અનુયાયીઓ

શુક્રવાર, 4 જાન્યુઆરી, 2019

સ્વાઈન ફ્લુનો ફૂંફાડો રાતે 4 કલાકમાં 2 દર્દીના મોત


- રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભરશિયાળો છતાં રોગચાળો

- એઈમ્સની ખરેખર જરૂર હતી! રોગચાળા અટકે તેમાં બાબુઓને નથી રસ

- જામનગરમાં પોરબંદરની સગર્ભા દાખલઃ રાજકોટ મનપામાં વધુ બે દર્દીઓ
- મનપાના નિંભર તંત્રનો રિપોર્ટ- શહેરની ૧૬ લાખની વસ્તીમાં સપ્તાહમાં માત્ર ૨૪૭ને સામાન્ય શરદી,તાવ!

સૌરાષ્ટ્રમાં ભર શિયાળો ચાલી રહ્યો છે છતાં લોકો માત્ર વ્યક્તિગતરીતે થતા રોગોથી નહીં પણ ચેપી રોગોના ભોગ બની રહ્યા છે. વાયરલ શરદીની સાથે તેના જેવા લક્ષણો ધરાવતા સ્વાઈન ફ્લુએ ત્રણ દિવસથી મોં ફાડયું છે અને રાજકોટમાં ગત રાત્રિના ચાર કલાકમાં જ ૨ દર્દીઓના મોત નીપજ્યા હતા અને આ સાથે રાજકોટની હોસ્પિટલોમાં કૂલ ૧૬૫ દર્દીઓમાંથી ૪૪ના મોત નીપજ્યાનું જાહેર થયું છે.
રાજકોટ મનપાનું તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં રચ્યુપચ્યુ રહે છે ત્યારે મહાપાલિકાની હદમાં જ (૧) નીલકંઠ પાર્ક શેરી નં.૩માં ૫૫ વર્ષીય પુરુષ તથા (૨) મારુતિનગર-૧, પેડકરોડ પર રહેતો ૧૮ વર્ષીય યુવકને સ્વાઈન ફ્લુ પોઝીટીવના રિપોર્ટ સાથે હોસ્પલિટલે ખસેડાયેલ છે.
તો રાજકોટની હોસ્પિટલમાં ગત રાત્રિના ચાર કલાકમાં બે દર્દીના મોત નીપજ્યા છે જેમાં (૧) રાત્રે ૧૧-૫૦એ જુનાગઢના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામમાં રહેતા ૬૨ વર્ષના વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું છે. આ મહિલાને જુનાગઢની હોસ્પિટલથી રાજકોટ લવાયા હતા અને ગઈકાલે જ તેમને સ્વાઈન ફ્લુ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. (૨) રાજકોટના બજરંગવાડી શેરી નં.૧૪, જામનગર રોડ પર રહેતા ૬૮ વર્ષીય વૃધ્ધને તા.૨૮-૧૨ના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ અત્રે સિવિલમાં ખસેડાયા હતા જ્યાં ગતરાત્રિના ૩.૧૫એ મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.
જામનગરની હોસ્પિટલમાં તાવ,શરદીની બિમારી સાથે દાખલ થયેલ પાંચ માસના ગર્ભ સાથેની પોરબંદરની મહિલાનો આજે સ્વાઈન ફ્લુ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો અને તેને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયેલ છે.
રાજકોટની હોસ્પિટલોમાં ચાર માસમાં સ્વાઈન ફ્લુનું ટેસ્ટીંગ કરાવ્યું હોય અને પોઝીટીવ રિપોર્ટ આવ્યો હોય તેવા જ કૂલ ૧૬૫ દર્દીઓ દાખલ કરાયા હતા જેમાંથી ૪૪ના મોત નીપજ્યા હતા. આ પૈકી માત્ર રાજકોટ શહેરમાં જ ૫૭ દર્દીઓ અને ૧૦ના મોત નોંધાયા છતાં મનપા દ્વારા આ મુદ્દેજાણે તેની કોઈ કામગીરી જ નથી તેમ વર્તાય છે.
રાજકોટ મનપાએ આજે રોગચાળાના આંકડા જાહેર કર્યા તેમાં સતત ત્રણ અઠવાડિયાથી શહેરમાં એક પણ મેલેરિયા ડેંગ્યુનો કેસ જ નહીં નોંધાયાનું જાહેર કરી કાગળ પર ગુલાબી ચિત્ર આપ્યું છે. ગંભીર વાત એ છે કે મનપા લાખો રૂ।.નો ખર્ચ ૨૧ આરોગ્ય કેન્દ્રો અને તેના સ્ટાફને નિભાવવા માટે કરે છે પણ મનપાના ચોપડે માત્ર ૧૬૪ શરદીના, ૮૨ ઝાડાઉલ્ટીના, ટાઈફોઈડનો માત્ર ૧, મરડાંના માત્ર ૬ , કમળાના માત્ર ૨ અને તાવના માત્ર ૨૯ કેસો નોંધાયા છે.
રોગચાળાના આંકડા છુપાવીને કે અધુરા ખોટા આપીને લોકોનું જનઆરોગ્ય મનપા જોખમમાં મુકી રહી છે અને કરોડોના ખર્ચે ગમે તેવા કાર્યક્રમો કરી નાંખતા અફ્સરો લોકો આરોગ્ય જાળવે તે માટે નક્કર કાર્યક્રમોમાં પણ ઉદાસીન રહે છે.બીજી તરફ શહેરમાં હવા,પાણીના પ્રદુષણની માત્રા વધતી જાય છે અને ખોરાકમાં ભેળસેળ સામે પણ મનપા નિંભરતા દાખવી રહ્યું છે ત્યારે જનઆરોગ્ય જોખમમાં છે.

ટિપ્પણીઓ નથી: