અનુયાયીઓ

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

જેતપુરમાં રૂ.117.50 લાખના ખર્ચે તાલુકા પંચાયત ભવન બનશે..

જેતપુરમાં રૂ.117.50 લાખના ખર્ચે તાલુકા પંચાયત ભવન બનશે..
રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના હસ્તે તા.પં.ભવનનું ખાતમુહુર્ત કરાયું, શહેરમાં ચાલતા 
નબળા ભૂગર્ભ ગટર કામને બ્રેક મરાવી બીજી એજન્સીને કામ સોંપાવતા રાજ્ય મંત્રી..

જેતપુર તા.20
જેતપુર તાલુકા પંચાયત ભવનની જર્જરિત અવસ્થાને ધ્યાને લઇ, સ્થાનિક આગેવાનોની અવારનવારની રજુઆતોને પ્રાધાન્ય અપાવી સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાએ આજે પોતાની અંગત જહેમત વચ્ચે મંજુર થયેલ 117.50 લાખના ખર્ચે બનનાર જેતપુર તાલુકા પંચાયત ભવનનું આજે સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ખાતમુહુર્ત કર્યું હતું.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર અને તાલુકા ભરના આગેવાનોની હાજરીમાં ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાએ તાલુકા પંચાયત ભવનનું શાસ્ત્રોક વિધિથી ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત કર્યું હતું. આ તાલુકા પંચાયત ભવન સરકારની 100 ટકા ગ્રાન્ટમાંથી બનશે જે સુવિધા જેતપુર તાલુકાના તમામ ગામોના નાગરિકોને મળતી થશે.

માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પી.જી.કયાડા સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ અન્ય વિગતો આપતા જણાવેલ કે તેમના પિતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની રૂપિયા 3 કરોડની ગ્રાન્ટમાંથી જેતપુર, જામકંડોરણા તાલુકામાં વિકાસના કામો વેગવંતા બનાવાયા છે.

જેતપુર, ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા શહેરોમાં પાણીની કાયમી સમસ્યા હલ થાય તે માટે રૂપિયા 600 કરોડની નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાને રાજ્ય સરકારે મંજુર કરતા આ યોજના સાકાર કરવા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તો જેતપુર અને જામકંડોરણાને પાઈપલાઈન વાટે ગેસ મળતો થાય તેનું કામ યુધ્ધના ધોરણે હાથ ધરાયું છે. આ તકે ઉપસ્થિત સૌ આગેવાનોએ પ્રસંગોચિત વક્તવ્યો આપી શહેરમાં નિર્માણાધીન તાલુકા પંચાયત ભવનની સેવા પરત્વે હરખ વ્યક્ત કર્યો હતો.

બોક્સ: ભૂગર્ભ ગટરના નબળા કામને રોકાવતા રાજ્ય મંત્રી રાદડિયા 
જેતપુર : જેતપુર શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની નબળી  કામગીરીની વ્યાપક ફરિયાદો બાદ ગિન્નાયેલા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડીયાએ વર્તમાન કંપનીનો કોન્ટ્રાકટ રોકાવી અન્ય સંસ્થાને શહેરની ભૂગર્ભ ગટરની કામગીરી સોંપી હોવાનું જાણવા મળ્યું હતું, જયેશભાઈએ પોતાના વક્તવ્યમાં એવો પણ ધ્રુજારો વ્યક્ત કર્યો હતો કે વિકાસના કામો હાથ ધરાવવામાં કોઈ કચાસ નહિ રખાય, પણ વિકાસના કામોમાં લાલિયા વાડી કે લોટ, પાણી અને લાકડા જેવી કોઈની નીતિ પ્રત્યે બેધ્યાનપણું નહિ દાખવીએ, સમજીને વિકાસના કામો કરવા !

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી - જેતપુર - જેતલસર 

ટિપ્પણીઓ નથી: