બાર કાઉન્સીલની ચુંટણીમાં રાજકોટના દિલીપ પટેલ પ્રથમ ક્રમે વિજેતા જાહેર
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં ત્રીજી વખત દિલીપભાઇની જીત: સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા
રાજકોટ,તા.૯
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો અને આજરોજ પ્રથમ પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમ ક્રમે રાજકોટના દિલીપભાઈ પટેલ વિજેતા જાહેર થયા છે. દિલીપભાઈ પટેલ સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતા તેમના સમર્થકો તથા રાજકોટના વકિલોમાં ખુશીની લહેર જોવા મળી છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ૨૫ સભ્યો માટેની ચુંટણીનું ગત તા.૨૮ માર્ચના રોજ મતદાન થયું હતું. ચુંટણીમાં ૯૯ ઉમેદવારોએ પોતાનું ભાવી અજમાવ્યું છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. તા.૨૮ના ચુંટણી યોજાયા બાદ ગત શનિવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. એકડા બગડાની આ અટપટી ચુંટણીમાં અંદાજીત ૧૦ થી ૧૨ દિવસ મતગણતરી પ્રક્રિયામાં થતા હોય છે ત્યારે આજરોજ સમીસાંજના બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં પ્રથમ પરિણામ જાહેર થયું છે.જેમાં રાજકોટના એડવોકેટ દિલીપભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો.
એડવોકેટ દિલીપભાઈ પટેલ સતત ત્રીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યપદ પર ચુંટાઈ આવ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૬માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં સાતમાં ક્રમે ચુંટાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા હતા અને હવે વર્ષ ૨૦૧૮માં પણ સતત બીજી વખત તેઓ પ્રથમ ક્રમે ચુંટાયા છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં રાજકોટમાંથી પાંચ તથા સૌરાષ્ટ્રમાંથી ૧૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. જેમાં રાજકોટના પાંચ ઉમેદવારો પૈકી દિલીપભાઈ પટેલનો પ્રથમ ક્રમે ભવ્ય વિજય થતા રાજકોટના વકિલો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. રાજકોટમાં આ ઉપરાંત એડવોકેટ જીજ્ઞેશ જોષી, સિદ્ધરાજસિંહ જાડેજા, રાજેશ વોરા તથા જયંત પંડયાએ ઉમેદવારી નોંધાવી છે. આગામી દિવસોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એક બાદ એક પરીણામ જાહેર કરવામાં આવશે. ત્યારે રાજકોટના અન્ય ઉમેદવારોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મોભેદાર સભ્યપદમાં સ્થાન મળે છે કે કેમ ? તેના પર રાજકોટના તથા સૌરાષ્ટ્રના વકીલો મીટ માંડીને બેઠા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો