અનુયાયીઓ

શનિવાર, 7 નવેમ્બર, 2015

જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં શાંતિથી પાન બીડીનો ધંધો કરતા ખાંટ સમાજના પ્રમુખ એવા નિર્દોષ યુવાનને ઝૂડી નાખતી પોલીસ..રાજકોટ રીફર કરાયો..

જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં શાંતિથી પાન બીડીનો ધંધો કરતા

ખાંટ સમાજના પ્રમુખ એવા નિર્દોષ યુવાનને

ઝૂડી નાખતી પોલીસ..રાજકોટ રીફર કરાયો..

પોલીસે પણ ફરજમાં રુકાવટ અને ઝપાઝપીમાં ઈજા થયાનો ગુનો નોંધી ધોરણસરની હાથ ધરેલી કાર્યવાહી : ઈજાગ્રસ્ત યુવાનના ટેકામાં લત્તાવાસીઓ પોલીસ થાણે અને હોસ્પીટલે મચાવી ધમાંચકડી...શહેર પોલીસે તાલુકા વિરપુર પોલીસને બોલાવીને ગોઠવેલ ચુસ્ત બંદોબસ્ત.....

 

જેતપુર તા.૭  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં આજે બપોરે એક ખાંટ યુવાનને શહેર પોલીસના બે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ વગર વાંકે ઝૂડી નાખ્યાની ઘટનામાં ઈજ્ગ્રસ્ત યુવાનના લત્તાવાસીઓ રોડ ઉપર આવી પોલીસ મથક અને સરકારી હોસ્પીટલે ઉગ્રાવેશમાં ધમાંચકડી બોલાવતા સ્થાનિક, તાલુકા અને વીરપુર પોલીસને બોલાવી શહેર પોલીસના પીઆઈ એન.કે.વ્યાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બનાવમાં પોલીસે ફરજમાં રુકાવટની અને હુમલાની ઈજાગ્રસ્ત યુવાન સામે પોલીસમાં ફરિયાદ નોંધી છે. જ્યારે વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ યુવાનની ફરિયાદ રાજકોટ લેવાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ અહીના નાઝવાળાપરા વિસ્તારમાં રહેતા અને સમસ્ત ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ અનીલ રમેશ મકવાણા નામના યુવાનની ચામુંડા પાન નામની કેબીન પાસે અનીલ વરલીનો જુગાર રમાડતો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળતા જેતપુર પોલીસમાં ફરજ બજાવતા અનાર્મ લોક રક્ષક(બકલ નંબર ૫૧૯૭) સ્ટાફના પો.કો. મનીષભાઈ વરુ, ધર્મેન્દ્રસિંહ જેઠવા, શક્તિસિંહ જાડેજા વેગેરે તપાસાર્થે ગયા હતા.

 

આવા સમયે પોલીસે અનિલને પોતાના વિષે મળેલી ફરિયાદ બાબતે પુંછતા અનિલે સહકાર આપવાને બદલે પોલીસને ગાળો આપી, બહારથી લોકોનું ટોળું બોલાવી પોલીસ સાથે ઝપાઝાપી આદરી દેતા રસ્તા પર પોલીસ પબ્લિક વચ્ચેના ઘર્ષણથી નાસભાગ મચી ગઈ હતી.

 

દરમિયાન અનિલને વધુ પૂછપરછ માટે પોલીસ થાણે લઇ જઈ પૂછપરછ કરવાનો પ્રયાસ કરતા અનિલે પોલીસ મથકના ઉપરના ભાગે આવેલ ડી સ્ટાફના રૂમમાંથી ભાગવાનો પ્રયાસ કરતા તે સીડી પરથી પડી જતા તેમને પગમાં સારી એવી ઈજા થતા સારવાર માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડ્યો હતો.

 

જ્યાંથી વધુ સારવાર માટે પોલીસ સાથે અનીલને રાજકોટની સિવિલ હોસ્પીટલમાં  ખસેડ્યો છે. હાલ જેતપુર પોલીસે ફરિયાદી પ્રવીણ ચાવડાની ફરિયાદ પરથી અનીલ રમેશ સરવૈયા સામે પોલીસને જોઈ લેવાની ગર્ભિત ધમકી આપ્યાની, પોલીશ કસ્ટડીમાંથી નાશી જવાની પ્રેરવી, ફરજમાં રુકાવટ ઉભી કરી, આઈ પી સી કલમ ૩૩૨, ૧૮૬,૫૦૪, ૫૦૬(૨), ૨૨૪ મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

બોક્સ: ઈજાગ્રસ્ત યુવાનના

સમર્થનમાં આખો લત્તો રોડ ઉપર !

જેતપુર : બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવાન અનીલ સીધા સાડા સ્વભાવનો હોય અને તેમના વિસ્તારમાં ચામુંડા માતાજીના મઢ પાસે પાન બીડીની કેબીન મારફત શાંતિથી ધંધો કરતો હોય, આજે ખોટી રીતે પોલીસે તેમને ઢોર માર માર્યાની જાણ થતાજ નાઝાવાળા પરાવિસ્તારની પ્રજા ઘરે ઘરેથી નીકળીને પોલીસ થાણે પહોચી અમારા વિસ્તારના દીકરાને ખોટી રીતે માર મારનાર કસુરવાર પોલીસમેનોને તાત્કાલિક સસ્પેન્ડ કરાવો તેવા નારા ચાલુ કરી દેતા વાતાવરણ તંગ બને તેવી સ્થિતિ પારખી ગયેલા સ્થાનિક પીઆઈ એન.કે.વ્યાસે તાત્કાલિક ડીવાયએસપી પાટીલની સુચનાથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા સહિતના સ્ટાફ, વીરપુર પોલીસના ફોજદાર ગોહિલ સહિતના સ્ટાફને તાત્કાલિક બોલાવી લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ પ્રકરણમાં ખોટેખોટું વાતાવરણ ડહોળવા ઇચ્છતા તત્વોની કોઈ કારી ફાવી નહોતી.

 

બોક્સ: મામલતદાર-ડીવાયએસપીને ઉગ્ર રજુઆતો

જેતપુર : જેતપુર પોલીસે એક તો યુવાનને ઢોર માર માર્યો હોવા છતાં ઈજાગ્રસ્ત યુવાન સામે ગુનો નોંધ્યાની વાત જાણી ગયેલા આ વિસ્તારના સમસ્ત ખાંટ રાજપૂત સમાજના લોકો ટોળા ને ટોળા સ્વરૂપમાં સ્થાનિક મામલતદાર ભોરણીયા, ડીવાયએસપી પાટીલને ઉગ્ર રજૂઆત કરતા જણાવેલ કે જેતપુરમાં અનેક જગ્યાએ દારુ જુગારના હાટડાઓ ધમધમે છે. આ બધી જગ્યાએ સ્થાનિક પોલીસના રીતસરના હપ્તાઓ ચાલે છે. આ બધી જગ્યાએ દરોડા પાડવાને બદલે તેઓના સમાજના પ્રમુખ અને શાંતિથી ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર અનીલ રમેશ મકવાણાને આજે શહેર પોલીસના ત્રણ ચાર કોન્સ્ટેબલોએ બેરહેમીથી માર મારી જે અરાજકતાનું વાતાવરણ સર્જ્યું તેનું સારાયે સમસ્ત રાજપૂત ખાંટ સમાજને દુઃખ, અને રોષ છે. અમારા દીકરાને ખોટી રીતે હેરાન કરનાર કસુરવાર પોલીસમેનોને તાકીદે સજા કરો અને તેમની સામે પણ ગુનો નોંધો તેવી માંગ ઈજાગ્રસ્ત યુવાન અનિલના પત્ની, માતા મુક્તાબેન સહિતના લત્તાવાસીઓએ માંગની દોહરાવી મામલતદાર કચેરી અને ડેપ્યુટીની કચેરી ગજવી મૂકી હતી.

 

બોક્સ: પોલીસ મારથી નથી, કુદકો

મારી ભાગવાથી અનિલને ઈજા થઇ !

 

જેતપુર : જેતપુર પોલીસના પીઆઈ એનકે વ્યાસે સ્થાનિક પત્રકારોના સવાલમાં જણાવ્યું હતું કે પોલીસ ઉપર હુમલો કરનાર, પોલીસની ફરજમાં રુકાવટ કરનાર અનીલ મકવાણાએ  પોલીસ કસ્ટડીમાંથી નાશવા માટે સીડી ઉપરથી કુદકો મારતા તેમને પગમાં ઈજાઓ થઇ છે, પોલીસ માર થી નહિ !! વ્યાસે એમ પણ જણાવેલ કે ઈજાગ્રસ્ત અનિલને સારવાર અપાવામાં પણ પોલીસે કોઈ વિલંબ કર્યો નથી ! પોલીસે તેમ પણ કહેલ કે આરોપી અનિલની કેબીનની એક પણ કાચની બરણી પોલીસથી નથી તૂટી, બલકે આરોપીના સમર્થકોએજ આ કૃત્ય કર્યું હોવાની વિડીઓ કલીપ પોલીસ પાસે છે. ફરિયાદી પ્રવીણ ચાવડાએ ફરિયાદમાં અનીલ સાથેની ઝપાઝપીમાં રૂપિયા ૮૦ હજારનો સોનાનો ચેઈન પડી ગયાનું પણ જણાવ્યું છે. 

 

બોક્સ: સ્થાનિક દલિત અગ્રણી

માધાભાઈનો પોલીસ મથકમાંજ ધ્રુજારો

જેતપુર : જેતપુર શહેરમાં રહેતા અને દલિત અગ્રણી માધાભાઈ વેગડાએ પોલીસ મથકમાજ ખાંટ સમાજના આગેવાનો, ઈજાગ્રસ્ત યુવાનના પત્ની અને માતાને સમજાવતા જણાવેલ કે જેતપુર શહેરમાં ચારે બાજુ દેશી દારૂના ધંધાઓ ફૂલી ફાલી રહ્યા છે. પોલીસ આ જગ્યાએ બળ બતાવવાને બદલે તમારા નિર્દોષ દીકરાને કે પતિને માર મારી કામગીરીના સંતોષનો ઓડકાર ખાતી હોય તો પોલીસ સામે પણ બેધડક નીડરતાથી પોલીસમાં ફરિયાદ કરો, કોઈ સમાધાન ના કરતા. જયારે ખંત સમાજના જેરામભાઈ ભાખોતરા નામના આગેવાને પોલીસ સામે કોઈ ફરિયાદ ના કરવા અને સમાધાન સાધી લેવામાજ મકવાણા પરિવારને ફાયદો છે. પણ ઈજાગ્રસ્તના પરિવારજનોએ આ વાતને ફગાવી ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડતા હવે ત્યાં પોલીસ ફરિયાદ થઇ કે નહિ ? થસે કે નહિ ? તે વાતની ઇન્તેજારીમાં જેતપુરના નાઝાવાળાપરા વિસ્તારની પ્રજાજનો બેઠી છે.

 

 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


ટિપ્પણીઓ નથી: