- આશુ પટેલ
કોલકાતાના વતની એવા ડોક્ટર તપન કુમાર લાહિરી ઈંગ્લેન્ડમાં મેડિકલ ડિગ્રી લઈને પાછા ભારત આવ્યા એ પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રોફેસર અને કાર્ડિયોલોજિસ્ટ તરીકે જોડાયા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન હજારો વ્યક્તિઓનાં હૃદયના ઓપરેશન્સ કર્યાં અને તેમની પાસે ભણીને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા. ડોક્ટર લાહિરીને ૨૦૧૬માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા. આખી જિન્દગી લોકોને મદદરૂપ થતા રહેલા ડોક્ટર લાહિરીને પદ્મશ્રી આપવાનું સરકારને બહુ મોડું સૂઝ્યું. જો કે તેમને પદ્મશ્રી નહીં, પણ પદ્મભૂષણ કે પદ્મવિભૂષણથી સન્માનિત કરાય તો પણ એ સન્માન ઓછું ગણાય. આખી જિન્દગી લોકોને મદદરૂપ થતા રહેલા ડોક્ટર લાહિરીને પદ્મશ્રી આપવાનું સરકારને બહુ મોડું સૂઝ્યું.
ડોક્ટર લાહિરી તેમની જિંદગીમાં હજારો દર્દીઓને મદદરૂપ બન્યા છે. આજના સમયમાં મોટા ભાગના ડો ક્ટરોનું ધ્યાન ચિક્કાર પૈસા કમાવા પર હોય છે ત્યારે ડોક્ટર લાહિરીએ પોતાની હોસ્પિટલ શરૂ કરીને બેંક બેલન્સ તગડું કરવાને બદલે દર્દીઓને મદદ કરવાનું લક્ષ્ય જ નજર સામે રાખ્યું. ડોક્ટર લાહિરી ૨૦૦૩માં નિવૃત્ત થયા ત્યાં સુધીમાં તેમણે પોતાના માટે કાર પણ ન ખરીદી. તેઓ હંમેશાં ઘરેથી ચાલતા-ચાલતા બનારસ હિન્દુ યુનિવર્સિટી જતા હતા. નિવૃત્ત થયા પછી તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીને માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. તેઓ આજની તારીખે પણ ઘરેથી ચાલીને બનારસ હિન્દુ યુનિવર્સિટી જાય છે અને પ્રોફેસર તથા કાર્ડિયોલોજિસ્ટ તરીકે મફત સેવા આપે છે. અને એવું નથી કે તેઓ અમુક કલાક પૂરતા પોતાની સેવા આપવા જાય છે. તેઓ નોકરી પર હતા એ વખતે જેટલો સમય આપતા હતા એટલો જ સમય વર્તમાન સમયમાં પણ આપે છે. વાત અહીં પૂરી થતી નથી. તેમને પેન્શનની જે રકમ મળે છે એમાંથી તેઓ પોતાની મૂળભૂત જરૂરત પૂરતી રકમ પોતાની પાસે રાખે છે અને બાકીની રકમ બનારસ હિન્દુ યુનિવર્સિટીને આપી દે છે. તેમની જીવનશૈલી એકદમ સીધીસાદી છે એટલે તેમની આર્થિક જરૂરત પણ બહુ ઓછી છે. તેમની નોકરી દરમિયાન પણ તેમને જે વેતન મળતું હતું એમાંથી તેઓ ગરીબ દર્દીઓને આર્થિક સહાય કરતા રહ્યા હતા.
ડોક્ટર લાહિરી નિશ્ચિત સમય પર બનારસ હિન્દુ યુનિવર્સિટી પહોંચી જાય છે. તેઓ સમયપાલનના એટલા આગ્રહી છે કે તેમના માટે એવું કહેવાય છે કે તેમને આવતા જોઈને લોકો પોતાની ઘડિયાળમાં સમય સેટ કરી શકે. તેમની ત્રીસ વર્ષની નોકરી દરમિયાન અને પંદર વર્ષની માનદ સેવા દરમિયાન તેમણે એક લાખથી વધુ દર્દીઓના હૃદયના ઓપરેશન્સ કર્યા છે. તેમણે પોતાની ખાનગી હોસ્પિટલ કરી હોત તો દેશના અન્ય અનેક કાર્ડિયોલોજિસ્ટ્સની જેમ તેઓ અબજો રૂપિયા કમાઈ શક્યા હોત, પણ તેઓ નોખી માટીના માનવી સાબિત થયા. ડોક્ટર ટી. કે. લાહિરી જેવા અનોખા માણસોનું જીવન સાર્થક સાબિત થતું હોય છે. પોતાના માટે તો બધા જ જીવતા હોય છે, બીજાઓ માટે જીવનારા લોકો બહુ ઓછા હોય છે. આવા પરોપકારી માણસો જીવનભર લોકોને સુખી કરતા રહેતા હોય છે. (મુંબઈ સમાચારમાંથી સાભાર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો