જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો
જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)
જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.
મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.
વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.
((કશ્યપ જોશી- જેતપુર )
રક્તદાન :
સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)
દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
સફાઈ અભિયાન :
જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)
પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો
જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.
(ફોટો : કશ્યપ જોશી જેતલસર)
મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ
જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે. (કશ્યપ જોશી-જેતલસર)
રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ
જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો