અનુયાયીઓ

બુધવાર, 26 જૂન, 2013

કેદારનાથના 'અનાથ' લોકોમાં તાવ-ઝાડાની ફરિયાદ વધી, મહામારી ફેલાવાનું જોખમ

ખીણમાં ઠેકઠેકાણે પડેલા સેંકડો મૃતદેહ સડી રહ્યા છે, જેના લીધે વિસ્તારના પાણીના સ્રોત દૂષિત થયા હોવાની સત્તાવાળાઓને બીક

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના જે વિસ્તારોમાં પૂરે વિનાશ વેર્યો છે ત્યાંનાં સ્થાનિક ગામોના સેંકડો લોકો સશસ્ત્ર દળ દ્વારા ઊભા કરાયેલા તબીબી કેમ્પોમાં તાવ, ઝાડા અને ઊલટીની ફરિયાદ કરી રહ્યા છે, જેના લીધે વિસ્તારમાં મહામારી ફેલાવાની દહેશત સર્જાઈ છે.

કેદારનાથ ખીણમાં ગુપ્તકાશી નજીક આવેલા એક નાનકડા ગામ રામનગરમાં સોમવાર અને મંગળવાર દરમિયાન આશરે ૧૨૮ લોકોએ હાઈ ટેમ્પ્રેચર અને ગેસ્ટ્રો-ઈન્સ્ટેસ્ટિનલ ચેપની ફરિયાદ કરી હતી. કેદારનાથમાં બચાવકાર્યમાં જોડાયેલા આઇટીબીપીના ત્રણ જવાન પણ માંદા પડી ગયા હોવાના અહેવાલ છે.

ખીણમાં ઠેકઠેકાણે પડેલા સેંકડો મૃતદેહ સડી રહ્યા છે, જેના લીધે વિસ્તારના પાણીના સ્રોત દૂષિત થયા હોવાની સત્તાવાળાઓને બીક છે. આઈટીબીપી, સશસ્ત્ર દળ અને એનડીઆરએફ દ્વારા સારવાર માટેના શિબિર સ્થાપવામાં આવ્યા છે, જે પીડિતોને દવાઓ આપી રહ્યા છે તેમ છતાં કેન્દ્ર ડોક્ટરો અને વિશેષજ્ઞો વડે બનેલી એક ઉચ્ચ સ્તરીય ટીમ ઉત્તરાખંડ મોકલી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરશે.

હજુ સુધી પાણી/હવાને લીધે અથવા તેમના સીધા સંપર્કને લીધે થતા રોગ પૈકીનો એક પણ કેસ નોંધાયો નથી. તેથી સરકારને પરિસ્થિતિ ભયજનક જણાતી નથી, તેમ છતાં અલ્વલપુર (હરિદ્વાર), ઉડવી (ઉત્તર કાશી) અને ચંદ્રપુરી (રુદ્રપ્રયાગ) જેવા વિસ્તારોમાં ઝાડાના કેસ સ્થાનિક તબીબી સહાય ટુકડીઓના ધ્યાન પર આવ્યા છે.

કેદારનાથમાં પરિસ્થિતિ ઘણી ભયાનક છે. "પાછલા બે દિવસમાં ગુપ્તકાશીના એક ગામના ૧૨૮ લોકોએ પાણીના ચેપને લીધે થતા રોગની ફરિયાદ કરી છે. વિસ્તારનું પાણી દૂષિત થયું હોય એવું લાગે છે" એવું એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: