અનુયાયીઓ

સોમવાર, 16 એપ્રિલ, 2018

રાજ્યના અંતરિયાળ જીલ્લાઓમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલોના નિર્માણ માટે ખાનગી હોસ્પીટલોને ૨૫ ટકા સબસીડી અપાશે - મુખ્યમંત્રીશ્રી

શ્રેષ્ઠ આરોગ્ય થકી જ સ્વસ્થ જીવન અને સુખી જીવન પ્રાપ્ત કરી શકાય છે : - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ માં તારીખ ૧૫મી એપ્રીલના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ સ્થિત ઇમ્પીરીયલ હોટલ ખાતે દિવ્યભાસ્કર અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ સ્વાસ્થ્ય અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુપુર્ણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે મિડીયા અને એન.જી.ઓ, ખાનગી હોસ્પિટલની ઝુંબેશ સમાજમાં નવી પ્રેરણા આપે છે. આ ઝુંબેશ લોકોના સ્વસ્થ જીવનનું ચાલકબળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં જે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલો નિર્માણ કરશે તો તેમને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર-ઇકવીપમેન્ટ ખર્ચની ૨૫ ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે. વિનામુલ્યે દર્દિઓની સારવાર કરતી સંસ્થાઓ, હોસ્પીટલનું રિકરીંગ ખર્ચ સરકાર ભોગવશે જેથી સિવિલ હોસ્પીટલો પરનું કામનું ભારણ ઘટશે. 


મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની મેડીકલ ક્ષેત્રે શરૂ કરેલ વિવિધ પહેલનો ઉલ્લેખ કરતાં કહયું કે તબીબોની વયમર્યાદા ૬૫ વર્ષ કરવામાં આવી છે અને ૧૯૯૫માં ગુજરાતમાં મેડીકલ સીટ ૮૩૦ હતી જે અત્યારે ૪૦૦૦ કરવામાં આવી છે તે દર્શાવે છે કે રાજ્યમાં ડોકટરોની ઘટ પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પ્રથમ તબકકામાં ખાનગી હોસ્પીટલ અને સરકારના સહયોગથી શરૂ થનારી સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ દાહોદ, પંચમહાલ, અમરેલી સહિતના અંતરિયાળ જીલ્લાઓમાં બનાવવા માટે ગુજરાત સરકારની નવી મેડીકલ પોલીસી ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડનો અમલ કરાશે.  મુખ્યમંત્રીશ્રીએ કહયું કે રાજ્ય સરકારે ૫૫ લાખ પરિવારોને મા અમૃતમ યોજનાના કાર્ડથી રક્ષિત કરી સારવાર પાછળ ૮૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. સરકાર વર્ષે દોઢ લાખ બાળકોનું આરોગ્ય ચેકીંગ કરે છે અને મેઝર ઓપરેશન જરૂર પડયે રાજ્ય બહારની સારામાં સારી હોસ્પીટલમાં કરાવે છે. સરકારી હોસ્પીટલમાં ૩.૭૫ કરોડ લોકો વર્ષે સારવાર મેળવે છે. 


કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીનાબેન અંબાણીએ આજના પ્રસંગે પ્રશન્નતાપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત સાથે અમારે પારિવારિક સંબંધ હોઈ ગુજરાત સાથે હંમેશા એક વિશેષ લગાવ રહ્યો છે.  આ હોસ્પિટલ શરુ કરવા પાછળનો ઉદ્દેશ રજુ કરતા શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે ભારતીયોને વૈશ્વિક સ્તરની અધ્યતન સારવાર નજીવા દરે મળી રહે તે અર્થે ૨૦૦૯ માં મુંબઈ ખાતે સ્વ. ધીરુભાઈ અંબાણીની યાદમાં અને કોકીલાબેનને સમર્પિત આ હોસ્પિટલ શરુ કરાઈ હતી. સુરત બાદ રાજકોટ ખાતે મેડીકલ સેન્ટર શરુ કરાતા અહીના લોકોને અધ્યતન સારવારનો લાભ મળશે. આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧૮ જેટલા કેન્સર કેર સેન્ટર શરુ કરવા જઈ રહ્યા હોવાનું શ્રીમતી ટીના અંબાણીએ જણાવ્યું હતું.


દૈનિક ભાસ્કર જૂથના એક્ઝીક્યુટીવ ડીરેક્ટરશ્રી ડો.ભરત અગ્રવાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં કેન્સર, ન્યુરોલોજી, કરોડરજ્જુ અને બાળકોના રોગો અંગે ખાસ જાગૃતતા લાવવા માટે ભાસ્કર ગ્રુપ અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે ત્યારે કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ દ્વારા તેમના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડીકલ ટીમ દ્વારા અધતન સારવાર મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ ‘રૂપાણી’ અને ‘અંબાણી’ શબ્દ પ્રયોગ દ્વારા ગુજરાત પ્રત્યે તેમનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને વ્યસન મુકિતનું ભગીરથ કાર્ય કરનાર સંત શ્રી અપૂર્વ સ્વામિએ જણાવ્યું હતું કે ગુજરાતના સપૂત શ્રી ધીરૂભાઇ અંબાણીના પરિવારજનોએ વૈશ્વિક ઉંચાઇ પ્રાપ્ત કર્યા પછી પણ એક સામાન્ય માણસની સ્વસ્થ જીંદગીની ચિંતા કરી છે તે આ પરિવારને મળેલા સંસ્કારનું ભાથુ છે. દિવ્યભાસ્કર  અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પીટલ દ્વારા શરૂ કરેલી જનઆરોગ્યની ઝુંબેશથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવશે. 


પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી દેવેન્દ્રસિંહ પાંજરોલીયાએ ‘સ્વસ્થ જીવન સુખી જીવન’ અભિયાન થકી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત્તતા લાવવા અભિયાનની રૂપરેખા આપી હતી. કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડીરેક્ટર શ્રી રામનારાયણે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી સારવારની માહિતી આપી હતી. હોસ્પિટલ દ્વારા અધ્યતન સાધનોની મદદથી દર્દીઓને અપાતી શ્રેષ્ઠ સુવિધા, સારવાર અને રાખવામાં આવતા ખ્યાલ અંગે માહિતગાર કર્યા હતાં. 

આ તકે નિષ્ણાંત તબીબો થકી કેન્સર વિશે વિસ્તૃત સમજ પુરી પાડી હતી અને કેન્સર સામે બાથ ભીડીને સામાન્ય જીવન જીવી રહેલા ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી અર્ચન ત્રિવેદી, દિવ્યભાસ્કર સૌરાષ્ટ્રના એડીટર શ્રી કાના બાંટવાએ કેન્સર સામેની લડત અને મનોબળ અંગેના પોતાનાં અનુભવો જણાવ્યા હતાં. ડો. બબીતા હાપાણી સહિતના તબીબોએ પણ દર્દીઓમાં રહેલી મનોબળ અને હિંમતને લીધે થતાં ફાયદા અંગેના તેમના અનુભવોની ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ડો. રામ નારાયણ, ડો. સંતોષ શેટી, ડો. રાજેશ મિસ્ત્રી, ડો.દેશપાંડે, ડો. નંદકર્ણી, ડો. સેવંતી લિમાયે, ડો. કૈાશ્તવ તલપાત્રા, ડો.  મોહિત ભટ, ડો. અનુ અગ્રવાલ, ડો. ગડગીલ, ડો. શાંતનુ શેનઅને સંજય પંડયા સહિતનાં તબીબો ઉપસ્થિત રહયા હતાં.  આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, નાયબ મેયર ડો. દર્શિતા શાહ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી કમલેશભાઇ મીરાણી, જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધી પાની, અધિક નિવાસી કલેકટર શ્રી હર્ષદ વોરા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા. (ફોટો અને મેટર માહિતી બ્યુરો -રાજકોટ)

ટિપ્પણીઓ નથી: