શાસન શણગાર સમિતિ પારણોત્સવમાં પધારેલા સર્વેનો આભાર વ્યક્ત કરે છે
જૈનાચાર્ય દિવ્યતપસ્વીરત્ન શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મ.સા. ના ચતુર્થ વખતના 180 ઉપવાસનું પારણું અભૂતપૂર્વ રીતે પ્રબોધન ઠાકરે નાટ્યમંદીર, બોરીવલી (વેસ્ટ) ખાતે સંપન્ન થયું હતું. આ પ્રસંગે પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્ર્વરજી મહારાજાની નિશ્રામાં 12 આચાર્ય ભગવંતો, 5 પંન્યાસપ્રવર અને 200 થી અધિક પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ અને મંગલકામના સાથે તેઓની નિશ્રામાં પૂજ્ય તપસ્વી મહારાજ સાહેબે આયંબીલમાં વપરાતા મગના પાણીથી પારણું કર્યું હતું. પ્રબોધન હોલથી વિહાર કરીને પૂજ્યશ્રી સકળ શ્રીસંઘ સાથે શ્રી મંડપેશ્ર્વર રોડ જૈન સંઘમાં પધાર્યા હતા અને પારણોત્સવ દરમ્યાન વહોરાવવામાં આવેલ મગના પાણીથી તેઓએ પારણું કર્યું હતું.
પારણા પછી આટલી ગરમીમાં શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મ.સા. 3.5 કિલોમીટરનો વિહાર કરીને ગીતાંજલીનગરના ઉપાશ્રયે પધાર્યા હતા. આજે પારણા પછી તેઓશ્રીની પ્રસન્નતા અભૂતપૂર્વ રહી છે. શાસન શણગાર સમિતિ વતી એક અખબારી યાદીમાં આ પ્રસંગ સફળ બનાવવા માટે નામી-અનામી પ્રત્યેક વ્યક્તિઓનો તેમણે આભાર માનીને હૃદયથી અનુમોદના કરેલી છે.
વિશેષમાં મુંબઈ વડી અદાલતના સિનિયર જજ શ્રી કમલ કિશોરજી તાતેડ, માનનીય જજશ્રી ગડકરી સાહેબ તેમજ જૈન સંઘને નિ:શુલ્ક કાયદાકીય સેવા પૂર્ણ કરતા શ્રી પ્રફુલભાઈ શાહ તેમજ લોકલાડીલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી ગોપાલભાઈ શેટ્ટી, એમએલએ શ્રી સુનીલ રાણેજી, આ પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડવામાં મહેનત કરનાર વિધાનસભ્ય શ્રીમતી મનીષાતાઈ ચૌધરી, જૈન કોર્પોરેટર શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રીમતી બીનાબેન દોશી અને શ્રી હરીશભાઈ છેડા હાજર રહ્યા હતા. જૈન લોકલાડીયા મુંબઈ ભાજપના પ્રમુખ વિધાનસભ્યશ્રી મંગલ પ્રભાતજી લોઢા અને વિધાનસભ્ય શ્રી યોગેશભાઈ સાગર તેમજ સાગરસીંગ ઠાકુર હાજર ન્હોતા રહી શક્યા પણ તેઓએ પૂજ્ય મ.સા. ને વંદન અને સુખશાતા પૂછાવ્યા હતા.
પોષ દસમીના અઠ્ઠમ કરાવવા માટે તપસ્વી મહારાજ બોરીવલી દૌલતનગર પધારશે અને ત્યાં સુધી બોરીવલીના સંઘોમાં ત્રણ - ત્રણ દિવસ સ્થિરતા કરીને જિનવાણીનું શ્રવણ કરાવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો