અનુયાયીઓ

ગુરુવાર, 27 ડિસેમ્બર, 2018

રાજકોટ શહેરમાં તા.30ના 22 વહાલુડી સ્નેહનું પાનેતર ઓઢીને પ્રભુતામાં પગલાં માંડશે


દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આયોજીત વિવાહ ઉત્સવમાં
તા.29ના સમૂહ મંડપ મુહૂર્ત તથા કલાકાર અશ્વિન જોશીનો કાર્યક્રમ
શ્રેષ્ઠીઓ પિર્તૃત્વ ભાવ સાથે કન્યાદાનનું ઋણ અદા કરશે

    રાજકોટના આંગણે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આગામી તા.29 અને 30ના રોજ 22 વહાલુડી દીકરીઓના વિવાહનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવશે. શહેરના જામનગર રોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં યોજાનાર આ લગ્નોત્સવમાં રર દીકરીઓ નેહમાં વિદાયની વેદનાના આંસુના બદલે હરખની હેલી સાથે સ્નેહનું પાનેતર ઓઢી પ્રભુતામાં પગલાં માંડશે. આ પ્રસંગે તા.29ના સવારે 7:30 કલાકે સમૂહ મંડપ મુહૂર્ત અને રાત્રીના આઠ વાગ્યે કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર બીએપીએસના હોલમાં કલાકાર અશ્વિનભાઇ જોશીના કાળજુ ધોવાનો અવસર કાર્યક્રમનું આયોજન કરાયું છે.

    વહાલુડીના વિવાહના સ્વપ્નદ્રષ્ટા મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના અને હસુભાઇ રાચ્છે તથા સંસ્થાના પ્રતાપભાઇ પટેલે સમગ્ર આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, તા.ર8 ના રોજ રાજકોટના રાધે કેટરર્સના સંચાલક ચેતનભાઇ પારેખ દ્વારા તેમજ શહેરના જાણીતા બીલ્ડર સાહિત્યકાર સ્વ.રસીકભાઇ મહેતા પરિવારના હરેનભાઇ મહેતા પરિવાર તરફથી દરેક દીકરીનું ફુલેકુ લેવામાં આવ્યું છે તેમજ રાસગરબા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તા.ર9 ના રોજ સવારે 7.30 કલાકે સમૂહ મંડપ મુહૂર્ત અને રર દીકરીઓનો ભવ્ય મહેંદી રસમનો પ્રસંગ ઉજવાશે.

    વહાલુડીના વિવાહના મુખ્ય લગ્નોત્સવની માહિતી આપતા સંસ્થાના કિરીટભાઇ આદ્રોજા, કિરીટભાઇ પટેલ અને સુનીલભાઇ મહેતાએ જણાવ્યું છે કે તા.30 ડિસેમ્બર રવિવાર સાંજે 4 વાગ્યે ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં જાનનું આગમન થશે. કાલાવડ રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ખાતેથી એકસાથે 40 થી વધુ બસ તેમજ ગાડીના કાફલાને પાયલોટીંગ કરી લગ્નસ્થળે લઇ જવામાં આવશે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આ લગ્નોત્સવમાં સામેલ થનાર પ્રત્યેક દીકરીને કરિયાવર સ્વરૂપે લગભગ 3 લાખ જેટલી રકમનો કરિયાવર અપાશે જેમાં નાની મોટી 170 જેટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
દરેક કપલને ગોવા હનીમૂન ટૂરમાં મોકલાશે
વહાલુડીના વિવાહમાં ભાગ લેનાર 22 દીકરીઓને તા.19 જાન્યુઆરીના રોજ કપલમાં ગોવાનો પ્રવાસ કરાવવામાં આવશે. જેમાં દીકરીઓને આવવા જવાની ટિકિટ ઉપરાંત તમામ સાઇટ સીન અને સુંદર હોટલ-રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જાનૈયાઓનું થશે અદકેરૂ સ્વાગત
ગ્રીન લીફ પાર્ટીપ્લોટના પટાંગણમાં જાન આગમન સાથે બેન્ડવાજા, ઢોલનગારા અને શરણાઇના સૂરોના સથવારે વીન્ટેજ કાર અને 6 શણગારેલી બગીઓ, મોટરકારના કાફલા સાથે રાસની રમઝટ બોલાવતા વરઘોડાનો પ્રસંગ ઉજવવામાં આવશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ઉપસ્થિત રહેશે
લોકપ્રિય ટીવી સિરસયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર તન્મય વેકરીયા (બાઘાલાલ) અને મોનીકા ભાદોરીયા (બાવરી) લગ્નોત્સવમાં ખાસ ઉપસ્થિત રહશે તથા કાળજુ ધોવાનો અવસર કાર્યક્રમમાં મયુર વાંકાણી (સુંદર) ઉપસ્થિત રહેશે. '

ટિપ્પણીઓ નથી: