અનુયાયીઓ

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2020

ધ્રોલના ખારવા-માનસરનો મગર પીઠ સમાન રસ્તો કોઈ સુધારશે ખરું ?

રોડનો ઉપયોગ કરતા 8 ગામના લોકો ત્રાહિમામ : રોડ ટેક્સ ભરતા હોવા છતાં રોડની બિસમાર હાલતથી સૌ પરેશાન 

(સંજય ડાંગર દ્વારા)  ધ્રોલ, તા.18

ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર સુધીના અત્યંત બિસમાર બનેલા રોડથી વાહનચાલકો ત્રાસી ગયા છે. આ બાબતે અવારનવાર રજૂઆતો પછી પણ જાડી ચામડીના સંબંધિત તંત્રના પેટનું પાણી હલતું ના હોવાથી વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

મળતી વિગતો મુજબ ધ્રોલ તાલુકાના ખારવાથી માનસર ગામ સુધીનો રોડ ભારે બિસમાર બન્યો છે. આ રોડ પરના ખાડા ખબડા તારવવા દરમિયાન અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. આવા બધું લાગતા વળગતા જાણતા હોવા છતાં રોડને રીપેર કરાવવા કોઈ જાગતા ના હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાસી ગયા છે.



જાણકારો કહે છે કે હમાપર, માનસર, જાળિયા, દેવાઈ, ખીજડીયા, સહિત મોટાભાગના ગામનો વાહન વ્યવહાર આ રોડનો ઉપયોગ કરે છે. રોજ સુરજ ઉગેને આથમે ત્યાં સુધી હજારો વાહનો આ રોડ પરથી પસાર થાય છે. આ રોડનો ઉપયોગ કરનાર વાહન ચાલકો ભારે યાતના ભોગવી રહ્યાં છે. કારણ કે ખખડધજ રોડને કારણે વાહનો ધીમી ગતિએ ચલાવવા પડતા હોવાથી સરવાળે સમય અને પેટ્રોલ -ડીઝલની ખુવારી વાહન ચાલકોને ભોગવવી પડે છે. 


ખરવાથી માનસર સુધીના આ 15 કિમિ રોડને રીપેર કરવા અગાઉ અનેક વખત રજૂઆતો થઇ છે. લાગતા વળગતા સત્તાધીશોએ રોડ રીપેર કરવાની અનેક વખત ખાતરી પણ આપી હોવાનું કહેવાય છે પણ વાહન ચાલકો કહે છે કે તંત્રની આવી ખાતરી કોણીએ ગોળ ચોપડવા જેવી અને ચોકલેટી સાબિત થઇ હોવાથી આ રોડ આજ દિન સુધી રીપેર કરાયો નથી. પરિણામે અંતે વાહનચાલકોને ભોગવવી પડે છે ભારે હાલાકી.


સૌથી દુઃખની વાત એ છે કે આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સમયાંતરે ઘણી વાર પસાર થાય છે. તેઓ પણ ખારવાથી માનસર રોડની આવી બિસમાર હાલત સુપર જાણે છે છે છતાં તેઓ એ પણ કોઈ દિવસ આ રોડ રીપેર કરાવવા અંગત રસ દાખવ્યો ના હોવાના પ્રજામાં આક્ષેપો  થઇ રહ્યા છે. ત્યારે સમય જ બતાવશે કે આ રોડ રીપેર કરવા લાગતા વળગતા સત્તાધીશો જાગશે કે પછી રાબેતા મુજબ મૂક, બધિર અને સૂરદાસની ભૂમિકા ભજવતા રહેશે ? રામજાને !!

ટિપ્પણીઓ નથી: