દિલ્હીથી પ્રવાસ ટૂંકાવી જેતપુર દોડી આવ્યા, અમુક વિસ્તારોમાં પાણીના ટાંકા પહોચાડ્યા
જેતપુર શહેરમાં ફરી વળેલા વરસાદી પાણીથી અસરગ્રસ્ત
લોકોની મુલાકાત લેતા જેતપુર પાલિકા પ્રમુખ
જેતપુર તા.27
જેતપુર શહેરમાં વરસાદી પાણીએ તારાજી સર્જી હોવાના અહેવાલો મળતાજ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો દિલ્હીનો પ્રવાસ ટૂંકાવી જેતપુર દોડી આવી અસરગ્રસ્તોની મુલાકાત લઈને બને તેટલી મદદ કરાવવાની ખાતરી આપી હતી.
મળતી વિગતો મુજબ દેશના વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત વિજ્ઞાનભવન ખાતે અમૃત યોજના - સ્માર્ટ સીટી પ્રોજેક્ટ બાબતે તા.25-26-6. ના રોજ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતની જેતપુર સહીત 24 નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને પાલિકા પ્રમુખને બોલાવ્યા હતા. દેશના પીએમની આ બેઠકમાં હાજરી આપવા જેતપુર નવાગઢ નગર પાલિકા પ્રમુખ પણ જોડાયા હતા.
બીજીબાજુ જેતપુરમાં આજુબાજુના ગામોના વરસાદી પાણીએ તારાજી સર્જ્યાની જાણ થતાજ પાલિકા પ્રમુખે પોતાનો 29.6. સુધીનો પ્રવાસ ટૂંકાવી ત્રણ દિવસ વહેલા જેતપુર આવી શહેરના ગોંદરા વિસ્તાર, ખીરસરા રોડ, ભાદરના સામા કાંઠા વિસ્તાર, શારણના પુલ, ફિલ્ટર પ્લાન્ટ વિસ્તાર, વિગેરે વિસ્તારોની મુલાકાત લઇ અસરગ્રસ્તોને સાંભળી, તારાજીનું દુખ વ્યક્ત કરી, પોતાની કક્ષાએથી બનતી મદદ કરાવવાની અસરગ્રસ્તોને ખાતરી આપી હતી.
જેતપુર પાલિકા પ્રમુખ રમાબેને એમ પણ જણાવેલ કે પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં વરસાદી પાણીથી થયેલી નુકશાની પૂર્વવત કરવા પાલિકાસુત્રો મહેનત કરી રહ્યા છે. સંપૂર્ણ શહેરમાં બધા વિસ્તારોમાં પાણી પહોચાડવું હાલ થોડા દિવસ અશક્ય હોય. અત્યંત જરૂરીયાતવાળા ઉપરોક્ત વિસ્તારોમાં પાણીના ટેન્કરો મોકલીને અસરગ્રસ્તોની પાણી પરત્વેની સમસ્યા મહદઅંશે હળવી કરવા પ્રયત્ન કરાયો છે. પ્રજાનો સહકાર જરૂરી છે.
ફોટો અને સમાચાર-કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો