્ગો શરૂ કરેલ છે. તાલુકામાં શિક્ષણસ્‍તર સુધારવા સમિતિની રચના કરાઇ છે. તાલુકામાં આગામી પાંચ વર્ષનાં આયોજન માટે ‘‘વિઝન ડોકયુમેન્‍ટ’’ બનાવવામાં આવશે. અને વહિવટીતંત્ર અને પદાધિકારીઓ મળીને તાલુકાનાં વિકાસને વેગ આપવા પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરી છે.

આ પ્રસંગે ધારાસભ્‍યોશ્રી ગોવીંદભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રી જશુબેન કોરાટ, શ્રી ભાનુબેન બાબરિયા, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપાધ્‍યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, વાંકાનેર નગરપાલિકા પ્રમુખશ્રી દેવજીભાઇ ફુલપરા, જિલ્‍લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, પૂર્વ સાંસદશ્રી લલિતભાઇ મહેતા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાળુભાઇ કાકરેચા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી કે.ક.વાગડીયા તથા જિલ્‍લાની જુદી જુદી કચેરીઓના વરિષ્‍ઠ અધિકારઓ, પુર્વ નગરપતિ શ્રી જીતુભાઇ સોમાણી, મામલતદારશ્રી કોટક, જિલ્‍લા પંચાયતના સદસ્‍યો તાલુકા પંચાયતના સદસ્‍યો તથા ન્‍યાય સમિતિના ચેરમેનશ્રીઓ ગ્રામ્‍ય સરપંચશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

પ્રબુધ્‍ધ નાગરિકો સાથેની બેઠક

કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્‍યક્ષસ્‍થાને ચાલો તાલુકા કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રબુધ્‍ધ નાગરિકોની બેઠકમાં પૂર્વ સાંસદશ્રી લલિતભાઇ મહેતા, વાંકાનેર યુવરાજશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ બોર્ડના ઉપાધ્‍યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા,જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી તેમજ જીલ્‍લા કલેકટરશ્રી ડો. રાજેન્‍દ્રકુમાર અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાય વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

‘‘ આ પહેલા મુખ્‍યમંત્રી છે કે જેમણે ગામડાના લોકોની વીકાસની ઝંખના અને ગામડાની પીડાને અને તકલીફોને અનુભવી છે’’

ચાલો તાલુકા કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના સરપંચોના ઉદગારો

રાજકોટ

વાંકાનેર તાલુકામાં યોજાયેલા ‘‘ચલો તાલુકા’’ કાર્યક્રમમાં તાલુકાના રાજાવડલા, પીપળીયા-રાજ, કોઠારીયા તેમજ વિઠલપર ગામના સરપંચોએ પોતાના ગામોમાં વિકાસ કામોની હેલી વરસી છે તેમ જણાવી મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગામડાના વિકાસની ઝંખના અને ગામડાના લોકોના દુઃખ દર્દો અને મુશ્‍કેલીઓની પીડા અનુભવી છે તેવું અગાઉના પાંચ પાંચ દાયકાની મજલમાં જોયું નથી તેવી લાગણી વ્‍યકત કરી હતી. ‘‘આ પહેલા એવા મુખ્‍યમંત્રી છે કે જેમણે ગામડાની સામે જોયું છે અને ગામડાના લોકોની પીડાને પીછાણી છે.’’

રાજાવડલાના સરપંચશ્રી મહમદભાઇ ખોરાસિયાએ જણાવ્‍યુ હતુ કે છેલ્‍લા પાંચ દાયકા પછી ગામડાના લોકોની મુશ્‍કેલીઓ અને વ્‍યથાને મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જાણી છે અને મુશ્‍કેલીઓમાંથી ગામડુ બહાર આવે તે માટે શહેરો જેવી ગામડમાં સુવિધાના કામો હાથ ધર્યા છે. તેમણે તેમના ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે છેલ્‍લા પાંચ વર્ષમાં થયલ વિકાસકામોમાં ગામમાં સી.સી. રોડ, કોઝવે, આરોગ્‍ય સબ સેન્‍ટરનું મકાન, ગામમાં ઘરે ઘરે પાણીની સુવીધા, મધ્‍યાહ્ન ભોજન રસોડુ, શાળાના ઓરડાઓ વગેરે કામો પૂર્ણ થયા છે. આનાથી ગામ લોકોને સારી સુવિધા મળી છે તેમ જણાવ્‍યુ હતું.

વીઠલપરના સરપંચશ્રી પ્રભુભાઇએ પ્રતિભાવમાં ગામમાં થયેલ વિકાસ કામો અંગે જણાવ્‍યુ કે રાજય સરકારના ગામોને સુવિધાસભર બનાવવા અભિગમને કારણે મારા ગામમાં છેલ્‍લા પાંચ વર્ષમાં પંચવટી યોજના, ઘર સુધી પીવાના પાણીની સવિધાના કામો, શાળાનું અદ્યતન બે માળનું મકાન, ગામમાં ભૂગર્ભ ગટર, ચેકડમો સહિત અનેક વિકાસ કામો લાખોના ખર્ચે પૂર્ણ કરાયા છે.

કોઠારીયા ગામના સરપંચશ્રી ધર્મેન્‍દ્રસીંહજી ઝાલાએ પોતાના ગામની વિકાસની ગતિવિધીની જાણકારી આપી જણાવ્‍યુ હતુ કે મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગામડામાં વિકાસની હેલી વરસાવી છે. અમારા ગામમાં જે સુવિધાઓ વર્ષોથી ખૂટતી હતી તે છેલ્‍લા પાંચ-સાત વર્ષમાં પૂર્ણ થઇ છે. ગામમાં પાણી પૂરવઠા યોજના થઇ છે. જે ગામ માટે આશિર્વાદરૂપ બની છે.

પીપળીયા-રાજ ગામનાં સરપંચશ્રી ઉસ્‍માનભાઇએ જણાવ્‍યુ કે ગામમાં પોલીસ કેસ એક પણ નથી થયો. છેલ્‍લા પચાશ વર્ષમાં ન થયા હોય તેવા લાભો જેમ કે વિજ પૂરવઠો નીયમિત મળતો થયો. ગામમાં રોડ, રસ્‍તાની સવિધા, પાણીની યોજના વગેરે સહિત ગામમાં અદ્યતન સુવિધા સાથે તાલુકા શાળા અને હાઇસ્‍કૂલ આલિશાન બંધાઇ છે. બાળમંદિર, ગ્રામવાટીકા, ચકડેમ,કોઝવે વગેરે કામ થયા છે. કોઝવેના ૬૦ વર્ષનો જુનો પ્રશ્ન હલ થયો છે. ગામમાં સ્‍વજલધારા યોજના થઇ તે કારણે ગામનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. અગાઉ પાંચ સાત કિલોમીટર ચાલીને અગર પાણીની રીક્ષા પૈસા ખર્ચીને મંગાવવી પડતી હતી યોજનાને કારણે હાડમારી દૂર થઇ છે. છેલ્‍લા સાડા ચાર વર્ષમાં કૂલ રૂ. ૯૦ લાખના વિકાસ કામો કર્યા છે. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં છેલ્‍લા પાંચ દાયકામાં ન થયા હોય તેવા વિકાસના કામો ગામડામાં થયા છે. એમ તેમણે જણાવ્‍યુ હતું.

છેવાડાના માનવીના સર્વાંગી વિકાસનું સન્‍માન થયું છે-પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી

રાજુલા ખાતે ચલો તાલુકે કાર્યક્રમ યોજાયો

ગુજરાત હવે ઓટો હબ બની રહેશે- શ્રમ અને રોજગાર મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા

અમરેલી,

અક્ષર પુરૂષોત્તમ મંદિર-રાજુલા ખાતે પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં ચલો તાલુકે કાર્યક્રમ સંપન્‍ન થયો હતો.

રાજ્ય સરકારે અંતરિયાળ ગામોમાં જરૂરિયાત મુજબ કામગીરી કરીને વિકાસદીપ પ્રગટાવવાનું કાર્ય કર્યુ છે. આ વિકાસદીપથી અંધારૂં દૂર થઇને ચોમેર અજવાળાનો ઉજાસ ફેલાયો છે. વિકાસ હવે એક પગલું આગળ દોટ મૂકી રહ્યું છે, અને આમ વિવિધ યોજનાના ઉત્‍કૃષ્‍ટ અમલીકરણથી છેવાડાના માનવીના સર્વાંગી વિકાસનું સન્‍માન થયું હોવાનું ઉચ્‍ચ ટેક્નિકલ, મહિલા-બાળ આરગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમયની તાસીર પારખી ટેક્નોલોજી સંલગ્ કુશળ કારીગરો તૈયાર કરવા આઇ.ટી.આઇ કેન્દ્રોની સાથોસાથ મહિલાઓ પણ સ્વનિર્ભર બની સ્વમાનભેર જીવી શકે તેવા હેતુથી મહિલા આઇ.ટી.આઇ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. શિક્ષકોમાં ગુણવત્તાનું પ્રમાણ વધે તેવા હેતુથી એજ્યુકેશન યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્‍યુ છે. સપ્‍તધારા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓના વ્‍યક્તિત્‍વ વિકાસનું ઘડતર થાય તે હેતુથી સર્વગ્રાહી પાસાઓની તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ -ગર્વનન્સના માધ્યમથી બાયોસેગ દ્વારા તજજ્ઞોનું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવે છે.

આ તકે મંત્રીશ્રીના હસ્‍તે આંગણવાડીના બાળકોને ફળ તથા મિઠાઇ આપવામાં આવેલ. આ ઉપરાંત છ પરિવારોના મોભીઓને બારકોડેડ રેશનકાર્ડ અર્પણ કરવામાં આવેલ.

ગુજરાતમાં શાંતિ અને વ્‍યાપાર માટેનું અનુકૂળ વાતાવરણ જોઇને ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ માટે આકર્ષાયા છે. આથી ગુજરાત હવે ઓટો હબ બની રહેશે. વાહન ઉત્‍પાદન કરતી કંપનીઓમાં ગુજરાતીઓને રોજગારી મેળવવામાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે, આથી ગુજરાતના યુવાધનને રોજગારી માટે સ્‍થળાંતર કરવાની આવશ્યકતા રહેશે નહિ, તેમ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્‍યું હતું.

ખર્ચ અને નાણા વિભાગના સચિવ શ્રી એલ. ચુવાંગોએ જણાવ્‍યું હતું કે, રાજ્યનો આર્થિક વિકાસ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. અન્‍ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે. વિકાસકામોનું માળખું હવે જિલ્‍લા તથા તાલુકા સ્‍તરે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્‍તારના વિકાસકાર્યો અર્થે આગામી ચાર વર્ષ માટે રૂ.૧૧ હજાર કરોડની જોગવાઇ કરી છે.

જિલ્‍લા કલેક્ટરશ્રી ડી.એ. સત્‍યાએ કાર્યક્રમનો ઉદેશ્ય અને રૂપરેખા સ્‍પષ્‍ટ કરી વિકાસની પરિભાષા રજૂ કરી જિલ્‍લામાં થયેલ વિકાસ કાર્યો વિગતે જણાવ્‍યા હતા.

નાયબ જિલ્‍લા વિકાસાધિકારીશ્રી રાજેશકુમાર ખેડિયાએ સંકલિત બાળ વિકાસ યોજના, માળખાકીય સુવિધા અને અમરેલીથી શરૂ થયેલ ઇ-માહિતી શક્તિ પ્રોજેક્ટની ઉપયોગિતા અંગેની વિગતો જણાવી હતી.

માહિતી ખાતા દ્વારા નિર્મિત ગુજરાત એક ટીમ વીડિયો સી.ડી.નું પણ નિદર્શન કરવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન અને અરબી સમુદ્રના કાંઠે આવેલા રાજુલા તાલુકાના તમામ ગામોમાં થયેલ વિકાસની પરિભાષા સમું સમગ્રતયા ચિત્ર પ્રાંત અધિકારીશ્રી એ.જે. પટેલે રજૂ કર્યુ હતું.

તાલુકાના સરપંચશ્રીઓએ પોતાના ગામની વિકાસગાથા રજૂ કરી હતી. નવગામના શ્રી વલકુભાઇ, ખેરા ગામના ભરતભાઇ, નાની ખેરાળીના શ્રી જેરામભાઇ તથા કુંભારિયાના જયસુખભાઇએ જળસંચય, નિર્મળ ગ્રામ, તીર્થ ગામ અને પાવન ગામની માહિતી આપી હતી.

મનુષ્‍ય તુ બડા મહાન હૈ પ્રાર્થના ગાન પ્રાથમિક શિક્ષકશ્રી મહેતાએ કર્યુ હતું.

આ તકે ગૌ સેવા અધ્‍યક્ષ શ્રી વલ્‍લ્‍ભભાઇ કથીરિયા, ધારાસભ્‍ય સર્વ શ્રી મનસુખભાઇ ભુવા, હિરાભાઇ સોલંકી, કાળુભાઇ વિરાણી, રખિયાલ-અમદવાદના શ્રી વલ્‍લભભાઇ કાકડિયા, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ માયાણી, ઉપપ્રમુખ શ્રી વઘાસિયા, નગરપ્રમુખ શ્રી, જિલ્‍લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, તાલુકાના સરપંચ અને ઉપસરપંચશ્રીઓ, તથા કર્મચારીગણ ઉપસ્‍થિત રહ્યા હતા.


સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં મદદનીશ સરકારી વકિલની જગ્‍યા પર નિમણૂંક આપવા બાબત

સુરેન્‍દ્રનગર

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સુરેન્‍દ્રનગર મુકામે-૪ તેમજ ધ્રાંગધ્રા મુકામે-૧ મળી કુલ-૫ (પાંચ) મદદનીશ સરકારી વકિલની જગ્‍યા ઉપર નિમણૂંક આપવા માટે પેનલ તૈયાર કરવાની થાય છે. તે અન્‍વયે ઉમેદવારોની ઉંમર-૫૫ (પંચાવન) વર્ષથી ઓછી, કાયદાના સ્‍નાતક તથા નામદાર હાઇકોર્ટ/જિલ્‍લા કોર્ટમાં વકિલાતનો સાત વર્ષથી વધુ સમયનો અનુભવ, હોય તેમજ ઓછામાં ઓછા છેલ્‍લા ૩ (ત્રણ) વર્ષના ઇન્‍કમટેક્ષ એસેસી હોય તેવા વકિલશ્રીઓ પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉમેદવારોએ તેમની અરજી નિયત નમુનામાં વિગત ભરી, જન્‍મ તારીખ, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને ડેકલેરેશન સાથે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીની કચેરીએ મોડામાં મોડી તા.૯/૯/૨૦૧૧ના રોજ બપોરના ૩-૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. આ માટે નિયત નમુનાનું અરજી ફોર્મ વિનામૂલ્‍યે ઉકત સમયગાળા દરમ્‍યાન કચેરી સમય દરમિયાન આપવામાં આવશે.

અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ કે અન્‍ય પછાતવર્ગના ઉમેદવારોને નિયમોનુસાર અગ્રતાના ધોરણે વિચારણામાં લેવામાં આવશે. સદર જ્ઞાતિના ઉમેદવારોએ પોતાની જાતિનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવીને તેની પ્રમાણિત નકલ અરજી સાથે સામેલ રાખવાની રહેશે.

નિયુકત થયેલા ઉમેદવારોને ધી લો ઓફિસર્સ રૂલ્‍સ તથા સરકારશ્રીના વખતો વખતના સુધારા અનુસાર ફી તથા ભથ્‍થા મળવાપાત્ર રહેશે.

સંબંધિત ઉમેદવારોને ઇન્‍ટરવ્‍યુમાં બોલાવવામાં આવે ત્‍યારે નિયત સમયે તેઓશ્રીએ પોતાના ખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે. આ અંગે કોઇપણ પ્રકારના ભથ્‍થા ચુકવવામાં આવશે નહીં. તથા અધુરી વિગતોવાળી અરજીઓ તેમજ નિયત સમય બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.

જન્‍માષ્‍ટમી નિમિત્તે ફરસાણ - મીઠાઇના ભાવમાં ઘટાડો

આગામી જન્‍માષ્‍ટમી નિમિત્તે સામાન્‍ય પ્રજાજનોને ફરસાણ તથા મીઠાઇ વાજબી ભાવે મળી રહે તે માટે તા. ૧૭, ઓગષ્‍ટના રોજ સુરેન્‍દ્રનગર, જોરાવરનગર, દુધરેજ તથા રતનપર વિસ્‍તારના ફરસાણ અને મીઠાઇના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં ફરસાણ મીઠાઈનું નહિ નફો, નહિ નુકશાનના ધોરણે તહેવારો પૂરતું વિતરણ કરવા સમજુત કરવામાં આવ્‍યા હતા. તે મુજબ વણેલા ફાફડા ગાંઠીયા રૂ. ૧૩૦, ઝીણા ગાંઠીયા રૂ. ૧૧૦, ચવાણું રૂ. ૧૨૦, બુંદીના લાડવા રૂ. ૯૦, મોહનથાળ રૂ. ૯૦, મીઠા સાટા રૂ. ૯૦, ખાંડના લાડું રૂ. ૬૦, જલેબી રૂ. ૯૦ તથા બરફી ચુરમુ રૂ.૯૦ ના ભાવો તા. ૨૩/૮/૨૦૧૧ સુધી જાળવી રાખવા તથા દરેક દુકાને ભાવ અંગેનું બોર્ડ ફરજીયાત મુકવા સુરેન્‍દ્રનગર જિલ્‍લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્‍તારના ઉત્‍કર્ષ માટેનો યજ્ઞ આરંભ્યો છે

નાણાં મંત્રીશ્રી વજુભાઈ વાળા

પ્રત્યેક વ્યક્તિ વિકાસના સારથી બને

- કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા

સાયલા ખાતે ‘ચલો તાલુકે’ કાર્યક્રમ યોજાયો

સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના નાણાં મંત્રીશ્રી વજુભાઈ વાળા, સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા તથા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અને માહિતી પ્રસારણ વિભાગના સચિવશ્રી કે. કૈલાશનાથનની ઉપસ્‍થિતિમાં ‘ચલો તાલુકે’ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો.

આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્‍યું હતુ કે, ચલો તાલુકે કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્‍તારના ઉત્‍કર્ષ માટેનો યજ્ઞ આરંભ્યો છે. ગામડાંઓને પણ શહેરો જેવી સુવિધાઓ મળી રહે તે માટેના કાર્ય દ્વારા સરકારે ગ્રામ વિકાસ માટેની તેની પ્રતિબધ્ધતા બતાવી છે, ત્યારે અધિકારી પદાધિકારીઓશ્રીની સાથે પ્રત્યેક વ્યક્તિઓએ એકસંપ બની પરસ્‍પરના સહયોગ સાથે ‘‘ મૈ નહિ હમ ’’ ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવી પડશે.

મંત્રીશ્રી વાળાએ વધુમાં ખેલ મહાકુંભનો ઉલ્‍લેખ કરતાં જણાવ્‍યું હતું કે, ખેલ મહાકુંભ દ્વારા વર્તમાન સરકારે રાજયમાં વસતા તમામ લોકોનો શારિરીક - માનસિક વિકાસ થાય તે માટેનું સચોટ કાર્ય કર્યું છે. તેમણે આ તકે સમગ્ર રાજયમાં જળસંચય અને છેવાડાના વિસ્‍તારોના લોકો સુધી પીવાનું શુધ્‍ધ પાણી પહોંચાડવાની રાજય સરકારની નેમને વ્‍યકત કરતાં જણાવ્‍યું હતું કે, સરકારે લોકોના ઘર સુધી પાણી પહોંચાડીને રાજયની બહેન-દિકરીઓને માથે બેડા મૂકી પાણી લાવવું પડતું હતુ તે પાણીના બેડાનો ભાર ઉતાર્યો છે.

આ પ્રસંગે સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારે ગામડાઓના વિકાસ માટેના આયોજન અને અમલીકરણ માટેની સત્તાઓ પ્રાંત કક્ષાએ આપીને ગામડાઓમાં વિકાસ ઝડપી બને તે માટેનું કાર્ય કર્યું છે, ત્‍યારે પ્રત્‍યેક વ્‍યક્તિઓએ આ વિકાસ કાર્યોના સારથી બનવું પડશે.

કાર્યવાહક અધ્‍યક્ષશ્રી જાડેજાએ અધિકારી-પદાધિકારીશ્રીઓને પ્રત્‍યેક ગામની ભૌગોલિક-આર્થિક-માળખાકિય પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ ગામડાંઓના વિકાસ માટે આયોજનબધ્‍ધ કાર્ય કરવા અનુરોધ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસનું સ્‍વરૂપ એ કયારેય ત્રુટક - ત્રુટક હોઇ શકે નહિ, વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે.

આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી તથા માહિતી અને પ્રસારણ વિભાગના સચિવશ્રી કે. કૈલાશનાથને જણાવ્‍યું હતું કે, હરિફાઇ એ વિકાસનું મૂળ છે. વિકાસ માટે ગામ-ગામ વચ્‍ચે હરિફાઇ થાય, તાલુકા-તાલુકા વચ્‍ચે હરિફાઇ થાય તે માટે તાલુકા કક્ષાએ આયોજન થાય અને તેનું અમલીકરણ પણ તાલુકા કક્ષાએથી જ થાય તે માટે રાજય સરકારે ‘‘ચલો તાલુકે‘‘ કાર્યક્રમ દ્વારા નવતર અભિગમ અપનાવી સત્તાના વિકેન્‍દ્રીકરણ દ્વારા વિકાસને પ્રાધાન્‍ય આપ્‍યું છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, રાજયમાં ૨૦૦૧ના ભૂકંપ બાદ ગામડાંઓ સુધી સચિવ કક્ષાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓએ પહોંચીને તેની સમસ્‍યાઓ જાણી તેને અનુરૂપ આયોજનબધ્‍ધ કાર્ય કર્યું, જેના પરિણામ સ્‍વરૂપે ભૂકંપ બાદના એક વર્ષના ગાળામાં રાજય સરકારે ખૂબ સારી કામગીરી દ્વારા ગામડાંઓને બેઠા કરવાનું કાર્ય કરીને સમગ્ર દેશ-દુનિયાને તેની સમર્થતાના દર્શન કરાવ્‍યા છે.

અગ્રસચિવશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જેમ સમસ્‍યાઓ હોય છે, તેમ તેનો ઉકેલ પણ હોય છે. આજે તમામ લોકોને વિકાસની ઇચ્‍છા છે, પરંતુ તેમા લોકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. તેમ જણાવી તેમણે લોકોને વિકાસ કાર્યોમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમના પ્રારંભમાં સુરેન્‍દ્રનગર જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહે ઉપસ્‍થિત મહેમાનોનું સ્‍વાગત કરી જિલ્‍લામાં થયેલા વિકાસ કાર્યોની વિસ્‍તૃત રૂપરેખાનું પ્રેઝન્‍ટેશન રજુ કર્યું હતું. તેમણે આ તકે જણાવ્‍યું હતુ કે, સર્વાંગિ વિકાસ માટે રાજય સરકાર કાર્યરત છે, અને તેના માટે છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચે અને સાચા અર્થમાં વંચિતોનો વિકાસ થાય તેની ખેવના સરકાર કરી રહી છે, ત્‍યારે પ્રત્‍યેક ગામના લોકોએ વિકાસ કાર્યોમાં સહભાગી બનવું પડશે.

સુરેન્‍દ્રનગર જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલે આ પ્રસંગે જિલ્‍લામાં વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓના કારણે થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી પ્રત્‍યેક ગામ વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને અને છેવાડાના ગામનો પ્રત્‍યેક વ્‍યકિત સુખી-સમૃધ્‍ધ બને તેવા રાજય સરકારના સ્‍વપ્‍નને મૂર્તિમંત કરવા લોકોને સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

‘‘ચલો તાલુકે‘‘ ના આ કાર્યક્રમમાં લીંબડીના પ્રાંત અધિકારીશ્રી આર. એસ. પારગીએ તાલુકાનું અને કલસ્‍ટર ઇન્‍ચાર્જ શ્રી વશરામભાઈ વડોદરિયાએ કલસ્‍ટરના વિકાસ આયોજનનું પ્રેઝન્‍ટેશન રજુ કર્યું હતું. જયારે સાયલા તાલુકાના સુદામડાના સરપંચશ્રી વનરાજભાઇ ખાચર, સાયલાના સરપંચશ્રી કાનજીભાઈ કચીયા તથા નોલી ગામના સરપંચશ્રી વશરામભાઈએ તેમના ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે આંગણવાડીના ભૂલકાંઓ માટે દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલ ફળોનું વિતરણ આંગણવાડીની બહેનોને કરવામાં કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયાએ કન્યા કેળવણી નીધિ માટે રૂપિયા પાંચ હજારનો ચેક મંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી રાઘવેન્‍દ્ર વત્‍સ, ધારાસભ્‍યો સર્વશ્રી વર્ષાબેન દોશી, ભરતભાઇ ખોરાણી, રાકેશભાઇ શાહ, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ધોરીયા, પૂર્વ મંત્રીશ્રી રણજીતસિંહ ઝાલા, અગ્રણીઓ સર્વશ્રી પી. કે. સિંધવ, રતિલાલ યાદવ, હરદેવસિંહ પરમાર, અનિરૂધ્‍ધ પઢિયાર, સહિત જિલ્‍લા-તાલુકા પંચાયતના સદસ્‍યો, અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં સરપંચશ્રીઓ ઉપસ્‍થિત રહયાં હતાં.


જેતપુર તાલુકા પંચાયત ના માજી પ્રમુખ સહિત ૨૬ પકડાયા.


જેતપુર તાલુકા તેમજ બહારી પોલીસે ગઈ કાલે રાત્રીના તાલુકાના દેરડી લુંનાગારી અને તીમ્બડી ગામે પડેલા દરોડાઓ માં જુગાર રમતા ૨૬ જુગારીઓ પકડાઈ ગયા હતા.
પોલીસે એમ પણ કહ્યું કે પકડાયેલા જુગારીઓમાં એક જેતપુર તાલુકા પંચાયત કચેરી ના માજી પ્રમુખ સુભાષ બામ્ભ્રોલીયાનો પણ સમાવેશ થાય છે.
પોલીસે આ ત્રણેય દરોડા દરમિયાન રૂપિયા ૨ લાખ નો મુદામાલ કબજે કર્યો હોવાનું જણાવાયું છે. shravaniya જુગારમાં પકડાયેલા જુગારીઓ પોલીસ માટે લોટરી સમાન હોવાનો જુગારીઓએ આક્ષેપ કરેલ છે. કારણ કે જુગારમાં પકડાયેલા તત્વો માર ના ખાવાના પૈશાં ચુકવતા હોય છે.

JETPUR PANTHAKMA JANMEL BOGUS KHAATAR KAUBHAND..


શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર તો ગૌમાંસ માટે સબસીડી વહેંચે છે!!

શાંતિ અને વિકાસની યાત્રામાં પશુધનની સારસંભાળ લેનારા ગોપાલક પરિવારોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરનારા તત્વોના સ્થાપિત હિતો ખૂલ્લા પડી ગયા

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓનું નિવેદન

સમસ્ત માલધારી-ગોપાલક સમાજ તેના શાણપણ-વિવેક માટે અભિનંદનના અધિકારી

શેરથાના ગોપાલક સંમેલનનો સદંતર ફિયાસ્કો

માલધારી સમાજ દ્વારા જૂઠાણા ફેલાવનારા તત્વોને જોરદાર લપડાક પડી

ગૌવંશ અને અબોલ પશુધનની રક્ષા માટે ગુજરાત સરકારે દાખવેલી પ્રતિબધ્ધતા પથદર્શક છે

સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાય મેળવીને ગૌવંશ રક્ષાનો કાયદો મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે અમલી બનાવ્યો

દર વર્ષે ર૭૦૦ પશુઆરોગ્ય મેળા પશુઓના મોતીયા અને દંતચિકિત્સાની સારવાર શસ્ત્રક્રિયા કરનારૂં એકમાત્ર ગુજરાત

ગૌવંશ રક્ષા કાનૂનના ભંગના ગૂના માટે ત્રણ વર્ષમાં ૧પ૪ પાસાના કેસો ૪૭રપ ગૂનેગારો જેલના સળીયા પાછળ

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ગૌરક્ષાના નામે રાજ્ય સરકારને બદનામ કરવાના અને રાજકીય ઇરાદા પાર પાડવા નીકળી પડેલા તત્વોના શેરથામાં યોજાયેલા ગોપાલક સંમેલનની સ્વયંભૂ ઉપેક્ષા કરવા માટે સમગ્ર માલધારી સમાજે દાખવેલા શાણપણ અને વિવેકને અભિનંદન આપ્યા છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગૌરક્ષાના નામે પોતાના સ્થાપિત હિતોની રખવાળી કરવા નીકળી પડેલા કેટલાક તત્વો અને ગૌમાંસ માટે સબસિડી આપનારી કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારના એજન્ટોએ ગુજરાત સરકાર સામે જૂઠાણાં ફેલાવવાનું જે તોફાન ઉભૂં કર્યું હતું, તેવા માલધારી સમાજના નામે શેરથાના મહાસંમેલનનો મહાફિયાસ્કો કરીને સમગ્ર ગોપાલક-માલધારી સમાજે આવા તત્વોને જોરદાર લપડાક લગાવી દીધી છે. એક લાખ માલધારીઓ શેરથાના સંમેલનમાં ઉમટી પડીને ગુજરાત સરકારને ગૌવંશ સામે ભીડવશે એવી શેખી મારનારા બની બેઠેલા આગેવાનો અને તેમને પોષનારા તત્વોની સાન માલધારી સમાજે ઠેકાણે લાવી દીધી છે.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે જ સંપૂર્ણ ગૌવંશ રક્ષા માટેનો કાયદો લાવવા છેક સર્વોચ્ચ અદાલત સુધી જઇને અબોલ ગૌવંશની રક્ષા માટે જીવદયાની પહેલ આખા દેશમાં કરી હતી જ્યારે કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર આજે પણ ગૌમાંસ માટે સબસીડી આપી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ ગુજરાત સરકારે ગૌવંશ રક્ષા કાયદાના ઉલ્લંધન અને પશુધનની ક્રુરતા આચરનારા ગૂનાઓ સંદર્ભમાં ૧પ૪ લોકો સામે પાસાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ૧૯૭૧ ગૂનેગારો સામે કાયદા હેઠળ ગૂના દાખલ કર્યા છે અને ૪૭રપ જેટલા ગૂનેગાર આરોપીઓને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે, આખા દેશમાં ગૌવંશ રક્ષા ઉપરાંત પશુપાલનના નવતર વૈજ્ઞાનિક આયામો અપનાવવાની પહેલ પણ, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે કરી છે. રાજ્યમાં દરવર્ષે ર૭૦૦ જેટલા પશુઆરોગ્ય મેળાઓ યોજાય છે, પશુઓની આંખના મોતીયાના ઓપરેશનો અને દંતચિકિત્સાની સારવાર કરનારૂં એકમાત્ર ગુજરાત છે. પશુઓને થતા ૧૧ર જેટલા રોગોની સદંતર નાબૂદી કરીને અબોલ પશુઓ અને દૂધાળા ગૌવંશની સૌથી મોટી જીવદયા ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગૌવંશ કાયદો લાગુ પાડવાની હિંમત પણ બતાવી શકતી નથી, અને ઉલ્ટું ગૌમાંસ માટે સબસીડી આપીને ગૌવંશ હત્યાના ધોર પાપની ભાગીદાર બની છે. ગુજરાતમાં તો છેલ્લા એક દશકથી પશુપાલન માટેની સેવા-સુવિધાનું ફલક વિકસાવવાના કારણે જ દુધના ઉત્પાદનમાં કુલ ૬૬ ટકાનો વધારો થયો છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં કૃષિવિકાસ અને પશુપાલનના વિકાસ ક્ષેત્રે થઇ રહેલી ક્રાંતિનો સીધો લાભ ગામડામાં વસતા ખેડૂતો અને પશુપાલકોને થઇ રહ્યો છે. ગામડાના અર્થતંત્રમાં નવી સમૃધ્ધિ આવી છે, ત્યારે શાંતિ અને વિકાસના વાતાવરણમાં પલીતો ચાંપવા નીકળી પડેલા અને પરિશ્રમપૂર્વક પશુધનની સંવેદનાસભર સ્નેહભરી માવજત કરનારા માલધારી સમાજને ગેરમાર્ગે દોરીને પોતાના સ્થાપિત હિતોને પોષવા નીકળેલા તત્વોના ઉશ્કેરણીજનક જૂઠાણાની વાતો કેટલી પોકળ છે તે સ્વયમ્‍ પૂરવાર થઇ ગયું છે.


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ મેળવવા કસોટીનું આયોજન

ગાંધીનગર,
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત વિવિધ સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ મેળવવા તેમજ એસ.ટી.સી./એસ.પી.ડી.એ. અંગેની કસોટીનું આયોજન તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ છે. આ કસોટી તા. ર૩-૮-ર૦૧૧ના રોજ કે.જી. હાઇસ્કુલ, ઉચ્ચતર માધ્યમિક શાળા, ચરાડા, તા. માણસા, તા. ર૪-૮-ર૦૧૧ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળા, મુ. છત્રાલ, તા. કલોલ, તા. રપ-૮-ર૦૧૧ના રોજ કે. એચ. સર્વોદય હાઇસ્કુલ, મુ. છાલા, તા. ગાંધીનગર, તા. ર૬-૮-ર૦૧૧ના રોજ મ્યુનિસિપલ બોપર હાઇસ્કુલ, દહેગામ તેમજ તા. ર૭-૮-ર૦૧૧ના રોજ એસ.એ.આઇ.(સાંઈ) રમત સંકુલ, સેકટર-૧૬, ગાંધીનગર ખાતે સવારે ૮-૩૦ કલાકે યોજાશે.

વધુમાં ભાગ લેવા માગતા ખેલાડીઓ તા. ૧-૧-૧૯૯૮ અને ત્યાર પહેલાં જન્મેલા હોય તેઓએ તેમની શાળાના આચાર્યશ્રીના સહિ-સિક્કા સાથેની એન્ટ્રી લઇ કસોટી સ્થળે વ્યાયામ શિક્ષક સાથે ઉપસ્થિત રહેવું તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના છાત્રોની નિભાવ ગ્રાન્ટમાં વધારો

નિભાવ ગ્રાન્ટ માસિક રૂ. ૬૦૦ લેખે ચુકવાશે


ગાંધીનગર
રાજ્યમાં આવેલ જિલ્લા પંચાયતો હસ્તકની જિલ્લા શિક્ષણ સમિતિઓ સંચાલિત ગ્રાન્ટ-ઇન એઇડ છાત્રાલયોના છાત્રોની નિભાવ ગ્રાન્ટની રકમમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે.

શિક્ષણ વિભાગના તા. પ મી ઓગસ્ટ, ર૦૧૧ના ઠરાવથી આ નિભાવ ગ્રાન્ટમી રકમ માસિક રૂ. ૩પ૦ ચૂકવવામાં આવતી હતી તેના બદલે માસિક રૂ. ૬૦૦ લેખે તા. ૧-૭-ર૦૧૧થી ચુકવવાનું ઠરાવ્યું છે.





સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધિશ શ્રી એમ બી શાહના અધ્યક્ષપદે તપાસ પંચની નિમણુંકની જાહેરાત

દેશના સાર્વજનિક જીવનમાં શાસનની પારદર્શિતા માટે ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ

કોંગ્રેસે વર્તમાન રાજ્ય સરકાર સામે કરેલા આક્ષેપોના બધા ૧૭ મૂદાઓ સૂચિત તપાસ પંચના કાર્યક્ષેત્રમાં આવરી લીધા

દેશના અન્ય રાજ્યોની સરકારો અને ગુજરાતમાં ભૂતકાળની સરકારોએ ૧૯૮૦ કે તે પછી ઉઘોગોને કેવા

લાભો આપ્યા તેની તુલના અને તટસ્થ મૂલ્યાંકન તપાસપંચ કરશે

લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર સામે થયેલા કથિત આક્ષેપોમાં સાચું સત્ય જાહેરજનતા જાણી શકે અને રાજ્ય સરકારની નીતિ અને નિયત સાફ અને પારદર્શી છે તેવી પ્રતીતિ કરાવવાનો ઉમદા ઉદેશ

વિપક્ષ કોંગ્રેસે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ગુજરાત સરકાર સામે કરેલા કથિત આક્ષેપોના આવેદનપત્રની બાબતમાં સંપૂર્ણ ન્યાયીક તપાસ સામે ચાલીને કરાવવાનો ગુજરાત સરકારનો પથદર્શક નિર્ણય

ગુજરાત સરકારે વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકાર સામે ૧૭ મૂદાના આક્ષેપો કરતું જે આવેદનપત્ર રાષ્ટ્રપતિશ્રીને સુપરત કર્યું હતું તે અંગે સાચું સત્ય જનતા સમક્ષ રજૂ થાય અને જાહેર જનતા આવા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સ્વયંસ્પષ્ટ રીતે જાણે તેવા વ્યાપક જાહેરહિતમાં, સામે ચાલીને, કમિશન ઓફ ઇન્કવાયરી એકટ-૧૯પર હેઠળ સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત પૂર્વ ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષસ્થાને તપાસ પંચની નિમણુંક કરી છે.

ગુજરાત સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે દેશના જાહેરજીવનમાં શાસનની પારદર્શિતાની પ્રેરક અને ઐતિહાસિક પહેલરૂપ રાજ્ય સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરતા, ન્યાયમૂર્તિ શ્રી એમ. બી. શાહના તપાસ પંચની રચના અંગે સર્વગ્રાહી પાસાઓ સાથેની ભૂમિકા આપી હતી.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસે રાષ્ટ્રપતિ સમક્ષ રાજ્ય સરકારની કામગીરી અને કહેવાતી ગેરરીતિઓ સંદર્ભમાં, જે ૧૭ મૂદાના આક્ષેપો સાથેનું આવેદનપત્ર આપ્યું હતું તે અંગે સરકાર સંપૂર્ણ પારદર્શી ધોરણે તટસ્થ ન્યાયિક તપાસ કરાવવા, સ્વેચ્છાએ સામે ચાલીને પ્રતિબધ્ધ બની છે.

કારણ કે સરકાર માને છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારની કામગીરી સંપૂર્ણ શંકારહિત અને પ્રમાણિક હોવી જોઇએ અને ગુજરાતની જનતાને હકિકતની પ્રતીતિ થવી જોઇએ, એવા ઉમદા ઉદેશથી ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના તપાસ પંચની રાજ્ય સરકારે સ્વયંપ્રેરણાથી રચના કરી છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે હાલ આખા દેશમાં, જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર સામે જનતાનો તીવ્ર જનમત ઉભો થયો છે અને ગુજરાત સરકાર પણ પ્રમાણિકપણે તેની સામેના કહેવાતા એકેએક આક્ષેપોમાં સાચું સત્ય બહાર આવે તેને જનતા સમક્ષ મૂકવા માટે પ્રતિબધ્ધ છે. ઉદેશથી તપાસ પંચની રચના કરીને તેના કાર્યક્ષેત્રની ટર્મ્સ ઓફ રેફરન્સ સુનિતિ કરી છે.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે છેલ્લા છ-છ વર્ષથી ગુજરાતમાં ""લોકાયુકત''ની નિમણુંક કરવા માટે રાજ્ય સરકારે વિપક્ષ કોંગ્રેસનો સહયોગ મેળવવા સાતત્યપૂર્વક પ્રયાસો કર્યા છે. ગુજરાત લોકાયુકત અધિનિયમની જોગવાઇ મુજબ લોકાયુકતની રાજ્યમાં નિમણુંક માટે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાશ્રીનો પૂર્વ પરામર્શ જરૂરી હોવાથી અંગે તેમની સાથે પરામર્શ બેઠકો યોજવાના સતત પ્રયાસો કર્યા હતા. પરંતુ જ્યાં સુધી પોતાની ઇચ્છા પ્રમાણેની વ્યકિતનું નામ પસંદ થાય નહીં ત્યાં સુધી લોકાયુકતની નિમણુંક માટેની પ્રક્રિયામાં અનેક વિધ્નો સર્જીને, તદ્‍ન અનુચિત મૂદા ઉભા કરીને, વિપક્ષ કોંગ્રેસે નકારાત્મક વલણ દાખવ્યું છે એટલું નહીં, પરોક્ષ રીતે મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ પણ વિપરીત રજૂઆતો કરીને, લોકાયુકતની જગા ભરાય નહીં તેવી રીતરસમો અને દુરાગ્રહ રાખીને કોંગ્રેસે ""ચોર કોટવાલને દંડે'' એવું તદ્‍ન લોકહિત વિરૂધ્ધનું બેવડું ધોરણ અપનાવ્યું છે. આમ, લોકાયુકતની નિમણુંકની પ્રક્રિયામાં રૂકાવટો ઉભી કરનારા કોંગ્રેસ પક્ષે, જે કાંઇ આક્ષેપો સરકાર સામે કર્યા છે તે તમામે તમામ ૧૭ આક્ષેપોની તલસ્પર્શી તપાસ, સામે ચાલીને સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષપણા હેઠળ ઉચ્ચ તપાસ પંચ નીમીને કરવાની પારદર્શીતાનું ઉત્તમ ઉદાહરણ દેશ સમક્ષ રાજ્ય સરકારે પુરૂં પાડયું છે.

સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના અધ્યક્ષપણે રચાયેલું તપાસ પંચ જે મૂદાઓની સર્વગ્રાહી તપાસ કરશે તે પ્રમાણે છે.

કોંગ્રેસે રાષ્ટ્રપતિશ્રી સમક્ષ ગુજરાત સરકાર સામે કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને કેટલાક પસંદગીના ઔઘોગિક ગૃહોની તરફદારી કરવા અંગેના આક્ષેપોની, તપાસ પંચ તપાસ કરશે.

આવી બાબતોના સંદર્ભમાં ગુજરાત સરકારે કોઇ નિષ્કાળજી કે બેદરકારી દાખવી છે કે કેમ?

એવી અન્ય કોઇ બાબતો જે અંગે કોઇ આક્ષેપ થયો છે એવું તપાસપંચના અભિપ્રાય અનુસાર તપાસને યોગ્ય હોય.

ઉપરોકત ત્રણેય મૂદાઓ અંગે, તપાસ પંચ નીચેના સંદર્ભે પણ, તટસ્થ મૂલ્યાંકન કરશે જેમાં (અ) દેશના અન્ય કોઇ પ્રમુખ રાજ્યએ, જમીન ફાળવણી, વેચાણવેરા / વાણીજ્ય વેરા, સ્ટેમ્પ ડયુટી કે તેવી અન્ય કોઇ બાબતમાં કોઇ ઉઘોગ ગૃહને વેરા મૂકિત, રાહત અથવા વિલંબીત ચૂકવણીના લાભો આપેલા છે કે કેમ તેની તુલના કરશે. (બ) ગુજરાત રાજ્યની અગાઉની કોઇ સરકારોએ સને ૧૯૮૦ અને તે પછી, ઉઘોગ ગૃહોને જમીન ફાળવણી, વેચાણવેરા / વાણીજ્ય વેરા, સ્ટેમ્પડયુટી કે અન્ય કોઇ બાબતે વેરામૂકિત, વેરામાં રાહત કે વિલંબીત ચૂકવણીના લાભો જેવી ખાસ છૂટછાટો આપેલી છે કે કેમ?

ન્યાયૂમર્તિશ્રી એમ. બી. શાહનું તપાસ પંચ તેની તપાસ સંપૂર્ણ પૂરી કરીને તા.૩૧મી માર્ચ ર૦૧ર સુધીમાં રાજ્ય સરકારને તેનો અહેવાલ સુપરત કરશે એમ તેમણે જણાવ્યું હતું.

પ્રવકતા મંત્રીશ્રીઓએ હકિકતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહના તપાસ પંચને, રાષ્ટ્રપતિશ્રી સમક્ષ કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રનાં જે મૂદાઓ રજૂ કરવામાં આવ્યા છે તે તમામ મૂદાઓની સર્વગ્રાહી તપાસ, સુપરત કરવામાં આવી છે. તેમાં જે બે મુદાઓ અદાલતોમાં હાલ ""ન્યાયાધિન'' છે તે સિવાયના બધા ૧પ મૂદાઓ તપાસ પંચના કાર્યક્ષેત્રમાં આવરી લીધા છે.

તપાસ પંચ સમક્ષ, કોંગ્રેસે કરેલા કહેવાતા આક્ષેપોના જે ૧પ મૂદાની તપાસ સુપરત કરવામાં આવી છે જે પ્રમાણે છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ઉઘોગોને નજીવા દરે જમીન ફાળવી દીધી તેવો આક્ષેપ.

ટાટા નેનો કાર પ્રોજેકટને રૂ. ૩૩,૦૦૦ કરોડના કંસેશનો આપ્યા તેવો આક્ષેપ.

અદાણી ઉઘોગ ગૃહને મૂન્દ્રા પોર્ટ અને મૂન્દ્રા SEZની જમીન ફાળવણીનો આક્ષેપ.

મે. છત્રાલા ગ્રુપ ઓફ હોટેલ્સને ફાઇવ સ્ટાર હોટેલ બનાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની મોકાની કિંમતી જમીન જાહેર હરાજી વગર ફાળવી દીધાનો આક્ષેપ.

એસ્સાર ગ્રુપને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફોરેસ્ટ લેન્ડની જમીનની ગેરકાયદે ફાળવણી અને બાંધકામ માટેની મંજૂરીનો આક્ષેપ.

ભાજપાના નેતાશ્રી વૈંકયા નાયડુ સંકળાયેલા હોવાનું કહેવાય છે તેવી કંપનીને પાકિસ્તાન સરહદ નજીક કચ્છમાં સોલ્ટ કેમિકલ્સ કંપની સ્થાપવા માટે ખૂબ મોટા પ્રમાણમાં જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર ભારત હોટેલ લી.ને જાહેર હરાજી વગર મોકાની જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

મોટા શહેરો નજીક વિવિધ ઉઘોગો / ઉઘોગપતિઓને ઔઘોગિક એકમો માટે જમીન ફાળવી દીધાનો આક્ષેપ.

સુરતમાં હજીરામાં એલ એન્ડ ટી કંપનીને હરાજી વગર પાણીના ભાવે મોકાની જમીનની ફાળવણીનો આક્ષેપ.

કેટલ ફીડ કૌભાંડનો આક્ષેપ.

રાજ્યની આંગણવાડીના કેન્દ્રોમાં ન્યુટ્રીશનલ ફોર્ટીફાઇડ બ્લેન્ડેડ ફૂડના કૌભાંડનો આક્ષેપ.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અંગેના આક્ષેપો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા, લાભાર્થી ઔઘોગિક કંપનીઓના ભોગે, લકઝરી જેટ એરક્રાફટ અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવાનો આક્ષેપ.

જળસંસાધન માટેની સુજલા સુફલા યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.

કચ્છ જિલ્લામાં ૩૬.રપ એકર ખેતીની જમીનની મુંબઇસ્થિત મે. ઇન્ડીગોલ્ડ રિફાઇનરી દ્વારા ખરીદી અને વેચાણમાં, તમામ કાયદા નેવે મૂકીને, મા. મહેસૂલ મંત્રીશ્રી તથા મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દરમિયાનગીરીનો આક્ષેપ.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે સામે ચાલીને, તેની સામેના આક્ષેપોમાં જનતા સમક્ષ સાચું સત્ય બહાર આવે તેવો રાજકીય ઇચ્છાશકિતનો, દેશના સાર્વજનિક જીવનમાં પથદર્શક એવો હિંમતપૂર્વકનો નિર્ણય લઇને આજ ન્યાયમૂર્તિ શ્રી એમ. બી. શાહના તપાસ પંચની રચના કરી દીધી છે.

રાજ્ય સરકાર સંપૂર્ણપણે પારદર્શી શાસન માટે પ્રતિબધ્ધ છે અને રાજ્ય સરકારની નીતિઓ તથા નિયત કેટલી સાફ છે તેની સ્વયંસ્પષ્ટ પ્રતિતી, ન્યાયમૂર્તિશ્રી એમ. બી. શાહનું તપાસપંચ રચીને, વિપક્ષ કોંગ્રેસના કહેવાતા તમામ આક્ષેપોની તટસ્થ ન્યાયિક તપાસ થાય અને સાચું સત્ય જનતા જાણી શકે માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.