અનુયાયીઓ

ગુરુવાર, 5 નવેમ્બર, 2015

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

૧૫ કલાક પછી ''કાળજા કેરો કટકો મૃતાવસ્થામાં મળતા પરિવારજનો ભાંગી પડ્યા ! 

જેતપુરમાં ભાદર કેનાલમાં ગરક જેતલસર જંકશનના કિશોરનો 

મૃતદેહ ધોરાજી નજીકથી મળ્યો ! સેવાભાવીઓની અનન્ય સેવા !!

 

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૫

બુધવારની સાંજે જેતપુરમાં ધોરાજી રોડ પરની કેનાલમાં અકસ્માતે ગબડી પડેલ જેતલસર જંકશનના વાલ્મીકી કિશોરનો મૃતદેહ આજે સવારે ધોરાજી નજીકથી કેનાલમાંથી મળી આવતા આખી રાત મહેનત કરનાર સેવાભાવીઓએ  દુઃખાવસ્થા વચ્ચે મૃતકના સ્વજનોને સાચવવાની વધુ કે કપરી પરિસ્થિતિને પાર પાડી હતી.

 

મળતી વિગતો મુજબ જેતલસરના રેલ્વે કોલોનીમાં રહેતા નરેશભાઈ મંગાભાઈ પરમારનો એકનો એક પુત્ર દીપેશ ઉ.વ.૧૩ ગઈકાલે જેતપુરના ધોરાજી રોડ નજીકથી પસાર થતી ભાદર કેનાલમાં અકસ્માતે પડી જતા તે કેનાલના પાણીમાં ગરક થઈને તણાઈ ગયો હતો.

 

આવા સમયે દીપેશ સાથે રહેલા તેમના બે મિત્રો ભાવેશ સોલંકી અને શ્રવણ પરમારની વિગતો પરથી જેતલસરના સરપંચ હનીફ બલોચ, અન્ય સેવાભાવીઓ શૈલેશ રણછોડ કયાડા, સંજય સામજી સોલંકી, મોહન પ્રેમજી પરમાર, ભારત શાર્દુલ વાઘેલા, રાજુ બાબુ ગડીયલ, જેતપુરના હારૂનભાઈ રફાઈ, ગોંડલના કિશોરભાઈ વિગેરે રાત આખી ભાદર કેનાલના પેઢલા, ગુંદાળા, ધોરાજી, મોટીમારડ સુધીના વિસ્તારો ખુંદી નાખ્યા હતા. પણ રાત્રીના દીપેશનો ક્યાય પત્તો લાગ્યો નહોતો.

 

બીજીબાજુ આજે ગુરુવારે સવારે દીપેશનો મૃતદેહ ધોરાજી થી જુનાગઢ જવાના રસ્તે, તોરણીયાના પાટીયાથી આગળ ભાદર કેનાલમાંથી મળી આવ્યો હોવાનું અને ધોરાજી હોસ્પીઅલ ખાતે દીપેશની લાશનું પીએમ કરાયું હોવાનું જંકશનના સરપંચ બલોચે આ લખનારને જણાવ્યું હતું.

 

બોક્સ: દીપેશનો મૃતદેહ ડોક્ટર વાડીની માઈનોરમાં ફસાયો !

જેતલસર : રાત આખી અંધારા ઓઢી દીપેશને શોધવાની પ્રશંશનીય જહેમત ઉઠાવનાર જેતલસર, જેતપુર અને ગોંડલના સેવાભાવીઓએ એવું જણાવેલ કે ભાદરની કેનાલના ઘસમસતા પાણીમાં જેતપુરથી ૧૪-૧૫ કિમી દુર ધોરાજી સુધી તણાઈને મોતને ભેટેલ દીપેશની લાશ મૂળ કેનાલમાંથી ડોક્ટર દુધાતની વાડીમાં જતી માઈનોર કેનાલમાં ફસાઈ જતા તે આગળ તણાતા બચી ગઈ હતી. જો આમ ના થયું હોત તો દીપેશની લાશ ઘણું દુર તણાઈ ગઈ હોત અને શોધવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડત. ટૂંકમાં આ બનાવમાં જે જે સેવાભાવીઓએ દીપેશને શોધવા અનન્ય જહેમત ઉઠાવી તે તમામ અન્ય પ્રજામાં સરાહના પાત્ર બન્યા હોવાનું જોવા મળ્યું હતું.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર

 

 

ફોટોની વિગતો :

મૃતક દીપેશની ફાઈલ તસ્વીર અને તેમની ડેડબોડી,

૧૫-૧૫ કલાક સુધી દીપેશને શોધવા સેવા કરનાર યુવાનોની ટીમો

સરકારી તંત્રનું વાહન, તથા ગામલોકો નજરે પડે છે.

 

 

છેલ્લા ૨૦ દિવસ થયા અહી પૈસા ના આવતા હોવાની રાવ જેતલસર જંકશનમાં સ્ટેટબેન્કનું એટીએમ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન ! ગ્રાહકો હેરાન હેરાન !!

 

છેલ્લા ૨૦ દિવસ થયા અહી પૈસા ના આવતા હોવાની રાવ

જેતલસર જંકશનમાં સ્ટેટબેન્કનું એટીએમ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન ! ગ્રાહકો હેરાન હેરાન !!

જેતલસર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)

     જેતલસર જંકશનમાં ઉભા કરાયેલ સ્ટેટબેંકના એટીએમ સેન્ટરમાં છેલ્લા ૨૦ દિવસ થયા પૈસા ઉપલબ્ધ ના કરાવાતા હોય આ એટીએમ સેન્ટરનો ઉપયોગ કરનાર ગ્રાહકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યાની ફરિયાદો ઉભી થયાની વિગતો મળી રહી છે.

     આ બાબતે જેતલસર જંકશનના રણમલભાઈ વાણીયા સહિતના બેંક ગ્રાહકોની ફરિયાદ છે કે જેતલસર જંકશનમાં હાલના દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એટીએમ સુવિધા ઉભી કરતા આ એટીએમ સેન્ટરનો ૧૫૦-૨૦૦ બેંક ગ્રાહકો હર્ષભેર લાભ લઇ રહ્યા છે. પણ છેલ્લા ૨૦ દિવસ થયા અહી એક પણ પૈસો ઉપલબ્ધ કરાવાયો ના હોય, આ એટીએમ સેવાનો લાભ લેતા બેંક ખાતેદારોમાં દેકારો મચી ગયો છે.

આ બાબતે જેતલસર જંકશનના બેંક ગ્રાહકો કહે છે કે ભલે તેઓ સ્ટેટ બેન્કના ગ્રાહકો ના હોય, અને સ્થાનિક યુનિયન બેન્કના ગ્રાહકો હોય, પણ આ સેવા ઉભી કારાઈ એટલે લાભ સૌ લેવાના ! આ વાતને ધ્યાને લઈને જેતપુર સ્થિત સ્ટેટ બેન્કના સુત્રો તાકીદે જંકશનના તેઓના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપલબ્ધ કરાવી ગ્રાહકોનો દિવાળી જેવો તહેવાર ના બગાડે અને ઓછી હેરાનગતિએ એટીએમ દ્વારા પૈસા મળતા થઇ તેવી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવાઈ છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 

બુધવાર, 4 નવેમ્બર, 2015

જેતપુરના રબારીકા રોડ પર અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલા અજાણ્યા આધેડનું કમકમાટી ભર્યું મોત

જેતપુરના રબારીકા રોડ પર

અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલા

અજાણ્યા આધેડનું કમકમાટી ભર્યું મોત

મૃતકના પેન્ટના નેફામાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી

 

જેતપુર તા. ૪

જેતપુરના રબારીકા રોડ પરથી આજે રાત્રે નવેક વાગ્યાની આસપાસ અજાણ્યા વાહન ચાલકની હડફેટે ચડી ગયેલા એક અજાણ્યા આધેડનું મોત થયું હોય, મૃતકનો મૃતદેહ અહીની સરકારી હોસ્પીટલમાં પીએમ અર્થે લવાયો હતો.

 

મળતી વિગતો મુજબ આજે રાત્રીના નવેક વાગ્યાની આસપાસ અહીના રબારીકા રોડ પર એક અજાણ્યા આધેડને કોઈ અજાણ્યું વાહન હડફેટે લઈને નાશી છૂટ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે વાહનની ઠોકર એટલી મજબુત હતી કે અજાણ્યા આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

 

દરમિયાન આ અજાણ્યા આધેડનો મૃતદેહ અહીની સરકારી હોસ્પીટલમાં પીએમ માટે પોલીસે ખસેડ્યો હતો. પોલીસે હાથ ધરેલ મૃતદેહની અંગજડતી દરમિયાન મૃતકના પેન્ટના નેફામાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. આ વાત પરથી સમાંબંધિત પોલીસે અનુમાન લગાવેલ કે ચિક્કાર નશામાં રોડ પર જઈ રહેલા આ અજાણ્યા આધેડને કોઈ વાહન ચાલક ઠોકર મારી નાશી છૂટ્યું છે. પોલીસે મૃતકની ઓળખવિધિ માટે કવાયત આદરી છે.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર

 

જેતલસર જંકશનનો કિશોર ભાદર કેનાલમાં ગરક થઇ ગયો

નાનીના ઘરે રહેતો અને મિત્રો સાથે રમતા રમતા ગબડી પડેલ    

જેતલસર જંકશનનો કિશોર ભાદર 

કેનાલમાં ગરક થઇ ગયો

ભાદર કેનાલનું પાણી રોકી કિશોરની શોધખોળ આદરાઈ : સરપંચ સહિતના જંકશનના સેવાભાવીઓની ૧૫-૧૫ જણાની ટુકડીઓ પાણી ફફોસવા કામે લાગી !

જેતલસર તા. ૪  (કશ્યપ જોશી દ્વારા)

જેતલસર જંકશનમાં પોતાની નાનીના ઘરે રેહેતો એક બાર વર્ષીય દલિત કિશોર આજે ભાદર કેનાલમાં અગમ્યો કારણોસર ગબડી પડ્યા બાદ લાપત્તા થતા સંબંધિત તંત્રએ ભાદર કેનાલનું પાણી બંધ કરી ગરક કિશોરની શોધખોળ આદરી છે.

આ બાબતે વિગતો આપતા જેતલસર જંકશનના સરપચ હનીફભાઈ બલોચે જણાવેલ કે જંકશનના શર્મા નગરમાં રેલ્વે કોલોનીમાં રહેતા શામુબેન બાબુભાઈ ડાંગીયાની દીકરી જ્યોતિબેન નરેશભાઈ મંગાભાઈ પરમારનો ૧૨ વર્ષનો પુત્ર દીપેશ આજે તેમના મિત્રો ભાવેશ ઈશ્વર સોલંકી, અને શ્રાવણ હરસુખભાઈ પરમારની સાથે રમતા રમતા કેનાલ કાંઠે પહોચી ગયા હતા.

દરમિયાન આ ત્રણેય મિત્રો કેનાલના પાણીમાં છબછબીયા કરવા ગયા હોય કે ગમે તે કારણ બન્યું હોય, દીપેશ કેનાલમાં ગબડી પડતા ભાવેશ અને શ્રવણે રોકકળ કરી જેતપુરના પંચમીયા હોસ્પિટલ સામેના રોડ પાસેથી પસાર થતી ભાદર કેનાલ આસપાસ માણસોને ભેગા કરી દીપેશ ડૂબી ગયાની વિગતો આપી હતી.

 

બનાવની જાણ થતાજ જેતલસર જંકશનના સરપંચ હનીફભાઈ બલોચ સહિતના સેવાભાવી યુવાનોએ બનાવ સ્થળે પહોચી જઈ બનાવનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ ખેડૂતોના ખેત પાકોના પિયત માટે છોડાયેલ ભાદર કેનાલમાં પાણી બેકાંઠે ઘસમસતું જતું હોય, પાણીમાં ગરક દીપેશની તલાશી અશક્ય બની હતી. બીજી બાજુ સરપંચ સહિતના સેવાભાવીઓએ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાને બનાવથી વાકેફ કરી ભાદર કેનાલનું વહેતું પાણી બંધ કરાવવાની માંગણી દોહરાવતા જયેશ રાદડીયાએ ભાદર ઈરીગેશન સુત્રોને તાત્કાલિક કેનાલનો વહેતો પ્રવાહ બંધ કરવા સુચના આપતા સંબંધિત સુત્રોએ ચાલુ કેનાલનું પાણી છોડવાનું અટકાવી દીધું હતું,

 

પણ આ લખાય છે ત્યારે રાત્રીના ૧૦ વાગ્યે પણ પાણીનો પ્રવાહ મંદ ના પડ્યો હોય, જંકશનવાસીઓ, સેવાભાવીઓએ સરપંચ હનીફ બોલોચની મદદથી ૧૫-૧૫ સેવાભાવી યુવાનોની ટીમો બનાવી અત્યારે રાત્રીના અંધારા ઓઢી લાપતા દીપેશની શોધખોળ માટે કામે લગાડેલી પ્રશંશનીય જહેમત જોવા મળી હતી.

 

બોક્સ: દીપેશ જ્યાં ડૂબ્યો ત્યાંથી તેમના કપડા મળ્યા !!

જેતલસર : રાત્રીના ૧૦ વાગ્યે જંકશનના સરપંચ હનીફ બલોચે આ લખનારને લાપતા દીપેશના કેનાલ કાંઠેથી મળેલા કપડા અને ચપલના ફોટા મોકલી વિગતો આપી હતી કે દીપેશના કપડા કેનાલ કાંઠેથી મળ્યા છે ત્યારે દીપેશ કોઈ અકસ્માતનો ભોગ બન્યો છે કે શું ? તે ગબડી પડ્યો છે કે કોઈ બીજું કારણ છે ? શું દીપેશે ભાદર કેનાલના ઘસમસતા પાણીમાં નહાવાનો પ્રયાશ કર્યો હશે કે શું ? વિગેરે પ્રશ્નો તપાસ માંગી લે તેવા છે.

 

બોક્સ: મૃતક દીપેશ એકનો એક પુત્ર

જેતપુર: લાપતા કિશોરના નાની શામુબેને સ્થાનિક સરપંચ સહિતના સેવાભાવીઓની હાજરીમાં વિગતો આપી હતી કે પોતાની દીકરી જ્યોતિનો દિપેશ એકનોએક દીકરો હતો. જ્યોતિના પ્રથમ લગ્નમાં બે સંતાનો હતા. પણ તેણીના છૂટાછેડા થઇ જતા નરેશ મંગા પરમાર સાથે તેમના બીજા લગ્ન કર્યા હતા.

 

બોક્સ: આખી રાત જાગીશું પણ  દીપેશને શોધીશું !!

જેતલસર: જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચે જણાવેલ કે હાલ દીપેશને શોધવા જંકશનના સેવાભાવીઓની જુદી જુદી ટુકડીઓ બનાવી કેનાલ કાંઠે તૈનાત કરી દેવાઈ છે. જ્યાં સુધી કેનાલના પાણી જતા હશે તે તમામ જગ્યાએ તપાસ કરવા આખી રાત ભલે ગાળવી પડે, પણ જંકશનના દીકરા દીપેશને શોધવા કોઈ કચાસ નહિ છોડીયે.

પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ તેમની કાર્યવાહી હાથ ધરી પાણી ફંફોસવાના હારૂનભાઈ રફાઈ જેવા તરવૈયાની મદદ લીધાનું જાણવા મળ્યું છે.

 

 

ફોટો ની વિગત :

ભાદર કેનાલમાં ગરક થયેલ દીપેશ નરેશ પરમારનો ફોટો, કેનાલ કાંઠેથી મળેલ તેમના કપડા અને ચપલ દેખાય છે.

 

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૨ 

મંગળવાર, 3 નવેમ્બર, 2015

અંકુર વિદ્યાલય કશ્યપ જોશી જેતપુર જેતલસર



​કશ્યપ જોશી જેતપુર જેતલસર 

જે શાળામાં શિક્ષકોને બેસવા ખુરશી નથી અપાતી તે... જેતપુરની અંકુર શાળાના વિદ્યાર્થીઓની કૃતિ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઝળકી


જે શાળામાં શિક્ષકોને બેસવા ખુરશી નથી અપાતી તે...
જેતપુરની અંકુર શાળાના વિદ્યાર્થીઓની 
કૃતિ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઝળકી
જેતપુર તા.૩ (કશ્યપ જોશી દ્વારા)
      જેતપુર શહેરમાં હમેંશા કૈક અનોખું સાહસ, રીત, રસમ અને કાર્યપ્રણાલિકાના શુભારંભમાં માનતી અંકુર શાળાના વિદ્યાર્થીઓ પણ ''મોરના ઈંડા ચીતરવા ના પડે'' તેવી કહાવત ચરિતાર્થ કરવામાં સતત વ્યસ્ત હોવાનું સમયાંતરે જાણવા, માણવા અને સાંભળવા મળે છે.
      શાળામાં ટેબલ ખુરશી હોય તો શિક્ષકો ભણાવવાને બદલે બેસે કે ઊંઘે વધુ ! અને વાતોના ગપ્પા પણ મારે એ લટકાના ! શાયદ આવીજ વાતોને નજરકેદ કરીને પોતાની શાળામાં શિક્ષકો માટે ખુરશીને(આ શાળામાં શિક્ષકો  માટે બેસવા ખુરશી નથી રખાઈ !!) પ્રાધાન્ય આપવાને બદલે શિક્ષણ ઉપર મહત્તમ ધ્યાન આપનાર શાળા સંચાલકો હર્ષદભાઈ મહેતા, ભદ્રેશભાઈ મહેતા, જતીનભાઈ અને શાળાના ગુરુજીઓ વિગેરે દ્વ્રારા પોતાના વિદ્યાર્થી ભાઈ બહેનોને વિવિધ શૈક્ષણિક પ્રવુંત્તિઓમાં પણ એટલાજ તૈયાર કરી રહ્યા છે. આંતર, જીલ્લા કે રાજ્ય કક્ષાની કોઈ પણ સ્પર્ધાઓ હોય, અંકુરના છાત્રોએ તેમાં ઝુંકાવ્યું જ હોય ! 
      આ વાતને સાબીત કરવા તાજેતરમાજ  યોજાયેલ રાજકોટ જીલ્લા કક્ષાના વિજ્ઞાનમેળાના વિભાગ નંબર-૫ માં શાળાના મદદનીશ શિક્ષક સુભાષભાઈ અમીપરાના માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૦ ના બે વિદ્યાર્થીઓ હેમલ બુમતરીયા અને દીપેન વેકરીયાએ હાઈડ્રોલિક સીસ્ટમ આધારિત ત્રણ વર્કિંગ મોડેલ્સ કૃતિઓ રજુ કરી હતી. 
      જેમની એક કૃતિ પાણીના દબાણથી જેસીબી કાર્યરત થઇ શકે તે હતી. બીજી કૃતિ રેલ્વેમાં મુસાફરી કરતા લોકો માટે હાઈડ્રોલિક શીટ કે જેના પર બેસનાર પેસેન્જરની ટીકીટ ચેકર ઓળખ કરી શકે અને ત્રીજી કૃતિ પાણીના દબાણથી કોઈ પણ નાનામોટા વાહનમાં બ્રેક લગાવી શકાય તે વાત રજુ કરતી કૃતિ હતી.
     આ ત્રણેય કૃતિઓ નિહાળનાર શૈક્ષણિક વર્તુળો દંગ થઇ ગયા હતા. આ તકે વિજ્ઞાન મેળાના આયોજક ગણે  કૃતિનું મહત્વ સમજાવતા બંને વિદ્યાર્થીઓની પીઠ થાબડી,અને માર્ગદર્શક શિક્ષક સુભાષ અમીપરાની જહેમતને બિરદાવી,  અભિનંદન પાઠવી કૃતિને પ્રથમ નંબર આપતા જેતપુર શહેર અને શાળાનું ગૌરવ વધ્યું હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.
ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

સોમવાર, 2 નવેમ્બર, 2015

જેતપુરમાં પાણી વિતરણ કરતા ૭૩ ઝોનમાંથી ૪૦ ઝોન કરાશે હજુ એકાંતરા પાણી વિતરણને ૫ મહિના લાગશે !

જરૂર કરતા વધારે ઝોન બની જતા જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ અશક્ય !
જેતપુરમાં પાણી વિતરણ કરતા ૭૩ ઝોનમાંથી ૪૦ ઝોન 
કરાશે હજુ એકાંતરા પાણી વિતરણને ૫ મહિના લાગશે !
જેતપુર તા.૨  (કશ્યપ જોશી દ્વારા ) 
જેતપુર શહેરમાં અનિયમિત પાણી વિતરણ પાછળ જરૂર કરતા વધારે બની ગયેલા ઝોન જવાબદાર હોવાનું અને હજુ શાહિરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં પાંચેક માસ જેવો સમય થઇ જવાની વાત પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને વોટર વર્કસ કમિટીના ચેરમેને એક મુલાકાત દરમિયાન  જણાવ્યું હતું.

પાણી વિતરણ અને પાણી મેળવવા માટે જેતપુરની જનતાને શા માટે વલખા મારવા પડે છે ? ભાદર ડેમમાં પુરતું પાણી છતાં જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ કેમ શક્ય નથી બનાવાતું ? શહેરને ડેમમાંથી કેટલું પાણી મળે છે ? એકાંતરા પાણી વિતરણ માટે શું શું પગલા ભરવા પાલિકા તંત્ર કટિબદ્ધ છે ? વિગરે પ્રશ્નોની સીધી વાતમાં જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવેલ કે જેતપુર શહેરને હાલના દિવસોમાં ભાદર ડેમમાંથી ૧૩ એમેલડી પાણી મળી રહ્યું છે. પાણીનો આટલો જથ્થો શહેરમાં એકાંતરા પાણી વિતરણ માટે પર્યાપ્ત નથી જ, અને તે એટલા માટે કે જેતપુર પાલિકા તંત્ર પાસે હાલમાં પાણી સંગ્રહ શક્તિ ઓછી છે. આ માટે શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ મોટી મોટી પાણીની ટાંકીઓ બનાવવાની પ્રક્રિયા યુધ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. 

પાલિકાના પ્રમુખ શારદાબેન બારોટે જણાવેલ કે, શહેરમાં બને તેટલું વધુ પાણી વિતરણ અને તે માટેના ઉપાયો શોધી કાઢી પાલિકા તંત્ર બને તેટલું વહેલું શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરી શકાય તે માટે ઉંધે માથે મહેનત કરી રહ્યું છે.

પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ જણાવેલ કે શહેરમાં જરૂર કરતા વધારે ૭૩ જેટલા પાણી વિતરણ કરતા ઝોન ઉભા થઇ જતા અહી નિયમિત તેમજ એકાંતરા પાણી વિતરણ શક્ય થતું નથી. તો આ માટે શું કરી શકાય ? તેવા સવાલના જવાબમાં પ્રમોદભાઈએ જણાવેલ કે બિનજરૂરી પાણી વિતરણ ઝોન બંધ કરી ૭૩ માંથી ૪૦ ઝોન જ રાખવા તંત્રએ કવાયત શરુ કરી છે. પરિણામે વેડફાતું પાણી અટકશે. આ સિવાય પાણી સંગ્રહ શક્તિ વધારતી ટાંકીઓ ઉભી થશે એટલે એકાંતરા પાણી વિતરણથી પ્રજાની ફરિયાદો હાલ કરી શકાશે.

વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે સૌ પ્રથમ તો તેઓ અને તેમની ટીમ દ્વારા શહેરમાં આશરે ૫૦૦ જેટલા લીકેજીંગમાના ૩૦૦ લીકેજીન્ગને રીપેર કરાવી કરોડો ગેલન બગડતા પાણીને બચાવી લેવાયું છે. રાત્રીના તેમની એટલેકે પાણી શાખામાં ખોટા બબ્બેવાર ઉધારાતા ડીઝલના બીલો ઉપર બ્રેક મારી દેવાઈ છે. યેન કેન પ્રકારે થતી કે કરાતી પાણી ચોરીની ફરિયાદો હલ થઇ ગઈ છે. હજુ પણ પાણીના લીકેજીન્ગને સદંતર બંધ કરવા પાલિકા તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.

બોક્સ: ફિલ્ટર પંપ ખાતે સુવિધાઓ વધારાશે !
જેતપુર: ચીફ ઓફિસર સહિતના પાલિકાના પદાધિકારીઓએ જણાવેલ કે હાલના દિવસોમાં ખીરસરા રોડ પર આવેલ પાલિકાના ફિલ્ટર પંપ ખાતે ૩૭ એમેલડી નો પ્રોજેક્ટ ઉભો કરાશે. આ અન્વયે ૪૫ અને ૩૫ લાખ લીટરના બે સંપ પણ બનાવશે. પાણી ની જે સંગ્રહશક્તિ ને લીધે કોઈ વાર ભાદર ડેમમાંથી પાણી મેળવવું શક્ય ના બને ત્યારે એક દિવસનું જેતપુર માટેનું પાણી એકત્ર થઇ શકશે. 

આ સિવાય જેતપુર શહેરના બગીચામાંથી એક હિંચકો(ઝૂલો) ગાયબ હોવાની વાતનો પ્રત્યુત્તર આપતા પાલિકા મહિલા પ્રમુખના પતિ હરસુરભાઇ બારોટ, વિગેરે જણાવેલ કે આ વાત ખોટી છે, અજાત શત્રુઓ ખોટા ઉમ્બાડીયા ઉભા કરી પાલિકા પ્રમુખની છબીને ખરડવા પ્રયાશો કરે છે, શહેરના અવાવરું કુવા માલિકીના હોય કે ના હોય, આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી સંબંધિતોને નોટીસો આપવા ચીફ ઓફિસરે ઉપસ્થિત પાલિકા પ્રમુખને સૂચનાઓ આપી હતી. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 




શનિવાર, 31 ઑક્ટોબર, 2015

જેતપુરના પેઢલા નજીક પસાર થતી ભાદર કેનાલમાં તણાઈને આવેલી મુસ્લિમ યુવાનની લાશે સર્જ્યા ભેદભરમના આટાપાટા !

જેતપુરના પેઢલા નજીક પસાર થતી ભાદર કેનાલમાં

તણાઈને આવેલી મુસ્લિમ આધેડની

લાશે સર્જ્યા ભેદભરમના આટાપાટા !

જો કે મૃતદેહમાં કોઈ ઈજાના નિશાન ના હોવાનું જણાવતી તાલુકા પોલીસ 


જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)

આજે બપોરે જેતપુરના પેઢલા નજીક ભાદર કેનાલમાંથી મળેલી મુસ્લિમ યુવાનની લાશે સર્જેલા ભેદભરમના ઝાળા હટાવવા જેતપુર તાલુકા પોલીસે કવાયત આદરી છે. છે,

મળતી વિગતો મુજબ આજે બપોરે જેતપુર તાલુકાના પેઢલા ગામ નજીકથી પસાર થઇ રહેલી ભાદર કેનાલના વહેતા પાણીમાં એક મૃતદેહ તણાઈને આવ્યો હોવાનું ગામના સરપંચ  ભગવાનજી ભાઈ જેઠવાએ  જેતપુર તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાની સુચનાથી જમાદાર મજ્નુંભાઈ મનાતે તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈને લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડેલ.

 

બીજીબાજુ આ લખાય છે ત્યારે રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ પોલીસ સુત્રો પાસેથી એવી વિગતો મળી હતી કે કેનાલમાં તણાઈને આવેલ અજાણ્યા યુવાનની લાશ અહીના હાજી દાઉદ હોસ્પિટલ મેદાનમાં રહેતા ખલીફા ઈબ્રાહીમ અનવર ભાઈ લધર ઉ.વ. ૨૫ ની હોવાનું બહાર આવ્યું છે. તપાસનીસ જમાર મજ્નુંભાઈ મનાતે જણાવેલ કે મૃતક યુવાન પરિણીત છે. કોઈ સંતાનો ધરાવતો નથી. તેમજ અહીના એક સાડી કારખાનામાં પેકિંગ વિભાગમાં મજુરીકામ કરતો હોવાની વિગતો મળી રહી છે.

 

મૃતક યુવાનના માથામાં ઈજાના ઘા હોવાની લોકચર્ચાઓ બાબતે પોલીસે જણાવેલ કે ના આવું કઈ નથી. બીજીબાજુ મુસ્લીમ સમાજના તરવરીયા યુવાન ઈબ્રાહિમની લાશ  આમ અચાનક ભાદર કેનાલમાંથી તણાઈને છેક પેઢ્લા ગામ પાસે પહોચી હોવાની ઘટનામાં અનેક ભેદભરમ સર્જાયા છે. લાશને જોનારા કહે છે કે મૃતકના માથામાં ઈજાના ઘા જોવા મળેલા ! તો આ ઘા ઈબ્રાહીમ ગબડી પડ્યો હશે ત્યારના છે કે કોઈની સાથ લડાઈ, ઝગડો થયો હોય અને મારામારી થઇ હશે ? તે તમામ પાસાઓ નજર સામે રાખી ફોજદાર કરમટીયાના માર્ગદર્શન હેઠળ જમાદાર મજ્નુંભાઈ મનાતે તપાસ હાથ ધરી છે.

ફોટો: મૃતક ઈબ્રાહીમ ની બે ફાઈલ તસ્વીરો  : કશ્યપ જોશી જેતપુર 


જેતપુરમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન

જેતપુરમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન 
જેતપુર તા.૩૧
જેતપુરમાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનું તા.૧૨-૧૧. ને નુતન વર્ષના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૪-૩૦ થી ૫-૩૦ દરમિયાન યોજાનાર આ સ્નેહ મિલનમાં જ્ઞાતિજનોએ હાજર રહેવા બી.બી.વ્યાસે અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર

જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને

માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી

જેતપુર એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને મળેલી ધમકીભરેલી ચિઠ્ઠીથી શહેરમાં ચકચાર  

 

જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)


જેતપુરમાં વધુ એક કુવો યુવતીને ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

અકસ્માતનો બનાવ છે કે બીજું કઈ ? શહેર ભરમાં એક જ ચર્ચા !

જેતપુરમાં વધુ એક કુવો યુવતીને

ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

૨ દિવસ થયા ગુમ થયેલ યુવતીની આજે માલિકીના કુવામાંથી લાશ મળી !

જેતપુર તા.૩૧(કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાંથી આજથી બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થયેલ એક મુસ્લિમ યુવતીનો મૃતદેહ આજે શહેરના એક માલિકીના કુવામાંથી મળતા ચકચાર જાગી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતી શાહીનબેન શુબેરખાન પઠાણ (ઉ.વ.૧૭) નામની યુવતી આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી.

આ બારાની પોલીસમાં જાણ બાદ આજે આ યુવતીની લાશ ગુજરાતી વાડી વિસ્તારમાં આવેલ એક માલિકીના કુવામાં તરતી હોવાની લાત્તાવાસીઓની જાણ પરથી શહેરના હારુન રફાઈ સહિતના સેવાભાવીઓ પોતાની જહેમત કામે લગાડી કોહવાઈ ગયેલ મૃતદેહને મહા મહેનતે કુવામાંથી બહાર કાઢયો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં એવી વિગતો મળી હતી કે આ યુવતીના પિતા શહેરમાં સાડી કારખાનામાં મજુરીકામ કરે છે. તેઓ મૂળ બિહાર પંથકના છે. સંતાનમાં ૫ પુત્રો અને ૩ પુત્રીઓ ધરાવે છે. મૃત મળેલી શાહીન બીજા નંબરની પુત્રી હોવાનું પોલીસમાં જાહેર કરેલ. પોલીસે હાલ કોઈ અકળ કારણોસર અક્સમાંતે પડી ગયેલ શાહીનના મોતની ઘટના નોંધી વધુ તપાસ એએસઆઈ સોલંકીએ હાથ ધરી છે.

 

અત્રે એ નોંધનીય છે કે આ લખનારે ચારેક દિવસ પહેલાજ જેતપુર શહેરમાં માલિકીના અને અવાવરું કુવાઓ મોતને નોતરી રહ્યા હોવાના અખબારી અહેવાલો વહેતા કરી સ્થાનિક પાલિકા તંત્રને ઢંઢોળવાનું કામ કરેલ પણ, આવા કુવાઓ સલામત બનાવવા કે દુર કરવા કોઈ પ્રયાશો હાથ ધરાયા ના હોય તેમ એક સપ્તાહમાં જેતપુરનો આ બીજો કુવો એક યુવતીને ભરખી ગયાની વાતથી સૌમાં અરેરાટી જન્મી છે.

 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી


પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર

જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને

માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી

જેતપુર એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને મળેલી ધમકીભરેલી ચિઠ્ઠીથી શહેરમાં ચકચાર  

 

જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરના એસટી ડેપોના ટીઆઈ નિર્મળસિંહ ચુડાસમાને આજે બસસ્ટેન્ડને માનવબોમ્બ દ્વારા

ઉડાવી દેવાની જૂની તારીખવાળી ધમકી ભરેલી ચિઠ્ઠી મળતા શહેરભરમાં ચકચાર જાગી હતી. શહેરમાં નવા આવેલા પીઆઈ વ્યાસની અગ્નિ પરીક્ષા સમાન આ બનાવમાં અંતે વા વાયોને નળિયું ખસ્યું જેવું સાબિત થયું હતું. પણ પોલીસે અધ્ધર શ્વાસે આગળની તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલ એસટી ડેપોની ઓફિસે આજે સવારે એક ભેદી કવર આવતા ફરજ પરના ટ્રાફિક ઇન્સ્પેકટર નિર્મળસિંહ ચુડાસમાએ કવર ખોલતા અંદરથી લાલ અક્ષરે લખેલી એક જાસા ચિઠ્ઠી મળી હતી.

 

જેમાં અજાણ્યા ટીખળીખોરે લખ્યું છે કે ''અમારા પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો કરવાનું બંધ કરો નહીતર જેતપુર અને ગોંડલના એસટી બસસ્ટેન્ડોને માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું.'' આવી ધમકી ભરેલી ચિઠ્ઠીની નિર્મળસિંહે તાત્કાલિક પ્રથમ રજા ઉપર રહેલા જેતપુર એસટી ડેપોના મેનેજર પરમારને જાણ કરી હતી.

બાદમાં આ બારાની શહેર પોલીને જાણ કરતા નવા પીઆઈ એન.કે.વ્યાસ પોતાના ફોજદારો સંઘાણી, જાડેજા, સ્ટાફના રાજુભાઈ જોશી, શક્તિસિંહ, કમલેશભાઈ, મનીષભાઈ વરુ, મામલતદાર ભોરણીયા સહિતનો કાફલો મારતે ઘોડે શહેરના એસટી બસ્ટેન્ડમાં દોડી આવી તમામ મુસાફર વર્ગને બસસ્ટેન્ડના સામેના મેદાનમાં ખસેડી શકમંદોને તપાસવાની ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

 

તમામ બસોને પણ એક જ જગ્યાએ ઉભી રખાવવાની પોલીસે કવાયત આદરી હતી. બીજીબાજુ આ વાતની ગંભીરતા દાખવી પીઆઈ વ્યાસે તુરંત રાજકોટ જીલ્લા પોલીસ વડા અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડને વાકેફ કરતા આ સ્કવોડ પણ રાજકોટ ખાતેથી જેતપુર દોડી આવી તેઓની કાર્યવાહી દરમીયા લાઈવડિટેકટર મારફતે અમુક શકમંદો અને અમુક માલસામાન, પાર્સલો વિગેરે ચેક કરીને બસસ્ટેન્ડમાં ઉપસ્થિત મુસાફર આલમને સચેત કર્યા હતા, પણ અંતે કઈ હાથ નહોતું આવ્યું.

 

બોક્સ: ચિઠ્ઠી આવી ક્યાંથી ?

જેતપુર : જેતપુર શહેરભરમાં ચકચાર સાથે બિકારા જેવું વાતાવરણ ખડું કરી દેનાર આ ધમકી ભરેલી ચિઠ્ઠી આવી ક્યાંથી ? તેવા સવાલના જવાબમાં જેતપુર એસટીના ટીઆઈ નિર્મળસિંહ ચુડાસમાએ જણાવેલ કે ઉપલેટાથી આ ચિઠ્ઠી આવી છે. અને પોસ્ટ મારફત મળી છે.

 

બોક્સ: શું લખાયું છે ધમકી ચિઠ્ઠીમાં ??

જેતપુર : જેતપુરના એસટી સુત્રોને જે ધમકી ભરેલી ચિઠ્ઠી મળી છે તેમાં લખાયેલી વાત અક્ષરશઃ આ પ્રમાણે છે. ''ચેતવણી''...પ્રતિ ડેપો મેનેજર જેતપુર....અલ કાયદા તેસા મુજર્દીન હાર્દિક સાથ સરકાર પોલીસ ખોટા કેશ કરેલ છે, તે પાછા ખેચે નકર આનું પરિણામ બોમ્બસે આપવામાં આવશે. તા.૩૦-૧૦-૨૦૧૫ , નીચે સ્થળ , જેતપુર શહેર ડેપોમાં, ગોંડલ ડેપો બસસ્ટેશન માનવ બોમ્બ ધડાકા કરાશે. પીએમ, સીએમ પબ્લિક દુશ્મન છે. ડેપો મેનેજર આપકો ચેતવણી આપતે હૈ...લી. અલ કાયદા...


બોક્સ: ટીસીએ મેદાનમાં ચાલુ કરી ફરજ !

જેતપુર: જેતપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં બોમ્બની ધમકીની પોલીસ કાર્યવાહી દરમિયાન તમામ બસોને બસ સ્ટેન્ડના મેદાનમાં થોભાવાતી હોય, ટીકીટ ચેકરે મેદાનમાં પોતાની ફરજ ચાલુ કરી હોવાનું જોવા મળ્યું હતું.

 

બોક્સ: મુસાફર આલમમાં ફફડાટ વ્યાપ્યો !

જેતપુર : જેતપુરના બસ સ્ટેન્ડમાં પોલીસની ગાડીઓ, કાફલો, મામલતદાર સ્ટાફના કાફલાથી બસ સ્ટેન્ડમાં આવતી તમામ બસોમાં ચડતા ઉતરતા મુસાફરો ''હે શું થયું છે ? તેવા પ્રશ્નો પછી બોમ્બથી બસ સ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકીની વાત બહાર આવતા મુસાફર આલમ ફફડી ઉઠી હતી.

આ લખાય છે સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં પોલીસને કોઈ એવી અસરકારક વસ્તુ, પદાર્થ, પાર્સલ, કે કોઈ શકમંદ શખ્શ હાથ આવ્યા નથી. પીઆઈ વ્યાસ અને રાઈટર રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ આ બનાવની જાણવા જોગ એન્ટ્રી કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 


શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

બાળાઓનો સામુહિક પ્રસાદ :

બાળાઓનો સામુહિક પ્રસાદ :
જેતપુર: જેતપુરના રજવાડી ગ્રુપના મિત્રો દ્વારા છેલ્લા છ વર્ષ થયા જેતપુર તાલુકાભરની ગરબી મંડળની બાળાઓને સામુહિક પ્રસાદ પીરસવાનું આયોજન કરવામાં આવે છે. આ સેવાનો સિલસિલો ૭ માં વર્ષે પણ ચાલુ રાખ્યો હતો. જેમાં જેતપુર શહેર અને તાલુકાભરની ૧૫૩ ગરબી મંડળોની ૫૧૦૦ જેટલી બાળાઓને અહીના અમરનગર રોડ પરની પાર્ટી પ્લોટ ખાતે સામુહિક પ્રસાદ લેવડાવ્યો ત્યારની તસ્વીર...
ફોટો : કશ્યપ જોશી જેતપુર જેતલસર