જેતપુરના બાવાવાળાપરામાં આવેલ નાની હવેલીમાંથી સેવકે લીધેલી...
રૂપિયા ૬૫૧/-ની રાજભોગ પ્રસાદી વાસી નીકળતા
ચકચાર..સેવકોમાં હાયકારા સાથે રાવ !!
જો કે હવેલીના મુખીયાજીએ કહ્યું કે આ વાત સત્યથી વેગળી છે !!
જેતપુર તા.૧૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં ગુરુવારે અહીની એક નાની હવેલીમાંથી સેવકે મેળવેલ પ્રસાદી વાસી ધાબડી દેવાયાની જેતપુરના મામલતદાર સહિતના સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરતા સારાયે શહેરમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હવેલી સુત્રોએ આ વાતને સત્યને વેગળી તે વેગળી ગણાવી ધર્મના સ્થાનને
બદનામ કરવાનો કારસો હોવાની વાત જણાવી હતી.
આ બાબતે જે હોય તે પણ જેતપુરના શાંતિનગરમાં રહેતા હિતેશભાઈ મોદીના પુત્રી હેમાલીબેન ગુરુવારના રોજ અહીના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ શ્રી મથુરેશજી પુષ્ટિ માર્ગીય હવેલીમાંથી રૂપિયા ૬૫૧/- જમા કરાવી અન્નકૂટભોગની પ્રસાદી મેળવી હતી.
ધાર્મિક આસ્થાઓ સાથે પ્રસાદી મળ્યાના આનંદમાં રાચતા મોદી પરિવારની આ દીકરી જ્યારે પોતાના ઘરે લઈને જોયું તો હેમાલીને ધર્મના અંચળા હેઠળ પ્રસાદનો વેપલો થતો હોવાનો અહેસાસ ત્યારે થયો કે હવેલીની ભાષામાં બોલાતી આ રાજભોગ પ્રસાદી બિન ખાવાલાયક નીકળતા હેમાલીના પિતા હિતેશભાઈએ સૌ પ્રથમ સ્થાનિક અખબારનાવેશોને બોલાવી તેઓની સાથે પ્રસાદી બાબતે થયેલ અન્યાય, મજાકશની વિગતો વર્ણવી હતી.
દરમિયાન અખાદ્ય પ્રસાદી મેળવનાર મોદી પરિવારે નાની હવેલીના સંબંધિતોની ભયંકર બેદરકારીને તપાસવાની માંગ કરતી એક લેખિત ફરિયાદ, જેતપુર નવાગઢ નગર પાલિકના પ્રમુખ અને ચીફ ઓફિસર, મામલતદાર, રાજકોટ જીલ્લા કલેકટર અને રાજકોટ ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ ખાતાને જાણ કરતા શહેરભરમાં હવેલીના અનુયાયીઓ, સેવકોના મુખેથી હાયકારો નીકળી ગયો છે.
ફરિયાદી હેમાલી હિતેશભાઈ મોદીએ એવું પણ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે આ બાબતે તેઓએ હવેલીના લાગતા વળગતાઓને રૂબરૂ તેમજ ટેલીફોનીક રજુઆતો કરતા એવા ઉડાઉ જવાબો મળ્યા હતા કે '' પોસાતું હોય તો પ્રસાદી લેવા આવવી, નહીતર નહિ !!'' મતલબ કે લાજવાને બદલે ગાજેલા આ હવેલીના રસોડા વિભાગના સેવકો તેમજ મુખ્યાજીની આંખો ખોલવા મોદી પારવાર મેદાને પડ્યો હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. બીજીબાજુ શહેરની બે ત્રણ હવેલીઓ સાથે સંકળાયેલા સેવકો, અનુયાયીઓ વિગેરે જણાવેલ કે ફરિયાદીને કોઈ વાતની ગેર સમજ થઇ હોવી જોઈએ હજારો શ્રદ્ધાળુઓનું આસ્થા સ્થાન એવી આ હવેલીમાં પ્રસાદી બાબતે આવું ના બની શકે, કારણ રોજ બરોજ અસંખ્ય સેવકો પ્રસાદી લઇ જતા હોય, એક માત્ર હિતેશભાઈ મોદી સિવાય કોઈની ક્યાંયથી ફરિયાદ મળી નથી.
હવેલીના મુખીયાજી શું કહે છે ?
જેતપુર : જેતપુરના જાગૃત નાગરિક હિતેશભાઈ મોદીએ વાસી પ્રસાદી બાબતે સત્તાધીશોને કરેલી રજૂઆતની સત્યતા ખાળવા હવેલીની લેવાયેલ મુલાકાત દરમિયાન હવેલીના મુખ્યાજી શાલીગ્રામજીએ જણાવેલ કે ફરિયાદીની પ્રસાદી પરત્વેની ફરિયાદ એકદમ ખોટી છે. હવેલીમાં કોઈ દિવસ કોઈ પ્રસાદી કે ભોગ પડતર રખાતો નથી, રોજ બનાવાય છે. સૌ પ્રથમ આવી પ્રસાદી મુખ્યાજી સહિતના સાતેક સેવકો લઈને પછી હવેલી બહારના સેવકોને આ હવેલી સંપ્રદાયના રીત રીવાજ મુજબ પારણા ઝુલાવાયા બાદ પ્રસાદી ભેટ અપાતી હોય છે, આ વાતમાં હિતેશભાઈ મોદીએ રૂપિયા ૬૫૧/- જમા કરાવી રાજભોગ પ્રસાદી ટીફીન મારફતે લીધી હતી. તેમાં દૂધીનું શાક, દાળ, ભાત, પૂરી અને મોહનથાળ નામની મીઠાઈનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રસાદી સુવ્યવસ્થિત અને ખાવા લાયકજ હતી. ફરિયાદીના અન્ય એક આક્ષેપ મુજબ પ્રસાદીના પૈસા સ્વીકાર્યાની રસીદ જયારે પ્રસાદી લેવા સેવક આવે ત્યારે એટલા માટે ફાડી નખાય છે કે કોઈ સેવક બીજીવાર પ્રસાદી લેવા ના આવી શકે, રસીદ ફાડવાનો હવેલીનો વર્ષો જુનો રીવાજ છે.
આ હવેલી સાથે સંકળાયેલ ગોરધનભાઈ નામના ચુસ્ત સેવક અને અનુયાયીએ જણાવેલ કે જેતપુરમાં મરઝાદી સેવકો અને અનુયાયીઓ માટે ગૌરવ સમાન બાવાવાળાપરાની માથુરેશજીની હવેલીમાં પ્રસાદી બાબતે આવો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. ધાર્મિક સ્થળો બને તેટલા ઓછા બદનામ થાય તે જોવાની પ્રત્યેક જેતપુરવાસીઓની ફરજ છે. બાકી તો આ વાતમાં હવેલીમાં બેઠેલા જગદપિતા ઠાકોરજી જાણે !!
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
ફોટો વિગત : બાવાવાળાપરા વિસ્તારની હવેલી, ફરિયાદી હિતેશ મોદીની પુત્રી હેમાલી પ્રસાદીના ટીફીન સાથે તથા જે પ્રસાદી વાસી હોવાની ફરિયાદ ઉઠી છે તે ખુલા ટીફીનમાં દેખાય છે.
-----------------------------------------------------------------------------------------------
લુણીધાર ખાતે વ્યાસ પરિવારનો યજ્ઞ
જેતલસર : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વ્યાસ પરિવાના લુણીધાર ખાતે બિરાજતા કુળદેવીના મંદિરે તા.૨૧ અને ૨૨ નવેમ્બર એમ દિવસ નડિયાદના શાસ્ત્રી ભદ્રેશભાઈ વ્યાસના આચાર્યપદે હોમ હવન, પરિવારનું સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારંભ એમ ત્રિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, વ્યાસ પરિવારજનોએ હાજરી આપવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨
અવસાન નોંધ :
જેતપુર: પટેલ પાચાભાઈ કરમશીભાઈ સખીયા(ઉ.વ.૭૫) તે જયેશભાઈ બટેટાવાળાના પિતા તથા ક્રિશના દાદા તા.૧૯ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું ૨૧ ને શનિવારે, સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન, ડોબરિયા વાડી, મુરલીધર, જેમીનીવાળી શેરી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨ ૬૨૮૧૨





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો