કૃષિ વીજદરમાં ૩૦૦ ટકાના વધારાને હળહળતું જૂઠ્ઠાણું ગણાવતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
હકિકતમાં ગુજરાત વીજ નિયમન પંચે નકકી કરેલા દર કરતા પણ પ૦ ટકા ઓછા દરે ખેડૂતોને વીજળી અપાય છે
કેન્દ્રની યુપીએ સરકારની અવિચારી નીતિના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪૨૮૬ કરોડનો બોજ પડયો છે
રાજ્ય સરકારે તો ખેડૂતોને સસ્તી વીજળી મળે તે માટે વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડની સબસીડી ચૂકવી
ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ""કૃષિ વીજદર માં ૩૦૦ ટકાનો વધારો ઝિંકાયો'' શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલોને સરાસર ખોટા અને સત્ય વિહોણા તથા માત્ર રાજકીય ઇરાદા પ્રેરિત ગણાવ્યા છે. ઊર્જા મંત્રીશ્રીએ આ અહેવાલમાં અપાયેલી વિગતોને વિસંગત ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હકિકતમાં તો રાજ્યમાં વીજ નિયમન પંચે જાહેર કરેલા વીજદર કરતાં અડધો અડધ એટલે કે પ૦ ટકાથી પણ ઓછા વીજ દરે ખેડૂતોને વીજળી અપાય છે.
શ્રી સૌરભભાઇ પટેલે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે, વાસ્તવમાં તો છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા અવારનવાર કોલસા, ગેસ અને રેલ્વે ભાડામાં વધારો ઝિંકતાં વીજ ઉત્પાદન ખર્ચમાં રૂા. ૪ર૮૬ કરોડનો વધારો થવા પામ્યો છે તેમ છતાં તેનું કોઇ ભારણ ખેડૂતો ઉપર આ સરકારે પડવા દીધું નથી.
રાજ્યમાં વીજ ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વીજગ્રાહકો પાસેથી વસુલ કરવાની વીજ નિયમન પંચની નિતી હોવા છતાં કિસાનોના હિતના હૈયે રાખીને રાજ્ય સરકારે તેનું ભારણ ખેડૂતો ઉપર ન પડવા દેતા છેલ્લા ત્રણ વર્ષમાં વીજ કંપનીઓને રૂા. ૭પપ૦ કરોડ સબસિડી તરીકે ચૂકવ્યા છે.
શ્રી સૌરભભાઇ પટેલે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન સરકાર હંમેશા કૃષિ હિતકારી નિર્ણયો અને પગલાંઓને વરેલી રહી છે, તેથી રાજ્યમાં હોર્સપાવર આધારિત વીજ દર ભરતા કિસાનો પાસેથી ૭.પ હોર્સ પાવરના વપરાશ સુધી પ્રતિવર્ષ રૂ. ૬૬પ પ્રતિ હોર્સપાવર પ્રમાણે તથા ૭.પ હોર્સ પાવરથી વધુ હોર્સ પાવરના વપરાશકાર ખેડૂતોને રૂા.૮૦૭.પ૦ પ્રતિવર્ષ/પ્રતિહોર્સપાવરના દરે રાજ્ય સરકાર વીજળી આપે છે જેના દર ગુજરાત વીજ નિયમન પંચે પ્રતિ હોર્સપાવર/પ્રતિવર્ષ રૂા. ૧૯૨૦ ના જાહેર કરેલા છે. આમ, વીજ નિયમન પંચના દર કરતાં પણ પ૦ ટકા જેટલા ઓછા વીજ દરે ખેડૂતોને વિજળી આપીને બાકીની રકમ રાજ્ય સરકાર વીજ કંપનીઓને સબસીડી પેટે ચૂકવે છે, જે રૂા. ૭પપ૦ કરોડ જેટલી થવા જાય છે.
કિસાન હિતકારી નીતિને વરેલી આ સરકાર સબસીડીનો મોટો બોજ વહન કરીને પણ ખેડૂતોને પોષાય તેવા વીજ દર વસુલ કરી રહી હોય ત્યારે માત્ર રાજકીય જુઠ્ઠાણા ફેલાવીને ખેડૂતોના હામી હોવાના દાવા કરતા આવા અખબારી નિવેદનો ખેડૂતો સમાજની આંખમાં ધૂળ નાંખવા સમાન છે પણ ખેડૂતો તેનાથી ગેરમાર્ગે દોરાવાના નથી તેમ ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કૃષિક્ષેત્રે દેશના માર્ગદર્શક બની ડબલ ડિઝીટ કૃષિ વિકાસ દર મેળવનારા ગુજરાત જેવા વિકાસને વરેલા રાજ્યના કિસાનોને ગેરમાર્ગે દોરી આંદોલનના એલાનો આપતા અને રાજકીય રોટલા શેકવા માગતા નિવેદનજીવી નેતાઓની ભ્રમજાળમાં ફસાવાથી સચેત રહેવા પણ રાજ્યના ધરતીપૂત્રોને અનુરોધ કર્યો છે.
