કાયમી અપડાઉન કરનાર મુસાફરો કહે છે કે,
રાજકોટ-વિસાવદર રૂટની એસટી બસ નિયમિત
રીતે "અનિયમિત" દોડતી ક્યારે બંધ થશે ?
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરથી ઉપડતી જેતપુર વિસાવદર રૂટની એસટી બસ લાંબા સમય થયા ખુબ અનિયમિત ચાલતી હોય, આ બસનો રોજ અપડાઉનમાં ઉપયોગ કરતા મુસાફરો ત્રાસી ગયા છે.
આ બાબતે મુસાફર આલમમાં ઉઠેલી ફરિયાદ જોઈએ તો જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી ૧-૩૦ વાગ્યે ઉપડતી જેતપુર-રાજકોટ રૂટની બસ કોઈ દિવસ સમયસર જેતપુરથી નીકળતી ના હોય, આ બસ રાજકોટ ખાતે પણ દરરોજ મોડી પહોંચે છે. પરિણામે રાજકોટ ખાતેથી આ બસ રાજકોટ - વિસાવદર રૂટમાં ફેરવાઈ જતી હોય, રાજકોટ થી પરત ફરતી આ બસ ગોંડલ, વીરપુર અને જેતપુર જેવા સ્ટેશનો પર નિયમિત પહોચી શકતી નથી.
સમસ્યા ત્યારે ઉભી થઇ રહી છે કે રાજકોટ વિસાવદર રૂટની આ બસ ખરેખર જેતપુર ખાતે પહોંચી સાંજના ૬-૧૫ વાગ્યે ઉપડવી જોઈએ પણ રોજ ત્રીસેક મિનીટ સુધીના સમયમાં મોડી જ ઉપડતી હોય, આ બસનો કાયમી અપડાઉનમાં ઉપયોગ કરતા ભેસાણ, બીલખા, છોડવડી, વિસાવદરના મુસાફરોને રોજ હાલાકી ભોગવવી પડે છે.
વર્તમાન સમયમાં ખાનગી વાહન વ્યવહાર સાથે કદમોકદમ મિલાવવા કટ્ટીબદ્ધ સરકારની એસટી બસ સેવા સુધારવા સરકાર સમયાંતરે લાખો રૂપિયાની અખબારી જાહેરાતો કરીને મુસાફરોને આકર્ષે છે, ત્યારે ખખડધજ બસો એને તેમાય વળી કાયમી રૂટોની બસો નિયમિત રીતે અનિયમિત ચાલતી હોય મુસાફર આલમમાં રોષ સાથે અસંતોષ જોવા મળે છે.
આ બસનો કાયમી ઉપયોગ કરનાર આરીફ પઠાણ અને રક્ષિત જોશી નામના યુવાનોએ ત્યાં સુધી કહ્યું કે રાજકોટ વિસાવદર રૂટની બસની અનિયમિતતાની ફરિયાદ ઓનલાઈન અને જુનાગઢ એસટીના ડીસીને અનેકવાર રજુઆતો કરી છે. પણ આ બસ નિયમિત ચલાવાતી ના હોય હવે કોણે અને કઈ જગ્યાએ આ બાબતે ફરિયાદ કરવી તેવું આ બંને યુવાનો જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો