જેતપુરમાં આવતીકાલે ગરીબ કલ્યાણ મેળો
જેતપુર તા.21
જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ માર્કેટ યાર્ડ ખાતે આવતીકાલ તા.23 ના રોજ જેતપુર અને ગોંડલના લાભાર્થીઓ સરકારનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. સવારના 9-30 કલાકથી શરુ થનાર આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ગુજરાત ગૌ વિકાસ નિગમના ચેરમેન વલ્લભભાઈ કથીરિયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન બગડા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ગોડલ પાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ સુમિતાબેન ડોબરિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ વિગેરેની હાજરીમાં ગુજરાત સરકારની વિવિધલક્ષી કલ્યાણ યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થીઓને હાથોહાથ અપાશે, વિતરણ કરાશે તેવું જેતપુર અને ગોંડલ વહીવટ તંત્ર જણાવે છે.
જેતપુરમાં પોલીસની કડક સુચના પછી પણ
મટનની દુકાનો ચાલુ હોવાની રાવ
જેતપુર તા.21
શહેરના તમામ હિંદુ સંગઠનોએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ, મટનની દુકાનો બંધ રાખવાનું પોલીસ સહીત તમામ સત્તાધીશોને થોડા દિવસો પહેલા આવેદનો આપ્યા હતા.
પરિણામે સ્થાનિક પોલીસે આવા ધંધાર્થીઓની જગ્યાઓ પર રૂબરૂ જઈને અને પોલીસ થાણે પણ બોલાવીને કડક સૂચનાઓ આપી હતી કે કોઈ સમાજની ધાર્મિક લાગણી દુભાવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે સહકારની ભાવના વ્યક્ત કરી પોતપોતાના માંસ મટનના ધંધા રોજગારો બંધ રાખવા.
આવી સુચના પછી અનેક મુસ્લિમ ધંધાર્થી ભાઈઓ કે જેઓ આવા ધંધા સાથે સંકળાયેલા છે તેઓએ સહ્કારાત્મક વલણ અપનાવી પોતાના ધંધા હાલ બંધ કરી દીધાની વિગતો મળી રહી છે. કારણ આ તમામ મુસ્લિમ બિરાદરો જેતપુરમાં વર્ષો થયા હિંદુ-મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો ટકાવવા માંગે છે.
પણ કહેવાય છે કે હાથની પાંચેય આંગળીઓ સરખી ના હોય !
તેમ અહીના તાલુકા પંચાયત કચેરી નજીક આવેલ વોરા વોંકળી કાંઠે રહેતા અને કરિયાણાની દુકાનોની આડશ પાછળ અમુક વેપારીઓ દુકાનોના બે શટરોમાનું એક શટર બંધ કરી મુરઘી મટનનો ધોમધોકાર વેપલો કરતા હોય, ખુદ આવા ધંધા સાથે સંકળાયેલ અમુક વેપારીઓએ આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી જણાવ્યું હતું કે, અમે જો ધંધો બંધ કરી હિંદુ સમાજની લાગણી-માંગણી સમજી સહકાર આપતા હોય તો બીજા કેમ નહિ ?
ત્યારે પોલીસ તંત્રએ ઉપરોક્ત સ્થળે અને વિસ્તારમાં સુચના પછી પણ માંસ મટનની દુકાનો ચાલુ રાખતા વેપારીઓ સામે શિક્ષાત્મક લાલ આંખ કરવી જરૂરી હોવાની માંગ ઉઠી છે.
જેતપુરમાં વીર ચાંપરાજવાળા પ્રતિમા અનાવરણ તિથી નિમિત્તે
26મીએ ભવ્ય લોકડાયરાનું આયોજન
જેતપુર તા.21
જેતપુરમાં વીર ચાંપરાજવાળા પ્રતિમા અનાવરણ તિથી નિમિતે તા.26 મી ઓગસ્ટે, અહીના વીર ચાપરાજવાળા યુવક મંડળ અને શહેર તેમજ તાલુકા વિસ્તારના કાઠી ક્ષત્રીય સમાજના નાના મોટા આગેવાનો દ્વારા અહીના જીમખાના મેદાનમાં રાત્રીના 9 વાગ્યે લોકડાયરાનું આયોજન કરાયું છે.
આ દિવસે બપોરે વીર ચાપરાજવાળા બાપુની બારીયેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં જોડવા સમાજના તમામ કાર્યકરો, આગેવાનોને અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો