રાજ્યના વિકાસ ક્ષેત્રે ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, જ્ઞાનરથ પ્રોજેકટ, વાંચે ગુજરાત, વિદ્યાલક્ષ્મી યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે નવા અભ્યાસક્રમો અને સીટોની સંખ્યામાં વધારો ઉપરાંત ગુણોત્સવ, વિદ્યા સહાયકોની ભરતી, વિદ્યા દીપ યોજના, સ્કોપ લેંગ્વેજ, નોલેજ સોસાયટીની વૈકલ્પિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે, તેમ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ આજે અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા આયોજિત શૈક્ષણિક અધિવેશન તથા ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરીના વિમોચન સમારોહમાં જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષથી મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ કન્યા કેળવણી અભિયાનના પગલે છેલ્લા એક દશકામાં સો ટકા નામાંકન, ડ્રોપ આઉટ રેશિયો ઘટીને બે ટકા તેમજસ્ત્રી સાક્ષરતામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. શિક્ષણના ક્ષેત્રે ગુજરાતે 21મા ક્રમેથી છઠ્ઠા ક્રમે આવીને નોંધનીય પ્રગતિ કરી છે. રાજ્યમાં ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપવાનું કાર્ય સરકારે ઉપાડયું છે. પારદર્શક વહીવટ થકી ઓનલાઇન વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ શક્ય બની શકે તેમ જણાવી 21મી સદીમાં ગુજરાતના વિકાસ નિર્માણમાં શિક્ષકોનું વિશેષ યોગદાન બની રહેશે તેમ કહ્યું હતું.
સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજય છે કે, જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ગ્રેડેશન પધ્ધતિમાં સમાવાયા છે એમ જણાવી શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ગ્રેડેશન પધ્ધતિમાં ગુણાત્મક બદલાવ લાવવા તથા ધોરણ ઉંચુ લાવવાના ઉદ્દેશ સાથે ગુણોત્સવ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને તેના સારા પરિણામો જોવા મળ્યાં છે.
શહેર આચાર્ય સંઘ અધિવેશનમાં નિવૃત શિક્ષક ભાઇ-બહેનોને શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરનારા સંનિષ્ઠ આચાર્યોનું શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
અધિવેશનમાં શહેર આચાર્ય સંઘ દ્વારા પ્રકાશિત ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરી પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અધિવેશનમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઇ ચૌધરી, અમદાવાદ શહેર આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી રમેશભાઇ અમીન, આચાર્ય સંઘના પ્રમુખ ડૉ.સી.કે.પટેલ, મહામંત્રી શ્રી રાકેશભાઇ પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.આઇ.પટેલ સહિત સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા આચાર્ય ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મફત કાનૂની સલાહ કેન્દ્રમાં માહિતી અપાશે
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તાલુકાના 10 ગામો જેવા કે બામોસણા,પાલોદર,રામોસણ,પાંચોટ,લાંઘણજ,ગોરાદ,આંબલીયાસણ,દેલોલી,ગોઝારીયા અને દેવીનાપુરામાં લીગલ એઇડ ક્લીનીકની સ્થપાયેલ છે.આ ગામોમાં દરમાસના બીજા અને ચોથા ગુરૂવારે બપોરે 1-00 થી 5-00 કલાક દરમિયાન મફત કાનુની સલાહ મળી રહેશે
રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠકકરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની અગિયારમી બેઠક યોજવામાં આવી હતી.જેમાં ઘઉં અને કઠોળ પાકના લક્ષ્યાંકો સિધ્ધ કરવાની ચર્ચાઓ,વિવિધ યોજનાઓની લોકો સુધી પહોંચાડવા માટેની ચર્ચાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઇ હતી.
કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયંત્રણ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયંત્રણ અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દારૂ સંબધિત કેસો,પ્રોહીબેશનના કેસો,તડીપાર તેમજ હદપારના કેસો, સહિત વિવિધ કલમો ને લગતા કેસોની સમીક્ષા કરાઇ હતી.કલેકટરશ્રીએ કાયદો અને વ્યવસ્થા નિયંત્રણ માટે વિવિધ ટીમો બનાવવાનું સુચન કર્યું હતું.આ ઉપરાંત ટ્રાફિક બાબતે જાગૃતતા લાવવા માટે પણ સુચનો થયા હતા.શહેરમાં સાઇન બોર્ડ તેમજ ટ્રાફિક સિગન્લ ટુંક સમયમાં પુર્ણ કરવાના સુચનો કલેકટરશ્રીએ કર્યા હતા..આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.જે.સવાણી, અધિક કલેકટરશ્રી આર.કે.પટેલ, જિલ્લાના પ્રાન્ત અધિકારીશ્રીઓ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ કમીટીના સભ્યો હાજર રહી વિવિધ સુચનો કર્યા હતા.
હથીયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે તા.૨૯/૧૨/૨૦૧૧ ના રોજ મતદાન અને તા.૩૧/૧૨/૨૦૧૧ ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. આ ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા હથીયારો અંગે જરૂરી સુચનાઓ બહાર પાડેલ છે. ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્યક જણાય છે. મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેમજ ચુંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતિ રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર રાજયના ચૂંટણી પંચે બહાર પાડેલ સુચનાઓ ધ્યાને લેતા સમગ્ર જિલ્લામાં આવેલ હથીયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે.
શ્રી જે.બી.વોરા, (આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવે છે કે, સમગ્ર જિલ્લાના વિસ્તારમાં કોઇ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ થી કલમ-૨ ની વ્યાખ્યામાં આવતુ કોઇપણ હથિયાર ધારણ કરી ફરવું નહિ. તેમજ હથીયાર પોતાના રહેઠાણના સ્થળે શેફ કસ્ટડીમાં રાખવા, નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથીયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યક્તિગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથીયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે, જામીન ઉપર છોડેલી વ્યકિતઓ, ફોજદારી ગુનાઓ કર્યાની ભુમિકાવાળી વ્યકિતઓ, હુલ્લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમિયાન સંડોવાયેલ વ્યકિતઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યકિતઓ, ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમોને ચૂંટણી પ્રક્રિયા શરૂ થયેલ હોઇ યોગ્ય સમયમાં નોટીસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શકય ન હોઇ ઉપર પેરામાં જણાવેલ હુકમ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ બાબત કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલા નિરીક્ષકોને લાગુ પડશે નહિ.
આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ ને અનુલક્ષી ચોપાનીયા, ભીતપત્રો, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શન પર નિયંત્રણો
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેથી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, પોસ્ટર્સ, કટઆઉટ, જાહેરાત, બેનર્સ વિગેર દ્વારા પૈસાની તાકાતના આડંબરયુક્ત પ્રદર્શન ના કરે તે હેતુથી રાજય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ આચારસંહિતા મુજબ નિયમન કરવુ જરૂરી છે. શ્રી સુધીર બી.પટેલ,(જી.એ.એસ) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા–પાલનપુર દ્વારા મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (ડી.એ.)થી (ડી.બી.) થી મળેલ સત્તની રૂએ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે ચુંટણીલક્ષી જાહેરાત, બેનર્સ, કટઆઉટ, મુકવા નીચે મુજબ નિયમો કરવા હુકમ કરવામાં આવે છે.
કોઇપણ ઉમેદવાર/સંસ્થા અથવા વ્યકિત દ્વારા ચૂંટણી પંચની સુચનાની વિગતે સહેલાઇથી દૂર કરી શકાય તેવા પ્રકારે કટઆઉટ, હોર્ડીંગ્સ, બેનર્સ, કમાન, તોરણ, ધ્વજ પતાકા વિ. કોઇપણ ખાનગી મિલ્કતો મકાનો ઉપર મિલ્કતના માલિકની સ્વેચ્છા પરવાનગીથી પ્રદર્શિત કરી શકશે અને આ પ્રકારની મંજુરીની લેખિતમાં સબંધિત ચુંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને દિન-૩ માં જાણ કરી શકાશે
કોઇપણ ઉમેદવાર/સંસ્થા અથવા વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ પ્રદર્શિત કરી શકાશે પરંતુ તે માટે સ્થાનિક સત્તાધિકારીની મંજૂરી પ્રમાણે ચુકવણી કરી પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે પરંતુ ચુંટણીની જાહેરાત પછી આવી જગા કે હોર્ડીગ્સની સાઇઝ વિસ્તારી શકાશે નહીં કે ઘટાડી શકાશે નહીં.
આ જાહેનામું તા.૧૦/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧ સુધી સમગ્ર જિલ્લા(ન.પા.વિસ્તાર) પૂરતું અમલમાં રહેશે. કોઇપણ ઉમેદવાર/અથવા કોઇપણ વ્યકિત દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરી ચૂંટણી લક્ષી કટ આઉટ, જાહેરાત, પાટીયા, અથવા બેનરો પ્રદર્શિ કરાશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ને અનુલક્ષી ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થવા પર અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ.
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી- ૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હોઇ ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશ, સભા, સરઘસ વિગરે નીકળવાની શક્યતા હોવાથી સમગ્ર જિલ્લામાં (ન.પા. વિસ્તાર સિવાય) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી- સરઘસની મનાઇ ફરમાવવામાં આવે છે. તેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને ૧૯૫૧ ના મુંબઇના ૨૨ મા)ની કલમ-૩૭ ની પેટા કલમ-૩ થી મળેલ સત્તાની રૂએ શ્રી જે.બી.વોરા,(આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુર દ્વારા જિલ્લામાં (ન.પા.વિસ્તારો સિવાય) તા. ૧૦/૧૨/૨૦૧૧ થી તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધી બંને દિવસો સહિતની મુદત માટે ચાર કે ચાર કરતાં વધુ વ્યકિતઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવે છે. આ હુકમ નીચેનાને લાગુ પડશે નહીં. સરકારની નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇપણ સ્મશાન યાત્રા વગેરે બાબતોને આ લાગુ પડશે નહિ.
આ હુકમનો કોઇ ભંગ અથવા ઉબ્લંધન કરવા બદલ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ અને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (સને ૧૮૬૦ ના ૪૫ માની) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
મતદાન મથકથી ૧૦૦ મીટર વિસ્તારમાં મોબાઇલ ફોન અને આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું."
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ મતદાન યોજાનાર છે. મતદાનનો સમય સવારે ૮-૦૦ થી ૧૭-૦૦ કલાક સુધીનો છે. ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં થઇ શકે તે હેતુથી મતદાન મથક ઉપર મતદાન શાંતિપૂર્ણ, મુકત અને નિષ્પક્ષ થાય અને મતદારો શાંતિપુર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથક અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોર્ડલેસફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ, વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ જઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુ થી નિયંત્રણ મુકવુ જરૂરી અને આવશ્યક જણાય છે.
શ્રી સુધીર બી.પટેલ,(જી.એ.એસ.) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ના જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારની અંદર કોઇપણ વ્યકિત તા. ૨૯/૧૨/૨૦૧૧ ના રોજ મતદાનના સમય દરમ્યાન આધુનિક સંદેશા વ્યવહારના સાધનો લઇ જઇ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહી. આ આદેશ ચૂંટણી અંગે ફરજ પરના સરકારી કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સુરક્ષા કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી. આ આદેશનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
ટ્રેકટર અને રોટાવેટર ખરીદવા ઇચ્છતા ખેડુતો જોગ.
જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુરની ખેડુતો જોગ અખબારી યાદીમાં જણાવાયું છે કે, ખેતીવાડી શાખામાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ રાજયમાં ટ્રેકટર/રોટાવેટર સહાયથી વિતરણ કરવામાં આવે છે. આ અરજીઓની ઓનલાઇન એન્ટ્રી હવેથી ખેડુત વતી જે તે ઉત્પાદક/ડીલર પણ કરી શકશે. આ બાબતે ઉત્પાદકે બેંક ગેરન્ટી તરીકે રૂ.૨.૦૦ લાખ સંયુક્ત નિયામકશ્રી(હિસાબ), ખેતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગરના નામે જમા કરવવાના રહેશે. તેમજ જે તે ઉત્પાદક/ડીલરએ ખેડુત તરફથી પ્રત્યેક અરજી દીઠ ટ્રેકટર અને રોટાવેટર માટે અનુક્રમે રૂ.૩૦૦૦/- અને રૂ.૨૦૦૦/- ડીપોઝીટ પેટે લઇ ઓનલાઇન ડેટા એન્ટ્રી કરી હાર્ડ કોપી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને મોકલવાની રહેશે. ખેડુત જે તે સાધનની મંજુરીની સમયમર્યાદામાં ખરીદી ન કરે તેવા સંજોગોમાં તે ડીપોઝીટના નાણાં સરકારશ્રીમાં જમા કરાવવાના રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે સેજાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), મદદનીશ ખેતી નિયામકશ્રી(વિ) પેટા વિભાગ ડીસા/ થરાદ અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા, પાલનપુરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો