અર્પણ-તર્પણ-સમર્પણનો સુભગ સમન્વય સધાયો છે.-કૃષિ મંત્રીશ્રી સંઘાણી
રાજકોટ
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ આજે રાજકોટ ખાતે સંત કબીર રોડ પર સમર્પણ ગ્રુપ આયોજીત રાશન વિતરણ કાર્યક્રમ અંતર્ગત પપ૦ જરૂરતમંદ પરિવારોને રાહતદરે રાશન વિતરણ કરી સંસ્થાના આ સેવા કાર્યનો શુભારંભ કર્યો હતો.
જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ અહીં ધર્મધ્વજાનું આરોહણ કર્યુ હતું.
આ પ્રસંગે રૂ. ૧૦/ના ટોકન દરે જરૂરતમંદોને કૂલ રૂ. ૧૭૫/ ની કિમતની જુદી-જુદી અનાજ રાશન સામગ્રી જેવી કે તેલ, ખાંડ, બેસન, મમરા, પૌવા, બિસ્કીટ વગેરેનું વિતરણ કરાયું હતું.
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ આ પ્રસંગે સંસ્થાની સેવા પ્રવૃત્તિને બિરદાવી જણાવ્યુ હતુ કે આવી સેવા પ્રવૃતિમાં મને સામેલ કરી મારા હસ્તે શુભારંભ કર્યો તે બદલ ધન્યતાની લાગણી સાથે અર્પણ-તર્પણ અને સમર્પણ જેમા સમર્પણ સર્વોચ્ચ ભાવ અનુભવાય છે. અહિં જીવની સેવા શ્રાવણ મહિનામાં કરવામાં આવી છે, તે આવકાર્ય છે. જીવના કલ્યાણનો મહિમા અપરંપાર છે. ભોળાનાથ શિવજીએ જીવની સેવા કરવાનો બોધ આપ્યો છે. આનાથી ઉત્તમ સેવા ભકિત સમર્પણ બીજુ એકેય નથી. આ ગ્રુપ આવા સેવા કાર્ય બદલ અભિનંદનને પાત્ર છે. ભગવાન ભોળાનાથની કૃપા આવા સદકાર્ય બદલ તેમના પર ઉતરશે તેવો ભાવ વ્યકત કર્યો હતો.
સંસ્થાના પ્રમુખશ્રી વિનોદભાઇ ચોટલીયાએ સંસ્થાકીય સેવા પ્રવૃત્તિની રૂપરેખા આપી જણાવ્યું હતું કે આ પ્રકારે છેલ્લા ૭ વર્ષથી રાહત દરે રાશન વિતરણ કરાય છે.
આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી વલ્લભભાઇ દુધાત્રા, નગર સેવકશ્રી અનિલભાઇ રાઠોડ, મહાનગરપાલીકા પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યશ્રી નયનાબેન પેઢલીયા તથા સંસ્થાના હોદ્દેદારો, સભ્યો અને રાશનની જરૂરીયાતવાળા લાભાર્થી ભાઇઓ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગામડાના સર્વાંગી વિકાસની દીશામાં રાજય સરકારની મક્કમતાપૂર્વક આગેકૂચ
ગામડાને ર૪ કલાક વિજળી આપી સર્વાંગી ઉત્કર્ષના દ્વાર ખોલ્યા છે.
- કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી
વાંકાનેર ખાતે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમમાં તાલુકાનાં વિકાસ માટે થયેલું મંથન
રાજકોટ
રાજય સરકારના ‘તાલુકા સરકાર’ના અભિગમને સાર્થક કરવા આજે રાજયના કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ વાંકાનેર ખાતે યોજાયેલા ‘ચલો તાલુકા’ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામોના સરપંચો અને પદાધિકારીઓ તેમજ વહિવટી તંત્રને સંબોધતા જણાવ્યુ હતુ કે સમાજના તમામ વર્ગોના લોકોનો સહકાર લઇ ગામડાનો ઉત્કર્ષ કરીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ગામડાની આબાદીના સેવેલા સ્વપ્નને સાકાર કરવાની રાજય સરકારની નેમ છે. અને આ દીશામાં નક્કર પરિણામો પણ પ્રાપ્ત કર્યા છે. અને ઉમેર્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત અને દૃઢ નિશ્ચયને કારણે જયોતિગ્રામ યોજના થકી ગામડાને ર૪ કલાક વિજળીની સુવિધા આપી ગામોના માત્ર અંધારાજ નહિં પરંતુ ગ્રામીણ વિસ્તારના ઉત્કર્ષના દરવાજા ખોલી નાખ્યા છે.
તેમણે જણાવ્યું હતુ કે આજે સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતને વિકાસના પંથે લઇ જવાની યાત્રા શરૂ થઇ છે. વિકાસનો આ દિપ સતત પ્રજવલ્લિત રહેશે. ચાલો તાલુકા કાર્યક્રમ અંતર્ગત તાલુકાના વહિવટી તંત્રને સશકત કરીને સાથોસાથ લોક પ્રતિનિધીઓનો પણ સક્રિય સહયોગ લઇને તાલુકાના વિકાસ અને ગ્રામીણ જીવન ધોરણ ઉંચુ આવે તેવા પ્રયાશો શરૂ કર્યા છે. એમ તેમણે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે ગામડાને ર૪ કલાક વીજળી મળતા શહેરીકરણ તરફની દોટ ઘટશે અને રોજગારીની તકો વધશે. જયોતિગ્રામ યોજનાથી લોકોના સામાજીક જીવનમાં પણ બદલાવ આવ્યો છે.
રાજય સરકારે કૃષિ મહોત્સવ થકી ખેતી અને ખેડુતોને સમૃધ્ધ કર્યા છે. કેન્દ્રના ૪ ટકા કૃષિ દર સામે રાજયનો કૃષિ વિકાસ દર ૧૦ ટકા છે. આ ઉપરાંત શહેરો અને ગામોમાં પાણીની સુવિધાની યોજનાઓનું સફળ અમલીકરણ એમ ભૂતકાળમાં કયારેય ન થયા હોય તેવા કામો કરી દેશભરમાં ગુજરાત મોખરે રહ્યું છે.
તેમણે જણાવ્યુ કે ભૂતકાળમાં ગામડાના અને તાલુકાનાં લોકોને પોતાના વિકાસ કામો માટે જિલ્લા કે રાજય કક્ષાએ ધક્કા ખાવા પડતા તે હવે ભૂતકાળ બન્યો છે. અને વહિવટી તંત્ર સામે ચાલીને ગામડાને દ્વારે આવે છે અને પધ્ધતિસર પૂર્વ આયોજન કરી ગામડાનાં વિકાસ માટે મથામણ કરે છે. આ સરકારે સતાનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ સતાઓ આપી ગ્રામીણ વિકાસનો માર્ગ મોકળો કર્યો છે. આ સરકારે ગરીબી હટાવોનું માત્ર સુત્ર જ નહિ પણ તે માટેનું નકકર કામ પણ કર્યુ છે.
આવી વિકાસની યાત્રામાં અવરોધક પરિબળોને ઓળખીને તેનાથી દૂર રહી સહિયારા પુરુષાર્થથી ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી થવા તેમણે સરપંચશ્રીઓ અને પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરશ્રી ડો. રાજેન્દ્રકુમારે ચાલો તાલુકા કાર્યક્રમનું હાર્દ જણાવી કહ્યું હતુ કે વસુંધૈવ કુટુમ્બકમની ભાવનાથી સમાજનો સર્વાગી વિકાસ કરવાનો છે. આ કાર્યક્રમ સમગ્ર વહિવટી તંત્રને સશકત બનાવવા તથા પદાધિકારીઓને યોજનાઓની જાણકારી આપવાનો છે. ગામડાઓના વિકાસ કઇ રીતે થઇ શકે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓના કલસ્ટર ગ્રુપની રચના કરાઇ છે. જે આ અંગે પોતાનો અહેવાલ તૈયાર કરશે. તેમણે રાજકોટ જિલ્લાના ૮૪૪ ગામોમાં થયેલા વિવિધ વિકાસ કામોનું સંક્ષીપ્ત ચિત્ર વીડીયો પ્રેઝન્ટેશન દ્વારા કર્યુ હતું. રાજય સરકાર દ્વારા ગામડાના સર્વાંગી વિકાસ ઉપર લક્ષ કેન્દ્રીત કરવાની આ કાર્યક્રમની નેમ છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે ગુજરાતનાં વિકાસને મોડલરૂપ ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કૃષિ મહોત્સવના કારણે ખેડુતોને ગામડામાં ખેતરેજ નવા સંશોધનોનો લાભ મળતો થતાં કૃષિ ઉત્પાદન વધ્યું છે. તેમણે જણાવ્યુ કે ૧૩માં નાણાપંચ હેઠળ જિલ્લાની ૮૪૪ ગ્રામ પંચાયતોને કૂલ રૂ. ૯પર લાખની ગ્રાન્ટ વિકાસ કામો માટે ફાળવાઇ છે. અને વધુ રૂ. પપ૦ લાખ ટુંક સમયમાં ફાળવાશે. તેમણે સરપંચો અને પદાધિકારીઓને પોતાના ગામમાં કઇ સવિધા ખૂટે છે અને ગ્રામીણ વિકાસની સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કરી ગ્રામ વિકાસ અને અન્ય યોજનાઓનો લાભ લવા અનુરોધ કર્યો હતો.
વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એચ.આર.કેલૈયાએ જણાવ્યુ હતુ કે વાંકાનેર તાલુકામાં પ્રાંત કચેરીનો પ્રારંભ આ તાલુકાને સશકત કરવાના ભાગરૂપે થયો છે. તાલુકાના વિકાસ માટે ૧૫ કલ્સ્ટરોની રચના કરાઇ છે. જેઓ ગામોની મુલાકાત લઇ ગામોનો અહેવાલ તૈયાર કરશે. તેમણે જણાવ્યુ હતુ કે તાલુકામાં નીચો સાક્ષરતા દર તેમજ બિન કુશળ અને અસંગઠીત માનવશકિત વગેરે તાલુકાના વિકાસને અવરોધક પરિબળો છે. ટાઇલ્સ, જીનીંગ, ડેરી, ખનીજ, પ્રવાસન ક્ષેત્રે તાલુકામાં વિકાસની તકો ઉપલબ્ધ છે. તાલુકામાં ૩ નવા વિજ સબ સ્ટેશનો આગામી સમયમાં સ્થપાશે એમ તેમણે જણાવ્યુ હતું. તાલુકાની ૯૩ શાળાઓમાં ધોરણ-૮ના વર્ગો શરૂ કરેલ છે. તાલુકામાં શિક્ષણસ્તર સુધારવા સમિતિની રચના કરાઇ છે. તાલુકામાં આગામી પાંચ વર્ષનાં આયોજન માટે ‘‘વિઝન ડોકયુમેન્ટ’’ બનાવવામાં આવશે. અને વહિવટીતંત્ર અને પદાધિકારીઓ મળીને તાલુકાનાં વિકાસને વેગ આપવા પ્રતિબધ્ધતા વ્યકત કરી છે.
આ પ્રસંગે ધારાસભ્યોશ્રી ગોવીંદભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રી જશુબેન કોરાટ, શ્રી ભાનુબેન બાબરિયા, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, વાંકાનેર નગરપાલિકા પ્રમુખશ્રી દેવજીભાઇ ફુલપરા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, પૂર્વ સાંસદશ્રી લલિતભાઇ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાળુભાઇ કાકરેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.ક.વાગડીયા તથા જિલ્લાની જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ, પુર્વ નગરપતિ શ્રી જીતુભાઇ સોમાણી, મામલતદારશ્રી કોટક, જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો તથા ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ ગ્રામ્ય સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રબુધ્ધ નાગરિકો સાથેની બેઠક
કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષસ્થાને ચાલો તાલુકા કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રબુધ્ધ નાગરિકોની બેઠકમાં પૂર્વ સાંસદશ્રી લલિતભાઇ મહેતા, વાંકાનેર યુવરાજશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ બોર્ડના ઉપાધ્યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી તેમજ જીલ્લા કલેકટરશ્રી ડો. રાજેન્દ્રકુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
‘‘ આ પહેલા મુખ્યમંત્રી છે કે જેમણે ગામડાના લોકોની વીકાસની ઝંખના અને ગામડાની પીડાને અને તકલીફોને અનુભવી છે’’
ચાલો તાલુકા કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના સરપંચોના ઉદગારો
રાજકોટ
વાંકાનેર તાલુકામાં યોજાયેલા ‘‘ચલો તાલુકા’’ કાર્યક્રમમાં તાલુકાના રાજાવડલા, પીપળીયા-રાજ, કોઠારીયા તેમજ વિઠલપર ગામના સરપંચોએ પોતાના ગામોમાં વિકાસ કામોની હેલી વરસી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડાના વિકાસની ઝંખના અને ગામડાના લોકોના દુઃખ દર્દો અને મુશ્કેલીઓની પીડા અનુભવી છે તેવું અગાઉના પાંચ પાંચ દાયકાની મજલમાં જોયું નથી તેવી લાગણી વ્યકત કરી હતી. ‘‘આ પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેમણે ગામડાની સામે જોયું છે અને ગામડાના લોકોની પીડાને પીછાણી છે.’’
રાજાવડલાના સરપંચશ્રી મહમદભાઇ ખોરાસિયાએ જણાવ્યુ હતુ કે છેલ્લા પાંચ દાયકા પછી ગામડાના લોકોની મુશ્કેલીઓ અને વ્યથાને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાણી છે અને મુશ્કેલીઓમાંથી ગામડુ બહાર આવે તે માટે શહેરો જેવી ગામડમાં સુવિધાના કામો હાથ ધર્યા છે. તેમણે તેમના ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે છેલ્લા પાંચ વર્ષમાં થયલ વિકાસકામોમાં ગામમાં સી.સી. રોડ, કોઝવે, આરોગ્ય સબ સેન્ટરનું મકાન, ગામમાં ઘરે ઘરે પાણીની સુવીધા, મધ્યાહ્ન ભોજન રસોડુ, શાળાના ઓરડાઓ વગેરે કામો પૂર્ણ થયા છે. આનાથી ગામ લોકોને સારી સુવિધા મળી છે તેમ જણાવ્યુ હતું.
વીઠલપરના સરપંચશ્રી પ્રભુભાઇએ પ્રતિભાવમાં ગામમાં થયેલ વિકાસ કામો અંગે જણાવ્યુ કે રાજય સરકારના ગામોને સુવિધાસભર બનાવવા અભિગમને કારણે મારા ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં પંચવટી યોજના, ઘર સુધી પીવાના પાણીની સવિધાના કામો, શાળાનું અદ્યતન બે માળનું મકાન, ગામમાં ભૂગર્ભ ગટર, ચેકડમો સહિત અનેક વિકાસ કામો લાખોના ખર્ચે પૂર્ણ કરાયા છે.
કોઠારીયા ગામના સરપંચશ્રી ધર્મેન્દ્રસીંહજી ઝાલાએ પોતાના ગામની વિકાસની ગતિવિધીની જાણકારી આપી જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગામડામાં વિકાસની હેલી વરસાવી છે. અમારા ગામમાં જે સુવિધાઓ વર્ષોથી ખૂટતી હતી તે છેલ્લા પાંચ-સાત વર્ષમાં પૂર્ણ થઇ છે. ગામમાં પાણી પૂરવઠા યોજના થઇ છે. જે ગામ માટે આશિર્વાદરૂપ બની છે.
પીપળીયા-રાજ ગામનાં સરપંચશ્રી ઉસ્માનભાઇએ જણાવ્યુ કે ગામમાં પોલીસ કેસ એક પણ નથી થયો. છેલ્લા પચાશ વર્ષમાં ન થયા હોય તેવા લાભો જેમ કે વિજ પૂરવઠો નીયમિત મળતો થયો. ગામમાં રોડ, રસ્તાની સવિધા, પાણીની યોજના વગેરે સહિત ગામમાં અદ્યતન સુવિધા સાથે તાલુકા શાળા અને હાઇસ્કૂલ આલિશાન બંધાઇ છે. બાળમંદિર, ગ્રામવાટીકા, ચકડેમ,કોઝવે વગેરે કામ થયા છે. કોઝવેના ૬૦ વર્ષનો જુનો પ્રશ્ન હલ થયો છે. ગામમાં સ્વજલધારા યોજના થઇ તે કારણે ગામનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. અગાઉ પાંચ સાત કિલોમીટર ચાલીને અગર પાણીની રીક્ષા પૈસા ખર્ચીને મંગાવવી પડતી હતી યોજનાને કારણે હાડમારી દૂર થઇ છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં કૂલ રૂ. ૯૦ લાખના વિકાસ કામો કર્યા છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા પાંચ દાયકામાં ન થયા હોય તેવા વિકાસના કામો ગામડામાં થયા છે. એમ તેમણે જણાવ્યુ હતું.
છેવાડાના માનવીના સર્વાંગી વિકાસનું સન્માન થયું છે-પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી
રાજુલા ખાતે ચલો તાલુકે કાર્યક્રમ યોજાયો
ગુજરાત હવે ઓટો હબ બની રહેશે- શ્રમ અને રોજગાર મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા
અમરેલી,
અક્ષર પુરૂષોત્તમ મંદિર-રાજુલા ખાતે પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં ચલો તાલુકે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રાજ્ય સરકારે અંતરિયાળ ગામોમાં જરૂરિયાત મુજબ કામગીરી કરીને વિકાસદીપ પ્રગટાવવાનું કાર્ય કર્યુ છે. આ વિકાસદીપથી અંધારૂં દૂર થઇને ચોમેર અજવાળાનો ઉજાસ ફેલાયો છે. વિકાસ હવે એક પગલું આગળ દોટ મૂકી રહ્યું છે, અને આમ વિવિધ યોજનાના ઉત્કૃષ્ટ અમલીકરણથી છેવાડાના માનવીના સર્વાંગી વિકાસનું સન્માન થયું હોવાનું ઉચ્ચ ટેક્નિકલ, મહિલા-બાળ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમયની તાસીર પારખી ટેક્નોલોજી સંલગ્ન કુશળ કારીગરો તૈયાર કરવા આઇ.ટી.આઇ કેન્દ્રોની સાથોસાથ મહિલાઓ પણ સ્વનિર્ભર બની સ્વમાનભેર જીવી શકે તેવા હેતુથી મહિલા આઇ.ટી.આઇ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. શિક્ષકોમાં ગુણવત્તાનું પ્રમાણ વધે તેવા હેતુથી એજ્યુકેશન યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યુ છે. સપ્તધારા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસનું ઘડતર થાય તે હેતુથી સર્વગ્રાહી પાસાઓની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ઇ-ગર્વનન્સના માધ્યમથી બાયોસેગ દ્વારા તજજ્ઞોનું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવે છે.
આ તકે મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીના બાળકોને ફળ તથા મિઠાઇ આપવામાં આવેલ. આ ઉપરાંત છ પરિવારોના મોભીઓને બારકોડેડ રેશનકાર્ડ અર્પણ કરવામાં આવેલ.
ગુજરાતમાં શાંતિ અને વ્યાપાર માટેનું અનુકૂળ વાતાવરણ જોઇને ઉદ્યોગકારો ગુજરાતમાં રોકાણ માટે આકર્ષાયા છે. આથી ગુજરાત હવે ઓટો હબ બની રહેશે. વાહન ઉત્પાદન કરતી કંપનીઓમાં ગુજરાતીઓને રોજગારી મેળવવામાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે, આથી ગુજરાતના યુવાધનને રોજગારી માટે સ્થળાંતર કરવાની આવશ્યકતા રહેશે નહિ, તેમ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું.
ખર્ચ અને નાણા વિભાગના સચિવ શ્રી એલ. ચુવાંગોએ જણાવ્યું હતું કે, રાજ્યનો આર્થિક વિકાસ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિકાસકામોનું માળખું હવે જિલ્લા તથા તાલુકા સ્તરે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારના વિકાસકાર્યો અર્થે આગામી ચાર વર્ષ માટે રૂ.૧૧ હજાર કરોડની જોગવાઇ કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. સત્યાએ કાર્યક્રમનો ઉદેશ્ય અને રૂપરેખા સ્પષ્ટ કરી વિકાસની પરિભાષા રજૂ કરી જિલ્લામાં થયેલ વિકાસ કાર્યો વિગતે જણાવ્યા હતા.
નાયબ જિલ્લા વિકાસાધિકારીશ્રી રાજેશકુમાર ખેડિયાએ સંકલિત બાળ વિકાસ યોજના, માળખાકીય સુવિધા અને અમરેલીથી શરૂ થયેલ ઇ-માહિતી શક્તિ પ્રોજેક્ટની ઉપયોગિતા અંગેની વિગતો જણાવી હતી.
માહિતી ખાતા દ્વારા નિર્મિત ગુજરાત એક ટીમ વીડિયો સી.ડી.નું પણ નિદર્શન કરવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન અને અરબી સમુદ્રના કાંઠે આવેલા રાજુલા તાલુકાના તમામ ગામોમાં થયેલ વિકાસની પરિભાષા સમું સમગ્રતયા ચિત્ર પ્રાંત અધિકારીશ્રી એ.જે. પટેલે રજૂ કર્યુ હતું.
તાલુકાના સરપંચશ્રીઓએ પોતાના ગામની વિકાસગાથા રજૂ કરી હતી. નવગામના શ્રી વલકુભાઇ, ખેરા ગામના ભરતભાઇ, નાની ખેરાળીના શ્રી જેરામભાઇ તથા કુંભારિયાના જયસુખભાઇએ જળસંચય, નિર્મળ ગ્રામ, તીર્થ ગામ અને પાવન ગામની માહિતી આપી હતી.
મનુષ્ય તુ બડા મહાન હૈ પ્રાર્થના ગાન પ્રાથમિક શિક્ષકશ્રી મહેતાએ કર્યુ હતું.
આ તકે ગૌ સેવા અધ્યક્ષ શ્રી વલ્લ્ભભાઇ કથીરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મનસુખભાઇ ભુવા, હિરાભાઇ સોલંકી, કાળુભાઇ વિરાણી, રખિયાલ-અમદવાદના શ્રી વલ્લભભાઇ કાકડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ માયાણી, ઉપપ્રમુખ શ્રી વઘાસિયા, નગરપ્રમુખ શ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, તાલુકાના સરપંચ અને ઉપસરપંચશ્રીઓ, તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ સરકારી વકિલની જગ્યા પર નિમણૂંક આપવા બાબત
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મુકામે-૪ તેમજ ધ્રાંગધ્રા મુકામે-૧ મળી કુલ-૫ (પાંચ) મદદનીશ સરકારી વકિલની જગ્યા ઉપર નિમણૂંક આપવા માટે પેનલ તૈયાર કરવાની થાય છે. તે અન્વયે ઉમેદવારોની ઉંમર-૫૫ (પંચાવન) વર્ષથી ઓછી, કાયદાના સ્નાતક તથા નામદાર હાઇકોર્ટ/જિલ્લા કોર્ટમાં વકિલાતનો સાત વર્ષથી વધુ સમયનો અનુભવ, હોય તેમજ ઓછામાં ઓછા છેલ્લા ૩ (ત્રણ) વર્ષના ઇન્કમટેક્ષ એસેસી હોય તેવા વકિલશ્રીઓ પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉમેદવારોએ તેમની અરજી નિયત નમુનામાં વિગત ભરી, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને ડેકલેરેશન સાથે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીએ મોડામાં મોડી તા.૯/૯/૨૦૧૧ના રોજ બપોરના ૩-૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. આ માટે નિયત નમુનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે ઉકત સમયગાળા દરમ્યાન કચેરી સમય દરમિયાન આપવામાં આવશે.
અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ કે અન્ય પછાતવર્ગના ઉમેદવારોને નિયમોનુસાર અગ્રતાના ધોરણે વિચારણામાં લેવામાં આવશે. સદર જ્ઞાતિના ઉમેદવારોએ પોતાની જાતિનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવીને તેની પ્રમાણિત નકલ અરજી સાથે સામેલ રાખવાની રહેશે.
નિયુકત થયેલા ઉમેદવારોને ધી લો ઓફિસર્સ રૂલ્સ તથા સરકારશ્રીના વખતો વખતના સુધારા અનુસાર ફી તથા ભથ્થા મળવાપાત્ર રહેશે.
સંબંધિત ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે નિયત સમયે તેઓશ્રીએ પોતાના ખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે. આ અંગે કોઇપણ પ્રકારના ભથ્થા ચુકવવામાં આવશે નહીં. તથા અધુરી વિગતોવાળી અરજીઓ તેમજ નિયત સમય બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. જેની નોંધ લેવા જણાવવામાં આવે છે.
જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ - મીઠાઇના ભાવમાં ઘટાડો
આગામી જન્માષ્ટમી નિમિત્તે સામાન્ય પ્રજાજનોને ફરસાણ તથા મીઠાઇ વાજબી ભાવે મળી રહે તે માટે તા. ૧૭, ઓગષ્ટના રોજ સુરેન્દ્રનગર, જોરાવરનગર, દુધરેજ તથા રતનપર વિસ્તારના ફરસાણ અને મીઠાઇના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં ફરસાણ – મીઠાઈનું નહિ નફો, નહિ નુકશાનના ધોરણે તહેવારો પૂરતું વિતરણ કરવા સમજુત કરવામાં આવ્યા હતા. તે મુજબ વણેલા ફાફડા ગાંઠીયા રૂ. ૧૩૦, ઝીણા ગાંઠીયા રૂ. ૧૧૦, ચવાણું રૂ. ૧૨૦, બુંદીના લાડવા રૂ. ૯૦, મોહનથાળ રૂ. ૯૦, મીઠા સાટા રૂ. ૯૦, ખાંડના લાડું રૂ. ૬૦, જલેબી રૂ. ૯૦ તથા બરફી ચુરમુ રૂ.૯૦ ના ભાવો તા. ૨૩/૮/૨૦૧૧ સુધી જાળવી રાખવા તથા દરેક દુકાને ભાવ અંગેનું બોર્ડ ફરજીયાત મુકવા સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારના ઉત્કર્ષ માટેનો યજ્ઞ આરંભ્યો છે
નાણાં મંત્રીશ્રી વજુભાઈ વાળા
પ્રત્યેક વ્યક્તિ વિકાસના સારથી બને
- કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા
સાયલા ખાતે ‘ચલો તાલુકે’ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના નાણાં મંત્રીશ્રી વજુભાઈ વાળા, સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા તથા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી અને માહિતી – પ્રસારણ વિભાગના સચિવશ્રી કે. કૈલાશનાથનની ઉપસ્થિતિમાં ‘ચલો તાલુકે’ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો.
આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, ચલો તાલુકે કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારના ઉત્કર્ષ માટેનો યજ્ઞ આરંભ્યો છે. ગામડાંઓને પણ શહેરો જેવી સુવિધાઓ મળી રહે તે માટેના કાર્ય દ્વારા સરકારે ગ્રામ વિકાસ માટેની તેની પ્રતિબધ્ધતા બતાવી છે, ત્યારે અધિકારી – પદાધિકારીઓશ્રીની સાથે પ્રત્યેક વ્યક્તિઓએ એકસંપ બની પરસ્પરના સહયોગ સાથે ‘‘ મૈ નહિ હમ ’’ ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવી પડશે.
મંત્રીશ્રી વાળાએ વધુમાં ખેલ મહાકુંભનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ દ્વારા વર્તમાન સરકારે રાજયમાં વસતા તમામ લોકોનો શારિરીક - માનસિક વિકાસ થાય તે માટેનું સચોટ કાર્ય કર્યું છે. તેમણે આ તકે સમગ્ર રાજયમાં જળસંચય અને છેવાડાના વિસ્તારોના લોકો સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાની રાજય સરકારની નેમને વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સરકારે લોકોના ઘર સુધી પાણી પહોંચાડીને રાજયની બહેન-દિકરીઓને માથે બેડા મૂકી પાણી લાવવું પડતું હતુ તે પાણીના બેડાનો ભાર ઉતાર્યો છે.
આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે ગામડાઓના વિકાસ માટેના આયોજન અને અમલીકરણ માટેની સત્તાઓ પ્રાંત કક્ષાએ આપીને ગામડાઓમાં વિકાસ ઝડપી બને તે માટેનું કાર્ય કર્યું છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિઓએ આ વિકાસ કાર્યોના સારથી બનવું પડશે.
કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજાએ અધિકારી-પદાધિકારીશ્રીઓને પ્રત્યેક ગામની ભૌગોલિક-આર્થિક-માળખાકિય પરિસ્થિતિને ધ્યાને લઇ ગામડાંઓના વિકાસ માટે આયોજનબધ્ધ કાર્ય કરવા અનુરોધ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે, વિકાસનું સ્વરૂપ એ કયારેય ત્રુટક - ત્રુટક હોઇ શકે નહિ, વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી તથા માહિતી અને પ્રસારણ વિભાગના સચિવશ્રી કે. કૈલાશનાથને જણાવ્યું હતું કે, હરિફાઇ એ વિકાસનું મૂળ છે. વિકાસ માટે ગામ-ગામ વચ્ચે હરિફાઇ થાય, તાલુકા-તાલુકા વચ્ચે હરિફાઇ થાય તે માટે તાલુકા કક્ષાએ આયોજન થાય અને તેનું અમલીકરણ પણ તાલુકા કક્ષાએથી જ થાય તે માટે રાજય સરકારે ‘‘ચલો તાલુકે‘‘ કાર્યક્રમ દ્વારા નવતર અભિગમ અપનાવી સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં ૨૦૦૧ના ભૂકંપ બાદ ગામડાંઓ સુધી સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ પહોંચીને તેની સમસ્યાઓ જાણી તેને અનુરૂપ આયોજનબધ્ધ કાર્ય કર્યું, જેના પરિણામ સ્વરૂપે ભૂકંપ બાદના એક વર્ષના ગાળામાં રાજય સરકારે ખૂબ સારી કામગીરી દ્વારા ગામડાંઓને બેઠા કરવાનું કાર્ય કરીને સમગ્ર દેશ-દુનિયાને તેની સમર્થતાના દર્શન કરાવ્યા છે.
અગ્રસચિવશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જેમ સમસ્યાઓ હોય છે, તેમ તેનો ઉકેલ પણ હોય છે. આજે તમામ લોકોને વિકાસની ઇચ્છા છે, પરંતુ તેમા લોકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે. તેમ જણાવી તેમણે લોકોને વિકાસ કાર્યોમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમના પ્રારંભમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી પ્રદીપ શાહે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત રૂપરેખાનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. તેમણે આ તકે જણાવ્યું હતુ કે, સર્વાંગિ વિકાસ માટે રાજય સરકાર કાર્યરત છે, અને તેના માટે છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચે અને સાચા અર્થમાં વંચિતોનો વિકાસ થાય તેની ખેવના સરકાર કરી રહી છે, ત્યારે પ્રત્યેક ગામના લોકોએ વિકાસ કાર્યોમાં સહભાગી બનવું પડશે.
સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલે આ પ્રસંગે જિલ્લામાં વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના કારણે થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી પ્રત્યેક ગામ વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને અને છેવાડાના ગામનો પ્રત્યેક વ્યકિત સુખી-સમૃધ્ધ બને તેવા રાજય સરકારના સ્વપ્નને મૂર્તિમંત કરવા લોકોને સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.
‘‘ચલો તાલુકે‘‘ ના આ કાર્યક્રમમાં લીંબડીના પ્રાંત અધિકારીશ્રી આર. એસ. પારગીએ તાલુકાનું અને કલસ્ટર ઇન્ચાર્જ શ્રી વશરામભાઈ વડોદરિયાએ કલસ્ટરના વિકાસ આયોજનનું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. જયારે સાયલા તાલુકાના સુદામડાના સરપંચશ્રી વનરાજભાઇ ખાચર, સાયલાના સરપંચશ્રી કાનજીભાઈ કચીયા તથા નોલી ગામના સરપંચશ્રી વશરામભાઈએ તેમના ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આંગણવાડીના ભૂલકાંઓ માટે દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલ ફળોનું વિતરણ આંગણવાડીની બહેનોને કરવામાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયાએ કન્યા કેળવણી નીધિ માટે રૂપિયા પાંચ હજારનો ચેક મંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાઘવેન્દ્ર વત્સ, ધારાસભ્યો સર્વશ્રી વર્ષાબેન દોશી, ભરતભાઇ ખોરાણી, રાકેશભાઇ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ધોરીયા, પૂર્વ મંત્રીશ્રી રણજીતસિંહ ઝાલા, અગ્રણીઓ સર્વશ્રી પી. કે. સિંધવ, રતિલાલ યાદવ, હરદેવસિંહ પરમાર, અનિરૂધ્ધ પઢિયાર, સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો