


રાજ્યના મહેસુલ વિભાગના જમીન દફતર ખાતા દ્વારા ૩૬૮ નવનિયુક્ત સર્વેયરોને મંત્રીશ્રીના હસ્તે નિમણુંક હૂકમો અપાયા
ગાંધીનગર, સોમવારઃ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના જમીન દફતર ખાતા દ્વારા યોજાયેલા નવનિયુક્ત સર્વેયરોને નિમણૂંક હૂકમ આપવાના સમારોહમાં ઉપસ્થિત રાજ્યના મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે યુવાનોને નિમણૂંકના હુકમ આપી આવકારતાં જણાવ્યું હતું કે, સરકારી વહીવટી તંત્રમાં સેવા કરવાની તક એવા વિભાગમાં મળી છે જેની શરૂઆત ઇ.સ. ૧૮૮૪માં થઇ હતી. તેમણે સૌ સર્વેયરોને કાર્યનિષ્ઠા દાખવી આ સેવા બજાવવા અનુરોધ કર્યો હતો. જમીન દફતર ખાતું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ નાગરિકો સાથે જોડાયેલું છે એટલે આ વિભાગમાં કામ કરવું સૌથી મહત્ત્વનું છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પારદર્શિતા સાથે લોકકલ્યાણના કાર્યો કરવાનાં મંત્ર સાથે વિકાસની વણથંભી વણઝાર સર્જી છે ત્યારે નવનિયુક્ત કર્મચારીઓએ આ મંત્રને સાર્થક કરવા પુરૂષાર્થ કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કોઇપણ વિભાગમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે માત્રને માત્ર મેરિટના આધારે ભરતી કરવામાં આવે છે. તાજેતરમાં શિક્ષણ વિભાગે ૧૩,પ૦૦ વિઘાસહાયકોની ભરતી કરી તેમાં કયાંય પણ ભ્રષ્ટાચારને સ્થાન નથી. ભૂતકાળમાં નિમણૂંક તો ઠીક બદલીઓમાં પણ ભ્રષ્ટાચાર થતા ત્યારે આ રાજ્ય સરકારે સીનિયોરીટીના આધારે બદલીના કેમ્પ કર્યા અને પારદર્શિતા સ્થાપી છે. રાજ્ય સરકારે આવા ત્રણેક લાખ જેટલા યુવાનોને માત્ર ને માત્ર મેરીટના આધારે આ રાજયમાં નોકરી આપી છે. આ જ રીતે આજે ૩૬૮ જેટલાં સર્વેયરોને નોકરી આપવામાં આવી છે. ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે રાજ્ય સરકારે અનેકવિધ કામગીરી આરંભી છે. જમીન દફતર સુધારણા કાર્યક્રમ ઉપરાંત રાજ્યભરના રરપ તાલુકામાં જનસેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે ૧૩૦ પ્રકારના જનસેવાના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગામના લોકોને તાલુકા મથકે પણ જવું પડે નહીં પરંતુ ૭/૧૧ ના ઉતારા કે જન્મ-મરણની નોંધ જેવા કામ ગામમાં જ થાય તે માટે ઇ-ગ્રામ યોજના શરૂ કરી. ભૂમાફિયા, ગરીબોની જમીન હડપ કરે નહી તે માટે રાજ્ય સરકારે તકેદારી રાખી ઇ-જમીનના પ્રોજેકટમાં ખેડૂત ખાતેદારની સંપૂર્ણ સામેલગીરી કરી છે. આખા દેશમાં માત્ર ગુજરાત રાજ્યે જમીનના રી-સરવેની કામગીરી શરૂ કરી છે જેનો અભ્યાસ કરવા અન્ય રાજ્યોના અધિકારીઓ આવી રહ્યા છે ત્યારે આ સરવેની કામગીરીમાં આજથી જોડાતા ૩૬૮ સર્વેયરોને કારણે વધુ ઝડપ આવશે. વર્ષ ર૦૧પમાં રાજ્યની તસુએ તસુ જમીનનો રી-સરવે કરવાના લક્ષ્યાંકને સિદ્ધ કરી શકાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
જમીન મોજણીમાં ટેકનોલોજીનો ઉપયોગ મહત્ત્વનો છે તેમ જણાવી મંત્રીશ્રીએ નવનિયુક્ત સર્વેયરોને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે તાલીમબધ્ધ થવા અને કૌશલ્યવાન બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જમીન મહેસુલ દફતરના કોમ્પ્યુટરાઇઝેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નવનિયુક્ત સર્વેયરોને ઉજ્જવળ નૂતન કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી પ્રકાશભાઇ સોનીએ નવનિયુક્ત સર્વેયરોને આવકારી જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારના ધનિષ્ઠ આયોજનને કારણે જે ઉમેદવારોએ-યુવાનોએ ટેકનિકલ શિક્ષણ મેળવ્યું છે તેવા મોટાભાગના બેરોજગાર યુવાનોએ આજે રાજ્યમાં રોજગારી મળી રહી છે. યુવાનોમાં કૌશલ્ય નિર્માણ દ્વારા યુવાનોને વધુ કાર્યક્ષમ બનાવી રાજ્ય સરકારે રોજગારીની ઉપલબ્ધ તકોમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં તસુએ તસુ જમીનની મોજણી કરવાના મહત્ત્વના કાર્ય માટેની જરૂરિયાતને પૂરી કરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સર્વેયરોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મહેસુલ વિભાગના અગ્ર સચિવ શ્રી સી. એલ. મીનાએ નવનિયુક્ત મોજણીકારોને આવકારતા જણાવ્યું હતું કે, જમીન મહેસુલ વિભાગ વર્ષોથી ચાલતો આવે છે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જેણે આ જિલ્લામાં આધુનિક પદ્ધતિથી જમીનના પુનઃ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બાકીના આઠ જિલ્લામાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. શ્રી મીનાએ જણાવ્યું હતું કે, જે શ્રેષ્ઠ છે તેને ટકાવી રાખવું ધણું મહવનું છે તેમણે શ્રેષ્ઠ કામગીરી નિષ્ઠાથી બજાવી પોતાના કૌશલ્યને જાળવી રાખવા નવનિયુક્ત સર્વેયરોને અનુરોધ કર્યો હતો. મોજણીમાં મશીન અને કોમ્પ્યુટરના ઉપયોગ સાથે કદમતાલ મીલાવી કર્તવ્યપરાયણતા સતત જાળવી રાખવા પણ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અને નવનિયુક્ત સર્વેયરોને આવકારતા સેટલમેન્ટ કમિશનર શ્રી એમ.વી. જોશીએ જણાવ્યું હતું કે, મેરીટ પ્રાપ્ત કરનારા ઉમેદવારોને પસંદગીનો અવકાશ મળે અને આખી પ્રક્રિયા પારદર્શિ બને તેવા રાજ્ય સરકારના અભિગમને કારણે જ આ સમારોહ શક્ય બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માત્ર ૧૯ દિવસના ટુંકા ગાળામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી જે ઝડપ દર્શાવી, જે પારદર્શિતા દર્શાવી તે ખરેખર ઉદાહરણરૂપ છે. તેમણે રાજ્યના સાત જિલ્લામાં યુદ્ધના ધોરણે થઇ રહેલી આધુનિક પદ્ધતિ આધારિત જમીન મોજણીની પણ માહિતી આપી નવનિયુક્ત મોજણીદારોને પોતાની સેવા નિષ્ઠાથી બજાવવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહની શરૂઆતમાં દીપપ્રાગટય બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું હતું. મહેસુલમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્વેયરોને નિમણૂંકના હુકમપત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મહેસુલ સચિવ અને જમીન સુધારણા કમિશનર શ્રી એસ. એ. ગોલકિયા, મહેસુલ વિભાગના અધિક સચિવ શ્રી હેમેન્દ્ર શાહ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો