સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાના દિને મુખ્ય મંત્રીશ્રી નડીયાદમાં દેશભક્તિથી છલકાતા નગરજનોના ઉમંગમાં સહભાગી બન્યા
ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સમસ્ત નડિયાદ નગરમાં મુખ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિથી નગરજનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં હિલોળે ચડયા
સરદાર પટેલના જન્મસ્થળે જઇને લોહપુરૂષને શ્રદ્ધાસુમન અર્પણ કરી પૂર્વ સંધ્યાએ વિકાસના જનઉત્સવનો પ્રારંભ કરતા મુખ્ય મંત્રીશ્રી
આઝાદીની ૬પમા પર્વની ઉજવણીનો વિકાસ ઉત્સવ ઉજવતા ખેડા જિલ્લામાં રૂ. ૭પ૭ કરોડના ખર્ચે ૩૮ર૭ વિકાસકામોથી ધબકતાં ગામ-નગરો
ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ""જ્ઞાનોદયને દ્વારેઃ ગુજરાત'' વિષયક વિઘાર્થીઓ સાથે ગોષ્ઠી
ગુજરાતમાં વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર સ્થાપીને યુવા સંશોધકોને સંપૂર્ણ મદદ કરાશેઃ શ્રી નારાયણ મૂર્તિના નેતૃત્વમાં નવા શોધ સંશોધનને પ્રોત્સાહિત કરવાની આગવી પહેલ
""ગુજરાતની જનતાએ મને બધા જ ક્ષેત્રોમાં (દૂષણોની) સફાઇ કરવાની જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરીશ''- મુખ્ય મંત્રીશ્રી
નડિયાદ શહેરઃ મહી આધારીત પાણી પુરવઠા યોજના રૂ. પ૭ કરોડ
ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણ યોજના રૂ. ૧૧૧.ર૦ કરોડ
નડિયાદ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગ રૂ. ર૪૪ કરોડ
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા ત્રણ વિકાસ પ્રોજેકટના કુલ રૂ. ૪૧૨ કરોડના ખાતમુહૂર્ત
સંતરામમંદિરમાં દર્શનાર્થે જઇ પૂજય મહારાજના આશીર્વાદ મેળવ્યા
હિન્દુ અનાથાશ્રમની પ્રવૃત્તિઓને બિરદાવી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૬પમા આઝાદી પર્વના રાજ્યકક્ષાના શાનદાર મહોત્સવની ઉજવણી કરી રહેલા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દેશભક્તિનો સાક્ષાત્કાર કરાવતા નગરજનોના અભૂતપૂર્વ ઉમંગ-ઉત્સાહમાં આજે આખો દિવસ સહભાગી બન્યા હતા.
ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સાક્ષરભૂમિ નડિયાદના સમસ્ત નગરવાસીઓ વિકાસ ઉત્સવ નિહાળવા હિલોળે ચડયા હોય તેવા આનંદ ઉલ્લાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નડિયાદમાં લોહપુરૂષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઇને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આઝાદી પર્વની પૂર્વ સંધ્યાના વિકાસ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદમાં ત્રણ મહત્વના વિકાસકામોના ખાતમુર્હૂત કર્યા હતા. જેમાં નડિયાદ શહેર માટે મહી આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના, નડિયાદ શહેરની ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણની રૂ. ૧૧૧.ર૦ કરોડની જનસુખાકારી યોજના તથા નડિયાદ-કઠલાલ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગના રૂ. ર૪૪ કરોડના માર્ગ વિકાસ પ્રોજેકટના ખાતમુર્હૂતનો સમાવેશ થાય છે.
ધર્મસંસ્કૃતિ રક્ષા અને માનવસેવા માટે પ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શનાર્થે જઇને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમની અનેકવિધ પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કરીને તેની પ્રસંશા કરી હતી.
વિકાસ પર્વ તરીકે આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન ખેડા જિલ્લામાં દશ જ દિવસમાં એકંદરે રૂ. ૭પ૭ કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવા કામોની જાહેરાતો સાથે ૩૮ર૯ વિકાસકામોની અવિરત પ્રગતિયાત્રા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓએ કરી હતી, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં વિશ્વકક્ષાનું, યુવાસંશોધકો માટે સંપૂર્ણ સહાય કરતું ઇન્કયુબેશન સેન્ટરઃ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના વિઘાર્થી સંશોધકો દ્વારા નિર્મિત વિવિધ સંશોધન પ્રોજેકટની પ્રસ્તુતિ નિહાળીને જ્ઞાનોદયના દ્વારે ગુજરાત વિષયક યુવાગોષ્ઠી કરી હતી.
તેમણે ગુજરાત સરકાર કોઇપણ ક્ષેત્રમાં નવીનત્તમ વિચારો, શોધ સંશોધનો માટે સંપૂર્ણ પ્રોત્સાહન આપવા તત્પર છે તેવી નેમ વ્યકત કરી જણાવ્યું કે, રાજ્યમાં યુવા સંશોધનકારોને સંપૂર્ણપણે પ્રોત્સાહન, સમર્થન, પ્રેરણા અને સહાયરૂપ થવા વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર ફોર યુથપાવર સ્થાપવાની દિશામાં રાજ્ય સરકારે પહેલ કરી છે અને શ્રી નારાયણ મૂર્તિજી તેનું સંચાલન નેતૃત્વ હાથ ધરે એવી વિનંતી પણ કરેલી છે.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતના કોઇપણ યુવાને કોઇપણ ક્ષેત્રમાં સંશોધનના પ્રોજેકટ બનાવ્યા હશે અને યુનિવર્સિટીના માધ્યમથી તેમની સમક્ષ પ્રસ્તુત કરાશે તો આવા યુવા સંશોધકોને પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેઓ તત્પર રહેશે.
૧પમી ઓગસ્ટ અને ર૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દેશભક્તિના પર્વની ઉજવણી વિકાસ ઉત્સવ તરીકે જનશક્તિને જોડીને ઉજવવાનો નિર્ણય ગુજરાતમાં લોકપિ્રય બની ગયો છે તેને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના યુવા સંશોધકો અને તેમનામાં પ્રેરણા સિંચન કરનારા યુનિવર્સિટી સંચાલકોને વિશેષ અભિનંદન આપ્યા હતા.
આપણે રાષ્ટ્રીય પર્વોને દેશ અને સમાજ માટેના કર્તવ્યભાવના ઉજાગર કરવાના અવસર તરીકે ઉજવવા જોઇએ, એવી પ્રેરણા આપતા મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદ શહેરમાં સફાઇનું અભિયાન સફળ બન્યું છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યું કે, જનતા જનાર્દને તેમને બધા જ ક્ષેત્રોમાં (દૂષણો)ના સફાઇની જવાબદારી સોંપી છે અને આ કાર્ય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.
ગુજરાતે નવા વિચારો અને નવી શોધને ઉત્તેજન આપવા ઇનોવેશન કમિશન ફોર એજ્યુકેશન કાર્યરત કર્યું છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને સમાજમાં નિરંતર નવા વિચારો, નવા સંશોધનોનો આવિષ્કાર થવો જોઇએ એમ જણાવ્યું હતું.
ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધતાપૂર્ણ સમાજોપયોગી સંશોધનકાર્યને મુખ્ય મંત્રીશ્રીના આશીર્વાદથી નવું ચાલકબળ મળશે તેવી લાગણી સાથે સહુને આવકારતાં કુલપતિ ર્ડા. એચ. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીમાં ર૮ સંશોધન પ્રોજેકટ ચાલી રહ્યા છે. આ સંસ્થામાં શોધાયેલું પોટ્રેઇટ બિલ્ડીંગનું સોફટવેર દેશભરની પોલીસ ગુનેગારોનો સ્કેચ બનાવવા વાપરે છે. કોમ્પ્યુટર એન્જીનિયરિંગના ભાષાકીય એકસૂત્રતા માટેના મેધધનુષ પ્રોજેકટ માટે પસંદ થયેલી દેશહની ૭ સંસ્થાઓમાં ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસ અને શહેરી સુખ સુવિધા માટે નડિયાદમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ખાતમુર્હૂર્ત
નડિયાદ શહેરની મહી કેનાલ આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના અને રૂ. ૧૧૧.ર૦ કરોડની ભૂગર્ભ શહેર ગટર વિસ્તૃતિકરણ યોજનાના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત શહેરીકરણમાં ૪૦ ટકા વસતિ સાથે શહેરી વિકાસના નવા આયામો અપનાવી રહ્યું છે. ગુજરાતની શહેરી જનતાની સુખસુવિધા માટે સ્વર્ણિમ જયંતી મંત્રીશ્રી, શહેરી વિકાસ યોજના હાથ ધરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે વિકાસમાં લોકશક્તિને જોડીને ગુજરાત નવી ઊંચાઇ ઉપર પ્રગતિ કરવા પ્રતિબદ્ધ બન્યું છે.
નડીયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા માર્ગનું વિસ્તૃતિ અને મજબૂતીકરણ થશે
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ર૪પ કરોડના ખર્ચે તૈયાર થનારા નડિયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા રસ્તાના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણના કામનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ રસ્તો હવે બમણો પહોળો અને વધુ મજબૂત બનશે. તેનાથી નડિયાદ સીધેસીધું મુંબઇ-ઉદેપુર અને વાપી-શામળાજીથી જોડાશે. નડિયાદથી ઉત્તમ કામ શરૂ થાય તેવી પરંપરા આ આયોજનથી જળવાઇ છે. રાષ્ટ્રીય પર્વો હવે વિકાસના પર્વો બન્યા છે, તેવી લાગણી સાથે તેમણે જણાવ્યું હતું કે, લોકજાગૃતિ, લોક સહયોગ અને લોકશક્તિના સમન્વયથી રાજ્યના વિકાસની અભિનવ દિશા ખુલી છે.
આ માર્ગ વિકાસ પ્રોજેકટ ગુજરાત સરકારના રાજ્ય ધોરીમાર્ગ વિકાસની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે.
હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્તિઓની ભરપૂર પ્રસંશા
મુખ્ય મંત્રીશ્રીએ ૧૦૪ વર્ષથી સમાજના અનાથ બાળકોના સ્વમાનભેર જીવન ધડતર અને પુનઃસ્થાપન માટે સેવારત નડિયાદના પ્રસિદ્ધ હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ૧૦૦ જેટલા બાળકોને સમાજના વાલીઓ તથા સરકાર ભેગા મળીને જે આત્મવિશ્વાસથી જીવન જીવવવાનો અવસર આપી રહ્યા છે, તેને પ્રેરક ગણાવ્યો હતો. સમાજની શક્તિ શાસનની શકિત કરતા વધારે છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમના સંચાલનમાં સહયોગી સહુને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દિનશા પટેલે ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મંત્રીશ્રી, સામાજિક સુરક્ષા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા તથા જિલ્લા પ્રભારી શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાનું ભાવભર્યું સ્વાગત કરી હિન્દુ અનાથાશ્રમની સેવાવૃત્તિની રૂપરેખા આપી હતી.
આજના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા, પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ, શહેરી વિકાસ અને મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, ધારાસભ્યશ્રીઓ શ્રી દેવુસિંહ, કનુભાઈ ડાભી, નડિયાદ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી સંજય દેસાઇ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ-નાથધામ છેઃ મુખ્ય મંત્રીશ્રી
હિન્દુ અનાથાશ્રમની અભિપ્રાય પોથીમાં નરેન્દ્રભાઇ મોદીનાં શબ્દ પુષ્પો
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે નડિયાદ પધારેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી હિન્દુ અનાથાશ્રમની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો.
આશ્રમની અભિપ્રાયપોથીમાં મુખ્યમંત્રીશ્રીએ લખેલ નોંધ અક્ષરશઃ આ પ્રમાણે છે.
આ સ-નાથધામ છે, પૂ. બાપુના ચરણરજથી પાવન થયેલ તીર્થભૂમિ છે- તપોવન છે. અહીં ભાવિ પેઢીને સનાથ બનાવવાના સંસ્કારયજ્ઞને હું વંદન કરું છું ખૂબખૂબ શુભેચ્છા, અભિનંદન - નરેન્દ્ર મોદી
અનાથાશ્રમના બાળકોને વહાલપૂર્વક સંબોધન કર્યાબાદ મુખ્યમંત્રીશ્રીએ તેઓ સાથે સંવાદ કરતાં પૂછયું હતું કે, તમને ખબર છે, આવતી કાલે શું છે? બાળકોએ જવાબ આપ્યોઃ ""૧૫મી ઓગસ્ટ''
૧૫મી ઓગસ્ટે શું હોય? મુખ્યમંત્રીશ્રી - બાળકો કહેઃ સ્વાતંત્ર્ય દિન.
આમ વાતવાતમાં મુખ્યમંત્રીશ્રીએ મહાત્માગાંધીજી અને તેમના અનાથાશ્રમ સાથેના અનુસંધાન અંગે બાળકોને જાણકારી આપી હતી. પૂ. ગાંધીજીની લડતમાં એમના મહત્ત્વના સાથીદાર તરીકે સરદાર પટેલની પણ સ્મૃતિ બાળકોને કરાવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગાંધી-સરદાર સ્મૃતિભવન, લાયબ્રેરી, કૉમ્પ્યુટરરૂમ વગેરેની મુલાકાત લીધી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો