અનુયાયીઓ

સોમવાર, 2 નવેમ્બર, 2015

જેતપુરમાં પાણી વિતરણ કરતા ૭૩ ઝોનમાંથી ૪૦ ઝોન કરાશે હજુ એકાંતરા પાણી વિતરણને ૫ મહિના લાગશે !

જરૂર કરતા વધારે ઝોન બની જતા જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ અશક્ય !
જેતપુરમાં પાણી વિતરણ કરતા ૭૩ ઝોનમાંથી ૪૦ ઝોન 
કરાશે હજુ એકાંતરા પાણી વિતરણને ૫ મહિના લાગશે !
જેતપુર તા.૨  (કશ્યપ જોશી દ્વારા ) 
જેતપુર શહેરમાં અનિયમિત પાણી વિતરણ પાછળ જરૂર કરતા વધારે બની ગયેલા ઝોન જવાબદાર હોવાનું અને હજુ શાહિરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં પાંચેક માસ જેવો સમય થઇ જવાની વાત પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને વોટર વર્કસ કમિટીના ચેરમેને એક મુલાકાત દરમિયાન  જણાવ્યું હતું.

પાણી વિતરણ અને પાણી મેળવવા માટે જેતપુરની જનતાને શા માટે વલખા મારવા પડે છે ? ભાદર ડેમમાં પુરતું પાણી છતાં જેતપુરમાં એકાંતરા પાણી વિતરણ કેમ શક્ય નથી બનાવાતું ? શહેરને ડેમમાંથી કેટલું પાણી મળે છે ? એકાંતરા પાણી વિતરણ માટે શું શું પગલા ભરવા પાલિકા તંત્ર કટિબદ્ધ છે ? વિગરે પ્રશ્નોની સીધી વાતમાં જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવેલ કે જેતપુર શહેરને હાલના દિવસોમાં ભાદર ડેમમાંથી ૧૩ એમેલડી પાણી મળી રહ્યું છે. પાણીનો આટલો જથ્થો શહેરમાં એકાંતરા પાણી વિતરણ માટે પર્યાપ્ત નથી જ, અને તે એટલા માટે કે જેતપુર પાલિકા તંત્ર પાસે હાલમાં પાણી સંગ્રહ શક્તિ ઓછી છે. આ માટે શહેરમાં જુદી જુદી ચાર જગ્યાએ મોટી મોટી પાણીની ટાંકીઓ બનાવવાની પ્રક્રિયા યુધ્ધના ધોરણે હાથ ધરાઈ રહી છે. 

પાલિકાના પ્રમુખ શારદાબેન બારોટે જણાવેલ કે, શહેરમાં બને તેટલું વધુ પાણી વિતરણ અને તે માટેના ઉપાયો શોધી કાઢી પાલિકા તંત્ર બને તેટલું વહેલું શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરી શકાય તે માટે ઉંધે માથે મહેનત કરી રહ્યું છે.

પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડાએ જણાવેલ કે શહેરમાં જરૂર કરતા વધારે ૭૩ જેટલા પાણી વિતરણ કરતા ઝોન ઉભા થઇ જતા અહી નિયમિત તેમજ એકાંતરા પાણી વિતરણ શક્ય થતું નથી. તો આ માટે શું કરી શકાય ? તેવા સવાલના જવાબમાં પ્રમોદભાઈએ જણાવેલ કે બિનજરૂરી પાણી વિતરણ ઝોન બંધ કરી ૭૩ માંથી ૪૦ ઝોન જ રાખવા તંત્રએ કવાયત શરુ કરી છે. પરિણામે વેડફાતું પાણી અટકશે. આ સિવાય પાણી સંગ્રહ શક્તિ વધારતી ટાંકીઓ ઉભી થશે એટલે એકાંતરા પાણી વિતરણથી પ્રજાની ફરિયાદો હાલ કરી શકાશે.

વોટર વર્કસ કમિટીના ચેરમેન અજીતસિંહ જાડેજાએ જણાવેલ કે સૌ પ્રથમ તો તેઓ અને તેમની ટીમ દ્વારા શહેરમાં આશરે ૫૦૦ જેટલા લીકેજીંગમાના ૩૦૦ લીકેજીન્ગને રીપેર કરાવી કરોડો ગેલન બગડતા પાણીને બચાવી લેવાયું છે. રાત્રીના તેમની એટલેકે પાણી શાખામાં ખોટા બબ્બેવાર ઉધારાતા ડીઝલના બીલો ઉપર બ્રેક મારી દેવાઈ છે. યેન કેન પ્રકારે થતી કે કરાતી પાણી ચોરીની ફરિયાદો હલ થઇ ગઈ છે. હજુ પણ પાણીના લીકેજીન્ગને સદંતર બંધ કરવા પાલિકા તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે.

બોક્સ: ફિલ્ટર પંપ ખાતે સુવિધાઓ વધારાશે !
જેતપુર: ચીફ ઓફિસર સહિતના પાલિકાના પદાધિકારીઓએ જણાવેલ કે હાલના દિવસોમાં ખીરસરા રોડ પર આવેલ પાલિકાના ફિલ્ટર પંપ ખાતે ૩૭ એમેલડી નો પ્રોજેક્ટ ઉભો કરાશે. આ અન્વયે ૪૫ અને ૩૫ લાખ લીટરના બે સંપ પણ બનાવશે. પાણી ની જે સંગ્રહશક્તિ ને લીધે કોઈ વાર ભાદર ડેમમાંથી પાણી મેળવવું શક્ય ના બને ત્યારે એક દિવસનું જેતપુર માટેનું પાણી એકત્ર થઇ શકશે. 

આ સિવાય જેતપુર શહેરના બગીચામાંથી એક હિંચકો(ઝૂલો) ગાયબ હોવાની વાતનો પ્રત્યુત્તર આપતા પાલિકા મહિલા પ્રમુખના પતિ હરસુરભાઇ બારોટ, વિગેરે જણાવેલ કે આ વાત ખોટી છે, અજાત શત્રુઓ ખોટા ઉમ્બાડીયા ઉભા કરી પાલિકા પ્રમુખની છબીને ખરડવા પ્રયાશો કરે છે, શહેરના અવાવરું કુવા માલિકીના હોય કે ના હોય, આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી સંબંધિતોને નોટીસો આપવા ચીફ ઓફિસરે ઉપસ્થિત પાલિકા પ્રમુખને સૂચનાઓ આપી હતી. 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 




શનિવાર, 31 ઑક્ટોબર, 2015

જેતપુરના પેઢલા નજીક પસાર થતી ભાદર કેનાલમાં તણાઈને આવેલી મુસ્લિમ યુવાનની લાશે સર્જ્યા ભેદભરમના આટાપાટા !

જેતપુરના પેઢલા નજીક પસાર થતી ભાદર કેનાલમાં

તણાઈને આવેલી મુસ્લિમ આધેડની

લાશે સર્જ્યા ભેદભરમના આટાપાટા !

જો કે મૃતદેહમાં કોઈ ઈજાના નિશાન ના હોવાનું જણાવતી તાલુકા પોલીસ 


જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)

આજે બપોરે જેતપુરના પેઢલા નજીક ભાદર કેનાલમાંથી મળેલી મુસ્લિમ યુવાનની લાશે સર્જેલા ભેદભરમના ઝાળા હટાવવા જેતપુર તાલુકા પોલીસે કવાયત આદરી છે. છે,

મળતી વિગતો મુજબ આજે બપોરે જેતપુર તાલુકાના પેઢલા ગામ નજીકથી પસાર થઇ રહેલી ભાદર કેનાલના વહેતા પાણીમાં એક મૃતદેહ તણાઈને આવ્યો હોવાનું ગામના સરપંચ  ભગવાનજી ભાઈ જેઠવાએ  જેતપુર તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાની સુચનાથી જમાદાર મજ્નુંભાઈ મનાતે તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈને લાશને પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડેલ.

 

બીજીબાજુ આ લખાય છે ત્યારે રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ પોલીસ સુત્રો પાસેથી એવી વિગતો મળી હતી કે કેનાલમાં તણાઈને આવેલ અજાણ્યા યુવાનની લાશ અહીના હાજી દાઉદ હોસ્પિટલ મેદાનમાં રહેતા ખલીફા ઈબ્રાહીમ અનવર ભાઈ લધર ઉ.વ. ૨૫ ની હોવાનું બહાર આવ્યું છે. તપાસનીસ જમાર મજ્નુંભાઈ મનાતે જણાવેલ કે મૃતક યુવાન પરિણીત છે. કોઈ સંતાનો ધરાવતો નથી. તેમજ અહીના એક સાડી કારખાનામાં પેકિંગ વિભાગમાં મજુરીકામ કરતો હોવાની વિગતો મળી રહી છે.

 

મૃતક યુવાનના માથામાં ઈજાના ઘા હોવાની લોકચર્ચાઓ બાબતે પોલીસે જણાવેલ કે ના આવું કઈ નથી. બીજીબાજુ મુસ્લીમ સમાજના તરવરીયા યુવાન ઈબ્રાહિમની લાશ  આમ અચાનક ભાદર કેનાલમાંથી તણાઈને છેક પેઢ્લા ગામ પાસે પહોચી હોવાની ઘટનામાં અનેક ભેદભરમ સર્જાયા છે. લાશને જોનારા કહે છે કે મૃતકના માથામાં ઈજાના ઘા જોવા મળેલા ! તો આ ઘા ઈબ્રાહીમ ગબડી પડ્યો હશે ત્યારના છે કે કોઈની સાથ લડાઈ, ઝગડો થયો હોય અને મારામારી થઇ હશે ? તે તમામ પાસાઓ નજર સામે રાખી ફોજદાર કરમટીયાના માર્ગદર્શન હેઠળ જમાદાર મજ્નુંભાઈ મનાતે તપાસ હાથ ધરી છે.

ફોટો: મૃતક ઈબ્રાહીમ ની બે ફાઈલ તસ્વીરો  : કશ્યપ જોશી જેતપુર 


જેતપુરમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન

જેતપુરમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન 
જેતપુર તા.૩૧
જેતપુરમાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનું તા.૧૨-૧૧. ને નુતન વર્ષના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૪-૩૦ થી ૫-૩૦ દરમિયાન યોજાનાર આ સ્નેહ મિલનમાં જ્ઞાતિજનોએ હાજર રહેવા બી.બી.વ્યાસે અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર

જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને

માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી

જેતપુર એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને મળેલી ધમકીભરેલી ચિઠ્ઠીથી શહેરમાં ચકચાર  

 

જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)


જેતપુરમાં વધુ એક કુવો યુવતીને ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

અકસ્માતનો બનાવ છે કે બીજું કઈ ? શહેર ભરમાં એક જ ચર્ચા !

જેતપુરમાં વધુ એક કુવો યુવતીને

ભરખી જતા ફેલાયેલ સર્વત્ર્ અરેરાટી

૨ દિવસ થયા ગુમ થયેલ યુવતીની આજે માલિકીના કુવામાંથી લાશ મળી !

જેતપુર તા.૩૧(કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાંથી આજથી બે દિવસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થયેલ એક મુસ્લિમ યુવતીનો મૃતદેહ આજે શહેરના એક માલિકીના કુવામાંથી મળતા ચકચાર જાગી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતી શાહીનબેન શુબેરખાન પઠાણ (ઉ.વ.૧૭) નામની યુવતી આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી.

આ બારાની પોલીસમાં જાણ બાદ આજે આ યુવતીની લાશ ગુજરાતી વાડી વિસ્તારમાં આવેલ એક માલિકીના કુવામાં તરતી હોવાની લાત્તાવાસીઓની જાણ પરથી શહેરના હારુન રફાઈ સહિતના સેવાભાવીઓ પોતાની જહેમત કામે લગાડી કોહવાઈ ગયેલ મૃતદેહને મહા મહેનતે કુવામાંથી બહાર કાઢયો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં એવી વિગતો મળી હતી કે આ યુવતીના પિતા શહેરમાં સાડી કારખાનામાં મજુરીકામ કરે છે. તેઓ મૂળ બિહાર પંથકના છે. સંતાનમાં ૫ પુત્રો અને ૩ પુત્રીઓ ધરાવે છે. મૃત મળેલી શાહીન બીજા નંબરની પુત્રી હોવાનું પોલીસમાં જાહેર કરેલ. પોલીસે હાલ કોઈ અકળ કારણોસર અક્સમાંતે પડી ગયેલ શાહીનના મોતની ઘટના નોંધી વધુ તપાસ એએસઆઈ સોલંકીએ હાથ ધરી છે.

 

અત્રે એ નોંધનીય છે કે આ લખનારે ચારેક દિવસ પહેલાજ જેતપુર શહેરમાં માલિકીના અને અવાવરું કુવાઓ મોતને નોતરી રહ્યા હોવાના અખબારી અહેવાલો વહેતા કરી સ્થાનિક પાલિકા તંત્રને ઢંઢોળવાનું કામ કરેલ પણ, આવા કુવાઓ સલામત બનાવવા કે દુર કરવા કોઈ પ્રયાશો હાથ ધરાયા ના હોય તેમ એક સપ્તાહમાં જેતપુરનો આ બીજો કુવો એક યુવતીને ભરખી ગયાની વાતથી સૌમાં અરેરાટી જન્મી છે.

 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી


પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો બંધ કરો નહીતર

જેતપુર-ગોંડલના એસ.ટી. બસસ્ટેન્ડોને

માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું ! સનસનાટી

જેતપુર એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટરને મળેલી ધમકીભરેલી ચિઠ્ઠીથી શહેરમાં ચકચાર  

 

જેતપુર તા.૩૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરના એસટી ડેપોના ટીઆઈ નિર્મળસિંહ ચુડાસમાને આજે બસસ્ટેન્ડને માનવબોમ્બ દ્વારા

ઉડાવી દેવાની જૂની તારીખવાળી ધમકી ભરેલી ચિઠ્ઠી મળતા શહેરભરમાં ચકચાર જાગી હતી. શહેરમાં નવા આવેલા પીઆઈ વ્યાસની અગ્નિ પરીક્ષા સમાન આ બનાવમાં અંતે વા વાયોને નળિયું ખસ્યું જેવું સાબિત થયું હતું. પણ પોલીસે અધ્ધર શ્વાસે આગળની તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલ એસટી ડેપોની ઓફિસે આજે સવારે એક ભેદી કવર આવતા ફરજ પરના ટ્રાફિક ઇન્સ્પેકટર નિર્મળસિંહ ચુડાસમાએ કવર ખોલતા અંદરથી લાલ અક્ષરે લખેલી એક જાસા ચિઠ્ઠી મળી હતી.

 

જેમાં અજાણ્યા ટીખળીખોરે લખ્યું છે કે ''અમારા પાટીદાર નેતા હાર્દિક સામે પોલીસ કેઈસો કરવાનું બંધ કરો નહીતર જેતપુર અને ગોંડલના એસટી બસસ્ટેન્ડોને માનવ બોમ્બ દ્વારા ફૂંકી મારીશું.'' આવી ધમકી ભરેલી ચિઠ્ઠીની નિર્મળસિંહે તાત્કાલિક પ્રથમ રજા ઉપર રહેલા જેતપુર એસટી ડેપોના મેનેજર પરમારને જાણ કરી હતી.

બાદમાં આ બારાની શહેર પોલીને જાણ કરતા નવા પીઆઈ એન.કે.વ્યાસ પોતાના ફોજદારો સંઘાણી, જાડેજા, સ્ટાફના રાજુભાઈ જોશી, શક્તિસિંહ, કમલેશભાઈ, મનીષભાઈ વરુ, મામલતદાર ભોરણીયા સહિતનો કાફલો મારતે ઘોડે શહેરના એસટી બસ્ટેન્ડમાં દોડી આવી તમામ મુસાફર વર્ગને બસસ્ટેન્ડના સામેના મેદાનમાં ખસેડી શકમંદોને તપાસવાની ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

 

તમામ બસોને પણ એક જ જગ્યાએ ઉભી રખાવવાની પોલીસે કવાયત આદરી હતી. બીજીબાજુ આ વાતની ગંભીરતા દાખવી પીઆઈ વ્યાસે તુરંત રાજકોટ જીલ્લા પોલીસ વડા અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડને વાકેફ કરતા આ સ્કવોડ પણ રાજકોટ ખાતેથી જેતપુર દોડી આવી તેઓની કાર્યવાહી દરમીયા લાઈવડિટેકટર મારફતે અમુક શકમંદો અને અમુક માલસામાન, પાર્સલો વિગેરે ચેક કરીને બસસ્ટેન્ડમાં ઉપસ્થિત મુસાફર આલમને સચેત કર્યા હતા, પણ અંતે કઈ હાથ નહોતું આવ્યું.

 

બોક્સ: ચિઠ્ઠી આવી ક્યાંથી ?

જેતપુર : જેતપુર શહેરભરમાં ચકચાર સાથે બિકારા જેવું વાતાવરણ ખડું કરી દેનાર આ ધમકી ભરેલી ચિઠ્ઠી આવી ક્યાંથી ? તેવા સવાલના જવાબમાં જેતપુર એસટીના ટીઆઈ નિર્મળસિંહ ચુડાસમાએ જણાવેલ કે ઉપલેટાથી આ ચિઠ્ઠી આવી છે. અને પોસ્ટ મારફત મળી છે.

 

બોક્સ: શું લખાયું છે ધમકી ચિઠ્ઠીમાં ??

જેતપુર : જેતપુરના એસટી સુત્રોને જે ધમકી ભરેલી ચિઠ્ઠી મળી છે તેમાં લખાયેલી વાત અક્ષરશઃ આ પ્રમાણે છે. ''ચેતવણી''...પ્રતિ ડેપો મેનેજર જેતપુર....અલ કાયદા તેસા મુજર્દીન હાર્દિક સાથ સરકાર પોલીસ ખોટા કેશ કરેલ છે, તે પાછા ખેચે નકર આનું પરિણામ બોમ્બસે આપવામાં આવશે. તા.૩૦-૧૦-૨૦૧૫ , નીચે સ્થળ , જેતપુર શહેર ડેપોમાં, ગોંડલ ડેપો બસસ્ટેશન માનવ બોમ્બ ધડાકા કરાશે. પીએમ, સીએમ પબ્લિક દુશ્મન છે. ડેપો મેનેજર આપકો ચેતવણી આપતે હૈ...લી. અલ કાયદા...


બોક્સ: ટીસીએ મેદાનમાં ચાલુ કરી ફરજ !

જેતપુર: જેતપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં બોમ્બની ધમકીની પોલીસ કાર્યવાહી દરમિયાન તમામ બસોને બસ સ્ટેન્ડના મેદાનમાં થોભાવાતી હોય, ટીકીટ ચેકરે મેદાનમાં પોતાની ફરજ ચાલુ કરી હોવાનું જોવા મળ્યું હતું.

 

બોક્સ: મુસાફર આલમમાં ફફડાટ વ્યાપ્યો !

જેતપુર : જેતપુરના બસ સ્ટેન્ડમાં પોલીસની ગાડીઓ, કાફલો, મામલતદાર સ્ટાફના કાફલાથી બસ સ્ટેન્ડમાં આવતી તમામ બસોમાં ચડતા ઉતરતા મુસાફરો ''હે શું થયું છે ? તેવા પ્રશ્નો પછી બોમ્બથી બસ સ્ટેન્ડને ઉડાવી દેવાની ધમકીની વાત બહાર આવતા મુસાફર આલમ ફફડી ઉઠી હતી.

આ લખાય છે સાંજના સાડા સાત વાગ્યા સુધીમાં પોલીસને કોઈ એવી અસરકારક વસ્તુ, પદાર્થ, પાર્સલ, કે કોઈ શકમંદ શખ્શ હાથ આવ્યા નથી. પીઆઈ વ્યાસ અને રાઈટર રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ આ બનાવની જાણવા જોગ એન્ટ્રી કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 


શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

બાળાઓનો સામુહિક પ્રસાદ :

બાળાઓનો સામુહિક પ્રસાદ :
જેતપુર: જેતપુરના રજવાડી ગ્રુપના મિત્રો દ્વારા છેલ્લા છ વર્ષ થયા જેતપુર તાલુકાભરની ગરબી મંડળની બાળાઓને સામુહિક પ્રસાદ પીરસવાનું આયોજન કરવામાં આવે છે. આ સેવાનો સિલસિલો ૭ માં વર્ષે પણ ચાલુ રાખ્યો હતો. જેમાં જેતપુર શહેર અને તાલુકાભરની ૧૫૩ ગરબી મંડળોની ૫૧૦૦ જેટલી બાળાઓને અહીના અમરનગર રોડ પરની પાર્ટી પ્લોટ ખાતે સામુહિક પ્રસાદ લેવડાવ્યો ત્યારની તસ્વીર...
ફોટો : કશ્યપ જોશી જેતપુર જેતલસર 

ડ્રોઈંગ સ્પર્ધા :

ડ્રોઈંગ સ્પર્ધા :
ઓમ નોલેજ અને શ્રીજી સ્કુલ દ્વારા આજે દિવાળી તેમજ વિવિધ પર્વોના વિષય પર ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જોડાનાર તમામ બાળકોને સર્ટીફીકેટ્સ આપી ઉત્સાહિત કરાયા હતા.
ફોટો :કશ્યપ જોશી જેતપુર જેતલસર 

જેતપુર પાલિકા દ્વારા દિવંગતોને મુક્તિધામ સુધી પહોચાડવા મોક્ષરથ લોકાર્પિત કરાયો રથ માટેની સીડી પાલિકા ખાતેથી લઇ જવા અનુરોધ


જેતપુર પાલિકા દ્વારા દિવંગતોને મુક્તિધામ સુધી પહોચાડવા 
મોક્ષરથ  લોકાર્પિત કરાયો
રથ માટેની સીડી પાલિકા ખાતેથી લઇ જવા અનુરોધ 
જેતપુર તા.૩૦ (કશ્યપ જોશી )
જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવાયેલ મોક્ષરથ પ્રજા વચ્ચે મૂકી તેનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. 
આ બાબતે વિગતો આપતા પાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા વિગેરેએ જણાવેલ કે મૃતકોના પરિવારજનોએ હવે મુક્તિધામ સુધી દિવંગતોની બોડી અહીના મુખ્ય સ્મશાનઘાટ સુધી પહોચાડવામાં કોઈ તકલીફ નહિ પડે. 
સ્વજન ગુમાવનાર પરિજનોએ આ માટે પહેલા જેતપુર પાલિકાને જાણ કરી ત્યાંથી રથ માટેની સીડી લઇ જવાની રહેશે. કારણ મુક્તિધામમાં ઉપલબ્ધ સીડી નાની હોય, કોઈ હેરાનગતિ ઉભી ના થાય તે માટે પાલિકા કચેરીએથી સીડી લઇ જવા અનુરોધ કરાયો છે. આ સેવા ભાવનગર પંથકના સાંસદ મનસુખભાઈ માંડવીયાની ગ્રાન્ટ અન્વયે ઉપલબ્ધ કરાવાઈ હોવાનું જણાવાયું છે.
મૃતકોના કોઈ સ્વજનોને અંતિમરથ ના મોકલાતો હોવાની વાતની સ્પષ્ટતા કરતા પાલિકા સુત્રોએ જણાવેલ કે પ્રારંભમાં આ વાહનનું પાસીંગ નહોતું થયું તેમજ બાદમાં નવરાત્રી પર્વ દરમિયાન શહેરમાં ઠેકઠેકાણે ઉચી નીચી જગ્યાઓ પર ગરબી મંડળોના ડેકોરેશનની લાઈટોના વાયરીંગમાં કોઈ ફોલ્ટ ના સર્જાય તે માટે કદાચ કોઈને ના પાડી હશે, બાકી મોક્ષરથ કોઈને ના આપવો કે ના મોકલવો તેવો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી. મોક્ષરથની સેવા સમસ્ત જેતપુર વાસીઓ માટે છે તેવું પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, પ્રમુખ, ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, અજીતસિંહ જાડેજા વિગેરેએ જણાવ્યું હતું.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

છકડો રીક્ષા હડફેટે નવા ખાખરા હડમતીયાના શિક્ષકનું મોત મૃતક શિક્ષકે શુક્રવારે વિધિવત નિવૃત થાય પહેલાજ દુનિયા છોડી

જેતપુરના ભીડભંજન રોડ પર પાંજરાપોળ સામે 
છકડો રીક્ષા હડફેટે નવા ખાખરા હડમતીયાના શિક્ષકનું મોત 
મૃતક શિક્ષકે શુક્રવારે વિધિવત નિવૃત થાય પહેલાજ દુનિયા છોડી 
નાશવા ગયેલી રીક્ષા પલટી ખાઈ જતા બે સ્ત્રીઓને સામાન્ય ઈજાઓ 

જેતપુર તા.૨૯(કશ્યપ જોશી દ્વારા )
જેતપુરમાં આજે રાત્રીના સર્જાયેલ એક અકસ્માતમાં તોરી રામપરના રહીશ અને નવા ખાખરા હડમતીયાના મદદનીશ શિક્ષકનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જી ભાગવા ગયેલી છકડો રીક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલી બે સ્ત્રીઓને સામાન્ય ઈજાઓ થઇ હોવાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ આજે રાત્રીના સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે અહીના ભીડભંજન રોડ પર પાંજરાપોળ સામે એક 
છકડો રીક્ષાએ બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક નરશીભાઈ પીઠાભાઈ રાઠોડ(ઉ.વ.૫૮, રહે તોરી રામપર)નું ઘટના સ્થળેજ મોત થયું હતું. જયારે અકસ્માત સર્જી નાશવા ગયેલી છકડો રીક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલી આશિયાનાબેન ચૌહાણ અને નુર્જાબેન કુરેશીને સામાન્ય ઈજાઓ થતા બંનેને સારવાર આપી સરકારી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

બનાવની કરુણતા એક એવી જાણવા મળી કે તોરી રામપર રહેતા અને નવા ખાખરા હડમતીયા ગામે સીમ શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા નરશીભાઈ આજે રાત્રે જેતપુરથી તેમના ગામ તરફ બાઈક લઈને જતા હતા. અને જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત તેમના પરિવારજનોના કહેવા મુજબ તેઓ(નરશીભાઈ) આવતીકાલે શુક્રવારે વય મર્યાદાને કારને શિક્ષકની ફરજ પરથી નિવૃત થવાના હતા. પણ શૈક્ષણિક કાર્યમાંથી નિવૃત થાય તે પહેલાજ તેમને આ ફાની દુનિયામાંથી અચાનક વિદાય લઇ લેતા સમગ્ર તોરી રામપર, નાના ખાખરા હડમતીયાના પ્રજાજનોમાં શોક સાથે ગમગીની વ્યાપી ગઈ છે.

જેતપુર શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જી નાશી છુટેલા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. ( ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર ) 


રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએ જેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાં હાથ ધરાયેલ સામુહિક સ્વચ્છતા અભિયાન !!

રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએ 
જેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાં 
હાથ ધરાયેલ  સામુહિક સ્વચ્છતા અભિયાન !!
જેતપુરમાં કદાચિત સૌ પ્રથમ ગણાવાઈ રહેલા આ સ્વચ્છતા અભિયાનમાં અબાલ વૃદ્ધ સૌ જોડાયા !
અગાઉ માત્ર ફોટા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરનાર સેવાભાવીઓને રીતસરનું નીચાજોણું !!?

જેતપુર તા.૨૯(કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં અત્યાર સુધીમાં ક્યારેય સ્વચ્છતા અભિયાન હાથ ના ધરાયું હોય તેવું સ્વચ્છતા અભિયાન પોતાના મુક્તિધામમાં હાથ ધરીને શહેરના ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિઓના પરિવારજનોએ એકતા તો ઠીક, પણ આ બાબતે અગાઉ માત્ર ને માત્ર ફોટા પડાવી ચુકેલા સેવાભાવીઓ કે આગેવાનોને ભોંઠપનો સામનો કરવો પડે તેવી વાત વાત સાબિત થઇ હતી.

સૌથી વિચિત્ર, જ્ઞાતિ પ્રત્યેની સામુહિક એકતા અને ખરા દિલે, આવકને પણ ''લેટ ગો'' કરી હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનની વિગતો જોઈએ તો અહીના ભાદર નદીના જુના પુલ પાસે ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિજનોનું મુક્તિધામ(સ્મશાન ગૃહ) આવેલું છે. આ જગ્યાએ આ ત્રણેય જ્ઞાતિના અનેક દિવંગત આત્માઓની સમાધિઓ, ખાંભીઓ ઉભી છે.

આ મુક્તિધામ ખુદ એટલું ભયંકર ગંદકી અને કચરાના સામ્રાજ્ય વચ્ચે આવી જતા ત્રણેય જ્ઞાતિઓના આગેવાનો, યુવાનો, નાના ભાઈ બહેનો, અબાલ વૃદ્ધ સૌએ સરકારની સ્વચ્છતા અભિયાનની વાતને અસરકારક રીતે પાર પાડવા નક્કી કરી લીધું ! ખાસ કરીને રજાના દિવસે આવું અભિયાન હાથ ધરાઈ તેવી પ્રારંભિક ચર્ચાઓને ફગાવી દઈ, આ ત્રણેય સમાજના યુવાન ભાઈ બહેનો મળી સૌએ કહ્યું કે આવું તો બધા કરે, આપણે કઈક અનોખું કરીએ !

બસ, આ વાતને વળગી રહેલા આ ત્રણેય સમાજના અબાલ વૃદ્ધ સૌએ પોતપોતાની રોજગારીના ચાલુ દિવસે એટલેકે રવિવાર કે બુધવારને ધ્યાને લીધા વગર, આજે ગુરુવારે સવારના ૮-૩૦ વાગ્યાથીજ તેઓના મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન આદરી દેતા જોત જોતામાં બાળકો, નાની બાળાઓ, યુવાન મળી અબાલ વૃદ્ધ સૌએ ''સાથી હાથ બઢાંના'' જેવી કહાવત સાબિત કરીને અનન્ય સેવા અન્યોને બતાવી હતી.જે કદાચિત અગાઉ માત્ર ફોટા પડાવી સ્વચ્છતા હાથ ધરી હોવાનો ઓડકાર ખાતા તમને નીચાજોણું અને ભોંઠા ના પડાવી ગઈ હોય તો જ નવાઈ !!
બોક્સ: રૂપિયા ૫૦૦ રોજ જતું કરીને આવ્યા છીએ !!
જેતપુર: ખાંટ,કોળી અને બાવાજીના સ્મશાનગૃહમાં હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ મજદૂર વર્ગના યુવાનો, બહેનો અને વૃદ્ધોને બતાવતા આ સમાજના યુવાન આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, ભાઈ ખેતીનું મોસમ કામ ચાલુ હોય તેમ અહી મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી રહેલા તમામ રૂપિયા ૫૦૦/- રોજ મેળવતા મજદૂર વર્ગના લોકો છે. સમાજની એકતા દર્શાવવા અને સમાજના મુક્તીધામને સ્વચ્છ કરવા તમામ પોતપોતાની એક દિવસની રોજગારી છોડીને અહી આવ્યા છે. આ વાતમાં રોજમદારીનો આંકડો જોઈએ તો રૂપિયા અઢી લાખ વેતન છોડી, ગુમાવી હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાન અન્યોને ચોક્કસ શીખ આપશે !
બોક્સ: અમારા  મુક્તિધામમાં પાલિકા કચરો ના ઠાલવે...
જેતપુર : ખાંટ, કોળી અને બાવાજી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ એક દુખ વ્યક્ત કર્યું હતું કે પાલિકા તંત્ર ગામનો ઉસેડેલ કચરો સમયાંતરે તેઓના મુક્તિધામમાં ઠાલવી જાય છે. આમ થવાથી મુક્તિધામમાં કાં તો દિવંગતોને દફ્નાવાની જગ્યા નથી રહેતી અથવાતો ખાંભીઓની ગરિમા જળવાતી ના હોય તેમ કચરા નીચે ખાંભીઓ બુરાઈ જાય છે. પાલિકા તંત્ર હવેથી આ જગ્યાએ કચરો ના ઠાલવે તેવી આ ત્રણેય સમાજની માંગ છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર ૯૮૯૮૮૪૮૫૮૪ 

મંગળવાર, 27 ઑક્ટોબર, 2015

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળીના આગેવાને કરોડનું ફૂલેકું ફેરવ્યાની લોકચર્ચાથી સહકારી આગેવાનો સમાધાનની વેંતરણમાં !?

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળીના 
આગેવાને કરોડનું ફૂલેકું ફેરવ્યાની લોકચર્ચાથી 
સહકારી આગેવાનો સમાધાનની વેંતરણમાં !?
જેતપુર તા.૨૭ 
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળી સાથે સંકળાયેલ એક હોદેદારે કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યાની ખેડૂતમાં ઉઠેલી ફરિયાદને તાકીદે તપાસવા ખેડૂતોના મૂંગા મોએ માંગો ઉઠી છે.

છેલ્લા એક અઠવાડિયા થયા ખેડૂતોમાં મચેલી બુમરાણની એવી લોકચર્ચાઓ ચાલી રહી છે કે જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામની સહકારી મંડળીમાં એક હોદેદારોએ જીવિત અને મૃત ખેડૂતોના નામે આશરે એકાદ કરોડ રૂપિયાની ધિરાણની રકમની ઉચાપત કરી રફુચક્કર થઇ જતા અનેક ખેડૂતો ''પડ્યા ઉપર પાટુ'' જેવી કહાવાતનો વાસ્તવિકરૂપે સામનો કરી રહ્યા છે.
આ બાબતે જાણકારો કહે છે સહકારી મંડળીના આ આગેવાને આશરે ૧૦૦ થી ૧૫૦ ખેડૂતોના નામે ધિરાણ મંજુર કરાવી ગપચાવી જવાની હીન પ્રેરવી ખેડૂતોના ધ્યાને આવતા આ પ્રશ્ન છેલ્લા એક અઠવાડિયા થયા સાંકળીવાસીઓની જીભે ચડ્યો હોય, આ પ્રકરણને ભોમાં ભંડારી દેવાના અને સમાધાનકારી વલણને અપનાવવાના આશય સાથે સહકારીક્ષેત્રના માંધાતાઓએ ઝુંકાવ્યું છે. 

જૂની સાંકળી ગ્રામ પંચાયત સાથે સંકળાયેલ મહિલાના પ્રવીણભાઈ નામના પતિએ જણાવેલ કે હા, ગામમાં આવી ઘટના બની છે, સહકારી આગેવાનો સાથે બેઠકોનો દૌર ચાલુ છે, એક લોકચર્ચા મુજબ આ પ્રકરણમાં કસુરવાર સહકારી આગેવાનને ઉચાપત કરેલી રકમનો ટાંગામેળ કરવા બે થી અઢી માસનો સમય દેવામાં આવ્યો છે. તો જૂની સાંકળી સહકારી મંડળીનાં નિકટત્તમ સુત્રોએ જણાવેલ કે ખેડૂતોના ધિરાણમાં ગોટાળો સર્જનાર સહકારી આવેવાને હાલ હોદા પરથી (રાજીનામું લઇ લેવાયું છે !) દુર કરાયા છે.
ત્યારે સમય જ બતાવશે કે સહકારી આગેવાનોને પણ ધંધે લગાડનાર આ પ્રકરણનો ખેડૂતો માટે કેવો અંત હશે ? સુખાંત કે દુખાંત ?? આ બાબતે જે હોય તે પણ આજે એક અઠવાડિયા પછી પણ આ બારમાં કોઈ પોલીસ ફરિયાદ ના થઇ હોવાનું જેતપુર તાલુકા પોલીસ જણાવે છે.
બોક્સ: દુકાળમાં અધિક માસ, જાયે તો જાયે કહા ? 
  ખેડૂતો બીચારવાસ્થામાં !!? 
જેતપુર : જૂની સાંકળીની સહકારી મંડળીમાં ખેડૂતો સાથે થયેલી ઠગાઈ જેવી આ વાતનો વસવસો વ્યક્ત કરતા અમુક ખેડૂતોએ જણાવેલ કે, ભાઈ એક બાજુ કુદરતે રુઠીને ધાર્યો વરસાદ ના વરસાવતા ખેડૂતો દુષ્કાળ જેવી ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, બીજી બાજુ માનવ સર્જિત આવા કૌભાંડમાં ઘેરાયેલી જૂની સાંકળીની સહકારી મંડળીના ખાતેદાર ખેડૂતો ''પડ્યા ઉપર પાટુ, દુકાળમાં અધિક માસ જેવી કહાવાતનો ભોગ બન્યા હોય, પ્રકરણમાં ન્યાયી તપાસ માટે સબકો સન્મતિ દે ભગવાન.
(કશ્યપ જે.જોશી - જેતલસર - જેતપુર ) ૯૯૭૪૨૬૨૮૧૨ 

સોમવાર, 26 ઑક્ટોબર, 2015

જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ

જેતપુરના એલપીએસ ગ્રુપ ત્રીદિવસીય

શરદોત્સવમાં ખેલતા શહેરી ખેલૈયાઓ

જેતપુર તા.૨૬

જેતપુરમાં સતત ૭ માં વર્ષે પટેલ સમાજના ભાઈ બહેનો માટે લેઉવા પટેલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય શરદોત્સવનું આયોજન કરાયું છે. તા.૨૫ થી શરુ થયેલ શરદોત્સવનો આજે ૨૭ મી એ છેલ્લો દિવસ છે. અહી આયોજકોના કહેવા મુજબ મન મુકીને પટેલ સમાજના ભાઈ બહેનો દાંડિયાના તાલે ઝૂમી રહ્યા છે. જુનાગઢ રોડ પર ચમુદા માતાજીના મંદિર સામેના શિવકૃપા નગરમાં ચાલતા આ દાંડિયારાસના આયોજનને બિરદાવવા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, તેમજ સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત થઇ રહ્યા છે. આજે આયોજનના અંતિમ દિવસે પણ પટેલ સમાજના ભાઈ બહેનોએ રાસ ગરબા રમવા આયોજક ટીમે અનુરોધ કર્યો છે.


ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


૪ વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ થયા બંધ કરી દેવાતા રજુઆતો..

જેતપુર તાલુકાના ચારણીયા ગામની

૪  વિધવા મહિલાઓની સહાય ૨ વર્ષ

થયા બંધ કરી દેવાતા રજુઆતો...

જેતપુર તા. ૨૬

જેતપુર તાલુકાના ચારણીયા ગામની ૩ વિધવા મહિલાઓની વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા બંધ કરી દેવતા વિધવા મહિલાઓને મદદ કરવા ઇચ્છુકોએ લાગતા વળગતા સત્તાધીશોને રજુઆતો કરી છે.

આ અંગે ચારણીયાના રઘુભાઈ જીવાભાઈ રાઠોડે જેતપુરના મામલતદાર, કલેકટર તેમજ ગોંડલ હેડ પોસ્ટ ઓફીસ કાર્યવાહકોને લેખિત રજુઆતો કરી જણાવેલ છે કે તેઓના ગામના મંજુલાબેન મેસુરીયા(ખાતા નંબર ૨૦૦૧૮૦), સવિતાબેન રાઠોડ(૨૦૦૫૧૫),  મુક્તાબેન સોલંકી(ખાતા નંબર ૨૦૧૫૫૦)ને તથા મુક્તાબેન એલ.(ખાતા નંબર ૨૦૧૮૪૧) મળતી નિરાધાર વિધવા પુનઃ વસવાય માટેની નાણાકીય વિધવા સહાય છેલ્લા ૨ વર્ષ થયા મળતી બંધ થઇ ગઈ છે. લાભાર્થી વિધવા મહિલાઓએ જણાવેલ કે તેઓને ક્યા કારણસર સહાય બંધ કરાઈ ?  આ બાબતે સંબંધિતોને રજુઆતો કરાતા ક્યાયથી પણ કોઈ યોગ્ય જવાબ મળતો ના હોવાનો રઘુભાઈનો આક્ષેપ લાગતા વળગતા ઉચ્ચ સત્તાધીશોએ તપાસવો જોઈએ તેવી માંગ કરાઈ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨