ગ્રામ્ય સ્તરે સરપંચ પણ પાવર-પોઇન્ટથી પ્રેઝન્ટેશન રજૂ કરતા થયા તે વિકાસની પારાશીશી છે - મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
અમદાવાદ જિલ્લાનાં ઓટોમાોબાઇલ નગરી તરીકે ઉભરી રહેલાં સાણંદ તાલુકાનાં સાણંદ ખાતે ‘‘ચલો તાલુકે'' કાર્યક્રમ યોજાયો હતો. આ અવસAરે અમદાવાદ જિલ્લાના પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, સાણંદ તાલુકાનાં ગ્રામ્યસ્તરનાં સરપંચ પણ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરતાં થયાં છે તે વિકાસની પારાશીશી સમાન છે. આ પરિવર્તન ગ્રામ્યકક્ષા સુધી ટેકનોલોજીના વિસ્તારનો નિર્દેશ કરે છે. ગામનાં સરપંચ પણ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન કરતાં ‘‘નેક્ષ્ટ, નેક્ષ્ટ'' કરે ત્યારે લાગે છે કે ટેકનોલોજી સાથે વિકાસનાં ફળ ઉપલા સ્તરથી નાનામાં નાના સ્તરે પહોંચ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસની વિભાવના ત્યારે સાર્થક થાય કે જ્યારે પૂરાં કરેલ કાર્યોમાં ગુણવત્તા આવે અને ગુણવત્તા સુધાર માટે સરકારે શાળાઓમાં ગુણોત્સવ જેવાં કાર્યક્રમો કરી ઉત્તમ શિક્ષણ પ્રદાન કર્યું છે, ઉત્તમ માનવબળ તૈયાર કરી રોજગારીની વધુ તકોનું સર્જન થઇ શકશે.
તેમણે ઉપસ્થિત સરપંચોને પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણથી સુધારો લાવવા પ્રયત્ન આદરવા અનુરોધ કર્યો હતો. તેમણે આઇ.ટી.આઇ. અને કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા ટેકનીકલ રીતે સક્ષમ માનવબળ તૈયાર કરવા પણ પ્રેરક અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ સિંચાઇ, બાગાયત, શિક્ષણ, કુપોષણ, કન્યા કેળવણી જેવાં કાર્યક્રમો થકી જે સુધાર આવ્યો છે તેની વાત કરી ચલો તાલુકે કાર્યક્રમો થકી કલસ્ટર લેવલે લક્ષ્યાંક નકકી કરી તેની પૂર્ણતાની મર્યાદામાં પૂરી કરવાની તાલુકા કક્ષાએ વિકાસની સ્પર્ધા થઇ રહી છે, તેમ જણાવ્યું હતું.
ચલો તાલુકે કાર્યક્રમ લક્ષ્યાંક નિર્ધારિત કરી તેને પ્રાપ્ત કરવાનો નમ્ર પ્રયાસ છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે તાલુકાનાં વિકાસમાં લક્ષ્યાંકો અને કરેલી પરિમૂર્તિને લગતું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સાણંદ તાલુકાના 6 ગામનાં સરપંચોએ પોતાનાં ગામમાં પ્રાપ્ત કરેલ સિધ્ધિનું પાવરપોઇન્ટ દ્વારા પ્રેઝન્ટેશન કર્યું હતું.
સાણંદ શહેરનાં કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ ચલો તાલુકે કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વશ્રી પ્રાગજીભાઇ પટેલ, કમાભાઇ રાઠોડ, બાબુભાઇ જમનાદાસ પટેલ, કાંતિભાઇ લકુમ, અમદાવાદ જિલ્લાં પંચાયતનાં પ્રમુખ સુરેશભાઇ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી વી.એસ.ગઢવી, વેજલપુર પ્રાંત અધિકારી રાજેન્દ્ર ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બંછાનિધિ પાની તથા જિલ્લા-તાલુકા પંચાયતનાં સભ્યો, સરપંચશ્રીઓ, આગેવાનો, જિલ્લા-તાલુકાનાં અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
વિરમગામનો ચલો તાલુકે કાર્યક્રમ યોજાયો
ગ્રામ્યસ્તરેથી માંડી શહેરનો વિકાસ થાય તે સાથે માનવસૂચકાંક ઉંચો લાવવાનો આ પ્રયાસ છે - મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
વિકાસ એટલે ભૌતિક સુવિધા પૂરતી સિમિત નથી એની સાથે સાથે માનવવિકાસ પણ જરૂરી છે અને આ ચલો તાલુકે કાર્યક્રમ એટલે ગ્રામ્ય સ્તરેથી માંડી શહેરનો વિકાસ થાય તેની સાથે સાથે માનવ સૂચકાંક પણ ઉંચો લાવવાનો આ પ્રયાસ છે તેમ જિલ્લા પ્રભારી અને મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વિરમગામ તાલુકાના યોજાયેલા ચાલો તાલુકે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ગામના સરપંચને ગામના વિકાસની આગેવાની સોંપવાની હિમાયત સાથે માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગામનો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે સાથે શિક્ષણ, આરોગ્ય કન્યા કેળવણી, કુપોષણ નાથવું સાક્ષરતા દર ઉંચો લાવવો ઉપરાંત ગ્રામ્ય અર્થતંત્રનો સમૃધ્ધિ દર ઉંચો લાવવા ગામના સરપંચથી માંડી ઉચ્ચ અધિકારીઓએ મથામણ કરવાનો આ અવસર છે.
રાજ્ય 46 ટકા રોજગારી આપવા સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ ઔદ્યોગિક એકમોના આવાથી રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
ચલો તાલુકા કાર્યક્રમ દરમિયાન તમામ તાલુકાના થીમ નકકી કરી સમય મર્યાદામાં થીમના લક્ષ્યાંક મુજબ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત વિરમગામ તાલુકામાં સાક્ષરતા દર ઉંચો લાવવા સાથે કુપોષણમાંથી 100 ટકા બાળકોને મુકત કરવાની નેમ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો