જેતપુરના ધોરાજી રોડ પરના અનેક વિસ્તારો વાયુ પ્રદુષણના અજગર ભરડામાં ??!
અનસન ઉપવાસ આંદોલનના ૭ માં દિવસમાં પ્રવેશેલા
વૃદ્ધની ફરિયાદ બહેરા તંત્રના કાને અથડાઈ પાછી ફરે છે !?
જેતલસર તા. ૨૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના ધોરાજી રોડ પરના અનેક સંલગ્ન વિસ્તારોને વાયુ પ્રદુષણથી મુક્ત કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ આંબલીયા નામના વૃદ્ધે છેડેલ અનસન ઉપવાસ આંદોલનના આજે ૭ માં દિવસે પણ તેઓને માત્ર લુખ્ખા વચનોજ મળ્યા હોવાનો એક આક્ષેપ મુલાકાત દરમિયાન વલ્લભભાઈએ ઉચ્ચાર્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર આવેલા વિરાશક્તિ આશ્રમ, પટેલ નગર, ધરમ વાડી, તીરુપત્તી બાલાજી, નયન પાર્ક, પંચવટી સોસાઈટી, સુદામા નગર, પંચમીયા હોસ્પિટલ વિસ્તાર, હાજી દાઉદ હોસ્પિટલ વિસ્તાર વેગેરે લતાઓની પ્રજા વર્ષો થયા અમુક સાડી એકમોની બેધારી નીતિને કારે ફેલાતા વાયુ પ્રદુષણના અજગર ભરડામાં આવી ગઈ હોય, આવું વાયુ પ્રદુષણ તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે અહીના વલ્લભભાઈ એચ. આંબલીયા નામના વૃદ્ધે મામલતદાર કચેરી પાસે માંડવો નાખી અનસન ઉપવાસ આંદોલન છેડ્યું છે.
આ વાતને આજે સાત સાત દિવસ થઇ ગયા હોવા છતાં આ પ્રશ્ન હાલ કરાવવાની જેઓની જવાબદારી છે તેઓ રીતસરની સંતા કૂકડી રમતા હોય, કોઈ આગળની કાર્યવાહી ના કરતા હોવાનો ઉપવાસીનો આક્ષેપ છે. આ તકે ઉપવાસીએ એમ પણ જણાવેલ કે સ્થાનિક પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના કાર્યવાહોકોએ તેમની છાવણીની મુલાકાત લઇ આગામી તા.૧૫-૧૦. સુધીમાં યોગ્ય કરવાની ખાતરી આપી છે. પણ તેઓએ પા.પ્ર.ની.બો.કચેરીના સત્તાધીશોને એવું જણાવેલ કે ૧૫-૧૦ સુધીમાં આ સમસ્યા હલ થઇ જશે તો તેઓ તા.૧૬-૧૦. થી ઉપવાસ આંદોલન સંકેલી લેશે.
અત્રે એ નોંધનીય છે કે ભૂતકાળમાં જતીન દેગડા નામના યુવાને પણ આ બારાની લગભગ તમામ લાગતાવળગતા સત્તાધીશોને લેખિત રજુઆતો કરી હતી. પણ કોઈ ન્યાયી જવાબ ક્યાયથી તેમને મળ્યો ના હતો, હવે વલ્લભભાઈ આમ્બલીયાએ આ પ્રશ્ન હાથમાં લઇ ગાંધીગીરી ચાલુ કરી છે. સમયજ બતાવશે કે આ ઉપવાસીનું કોઈ સાંભળશે કે નહિ ??
બોક્સ: સમસ્યા શું છે ?
જેતપુર: વર્તમાન ઉપવાસી વલ્લભભાઈ તથા અગાઉ રજૂઆત કરનાર જતીન એમ બંનેનું કહેવું છે કે શહેરના ધોરાજી રોડ પણ અનેક સાડીના એકમો આવેલા છે. આ તમામ કારખાનાના બોઇલરની ઉંચી ચીમનીઓમાંથી ઝેર ઓકતો ધુમાડો ઝેરી વાયુ પ્રદુષણ ફેલાવી રહી હોય આ રોડ પર રહેનાર ઉપરોક લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. જાણકારો કહે છે સાડી કારખાનાઓના બોઈલરોમાં લિગ્નાઈટના વપરાશ સામે હાઇકોર્ટે સદંતર પાબંધી ફરમાવી માત્ર બાયોકોલ વાપરવાની છૂટ આપી છે. જેતપુર ડાઈંગ એશોશીયેશન સુત્રોએ પણ કોર્ટની આ ગાઈડલાઈન સખ્તપણે પાળવાની તમામ કારખાનેદારોએ સૂચનાઓ આપી દીધી છે. આમ છતાં અમુક કારખાનેદારો પોતાનું ધાર્યું કરતા હોય અહી કાળા ધુમાડાનો અને ઝેરી વાયુ પ્રદુષણનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે.
બોક્સ: મહિલાઓ કાળઝાળ ! આવો અમારા મકાનની છત ઉપર ખબર પડે, શું તકલીફ છે ?
જેતપુર : વાયુ પ્રદુષણ પ્રશ્ને ૭ દિવસ થયા અનસન ઉપવાસ આંદોલલન છેડી ચુકેલા શહેરના વૃદ્ધ વલ્લભભાઈ આંબલીયાની હિંમતને ધન્યવાદ આપવા અને તેમના આંદોલનને સમર્થન આપવા અહી રોજ ધોરાજી રોડ પર રહેતી મહિલાઓના ટોળા આવે છે. અને મામલતદારને રજુઆતો કરે છે કે સાહેબ, આવો અમારા રહેણાંક મકાનોની અગાસીઓ પર, સવારે ઉઠીને જુઓ તો કાળી ભૂકીની ચાદર છવાઈ ગઈ હોય છે, અમારે અમારા મકાનોની અગાશીમાં રાત્રીના કે દિવસના હરવું, ફરવું, સુવું કે બેસવું કઠીન થઇ ગયું છે. અગાસીઓ પર વસ્ત્રો સુકવી નથી શકાતા, મકાનોના બારી બારણા ઉપર કાળી મેશ લાગી જતી હોય સાફ કરી કરીને થાકી જઈએ છીએ. પણ આવી રોજીંદી તકલીફ, સમસ્યા હવે સહન નાં થતી હોય, આ પ્રશ્ન તાકીદે હલ કરવો જરૂરી છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર
આમાં કચરો કેમ નાંખવો ??
જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આજે એક ડસ્ટબિન ઉંધે માથે રખડતું જોવા મળ્યું હતું. આ ડસ્ટબિન ઉપર લખેલ છે કે ''કચરો મને આપો '' પણ આ કચરા પેટીની આવી હાલત જોઇને તેમાં કચરો નાંખવા ઇચ્છતો મુસાફર પણ ગુસ્સામાં આવીને કચરો બહાર ફેંકી મનમાં એવું બબડી રહ્યો છે કે આમાં કચરો કેમ નાંખવો ? સંબધિત તંત્ર એ આવી ડસ્ટબિન મૂકી તે એક સ્વચ્છતા અભિયાનનો ભાગ ગણાવી શકાય, પણ તેની જાણવણી તો તંત્રની જ ગણાય કે બીજા કોઈની ? રામ જાને !!!
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )
જેતપુર તાલુકાના ઉમરાળી ગામે ખેડૂત શિબિર યોજાઈ : ૨૦૦ ખેડૂતોએ સમજણ પ્રાપ્ત કરી..
જેતપુર તા. ૨૮
જેતપુર તાલુકાના ઉમરાળી ગામે તાજેતરમાં એક ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેનો ૨૦૦ ખેડૂતોએ રસપૂર્વક લાભ લીધો હતો. જીએસએફસીના કે.જી.કોરાટ, એચ.એલ. ગીનોયા, વી.જે. વાછાણી, ખુંટ, ડી.એમ.વાળા, કટારીયા વિગેરેએ ગામના સરપંચ જયેશભાઈ સાવલિયા સહિતના ખેડૂતો અને ગ્રામજનોની હાજરીમાં ગામના જગદીશભાઈ રાંક દ્વારા ટપક પધ્ધતિથી વાવેતર કરાયેલ તરબૂચના પાકનું વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય કૃષિ અધિકારીઓએ બાગાયત ખેતીની સમજણ, કપાસમાં આવતી ગુલાબી ઈયળને અટકાવવાના ઉપાયો, રાસાયણિક ખતરો વિશેની માહિતી, જમીનમાં ખૂટતી ઉણપને કેમ દુર કરવી વિગેરે બાબતે અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરનો ઉમરાળી ઉપરાંત ત્રાકુડા, આંબરડી, મેવાસા અને હરીપર વિગેરે ગામોના ખેડૂતોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો